એમસીએક્સના ડેટા શૅરિંગ પ્રકરણમાં બહાર આવેલી આંચકાદાયક બાબતો

તસવીર સૌજન્યઃ https://www.aiip.org

એનએસઈના કૉ-લૉકેશન કેસમાં આપણી ધારણા સાચી પડી છે. (જુઓઃ https://vicharkranti2019.wordpress.com/2019/05/17/હવે-એનએસઈ-પણ-સૅટમાં-સેબીન/).

સિક્યૉરિટીઝ ઍપેલેટ ટ્રિબ્યુનલે (સેટ) એનએસઈને સેબીના આદેશમાં રાહત આપી છે. તેણે કૉ-લોકેશન કેસમાં આશરે 1,100 કરોડ રૂપિયાની રકમ ભરપાઈ કરવા માટેના સેબીના 30મી એપ્રિલના આદેશની સામે સ્ટે આપ્યો છે. અત્યારે ફક્ત 625 કરોડ રૂપિયા સેબીમાં જમા કરવાના રહેશે, જેના વિશે આખરી ચુકાદામાં નિર્ણય લેવામાં આવશે.

એકંદરે, કૉ-લૉકેશન કેસમાં સેબીએ જેની સામે કાર્યવાહી કરી હતી એ તમામ લોકોને સેટ તરફથી રાહત મળી ગઈ છે. અધૂરામાં પૂરું, એમસીએક્સમાં થયેલા આવા જ પ્રકારના કથિત કૌભાંડ સંબંધે હજી સુધી કોઈ કાર્યવાહીનાં એંધાણ નથી. અત્યાર સુધી આપણે એમસીએક્સના આ કેસમાં બહાર આવેલી માહિતીની ચર્ચા કરી ગયા છીએ. હવે તેમાં કેટલીક નવી બાબતો ઉમેરાઈ છે અને નવા પ્રશ્નો ઊભા થયા છે.

સેબી અને એમસીએક્સ (મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ)ના કહેવાથી જ ટી. આર. ચઢ્ઢા ઍન્ડ કંપનીએ ઑડિટ કર્યું હતું અને તેમાં તેમણે ડેટા શૅરિંગ બાબતે શંકા જાગે એવા મુદ્દાઓ રજૂ કર્યા છે.

1) ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યુટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચ (આઇજીઆઇડીઆર) એમસીએક્સના ડેટાના ઉપયોગ બાબતે ત્રણ ડિલિવરેબલ્સ આપવાની હતી, અર્થાત્ ડેટાનો ઉપયોગ કેવી રીતે થયો તેની જાણ કરવાની હતી, પરંતુ એમ કરવામાં આવ્યું નહીં. એ ઇન્સ્ટિટ્યુટ વતી સુસાન થોમસે સહી કરી હતી.

2) એમસીએક્સ પાસેથી જૂનો ડેટા મળ્યો હોત તો પણ ચાલે એવા પ્રકારનું સંશોધન હતું, પરંતુ એમસીએક્સે રોજિંદા ધોરણે તાજો ડેટા આપ્યો.

ઇન્સ્ટિટ્યુટ કોમોડિટી બજાર પર કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટૅક્સની અસરનો અભ્યાસ કરવાની હતી અને તેના માટે જૂનો ડેટા પણ પૂરતો હતો. વળી, અનેક બાબતોમાં એમસીએક્સે ડેટા આપવાની જરૂર ન હતી. એમસીએક્સ ધારાધોરણો મુજબ જે ડેટા જાહેર કરે છે તેનો સીધેસીધો ઉપયોગ કરી શકાયો હોત. ઈકોનોમિક ટાઇમ્સ અને હિન્દુ બિઝનેસ લાઇન અખબારોમાં પ્રગટ થયેલા અહેવાલો મુજબ એમસીએક્સે ટિક બાય ટિક અને રિયલ ટાઇમ ડેટા આપ્યો હતો.

એમસીએક્સ, એનએસઈ, ડેટા શેરિંગ, અજય શાહ, સુસાન થોમસ એ બધાના છેડા વિશે આપણે અગાઉ વાત કરી. તેમાં ઉમેરવાની એક કડી આ રહીઃ એમસીએક્સમાંથી ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસને પરાણે સ્ટેક વેચાવડાવી દીધા બાદ તેમાં મૃગાંક પરાંજપે મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર બન્યા. તેઓ અજય શાહ અને સુસાન થોમસને આઇઆઇટી પવઈમાં વિદ્યાર્થી અવસ્થાથી ઓળખતા હતા. પરાંજપેની નિમણૂક 9 મે, 2016ના રોજ થઈ. તેના એક મહિના બાદ 9મી જૂનના રોજ સુસાને પરાંજપેને ઈ-મેઇલ લખીને ઇન્સ્ટિટ્યુટ સાથે કરાર કરવાનું કહ્યું. એ ઈ-મેઇલ સુસાનના અંગત ઈ-મેઇલ અકાઉંટમાંથી પરાંજપેના અંગત ઈ-મેઇલ પર મોકલાયો હતો. ત્યાર બાદ 29મી ઑગસ્ટે એક અને પહેલી સપ્ટેમ્બરે બીજો, એમ બે અલગ અલગ કરાર એમસીએક્સ અને ઇન્સ્ટિટ્યુટ વચ્ચે થયા.

દરમિયાન, એનએસઈના ડેટાનો ઇન્સ્ટિટ્યુટે દુરુપયોગ કર્યો હોવાને લગતા અનેક અહેવાલો પ્રસાર માધ્યમોમાં આવ્યા હોવા છતાં એમસીએક્સે ઇન્સ્ટિટ્યુટ સાથે કરાર કર્યો.

સામે આવેલી બીજી નોંધનીય બાબત છે કે એમસીએક્સ જેને ડેટા પૂરો પાડતું હતું એ ચિરાગ આનંદ ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યુટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચના કર્મચારી ન હતા. અજય શાહ જેની સાથે સંબંધ ધરાવતા આવ્યા છે એ નૅશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ પબ્લિક ફાઇનાન્સ ઍન્ડ પોલિસીમાં ચિરાગ આનંદ કાર્યરત હતા. ચઢ્ઢા ઍન્ડ કંપનીના ઑડિટના અહેવાલ મુજબ ડૉ. સુસાન થોમસ અને તેની ટીમ વચ્ચેનો પત્રાચાર અંગત ઈ-મેઇલ પર જ થતો હતો. એ ટીમના સભ્યો ઇન્સ્ટિટ્યુટના કર્મચારીઓ ન હતા.

આ અહેવાલમાં અનેક ગંભીર બાબતો બહાર આવી હોવા છતાં હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ઉલટાનું, જેમાં કાર્યવાહી થતી હોવાનું દેખાયું એ એનએસઈ કૉ-લૉકેશન કેસમાં પણ શકમંદોને સૅટ તરફથી રાહત મળી ગઈ છે.

એમસીએક્સનું ડેટા શૅરિંગ પ્રકરણ વગદાર માણસો શું નું શું કરી શકે એનાં ઉદાહરણોમાંનું એક ઉદાહરણ બની શકે છે.

સંદર્ભઃ https://www.pgurus.com/illegal-sharing-of-confidential-trade-data-by-mcx-to-susan-thomas-wife-of-ajay-shah/

https://www.thehindubusinessline.com/todays-paper/article26937926.ece

————————–

એનએસઈ, કે. પી. કૃષ્ણન, પી. ચિદમ્બરમ, આઇએનએક્સ મીડિયા કૌભાંડ, એનએસઈ કૉ-લૉકેશન કૌભાંડ અને એમસીએક્સ કૉ-લૉકેશન કૌભાંડ એ બધાના છેડા કેવી રીતે અડી રહ્યા છે?

તાજેતરમાં એનએસઈના કૉ-લૉકેશન કેસ બાબતે સેબીએ અપનાવેલા ઢીલા વલણને જોઈને સહેજે કહી શકાય કે આ એક્સચેન્જ એકચક્રી શાસન ભોગવી રહ્યું છે. એક સમયે તેના કોમોડિટી વાયદા બજાર એનસીડેક્સ સામે એમસીએક્સને કારણે તીવ્ર સ્પર્ધા ઊભી થઈ ત્યારે પી. ચિદમ્બરમના ખાસ ગણાતા અમલદાર કે. પી. કૃષ્ણને ચિદમ્બરમ માટે એક ગોપનીય નોંધ તૈયાર કરી હતી. 2007ના ડિસેમ્બર મહિનાની 19મી તારીખે એ નોંધ લખાઈ હતી, જે 2011માં પ્રકાશમાં આવી હતી. ‘ધ ટાર્ગેટ’ પુસ્તકમાં જણાવાયા મુજબ કૃષ્ણને ઉક્ત નોંધમાં કહ્યું હતું: ”એનસીડેક્સની કામગીરી છેલ્લા થોડા મહિનાઓમાં ઘણી ઘટી ગઈ છે અને પરિસ્થિતિ હજી બગડશે એવા સંકેતો છે. એનસીડેક્સને ફરીથી બેઠું કરવા માટે એનએસઈને તેમાં સૌથી મોટું શેરધારક બનાવવું જરૂરી છે. આથી એલઆઇસી અને નાબાર્ડ પોતાના હિસ્સામાંથી પાંચ-છ ટકા હિસ્સો એનએસઈને વેચી દે તો એ કામ સરળ બની શકે છે…..મેં સચિવ સાથે વાત કરી લીધી છે અને એનસીડેક્સ/એનએસઈ પણ આવશ્યકતા મુજબ પોતપોતાના નિયમનકાર પાસેથી જરૂરી મંજૂરી મેળવી લેશે.”

ચિદમ્બરમે એ સત્તાવાર નોંધ પર હસ્તાક્ષર કર્યા હતા. કૃષ્ણન નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગમાં મૂડી બજારનો અખત્યાર સંભાળતા હતા, છતાં તેમણે કોમોડિટી એક્સચેન્જ માટે નોંધ બનાવી એ આશ્ચર્યની વાત છે. આથી જ એ સમયે એફટીઆઇએલની પેટા કંપની તરીકે કાર્યરત એમસીએક્સે એ નોંધ વિશે કેન્દ્રીય દક્ષતા આયુક્તને ફરિયાદ કરી. દક્ષતા સમિતિએ એ બાબતે તપાસ કરીને કૃષ્ણનને એક વર્ષ માટે કર્ણાટકમાં મૂળ કેડરમાં ટ્રાન્સફર કર્યા. ‘ધ ટાર્ગેટ’માં શાંતનુ ગુહા રે કહે છે કે આ પગલાને કારણે કૃષ્ણને એફટીઆઇએલ સામે દાઝ કાઢી હોવાથી શક્યતા છે. આથી જ એનએસઈએલ સંબંધે એફટીઆઇએલ સામે જે ષડ્યંત્ર રચાયું તેમાં કૃષ્ણનનો હાથ હોવાની શંકા જાય છે. કાળક્રમે એ ષડ્યંત્રને પગલે એફટીઆઇએલ પાસે એમસીએક્સમાં પરાણે હિસ્સો વેચાવી દેવાયો અને હવે એનએસઈએ સીધેસીધું એમસીએક્સ સાથે મર્જર કરીને એક કાંકરે બે પક્ષી મારવાનો વિચાર કર્યો છે. જો કે, સેબીએ કૉ-લૉકેશનના પ્રકરણને અનુલક્ષીને એ મર્જર માટે પરવાનગી આપી નથી. એમસીએક્સ અત્યારે લિસ્ટેડ એક્સચેન્જ છે. તેની સાથે મર્જર કરી લેવાય તો એનએસઈને આઇપીઓ લાવવાની જરૂર પણ ન રહે. વળી, એ સ્ટૉક માર્કેટ ઉપરાંત કોમોડિટી માર્કેટમાં પણ પોતાનો પગદંડો જમાવી શકે.

અહીં ફરી એક વાર યાદ કરાવવું રહ્યું કે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની ઈજારાશાહી ન રહે એ માટે સ્પર્ધા ઊભી કરવા એનએસઈની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ એનએસઈએ ઈજારાશાહી વિકસાવવા સિવાય બીજું કોઈ કામ કર્યું નથી એવું જણાય છે. દેશમાં ઈક્વિટી કલ્ટ રચવાનું તો બાજુએ રહ્યું, તેણે શેરબજારને સંપૂર્ણપણે જાણે સટ્ટાબજાર બનાવી દીધું છે. એમાં એણે કૉ-લૉકેશનની ટેક્નૉલૉજીનો ઉપયોગ કર્યો.

આમ, એનએસઈ, કે. પી. કૃષ્ણન, પી. ચિદમ્બરમ, આઇએનએક્સ મીડિયા કૌભાંડ, એનએસઈ કૉ-લૉકેશન કૌભાંડ અને એમસીએક્સ કૉ-લૉકેશન કૌભાંડ એ બધાના છેડા અડી રહ્યા હોવાનું આપણે જોઈ શકીએ છીએ.

ધ ટાર્ગેટમાં લેખકે કહ્યું છે કે એફટીઆઇએલના સ્થાપક જિજ્ઞેશ શાહ સ્ટૉક માર્કેટમાં ઊતરે તો એનએસઈનું એકહથ્થુ શાસન તૂટી જાય એવું મનાવા લાગ્યું હતું. આથી જ તેમની સામે એનએસઈએલના કેસમાં કાવતરું ઘડાયું હોવાનું કહેવામાં આવ્યું છે.

સમગ્ર બજારમાં ખુલ્લેઆમ બોલાય છે કે એનએસઈમાં કૉ-લૉકેશનનું આવડું મોટું કૌભાંડ થવા છતાં તેની સામે કોઈ આકરું પગલું લેવાયું નહીં એ બાબત પરથી કહી શકાય કે પી. ચિદમ્બરમ આજે પણ નાણાં ખાતામાં તથા અમલદાર વર્ગમાં વગ ધરાવે છે.

———————

પી. ચિદમ્બરમને આગોતરા જામીનની સિલ્વર જ્યુબિલીઃ શું આ જ કારણસર આપણે ‘મેરા ભારત મહાન’ કહીએ છીએ?

ઍરસેલ-મેક્સિસ કેસમાં ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિને ધરપકડ સામે સતત મળી રહેલા કાનૂની રક્ષણનું આશ્ચર્ય

તસવીર સૌજન્યઃ https://www.newslaundry.com

પી. ચિદમ્બરમ શેરબજાર અને શેરબજારનાં કૌભાંડોમાં સંડોવાયેલા હોવા વિશે અનેક જગ્યાએ શંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં આપણે આ બ્લોગમાં જ જોયું કે આ ભૂતપૂર્વ નાણાપ્રધાનને જાહેર પડકાર ફેંકવામાં આવ્યો હોવા છતાં તેમના પેટનું પાણીય હલતું નથી. એ કેમ હલતું નથી તેનું એક કારણ ન્યાયતંત્ર પાસેથી તેમને વારંવાર મળી રહેલી સુવિધા છે. આથી જ કહેવું રહ્યું કે આટલી સુવિધા તો પતિ-પત્ની પણ એકબીજાને નથી આપતાં.

લગ્નની સિલ્વર જ્યુબિલી ઉજવાય એમ પી. ચિદમ્બરમને ધરપકડ સામે મળેલા રક્ષણની સિલ્વર જ્યુબિલી હાલ ઉજવાઈ છે. તેમને ઍરસેલ-મેક્સિસ કેસમાં સતત પચ્ચીસમી વખત આગોતરા જામીન મળી ગયા છે.

ચિદમ્બરમ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આરોપ મૂક્યો છે કે તેમણે કેન્દ્રીય નાણાપ્રધાનપદનો દુરુપયોગ કરીને વિદેશી રોકાણકારો સાથે મળીને કાવતરું રચ્યું અને પોતાના દીકરા કાર્તિની કંપનીને મદદ કરી. તેઓ 2006માં નાણાપ્રધાન હતા ત્યારે તેમણે મોરિશિયસસ્થિત કંપની ગ્લોબલ કોમ્યુનિકેશન હોલ્ડિંગ સર્વિસીસ લિમિટેડને ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડર કંપની ઍરસેલમાં રોકાણ કરવા માટે મંજૂરી આપી. તેમને માત્ર 600 કરોડ રૂપિયાનું રોકાણ મંજૂર કરવાની સત્તા હતી, પરંતુ તેમણે 3,500 કરોડ રૂપિયાના રોકાણ માટે મંજૂરી આપી. આ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને ચલાવેલી સમાંતર તપાસમાં કહેવામાં આવ્યું છે કે ઍરસેલ-મેક્સિસ કેસમાં કાર્તિને કટકી મળી હોવાથી ચિદમ્બરમે સત્તાનો દુરુપયોગ કર્યો. આ કેસમાં કાર્તિની સાથે સંકળાયેલી કંપનીને 26 લાખ રૂપિયા મળ્યા હતા. બીજા આશરે 90 લાખ રૂપિયા કાર્તિ અને તેના કઝીન એ. પલાનીપ્પને પ્રમોટ કરેલી ચેસ મૅનેજમેન્ટ કંપનીને મળ્યા હતા.

અદાલતે અકળ કારણોસર પી. ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમને સતત ધરપકડ સામે રક્ષણ આપ્યું છે. અત્યાર સુધીમાં ચિદમ્બરમને 2018ની 9 માર્ચ, 20 માર્ચ, 16 એપ્રિલ, 1 મે, 29 મે, 4 જૂન, 9 જુલાઈ, 6 ઑગસ્ટ, 9 સપ્ટેમબર, 24 સપ્ટેમ્બર, 7 ઑક્ટોબર, 1 નવેમ્બર, 17 ડિસેમ્બર તથા આ વર્ષની 11 જાન્યુઆરી, 28 જાન્યુઆરી, 18 ફેબ્રુઆરી, 8 માર્ચ, 25 માર્ચ, 26 એપ્રિલ અને છેલ્લે 6 મેના રોજ દિલ્હીની વિશેષ અદાલતે ધરપકડ સામે રક્ષણ આપ્યું છે.

કાર્તિને પણ સતત ધરપકડ સામે રક્ષણ આપવા ઉપરાંત વિદેશ જવા માટે પરવાનગી આપવામાં આવતી રહી છે. આ જ કાર્તિ માટે મધરાતે 12 વાગ્યે અદાલતની કાર્યવાહી ચલાવવામાં આવી હતી, જેથી એ ભાઈ બીજા દિવસે પરોઢે પાંચ વાગ્યે ફ્લાઇટ પકડીને વિદેશ જઈ શકે. હાલમાં પાછો તેને 10 કરોડ રૂપિયાનો બોન્ડ આપીને વિદેશ જવાની પરવાનગી અપાઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભારત, યુનાઇટેડ કિંગડમ અને સ્પેનમાં કાર્તિની 54 કરોડ રૂપિયા મૂલ્યની સંપત્તિને ટાંચ મારી છે.

એનએસઈના કો-લોકેશન કેસમાં સંડોવાયેલા અજય શાહ પી. ચિદમ્બર સાથે સંકળાયેલા હોવાનું અનેક અહેવાલોમાં બહાર આવી ચૂક્યું છે અને આપણે પણ તેના વિશે વાત કરી છે.

હાલમાં એનએસઈના આ કૌભાંડ બાબતે એક મહત્ત્વપૂર્ણ વિડિયો પ્રસિદ્ધ થયો છે, જે ભારતીય રોકાણકારોની આંખ ઉઘાડનારો છે. (https://youtu.be/VxCSQETjYlg)

રોકાણકારોનાં નાણાં સાથે રમનારા લોકોને અદાલતોમાં ધરપકડ સામે 25-25 વખત રક્ષણ મળે છે એ આશ્ચર્યજનક બાબત છે. આ રીતે લોકોની ભાવનાઓની સાથે પણ રમત થાય છે. એનએસઈના કેસમાં પણ સેબીએ કરેલી કાર્યવાહીનો આદેશ નબળો હોવાથી ઍપલેટ ટ્રિબ્યુનલે તેની સામે સ્ટે આપી દીધો છે.

દેશના અગ્રણી ઉદ્યોગપતિએ પણ અમુક રકમ ચૂકવાય નહીં તો જેલમાં જવું પડે એવી સ્થિતિ હાલમાં ઊભી થઈ હતી. તેમના ભાઈએ સમયસર આર્થિક મદદ કરતાં તેઓ બચી ગયા. જો કાયદાની નજરમાં બધા સરખા હોય તો આ એક માણસને 25-25 વખત આગોતરા જામીન આપવા પાછળનું સ્પષ્ટ કારણ પણ દેખાવું જોઈએ, જે કમનસીબે અત્યાર સુધી ક્યાંય દેખાયું નથી.

શેરબજારનાં વર્તુળોમાં તો વર્ષોથી કહેવાતું આવ્યું છે કે આ પિતા-પુત્ર શેરબજારમાં મોટાપાયે સટ્ટો કરે છે અને તેઓ બજારને રમાડે છે. કો-લોકેશન દ્વારા અમુક ગણ્યાગાંઠ્યા લોકોને ગેરરીતિથી કમાણી કરી લેવાની તક આપવામાં આવે છે ત્યારે પોતાની મહેનતની કમાણી આ બજારમાં રોકીને પ્રામાણિકપણે વળતર મેળવવાની કોશિશ કરનાર રોકાણકારોને અન્યાય થાય છે.

બજારને રમાડનારાં આ તત્ત્વો વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થાય અથવા તો તેઓ કાર્યવાહીમાંથી આબાદ છટકી જાય ત્યારે ખરી ભાવનાથી નહીં, પણ મહેણા તરીકે કહેવાનું મન થાય કે ‘મેરા ભારત મહાન!’

———————

ડિફોલ્ટરોના પાપને કારણે એનએસઈએલ-એફટીઆઇએલને દંડિત કરવાનું સરકારનું પગલું સર્વોચ્ચ અદાલતે દાખલા-દલીલો સાથે ફગાવી દીધું છે

આવશ્યકતા જ નહતી, છતાં સરકારે મર્જરનો આદેશ બહાર પાડ્યો હતોઃ આખરે એફટીના પક્ષે સત્યનો વિજય થયો

એનએસઈએલ-એફટીઆઇએલનું મર્જર રદ કરતી વખતે સર્વોચ્ચ અદાલતે તેના 133 પાનાંના આદેશમાં સંખ્યાબંધ મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. એફટીના વકીલોએ કરેલી ઘણી મહત્ત્વપૂર્ણ દલીલોને તેણે માન્ય રાખી છે. તેમાંની એક આ રહીઃ કેન્દ્ર સરકારે આવો આદેશ જરૂરી છે કે કેમ એના વિશે પોતાનું મગજ વાપર્યું નથી. બીજું, કોઈ એક એક્સચેન્જના સભ્યોની કથિત લાયેબિલિટીઝ વિશે ખટલો ચાલી રહ્યો હોય ત્યારે કેન્દ્ર સરકારે જનહિતમાં આ બન્ને કંપનીઓનું મર્જર કરવાની જરૂર હોવાનું ભાગ્યે જ કહી શકાય. ખરેખર તો જનહિત સામાન્ય જનતાનું હોય અને તેમાં દેખીતી રીતે એફટીઆઇએલના 63,000 શેરધારકો પણ આવી જાય.

મર્જરના આદેશના પહેલા પાના પર મર્જરના ઉદ્દેશ્યો લખવામાં આવ્યા હતા. તેમાં કહેવાયું હતું કે બન્ને કંપનીઓની અસેટ્સ, મૂડી અને અનામત ભેગી કરવાથી તેનો ઉપયોગ કરી શકાશે, કામકાજ ઓછા ખર્ચે થઈ શકશે, વહીવટ વધુ કાર્યક્ષમ બનશે, સ્ટેકહોલ્ડરો અને ક્રેડિટરોના અધિકારો તથા લાયેબિલિટીઝનું લાભદાયક રીતે સેટલમેન્ટ કરી શકાશે, બિઝનેસનું કન્સોલિડેશન કરી શકાશે તથા સમન્વય અને નીતિનું કામકાજ શક્ય બનશે. અદાલતે આ કારણો સંપૂર્ણપણે સંદિગ્ધ (અસ્પષ્ટ) હોવાનું સ્વીકાર્યું છે.

અદાલતે એ પણ સ્વીકાર્યું છે કે ડિફોલ્ટરો પાસેથી નાણાં પાછાં મેળવવાની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે એવા સમયે મર્જર કરવાનું પગલું સંપૂર્ણપણે એકપક્ષી છે અને તેનાથી એફટીઆઇએલના શેરધારકો અને ક્રેડિટરોના અધિકારો પર તરાપ મરાય છે. વળી, આ શેરધારકો અને ક્રેડિટરોએ મર્જરની સામે ભારે બહુમતીથી મતદાન કર્યું છે. ખરેખર તો મર્જરનો આદેશ ‘શ્યામ’ એટલે કે 24 કથિત ડિફોલ્ટરોના દોષને બદલે ‘રામ’ એટલે કે એનએસઈએલ-એફટીઆઇએલને દંડિત કરવા માટે કંપની કાયદાની કલમ 396નો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ પણ એવા સંજોગોમાં કરવામાં આવ્યો છે, જ્યારે એફટીઆઇએલ કે એનએસઈએલે નાગરી કે ફોજદારી ખોટું કામ કર્યાનું ક્યાંય જોવામાં આવ્યું નથી તથા તેમણે કોઈ ડિફોલ્ટ કર્યો નથી.

સરકારે જનહિતનું નામ આપીને મર્જરનો આદેશ બહાર પાડ્યો, પરંતુ તેની સામે એવી દલીલ થઈ હતી કે બન્ને કંપનીઓના સ્રોતો ભેગા કરીને ઉત્પાદન વધતું હોય અને રોજગારનું સર્જન થતું હોય અને એ રીતે સમુદાયને લાભ થતો હોય તેને જનહિત કહેવાય. જે કાર્યવાહીથી ઉદ્યોગનો વેગ અટકતો હોય તો તેને જનહિત કહી શકાય નહીં. આ રીતે સરકારની દલીલ સાવ પડી ભાંગી હતી, કારણ કે સર્વોચ્ચ અદાલતે દાખલા-દલીલો સાથે કહ્યું હતું કે આ કેસમાં ક્યાંય જનહિત દેખાતું નથી.

ફોરવર્ડ માર્કેટ્સ કમિશને જેને તાકીદની સ્થિતિ ગણાવી હતી એ સ્થિતિ મર્જરનો આખરી આદેશ બહાર પડાયો ત્યાર સુધી રહી ન હતી. આમ, ફરજિયાત મર્જરનું પગલું ભરવાની તાકીદની સ્થિતિનું અસ્તિત્વ જ રહ્યું ન હતું. આમ, કલમ 396નો ઉપયોગ કરવા પાછળનું કારણ જ સાવ દૂર થઈ ગયું છે. તેનું કારણ એ છે કે ડિફોલ્ટરો વિરુદ્ધ 3,365 કરોડ રૂપિયાની ડિક્રી/આદેશ મેળવવામાં આવ્યા છે અને વડી અદાલતે નીમેલી સમિતિએ 835.88 કરોડ રૂપિયાની જવાબદારી નિશ્ચિત કરી લીધી છે. આ બધું એફટીઆઇએલના સ્રોતોનો ઉપયોગ કર્યા વગર થયું છે. આથી જેને આવશ્યક બાબત ગણાવાઈ હતી એનો મહદ્ અંશે 2016માં મર્જરનો આદેશ બહાર પડાય તેની પહેલાં અંત આવી ગયો હતો. આ રીતે કેન્દ્ર સરકારે કલમ 396નો ઉપયોગ કરતી વખતે ‘આવશ્યકતા’ના પાસા બાબતે વગર વિચાર્યે પગલું ભર્યું છે.

————

એનએસઈએલ-એફટીઆઇએલ મર્જર કેસઃ સ્થાપિત હિતોને ‘જનહિત’નું નામ આપનાર સરકારને સર્વોચ્ચ અદાલતની લપડાક

સરકારના અવિચારી પગલાને લીધે માત્ર એક કંપની સમૂહને નહીં, દેશ આખાને ભયંકર નુકસાન થયું છે

એફટીઆઇએલના સ્થાપક જિજ્ઞેશ શાહ. તસવીર સૌજન્યઃ મિન્ટ

આખરે સર્વોચ્ચ અદાલતે એનએસઈએલ-એફટીઆઇએલના મર્જરનો સરકારી આદેશ રદ કરી દીધો છે.

સરકારે બહાર પાડેલા આદેશને ત્રણ વર્ષ થયા બાદ ચુકાદો આવ્યો છે અને તેમાં સરકારનું તો કંઈ નથી ગયું પણ એનએસઈએલની પૅરન્ટ કંપની એફટીઆઇએલને જબ્બર મોટું નુકસાન થયું છે. કંપની કાનૂની લડતમાં જીતી ગઇ પરંતુ તેના શેરનું મૂલ્ય ઘણું ઘટી ગયું.

એનએસઈએલમાં ડિફોલ્ટરો નાણાં લઈ ગયા અને કંપનીના શેરધારકોને સરકારના પગલાને કારણે ધરખમ નુકસાન થયું. ઉપરાંત, દેશમાં નવસર્જન કરીને નાગરિકો માટે મૂલ્યસર્જન કરનારી એક નવી પેઢીની મેક ઇન ઇન્ડિયા કંપનીની મહેનત પર પાણી ફરી વળ્યું અને ભારતે ઘણું ગુમાવ્યું. આમ, આપણે અગાઉ કહ્યું તેમ આ કેસમાં માત્ર એફટીને નહીં, સમગ્ર દેશને ભયંકર નુકસાન થયું છે.

મર્જર કેસમાં થયેલી અનેક દલીલોમાં કંપનીના શેરધારકોના અધિકારો પ્રત્યે થયેલા દુર્લક્ષનો મુદ્દો પણ મહત્ત્વનો હતો.

એફટીના વકીલોએ કહ્યું હતું કે કંપનીઝ ઍક્ટની કલમ 396 હેઠળ મર્જરનો આદેશ બહાર પાડવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં આ કલમનો ઉપયોગ સત્તા બહારનો હોવાનું દર્શાવતા અનેક મુદ્દાઓ છે.

મર્જરનો આદેશ બહાર પાડતાં પહેલાં એફટીના શેરધારકોને થનારા નુકસાનનો વિચાર કરવામાં આવ્યો ન હતો. મર્જર કરતી વખતે એફટીના શેરધારકોને નુકસાન ભરપાઈ કરવા વિશે વિચાર થવો જરૂરી હતો. કલમ 396નો ઉપયોગ થાય ત્યારે શેરધારકને અથવા ક્રેડિટરને શક્ય તેટલા સમાન ગણવા જોઈએ.

મર્જર થતાં પહેલાં 2,800 કરોડ રૂપિયાની પોઝિટિવ નેટવર્થ ધરાવતી કંપનીની નેટવર્થ મર્જરના પગલે શૂન્ય થઈ જાય અને એવા સમયે એ કંપની કોઈ પણ નુકસાન ભરપાઈ કરવાની સ્થિતિમાં રહે નહીં.

વળી, એનએસઈએલે ડિફોલ્ટરો વિરુદ્ધ ન્યાયિક પ્રક્રિયા દ્વારા મેળવેલી ડિક્રી અને આર્બિટ્રેશન ચુકાદાનું શું? મર્જરનો આદેશ એ ન્યાયિક પ્રક્રિયામાં દખલગીરી કરનારો છે. એ ઉપરાંત મુદ્દો એ પણ છે કે એનએસઈએલમાં ડિફોલ્ટ થયો હતો કે કેમ અને ડિફોલ્ટરોએ નાણાં ચૂકવવાનાં નીકળે છે કે કેમ તેને લગતી ન્યાયિક પ્રક્રિયા પણ ચાલી રહી છે. મર્જરના આદેશ દ્વારા એ પ્રક્રિયાનું મૂલ્ય પણ ઉતારી પડાયું છે.

વકીલોએ કરેલી દલીલો મુજબ કલમ 396નો ઉપયોગ કરતાં પહેલાં જે શરતો સંતોષવાની હોય એ સંતોષાઈ નથી. મર્જરનો આદેશ જરૂરી છે કે કેમ એના વિશે પણ સરકારે વિચાર કર્યો નથી, એવી દલીલને અદાલતે સ્વીકારી છે. તેણે એ પણ સ્વીકાર્યું છે કે એક એક્સચેન્જના સભ્યોની જવાબદારીઓને જનહિતનો પ્રશ્ન ગણી શકાય નહીં.

દેશની સર્વોપરી અદાલતે ખરા અર્થમાં સચોટ ચુકાદો આપ્યો છે, કારણ કે પોતાના સ્વાર્થ ખાતર ઉંચું વળતર મેળવવા આવેલા ટ્રેડરોના હિતને સાચવી લેવા માટે સરકારે એફટીઆઇએલના 63,000 શેરધારકોના હિતની ઉપેક્ષા કરી હતી. એ ટ્રેડરોનાં નાણાંનો સ્રોત પણ શંકાસ્પદ હોવાનું અહેવાલોમાં બહાર આવ્યું છે. એ બાબતે આવક વેરા ખાતું તપાસ કરી જ રહ્યું છે.

ફોરવર્ડ માર્કેટ્સ કમિશને ગ્રાન્ટ થોર્નટનના જે ઑડિટના અહેવાલના આધારે મર્જરની ભલામણ કરી હતી એ અહેવાલમાં પણ સ્પષ્ટ કહેવાયું હતું કે કોઈ પણ આખરી નિર્ણય માટે તેનો ઉપયોગ કરી શકાય નહીં. આટલું સ્પષ્ટ કહેવામાં આવ્યું હોવા છતાં સરકારે મર્જર જેવા માટે નિર્ણય માટે એ અહેવાલનો આધાર લીધો. આમ, તેણે વગર વિચાર્યે મર્જરનો આદેશ બહાર પાડ્યો હોવાની વકીલોની દલીલને અદાલતે માન્ય રાખી છે. સરકારનો આદેશ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરનારો હોવાનું પણ માન્ય રાખીને અદાલતે આદેશને રદ કરી દીધો છે.

દેશની ટોચની અદાલતે સ્વીકારેલી અનેક વાતો સામાન્ય જનતાની આંખ ઉઘાડનારી અને સરકારના પગલાનો દોષ ઉઘાડો પાડનારી છે, જેના વિશે આપણે આગામી કડીમાં વાત કરીશું….

————

ભારતીય નિયમનકારોનું વલણઃ જમવામાં જગલો અને કૂટવામાં ભગલો

આપણે એનએસઈએલ કેસની ચર્ચા કરતાં કરતાં ન્યાયપ્રક્રિયાની વિસંગતિ તરફ આગળ વધી ગયા છીએ. જમવામાં જગલો અને કૂટવામાં ભગલો જેવું વલણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. એનએસઈએલમાં પૅમેન્ટ કટોકટી બહાર આવી એનાં ચાર વર્ષની અંદર લોકોનાં નાણાં પાછાં અપાવવા માટે કંઈ થયું નથી, પરંતુ એનએસઈએલની પ્રમોટર  કંપનીને સંપૂર્ણપણે એક્સચેન્જ બિઝનેસમાંથી બહાર ખદેડી દેવાઈ, જ્યારે એનએસઈનું ઍલ્ગોરિધમ (કૉ-લૉકેશન) કૌભાંડ બહાર આવ્યાને ચાર વર્ષ થયાં હોવા છતાં તેમાં જાણે કંઈ બન્યું જ ન હોય એવું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે.

નોંધપાત્ર બાબત એ છે કે ઍલ્ગોરિધમ કૌભાંડમાં એનએસઈએલ કરતાં દસ ગણી વધુ રકમ સંકળાયેલી છે. ઉપરાંત, એનએસઈએલમાં જેમણે સોદાઓ કર્યા તેમનાં નાણાંના સ્રોત આજે પણ શંકાસ્પદ છે, જ્યારે ઍલ્ગોરિધમ કૌભાંડને કારણે શેરબજારના નાના રોકાણકારોની જિંદગીની મૂડીનો સવાલ છે. નવાઈની વાત એ છે કે એનએસઈએલની પ્રમોટર કંપની એફટીઆઇએલે જેની સ્થાપના કરી હતી એવા મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ)માં પણ પ્રમોટરે નીકળી જવું પડ્યું ત્યાર બદ ઍલ્ગોરિધમ કૌભાંડને લગતું કામકાજ થયું હોવાનું તાજેતરમાં બહાર આવ્યું છે.

એકાઉન્ટન્સી ફર્મ ટી. આર. ચઢ્ઢા ઍન્ડ કંપનીએ આ વર્ષે ફોરેન્સિક ઑડિટ કર્યું હતું. એનએસઈના કૌભાંડમાં જે મોટાં માથાં સંડોવાયેલાં હતાં એમનાં જ નામ એમસીએક્સના કેસમાં બહાર આવ્યાં છે. એમસીએક્સે પોતાનો ડેટા સંશોધનના નામે પૂરો પાડ્યો, પરંતુ તેની પાછળનું કારણ ઍલ્ગોરિધમિક ટ્રેડિંગનું જ હોવાનું મનાય છે. વળી, જે વ્હીસલ બ્લોઅરે એનએસઈના કેસમાં ભાંડો ફોડ્યો હતો તેણે જ એમસીએક્સની અંદર રંધાઈ રહેલી ખિચડીની જાણ કરી હતી.

એનએસઈના કેસમાં ભૂતપૂર્વ પી. ચિદમ્બરમના માનીતા અજય શાહનાં પત્ની સુસાન થોમસની ભૂમિકા વિશે તપાસ થઈ છે. આ જ સુસાન, જેઓ ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યુટ ઑફ ડેવલપમેન્ટલ રિસર્ચમાં સંશોધક છે, તેમના માટે એમસીએક્સે જૂન 2016માં ડેટા શેરિંગ શરૂ કર્યું. તેમની સૂચના અનુસાર નવી દિલ્હીસ્થિત ઍલ્ગો સોફ્ટવેર ડેવલપર ચિરાગ આનંદને ડેટા આપવામાં આવ્યો. આ સંશોધન કોમોડિટીઝ ટ્રેડિંગ ટૅક્સની અસરનો અભ્યાસ કરવા માટે છે એવું કહેવામાં આવ્યું હતું, પરંતુ ઑડિટના અહેવાલમાં કહેવાયું છે કે અભ્યાસનું તો ફક્ત નામ હતું, ખરો ઉદ્દેશ્ય તો ઍલ્ગો ટ્રેડિંગ સ્ટ્રેટેજીનું નિર્માણ કરવા માટે ડેટાનો ઉપયોગ કરવાનો હતો.

એમસીએક્સ અને ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યુટ ઑફ ડેવલપમેન્ટલ રિસર્ચે કરેલો કરાર પણ કાનૂની ચર્ચાવિચારણા વગર કરાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ કરાર સુસાન થોમસ માટે હતો અને તેમના જ કહેવાથી ચિરાગ આનંદને ડેટા આપવામાં આવ્યો હતો. આનંદ પણ અજય શાહની નૅશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ પબ્લિક ફાઇનાન્સીસ ઍન્ડ પોલિસી સાથે સંકળાયેલા હતા.

નોંધવા જેવી વાત એ છે કે એમસીએક્સે એનએસઈના એનસીડેક્સ સામે સ્પર્ધા ઊભી કરી ત્યારે ચિદમ્બરમના ખાસ મનાતા કે. પી. કૃષ્ણને એનસીડેક્સમાં એનએસઈનો હિસ્સો વધારવા માટે એલઆઇસી અને નાબાર્ડના હિસ્સાનું વેચાણ એનએસઈને કરવું એવી ભલામણ કરી હતી. પ્રમોટર એફટીઆઇએલે એમસીએક્સમાંથી હિસ્સો વેચી દેવો પડ્યો ત્યારે જાણે બધાને મોકળું મેદાન મળી ગયું હોય એમ તેમાં પણ ઍલ્ગોરિધમનું દૂષણ ઉમેરી દેવાનો પ્રયાસ થયો, જે ચઢ્ઢા ઍન્ડ કંપનીના ઑડિટના અહેવાલ પરથી જોઈ શકાય છે.

સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા સેબી હવે શેરબજારની સાથે સાથે કોમોડિટીઝ બજારનું પણ નિયમન કરે છે. એનએસઈનું ઍલ્ગો કૌભાંડ બહાર આવ્યા પછી પણ એમસીએક્સમાં એ જ પ્રકરણ દોહરાવવાનો પ્રયાસ થયો એ કેટલાંક વગદાર તત્ત્વોનું જોર દર્શાવે છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય.

સફેદપોશ ગુનેગારો તરીકે ઓળખાતા લોકો સંશોધન સંસ્થાના નામે પોતાના સ્વાર્થ સાધતા હોય એનું આ ઉદાહરણ કહી શકાય.

આ બધી બાબતોને અનુલક્ષીને પીગુરુસ ડોટ કોમ વેબસાઇટ પરના લેખમાં કહેવામાં આવ્યું છે કે આ બન્ને કેસમાં ફોજદારી તપાસ કરાવવાની જરૂર છે, કારણ કે તેમાં જાહેર નાણાંની ઉચાપતનો સવાલ સંકળાયેલો છે.

ઉક્ત સંપૂર્ણ લેખ નીચે આપેલી લિંક પરના લેખોના આધારે તૈયાર કરાયો છેઃ

https://www.pgurus.com/indias-algo-trading-scandal-a-tale-of-two-exchanges-and-one-somnolent-regulator-sebi/

https://www.thehindubusinessline.com/markets/commodities/forensic-auditors-indicate-igidr-used-data-shared-by-mcx-to-develop-an-algo-trading-strategy/article269354

https://www.thehindubusinessline.com/todays-paper/tp-markets/article26937939.ece

————————–

એક કેસમાં મર્જરનું મોટું પગલું અને બીજામાં ફક્ત કન્સેન્ટ મિકેનિઝમ!

તસવીર સૌજન્યઃ https://mnacritique.mergersindia.com

NSELના કેસમાં આપણે જોયું કે સરકારની ઈચ્છાને માન આપીને એક્સચેન્જ શરૂ કરવામાં આવ્યું, પરંતુ જ્યારે ડિફોલ્ટરો નાણાં ચૂકવવાની જવાબદારીમાંથી ફરી ગયા ત્યારે ઓળિયોઘોળિયો એક્સચેન્જની પ્રમોટર કંપની પર આવ્યો.

એનએસઈએલમાં પૅમેન્ટ કટોકટી બહાર આવી ત્યારે શરૂઆતમાં તો લાગ્યું કે લોકોનાં નાણાં પાછાં અપાવવા માટે કામ કરાશે, પરંતુ હકીકતમાં એક પછી એક તપાસ ઍજન્સી તેમાં તપાસ કરવા લાગી અને અત્યારે છ વર્ષ થવા આવ્યા હોવા છતાં કંઈ થયું નથી.

મનીલાઇફ સામયિકના ઓનલાઇનના અહેવાલમાં કહેવામાં આવ્યા મુજબ એનએસઈએલના શ્રીમંત ટ્રેડરોને છાવરવા માટે જ બધી તપાસ થઈ રહી છે કે કેમ એવો સવાલ ઊભો થાય છે.

આ સાથે જ ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે આ કેસ સંબંધે કરેલી વાત પણ નોંધનીય છે. તેમણે શરૂઆતમાં જ કહી દીધું હતું કે જેમણે પૈસા રોક્યા તેમને સારી રીતે ખબર હતી કે કેવી પ્રવૃત્તિમાં તેઓ નાણાં રોકી રહ્યા છે. નાણાં રોકનારાઓ કંઈ કીકલા ન હતા. એક્સચેન્જ કોઈ નિયમન હેઠળ નહીં હોવાનું તેમણે કહ્યું, પરંતુ એક્સચેન્જની પ્રમોટર કંપની – એફટીને ડિફોલ્ટરોએ જ્યારે સાપસીડીમાં સાપના મોં પાસે લાવી ત્યારે અચાનક જ નિયમનકાર તરીકે પ્રગટ થયેલા ફોરવર્ડ માર્કેટ્સ કમિશને એફટી પાસે તેનાં બીજાં બધાં એક્સચેન્જોમાંથી હિસ્સો વેચાવડાવી દીધો. તેના કહેવાથી જ કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે એફટીને કોઈ પણ એક્સચેન્જ ચલાવવા માટે અનફિટ જાહેર કરી.

સત્યમ કૌભાંડમાં જ્યારે પ્રમોટરોએ જ નાણાકીય ગેરરીતિ કરી ત્યારે તેને બચાવી લેવામાં આવી અને કંપનીને ટેક મહિન્દ્રાએ ટેક ઓવર કરી. આમ, કંપનીના શેરધારકોને કોઈ નુકસાન ન થયું. બીજી બાજુ, એફટીના શેરધારકોને નુકસાન થાય એવા ચુકાદામાં કંપનીની પાસે બધાં એક્સચેન્જો વેચાવડાવી દેવાયાં. પરિણામે, કંપનીના શેરનું મૂલ્ય સતત ઘટતું ગયું.

વળી, સત્યમમાં તો પ્રમોટરોએ ગોટાળા કર્યા હોવાનું સ્પષ્ટ હતું, જ્યારે એનએસઈએલના કેસમાં તો મુંબઈ વડી અદાલતે સ્પષ્ટપણે કહ્યું છે કે આ કેસનાં નાણાં પ્રમોટર કંપની કે સ્થાપકે લીધાં નથી. વળી, એફટીની સાથે એનએસઈએલનું મર્જર કરી લેવાનો આદેશ સરકારે બહાર પાડ્યો, પણ ડિફોલ્ટરોને ઉની આંચ પણ આવી નથી.

હાલમાં બ્રોકરોની ભૂમિકા વિશે પણ સ્પેશિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસે પોતાના અહેવાલમાં સ્પષ્ટપણે કહ્યું કે એ લોકોએ ક્લાયન્ટ્સને ગેરમાર્ગે દોર્યા તથા કાળાં નાણાંને ધોળાં કરવા માટે એનએસઈએલના માધ્યમનો ઉપયોગ કર્યો. એફટીને તો એકપણ એક્સચેન્જ ચલાવી શકાય નહીં એ રીતે અનફિટ ઍન્ડ અનપ્રોપર જાહેર કરવામાં આવી, જ્યારે બ્રોકરોને ફક્ત કોમોડિટી સેગમેન્ટ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

એફટીની બાબતે એક માપદંડ અને બીજાઓ માટે બીજો, એવું અત્યાર સુધીની અનેક ઘટનાઓમાં સ્પષ્ટ થયું છે. દા.ત. નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ના અલ્ગો ટ્રેડિંગ કૌભાંડમાં એક્સચેન્જની વિરુદ્ધ હજી કોઈ કાર્યવાહી થઈ નથી. ઉલટાનું, એવું વાતાવરણ સર્જવામાં આવ્યું છે કે એક્સચેન્જ કન્સેન્ટ મિકેનિઝમ દ્વારા દંડ ભરીને છટકી જાય.

રોકાણકારોની સાથે ખરી છેતરપિંડી તો અલ્ગો ટ્રેડિંગમાં થઈ કહેવાય, કારણ કે તેમાં કેટલાક ખાસ બ્રોકરોને અલ્ગો ટ્રેડિંગની સુવિધા આપીને બીજાઓ કરતાં આગળ રખાયા અને તેને લીધે તેઓ મનફાવે તેમ બજારમાં ગેરરીતિ આચરતા રહ્યા.

હાલમાં પ્રગટ થયેલા બે અહેવાલોમાં અલ્ગો વિશે ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેના વિશે વાત કરીશું આગળની કડીમાં…..

—————————–

રમત સાપસીડીનીઃ ‘માત્ર સાપ તમારો, સીડી નહીં’ એવી ચાલબાજી એનએસઈએલ કેસમાં થઈ છે

ધારો કે તમે કોઈની સાથે સાપસીડી રમી રહ્યા છો. તમે સાપના મોં પાસે આવો ત્યારે સામેવાળો કહે છે કે હવે સાપ તમને ખાઈ ગયો હોવાથી તમારે નીચે ઊતરી જવું પડશે. પછીથી જ્યારે તમે સીડીના ખાનામાં આવો છો ત્યારે તમને એમ કહે છે કે તમે એ સીડી નહીં ચડી શકો; સીડી તો ફક્ત ડેકોરેશન માટે રાખવામાં આવી છે.

સીડીના ખાનામાં આવ્યા બાદ તમને જ્યારે સામેવાળા તરફથી ઉપરની દલીલ સંભળાવવામાં આવે ત્યારે એ સાપસીડી રમત નહીં રહેતાં, ચાલબાજી, દગો બની જાય છે.

જો રમત રમતી વખતે પણ આવી ચાલબાજી આપણને વસમી લાગતી હોય તો વાસ્તવિક જીવનમાં બનેલી આવી ઘટના માટે શું કહેવું! નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (NSEL)ના દુનિયાથી વેગળા કેસમાં આવી જ ચાલબાજી કરવામાં આવી છે.

જે હારે એ ખેલાડીને એમ થતું હોય છે કે હવે આ રમત પતે તો સારું, પરંતુ રમતના નામે જે ચાલબાજી કરતું હોય તેને તો રમત કાયમ માટે ચાલ્યા કરે એવી જ ઈચ્છા હોય છે. NSELનું પ્રકરણ આવું જ છે.

કોઈ જ પ્રકારનો તર્ક ચાલે નહીં એવા આ પ્રકરણમાં ચાલબાજીની ચરમસીમા થઈ ગઈ છે. સરકાર પોતે જ ઈચ્છતી હતી કે દેશમાં કોમોડિટી ક્ષેત્રે સ્પોટ એક્સચેન્જ શરૂ થાય. આથી તેણે કેટલાક લોકોને સામેથી નિમંત્રણ આપ્યું કે તમે આવું કોઈ એક્સચેન્જ સ્થાપો. એ નિમંત્રણને માન આપીને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)ની સ્થાપક કંપની ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડે (FTIL – નવું નામ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ લિમિટેડ) NSELની સ્થાપના કરવાનું નક્કી કર્યું.

FTIL માટે કોમોડિટી સ્પોટ એક્સચેન્જ બે ગરજ સારનારું વેપાર સાહસ હતું. એક, નવસર્જન માટે જાણીતી કંપનીને કોમોડિટીના વેપાર ક્ષેત્રે એમસીએક્સ બાદ બીજું નવસર્જન કરવાની તક મળે અને બે, એમસીએક્સના વાયદા બજારને હાજર બજારનો સાથ મળે તો કોમોડિટી ક્ષેત્રને વધુ સારી રીતે વિકસાવી શકાય.

સરકારી તંત્રે એનએસઈએલની સ્થાપના કરવા દીધી અને તેને ફોરવર્ડ કામકાજ કરવાની પણ છૂટ આપી. તેને એક દિવસીય ફોરવર્ડ કોન્ટ્રેક્ટ ચલાવવાની પણ સુવિધા મળી. ગ્રાહકસંબંધી બાબતોના મંત્રાલયે તેને ફોરવર્ડ કોન્ટ્રેક્ટ્સ રેગ્યુલેશન ઍક્ટ હેઠળ આ સુવિધા આપી હતી. આમ, સરકારના નિમંત્રણને પગલે શરૂ થયેલા આ એક્સચેન્જના કામકાજને સરકારનું સમર્થન હતું. છતાં, જ્યારે કેટલાક લેભાગુ તત્ત્વો એક્સચેન્જમાં ગોટાળા કરી ગયા, એટલે કે એક્સચેન્જ સાપના મોં પાસે આવ્યું ત્યારે તત્કાલીન નાણાપ્રધાન પી. ચિદમ્બરમે એવું નિવેદન કર્યું કે એક્સચેન્જમાં પહેલા જ દિવસથી ગેરકાનૂની રીતે ટ્રેડિંગ થઈ રહ્યું હતું. તેથી એક્સચેન્જને સાપ ખાઈ ગયો.

એક્સચેન્જ પહેલા જ દિવસથી ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના નિયમન હેઠળ હતું. ફોરવર્ડ માર્કેટ્સ કમિશને તેને કેટલાક ખુલાસા પૂછ્યા અને એક્સચેન્જે તેના જવાબ પણ આપ્યા હતા. ખુલાસા સ્વીકારી લીધા હોય એમ કમિશન કંઈ બોલ્યું નહીં અને પછી અચાનક જ એક્સચેન્જને કહ્યું કે તેણે નવા સોદા શરૂ કરવાનું બંધ કરવું અને બધા ઊભા સોદાની પતાવટ કરી દેવી. આવું ઓચિંતું પગલું ભરાવાને લીધે એક્સચેન્જનું ચક્ર ઊભું રહી ગયું અને ગેરરીતિઓ કરી ચૂકેલા ટ્રેડરોએ ડિફોલ્ટ કરીને પૈસા આપવાનું માંડી વાળ્યું. ડિફોલ્ટના સ્વરૂપે ફરી સાપ આવ્યો ત્યારે ચાલબાજોએ કહ્યું, સાપ તમને ખાઈ ગયો. એ જ ડિફોલ્ટરોએ ફોરવર્ડ માર્કેટ્સ કમિશન સાથેની મીટિંગમાં પોતાની જવાબદારી સ્વીકારી અને પોતે નાણાં ચૂકવી દેશે એવી બાંયધરી આપી. ડિફોલ્ટરોએ ગુનાની કબૂલાત કરી હોવાથી એક્સચેન્જ સીડી ચડવાના ખાનામાં આવી ગયું. આમ છતાં, ચાલબાજોએ તેને એ સીડી ચડવા દેવાને બદલે એક્સચેન્જની પેરન્ટ કંપની એટલે કે એફટીઆઇએલને સાણસામાં લીધી અને તેની વિરુદ્ધ પગલાં ભરવાની શરૂઆત કરી.

સાપસીડીનો આ ખેલ કેવી રીતે આગળ વધ્યો એ જોઈશું હવે પછી…

—–

એનએસઈએલના ઇન્વેસ્ટરો/બ્રોકરો ખરેખર કોણ હતા અને એમણે શું કર્યું હતું?

આવક વેરા ખાતું હવે કરશે
‘દૂધ કા દૂધ, પાની કા પાની’

તસવીર સૌજન્યઃ ઈકોનોમિક ટાઇમ્સ

એનએસઈએલ કેસ વિશે આપણે ઘણી ચર્ચા કરી છે. જ્યાં હાડોહાડ અન્યાય દેખાતો હોય તેના વિશે, દેખીતી વાત છે કે, વધારે બોલી જવાય. જો કે, આપણે જે બોલીએ છીએ તેને પૂરતું સમર્થન બનનારી ઘટનાઓ પણ બનતી હોવાથી ફરી વાર એ વિષય છેડવો પડે છે.

હાલમાં જાણવા મળ્યું છે કે છ વર્ષ જૂની આ પૅમેન્ટ કટોકટીમાં 13,000 નિર્દોષ રોકાણકારોનાં 5,600 કરોડ રૂપિયા ફસાયાં હોવાનું ગાણું ગવાતું આવ્યું છે, પરંતુ વાસ્તવિકતા જુદી હોવાની શંકાને પગલે આવક વેરા ખાતાએ તેની ઊંડી તપાસ શરૂ કરી છે.

અગાઉ, સરકાર સ્થાપિત સ્પેશિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસે 12,735 ક્લાયન્ટ્સ પાસેથી તેમના કથિત નાણાકીય વ્યવહારો વિશે વિગતો મગાવી હતી, પરંતુ એમાંથી અત્યાર સુધી માત્ર 7,127 લોકોએ જવાબ આપ્યા છે. ક્યાં 13,000 અને ક્યાં 7,217! એમાંય પાછું 7,217માંથી 2,897 ક્લાયન્ટ્સે કરવેરાનાં પોતાનાં રિટર્ન્સ વિશે જવાબ આપ્યો નથી. એ ક્લાયન્ટ્સના દાવાની કુલ રકમ 823.7 કરોડ રૂપિયા છે, પરંતુ તેમણે રિટર્ન્સ આપ્યાં નથી.

આ કેસમાં 230 ક્લાયન્ટ્સના દાવા 27.68 કરોડ રૂપિયા હોવા છતાં તેમણે રિટર્ન્સ ફાઇલ કર્યાં નથી. ઉપરાંત, 14 બનાવટી કંપનીઓએ 15.87 કરોડ રૂપિયાના દાવા કર્યાનું પ્રકાશમાં આવ્યું છે. આ બધા આંકડાઓમાંથી બહાર આવીએ; એમાંથી એક જ તારતમ્ય નીકળે છે કે દાવા ભલે 13,000 ઇન્વેસ્ટરોના થતા રહ્યા હોય, ખરેખર તો દાવેદારોની સંખ્યા અને તેમના દાવાની સચ્ચાઈ વિશે શંકા ઊપજે એવી અનેક વિગતો છે.

આ જ શંકા સાચી ઠરતી હોય એમ એનએસઈએલના માધ્યમથી ટ્રેડિંગ કરી ચૂકેલા ટ્રેડરો-બ્રોકરોએ કરચોરી કરી હોવાની ફરિયાદને પગલે આવક વેરા ખાતાએ આ તપાસ શરૂ કરી છે. તપાસના અંતે ચોક્કસપણે ‘દૂધ કા દૂધ, પાની કા પાની’ થવાની શક્યતા હોવાનું જરૂરથી કહી શકાય.

નિર્દોષ-બિચારા કહેવાયેલા ટ્રેડરો ખરેખર કોણ હતા, તેમને રોકાણકારોનું નામ આપનારા બ્રોકરો ખરેખર કેવી રીતે તેમના નામે ટ્રેડિંગ કરતા હતા, તેમાં નાણાં લઈને અંતર્ધ્યાન થઈ ગયેલા ડિફોલ્ટરોએ કઈ ભૂમિકા ભજવી, વગેરે અનેક સવાલોના જવાબ આ તપાસને પગલે જાણવા મળી શકે છે. લોકોએ જે નાણાં રોક્યાં તેની સચ્ચાઈ અને સફાઈ વિશે પણ શંકા ઊપજી છે અને તેને લગતી સંખ્યાબંધ ફરિયાદો મળવાને કારણે જ આવક વેરા ખાતાએ તપાસ શરૂ કરી છે.

એનએસઈએલના માધ્યમથી વ્યવહારો કરનારાઓ ખરેખર રોકાણકાર હતા કે પછી ટ્રેડર હતા એ મુદ્દો આવક વેરા ખાતું ચકાસી રહ્યું છે. અખબારી અહેવાલો કહે છે કે આ કોમોડિટી સ્પોટ એક્સચેન્જમાં ખરેખર માલની ડિલિવરી અપાઈ હતી કે કેમ અને તેમાં થયેલી પ્રવૃત્તિઓ ટ્રેડિંગની હતી કે રોકાણની હતી એ બાબતે તપાસ કરવામાં આવી રહી છે.

એનએસઈએલના ઇન્વેસ્ટરો/બ્રોકરોમાંથી કેટલાકે પૅમેન્ટ કરવાનું બાકી હતી અને કેટલાકને પૅમેન્ટ મળવાનું બાકી હતું. પોતાને ઇન્વેસ્ટર કહેવડાવતા લોકોએ લાવેલાં નાણાંનો સ્રોત શંકાસ્પદ મનાય છે. એ બધી એન્ટિટીઝે એનએસઈએલ પર થયેલા વ્યવહારો બાબતે આવક વેરાનાં રિટર્નમાં નફો અને ખોટ દર્શાવ્યાં હતાં. એન્ટિટીઝે કરેલા રોકાણની રકમ મૂળ ક્યાંથી આવી હતી અને તેમણે કરેલો નફો કરવેરાનાં રિટર્નમાં દેખાડાયો હતો કે કેમ એ બાબતે ખાતું ઊંડું ઊતર્યું છે.

અહેવાલો મુજબ શંકાસ્પદ વ્યવહારોનો તાળો એનએસઈએલ પર થયેલા વ્યવહારોની નોંધ પરથી મેળવવામાં આવશે. જો કોઈ એન્ટિટીએ બીજાંનાં નાણાંનું રોકાણ કર્યું હોવાનું જણાઈ આવશે તો આવક વેરા ખાતું 1988ના બેનામી ટ્રાન્ઝેક્શન્સ ઍક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી શકે છે.

જાણકારોનું કહેવું છે કે કેટલાક બ્રોકરોએ, કથિત રોકાણકારોએ અને નોન બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓએ ગેરકાનૂની પ્રવૃત્તિઓ માટે એનએસઈએલના માધ્યમનો ઉપયોગ કર્યો હોવાના આક્ષેપ પાછળની હકીકત બહાર આવી જશે. નાણાંનો સ્રોત જાણવા મળશે ત્યારે બીજાના પૅન નંબરનો ઉપયોગ, ક્લાયન્ટ કોડ મોડિફિકેશન અને બેનામી વ્યવહારોની સચ્ચાઈ પણ પ્રગટ થશે. સાથે જ એ પણ બહાર આવશે કે વ્યવહારો કરનારા લોકો ખરેખર રોકાણકાર હતા કે કેમ. વળી, દેશના આર્થિક જગતમાં રોકાણકાર બનીને ફરનારાં કેટલાંક લેભાગુ અને ગુનાકીય તત્ત્વોની સચ્ચાઈ પણ પ્રગટ થતાં મોટું કૌભાંડ બહાર આવવાની પણ શક્યતા છે.

————————-

આ કેવું?

એનએસઈ અને એનએસઈએલ સાથેના વ્યવહારમાં આટલો તફાવત કેમ?

તસવીર સૌજન્યઃ medium.com

આજથી લગભગ છ વર્ષ પહેલાં નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (NSEL)માં 5,600 કરોડ રૂપિયાની પૅમેન્ટ કટોકટી સર્જાઈ હતી. તેને કૌભાંડ તરીકે ખપાવી દેવાઈ. એ પ્રકરણનો ઉકેલ લાવવાને બદલે તેને વધુ ને વધુ ગૂંચવી દેવાયું. એટલું જ નહીં, જેનો ઉપાય છ મહિનામાં સંભવ હતો તેને છ વર્ષ સુધી અદ્ધર રખાયું છે.

NSEL પ્રકરણમાં મુખ્ય જવાબદાર-દોષિત ડિફોલ્ટરોને પકડીને તેમની પાસેથી નાણાંની વસૂલી કરવાને બદલે એ એક્સચેન્જની સ્થાપના કરનાર પ્રમોટર કંપની અને તેના સ્થાપક સામે જ  સતત ઍક્શન લેવામાં આવી. હવે જ્યારે હકીકત બહાર આવતી જણાય છે ત્યારે પણ ગુનેગારોને છાવરવાની કોશિશ ચાલુ છે.

કોઈને થશે કે આ વાત અત્યારે શા માટે કરાઇ રહી છે? તેનો સીધો જવાબ એ છે કે 5,600 કરોડ કરતા દસગણું મોટું કૌભાંડ નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)ના કૉ-લૉકેશન પ્રકરણમાં થયું હોવા છતાં તેની સામે ઍક્શન લેવાનું સરકાર અને રેગ્યુલેટર સતત ટાળી રહ્યાં હોવાની  પ્રતીતિ થાય છે.

નૅશનલ સ્ટૉક એક્સચેન્જના કેસમાં નિયમનકારની ઍક્શન મૅનેજમેન્ટ સામેય નહીં, બ્રોકરો વિરુદ્ધ પણ નહીં અને સંડોવાયેલા અધિકારીઓ સામે પણ નહીં. આવું થઈ રહ્યું છે તેથી જ સવાલ થાય છે, આવું કેમ?

વાહ રે, નિયમનકારનો ન્યાય. આ જ બાબત બીએસઈ સાથે થઈ હોત તો તરત જ 24 કલાકમાં શું ને શું કરી નાંખ્યું હોત. હજી પણ એનએસઈને આ વિષયમાં માફી આપી માત્ર દંડ લઈ છોડી મૂકવાની વેતરણ ચાલી રહી છે, કારણ કે તેમાં મોટાં માથાં છે, વગદાર લોકો અને લૉબી છે. સરકારના ચોક્કસ પ્રધાનના તેમના પર ચાર હાથ છે. તેનાથી વિપરીત, નૅશનલ સ્પોટ એક્સચેન્જના કિસ્સામાં એ જ ચોક્કસ પ્રધાન વિરોધી રહ્યા છે અને એનએસઈની સામે કોઈ સ્પર્ધા ઊભી ન થાય એ માટે પહેલેથી જ પ્રયત્નશીલ રહ્યા છે. એ પ્રધાન કોણ છે એના વિશે અગાઉ લખાઈ ગયું છે અને જગજાહેર છે તેથી તેમનું નામ લખવાની જરૂર નથી (હા, વાંચકો ચોક્કસપણે કમેન્ટ દ્વારા એ નામ લખી શકે છે).

અત્યાર સુધી દેશના હિતના ભોગે એનએસઈની અઢળક ફેવર કરાઈ છે. ફેવર તો એક વખત ચલાવી લેવાય, પરંતુ તેને કારણે અન્ય સમકક્ષ સંસ્થાઓને અઢળક અન્યાય કરાયો છે.

વિચારક્રાંતિ અન્યાય સામે અવાજ ઊઠાવે છે તેથી આ વાતને અહીં મૂકવી જરૂરી છે. આ અન્યાય માત્ર એક ઉદ્યોગસમૂહ સાથે થયો છે એવું નથી, રાષ્ટ્ર સાથે પણ થયો છે. કઈ રીતે તેની વાત હવે કરીશું. ચોક્કસ મિનિસ્ટર અને અધિકારીઓએ મળીને મેક ઈન ઈન્ડિયાની સક્સેસફુલ સ્ટોરીને કઈ રીતે ખતમ કરી તેની દાસ્તાન વારંવાર યાદ આવ્યે રાખે છે, કારણ કે……વાત કરીશું આગળની કડીમાં…

————————

ખરેખર, મતદાન માટે દૃઢ મનોબળની જરૂર પડે છે!

આ વખતે મુંબઈના મતદારોના મનોબળની આકરી કસોટી થવાની છે. 29મી એપ્રિલે મતદાનનો દિવસ હોવાથી રજા હશે. 28મીએ રવિવારની રજા હશે અને પહેલી મેએ મહારાષ્ટ્ર દિવસની રજા હશે. શનિવારે જેને ઑફિસ ચાલુ હશે એ એક દિવસની કેઝ્યુઅલ લીવ લઈ લેશે તો તેને શનિવારથી લઈને બુધવાર સુધીની રજા મળી જશે અને સરસ મજાનું વૅકેશન માણી શકાશે. ખરેખર, લોભામણી તક છે. તેથી જ કહેવું પડે કે મતદાન કરવા માટે દૃઢ મનોબળની જરૂર પડે છે અને આ વખતે ખરી કસોટી છે.

હૃદય પર પથ્થર મૂકી દેજો, પણ મતદાન કર્યા વગર રહેતા નહીં. આવું બે-ચાર દિવસનું વૅકેશન માણવાની બીજી અનેક તક મળશે, પરંતુ પાંચ વર્ષ સુધી લોકસભાની ચૂંટણી નહીં થાય અને તમારી મરજી મુજબનો ઉમેદવાર તમારા પ્રતિનિધિ તરીકે મોકલવાની બીજી તક પાંચ વર્ષ સુધી નહીં મળે.

બડાઈની વાત નથી, પણ આપણી લોકશાહી દુનિયામાં વખણાય છે. ભારતને લોકો માનથી જુએ છે અને એ માન આપણું પોતાનું પણ છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં આવેલા આંકડા અનુસાર ગુરુવારે પ્રથમ ચરણમાં થયેલા મતદાનમાં મણિપુરમાં 78 ટકા કરતાં વધારે મતદાન થયું છે. આ દેશના ઘણા લોકો જેમના ચહેરાને જોઈને તેમને વિદેશી માણસો માની બેસે છે એવા મણિપુરના લોકોએ દેશ આખાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરાં પાડ્યાં છે. મૂછે હો તો નથ્થુલાલ જૈસીની જેમ કહી શકાય, મતદાન હો તો મણિપુર જૈસા.

ચાલો, આપણે પણ કહેવત પ્રમાણે મૂછોને વળ ચડાવીને કહીએ કે આપણે આ લોકશાહીના જતન માટે મોટા પ્રમાણમાં મતદાન કરીશું.

પાંચ દિવસની રજાના લોભમાં દેશનાં અમૂલ્ય પાંચ વર્ષ બગડે નહીં એ વાતની કાળજી લેવાની આપણે બધાએ જરૂર છે, એવું કહીએ તો જરાપણ અતિશયોક્તિ નહીં કહેવાય.

જો કોઈને એમ લાગતું હોય કે મારા એકલાના મતદાનથી કોઈ ફરક પડવાનો નથી, તો તેમણે કદાચ સાંભળ્યું હશે કે બધા જ આવું વિચારશે તો કોઈ જ મતદાન કેન્દ્રમાં નહીં દેખાય. બીજા કરે કે ન કરે, મારે તો મતદાન કરવાનું જ છે એવા દૃઢ નિશ્ચય સાથે મતદાન કરવા જજો અને આજુબાજુવાળાને પણ સાથે લઈને જજો. જો મતદાન નહીં કરો અને કોઈ નકામો ઉમેદવાર ચૂંટાઈને આવશે તો પછી પાંચ વર્ષ સુધી ભોગવવું પડશે. એ વખતે પછી કોઈને ગાળો ભાંડવાનો કોઈ અર્થ નથી. આ વખતે તો ચૂંટણી પંચે સાર્વત્રિક ચૂંટણીને દેશનો તહેવાર ગણાવ્યો છે. આ તહેવાર માટે એટલું ચોક્કસ કહી શકાયઃ અસલી મજા સબ કે સાથ આતા હૈ.

પ્રથમ ચરણ કરતાં વધારે મતદાન કરીશું એવી ચડસાચડસી પછીના તબક્કાઓમાં થાય એવી સદિચ્છા સાથે આપણે આ વિચારક્રાંતિની જ્યોતને આગળ લઈ જઈએ.

——–