એમસીએક્સના ડેટા શૅરિંગ પ્રકરણમાં બહાર આવેલી આંચકાદાયક બાબતો

તસવીર સૌજન્યઃ https://www.aiip.org

એનએસઈના કૉ-લૉકેશન કેસમાં આપણી ધારણા સાચી પડી છે. (જુઓઃ https://vicharkranti2019.wordpress.com/2019/05/17/હવે-એનએસઈ-પણ-સૅટમાં-સેબીન/).

સિક્યૉરિટીઝ ઍપેલેટ ટ્રિબ્યુનલે (સેટ) એનએસઈને સેબીના આદેશમાં રાહત આપી છે. તેણે કૉ-લોકેશન કેસમાં આશરે 1,100 કરોડ રૂપિયાની રકમ ભરપાઈ કરવા માટેના સેબીના 30મી એપ્રિલના આદેશની સામે સ્ટે આપ્યો છે. અત્યારે ફક્ત 625 કરોડ રૂપિયા સેબીમાં જમા કરવાના રહેશે, જેના વિશે આખરી ચુકાદામાં નિર્ણય લેવામાં આવશે.

એકંદરે, કૉ-લૉકેશન કેસમાં સેબીએ જેની સામે કાર્યવાહી કરી હતી એ તમામ લોકોને સેટ તરફથી રાહત મળી ગઈ છે. અધૂરામાં પૂરું, એમસીએક્સમાં થયેલા આવા જ પ્રકારના કથિત કૌભાંડ સંબંધે હજી સુધી કોઈ કાર્યવાહીનાં એંધાણ નથી. અત્યાર સુધી આપણે એમસીએક્સના આ કેસમાં બહાર આવેલી માહિતીની ચર્ચા કરી ગયા છીએ. હવે તેમાં કેટલીક નવી બાબતો ઉમેરાઈ છે અને નવા પ્રશ્નો ઊભા થયા છે.

સેબી અને એમસીએક્સ (મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ)ના કહેવાથી જ ટી. આર. ચઢ્ઢા ઍન્ડ કંપનીએ ઑડિટ કર્યું હતું અને તેમાં તેમણે ડેટા શૅરિંગ બાબતે શંકા જાગે એવા મુદ્દાઓ રજૂ કર્યા છે.

1) ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યુટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચ (આઇજીઆઇડીઆર) એમસીએક્સના ડેટાના ઉપયોગ બાબતે ત્રણ ડિલિવરેબલ્સ આપવાની હતી, અર્થાત્ ડેટાનો ઉપયોગ કેવી રીતે થયો તેની જાણ કરવાની હતી, પરંતુ એમ કરવામાં આવ્યું નહીં. એ ઇન્સ્ટિટ્યુટ વતી સુસાન થોમસે સહી કરી હતી.

2) એમસીએક્સ પાસેથી જૂનો ડેટા મળ્યો હોત તો પણ ચાલે એવા પ્રકારનું સંશોધન હતું, પરંતુ એમસીએક્સે રોજિંદા ધોરણે તાજો ડેટા આપ્યો.

ઇન્સ્ટિટ્યુટ કોમોડિટી બજાર પર કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટૅક્સની અસરનો અભ્યાસ કરવાની હતી અને તેના માટે જૂનો ડેટા પણ પૂરતો હતો. વળી, અનેક બાબતોમાં એમસીએક્સે ડેટા આપવાની જરૂર ન હતી. એમસીએક્સ ધારાધોરણો મુજબ જે ડેટા જાહેર કરે છે તેનો સીધેસીધો ઉપયોગ કરી શકાયો હોત. ઈકોનોમિક ટાઇમ્સ અને હિન્દુ બિઝનેસ લાઇન અખબારોમાં પ્રગટ થયેલા અહેવાલો મુજબ એમસીએક્સે ટિક બાય ટિક અને રિયલ ટાઇમ ડેટા આપ્યો હતો.

એમસીએક્સ, એનએસઈ, ડેટા શેરિંગ, અજય શાહ, સુસાન થોમસ એ બધાના છેડા વિશે આપણે અગાઉ વાત કરી. તેમાં ઉમેરવાની એક કડી આ રહીઃ એમસીએક્સમાંથી ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસને પરાણે સ્ટેક વેચાવડાવી દીધા બાદ તેમાં મૃગાંક પરાંજપે મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર બન્યા. તેઓ અજય શાહ અને સુસાન થોમસને આઇઆઇટી પવઈમાં વિદ્યાર્થી અવસ્થાથી ઓળખતા હતા. પરાંજપેની નિમણૂક 9 મે, 2016ના રોજ થઈ. તેના એક મહિના બાદ 9મી જૂનના રોજ સુસાને પરાંજપેને ઈ-મેઇલ લખીને ઇન્સ્ટિટ્યુટ સાથે કરાર કરવાનું કહ્યું. એ ઈ-મેઇલ સુસાનના અંગત ઈ-મેઇલ અકાઉંટમાંથી પરાંજપેના અંગત ઈ-મેઇલ પર મોકલાયો હતો. ત્યાર બાદ 29મી ઑગસ્ટે એક અને પહેલી સપ્ટેમ્બરે બીજો, એમ બે અલગ અલગ કરાર એમસીએક્સ અને ઇન્સ્ટિટ્યુટ વચ્ચે થયા.

દરમિયાન, એનએસઈના ડેટાનો ઇન્સ્ટિટ્યુટે દુરુપયોગ કર્યો હોવાને લગતા અનેક અહેવાલો પ્રસાર માધ્યમોમાં આવ્યા હોવા છતાં એમસીએક્સે ઇન્સ્ટિટ્યુટ સાથે કરાર કર્યો.

સામે આવેલી બીજી નોંધનીય બાબત છે કે એમસીએક્સ જેને ડેટા પૂરો પાડતું હતું એ ચિરાગ આનંદ ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યુટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચના કર્મચારી ન હતા. અજય શાહ જેની સાથે સંબંધ ધરાવતા આવ્યા છે એ નૅશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ પબ્લિક ફાઇનાન્સ ઍન્ડ પોલિસીમાં ચિરાગ આનંદ કાર્યરત હતા. ચઢ્ઢા ઍન્ડ કંપનીના ઑડિટના અહેવાલ મુજબ ડૉ. સુસાન થોમસ અને તેની ટીમ વચ્ચેનો પત્રાચાર અંગત ઈ-મેઇલ પર જ થતો હતો. એ ટીમના સભ્યો ઇન્સ્ટિટ્યુટના કર્મચારીઓ ન હતા.

આ અહેવાલમાં અનેક ગંભીર બાબતો બહાર આવી હોવા છતાં હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ઉલટાનું, જેમાં કાર્યવાહી થતી હોવાનું દેખાયું એ એનએસઈ કૉ-લૉકેશન કેસમાં પણ શકમંદોને સૅટ તરફથી રાહત મળી ગઈ છે.

એમસીએક્સનું ડેટા શૅરિંગ પ્રકરણ વગદાર માણસો શું નું શું કરી શકે એનાં ઉદાહરણોમાંનું એક ઉદાહરણ બની શકે છે.

સંદર્ભઃ https://www.pgurus.com/illegal-sharing-of-confidential-trade-data-by-mcx-to-susan-thomas-wife-of-ajay-shah/

https://www.thehindubusinessline.com/todays-paper/article26937926.ece

————————–

એનએસઈ, કે. પી. કૃષ્ણન, પી. ચિદમ્બરમ, આઇએનએક્સ મીડિયા કૌભાંડ, એનએસઈ કૉ-લૉકેશન કૌભાંડ અને એમસીએક્સ કૉ-લૉકેશન કૌભાંડ એ બધાના છેડા કેવી રીતે અડી રહ્યા છે?

તાજેતરમાં એનએસઈના કૉ-લૉકેશન કેસ બાબતે સેબીએ અપનાવેલા ઢીલા વલણને જોઈને સહેજે કહી શકાય કે આ એક્સચેન્જ એકચક્રી શાસન ભોગવી રહ્યું છે. એક સમયે તેના કોમોડિટી વાયદા બજાર એનસીડેક્સ સામે એમસીએક્સને કારણે તીવ્ર સ્પર્ધા ઊભી થઈ ત્યારે પી. ચિદમ્બરમના ખાસ ગણાતા અમલદાર કે. પી. કૃષ્ણને ચિદમ્બરમ માટે એક ગોપનીય નોંધ તૈયાર કરી હતી. 2007ના ડિસેમ્બર મહિનાની 19મી તારીખે એ નોંધ લખાઈ હતી, જે 2011માં પ્રકાશમાં આવી હતી. ‘ધ ટાર્ગેટ’ પુસ્તકમાં જણાવાયા મુજબ કૃષ્ણને ઉક્ત નોંધમાં કહ્યું હતું: ”એનસીડેક્સની કામગીરી છેલ્લા થોડા મહિનાઓમાં ઘણી ઘટી ગઈ છે અને પરિસ્થિતિ હજી બગડશે એવા સંકેતો છે. એનસીડેક્સને ફરીથી બેઠું કરવા માટે એનએસઈને તેમાં સૌથી મોટું શેરધારક બનાવવું જરૂરી છે. આથી એલઆઇસી અને નાબાર્ડ પોતાના હિસ્સામાંથી પાંચ-છ ટકા હિસ્સો એનએસઈને વેચી દે તો એ કામ સરળ બની શકે છે…..મેં સચિવ સાથે વાત કરી લીધી છે અને એનસીડેક્સ/એનએસઈ પણ આવશ્યકતા મુજબ પોતપોતાના નિયમનકાર પાસેથી જરૂરી મંજૂરી મેળવી લેશે.”

ચિદમ્બરમે એ સત્તાવાર નોંધ પર હસ્તાક્ષર કર્યા હતા. કૃષ્ણન નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગમાં મૂડી બજારનો અખત્યાર સંભાળતા હતા, છતાં તેમણે કોમોડિટી એક્સચેન્જ માટે નોંધ બનાવી એ આશ્ચર્યની વાત છે. આથી જ એ સમયે એફટીઆઇએલની પેટા કંપની તરીકે કાર્યરત એમસીએક્સે એ નોંધ વિશે કેન્દ્રીય દક્ષતા આયુક્તને ફરિયાદ કરી. દક્ષતા સમિતિએ એ બાબતે તપાસ કરીને કૃષ્ણનને એક વર્ષ માટે કર્ણાટકમાં મૂળ કેડરમાં ટ્રાન્સફર કર્યા. ‘ધ ટાર્ગેટ’માં શાંતનુ ગુહા રે કહે છે કે આ પગલાને કારણે કૃષ્ણને એફટીઆઇએલ સામે દાઝ કાઢી હોવાથી શક્યતા છે. આથી જ એનએસઈએલ સંબંધે એફટીઆઇએલ સામે જે ષડ્યંત્ર રચાયું તેમાં કૃષ્ણનનો હાથ હોવાની શંકા જાય છે. કાળક્રમે એ ષડ્યંત્રને પગલે એફટીઆઇએલ પાસે એમસીએક્સમાં પરાણે હિસ્સો વેચાવી દેવાયો અને હવે એનએસઈએ સીધેસીધું એમસીએક્સ સાથે મર્જર કરીને એક કાંકરે બે પક્ષી મારવાનો વિચાર કર્યો છે. જો કે, સેબીએ કૉ-લૉકેશનના પ્રકરણને અનુલક્ષીને એ મર્જર માટે પરવાનગી આપી નથી. એમસીએક્સ અત્યારે લિસ્ટેડ એક્સચેન્જ છે. તેની સાથે મર્જર કરી લેવાય તો એનએસઈને આઇપીઓ લાવવાની જરૂર પણ ન રહે. વળી, એ સ્ટૉક માર્કેટ ઉપરાંત કોમોડિટી માર્કેટમાં પણ પોતાનો પગદંડો જમાવી શકે.

અહીં ફરી એક વાર યાદ કરાવવું રહ્યું કે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની ઈજારાશાહી ન રહે એ માટે સ્પર્ધા ઊભી કરવા એનએસઈની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ એનએસઈએ ઈજારાશાહી વિકસાવવા સિવાય બીજું કોઈ કામ કર્યું નથી એવું જણાય છે. દેશમાં ઈક્વિટી કલ્ટ રચવાનું તો બાજુએ રહ્યું, તેણે શેરબજારને સંપૂર્ણપણે જાણે સટ્ટાબજાર બનાવી દીધું છે. એમાં એણે કૉ-લૉકેશનની ટેક્નૉલૉજીનો ઉપયોગ કર્યો.

આમ, એનએસઈ, કે. પી. કૃષ્ણન, પી. ચિદમ્બરમ, આઇએનએક્સ મીડિયા કૌભાંડ, એનએસઈ કૉ-લૉકેશન કૌભાંડ અને એમસીએક્સ કૉ-લૉકેશન કૌભાંડ એ બધાના છેડા અડી રહ્યા હોવાનું આપણે જોઈ શકીએ છીએ.

ધ ટાર્ગેટમાં લેખકે કહ્યું છે કે એફટીઆઇએલના સ્થાપક જિજ્ઞેશ શાહ સ્ટૉક માર્કેટમાં ઊતરે તો એનએસઈનું એકહથ્થુ શાસન તૂટી જાય એવું મનાવા લાગ્યું હતું. આથી જ તેમની સામે એનએસઈએલના કેસમાં કાવતરું ઘડાયું હોવાનું કહેવામાં આવ્યું છે.

સમગ્ર બજારમાં ખુલ્લેઆમ બોલાય છે કે એનએસઈમાં કૉ-લૉકેશનનું આવડું મોટું કૌભાંડ થવા છતાં તેની સામે કોઈ આકરું પગલું લેવાયું નહીં એ બાબત પરથી કહી શકાય કે પી. ચિદમ્બરમ આજે પણ નાણાં ખાતામાં તથા અમલદાર વર્ગમાં વગ ધરાવે છે.

———————

હવે એનએસઈ પણ સૅટમાં સેબીના આદેશને પડકારશેઃ શું લાખો ઇન્વેસ્ટરો સાથે કરોડોની રમત કરનારા બધા આરોપીઓ બચી જશે?

લાખો લોકોને એમ લાગતું રહ્યું કે ક્રિકેટ મૅચ લાઇવ રમાઈ રહી છે, પરંતુ મૅચ તો પહેલાં જ રમાઈ ચૂકી હતી. આવું ક્રિકેટજગતની મૅચના પ્રસારણમાં નહીં, પણ સ્ટૉક માર્કેટમાં ચાલી રહેલી ઇન્વેસ્ટરો સાથેની રમતમાં બન્યું છે.

લાખો ઇન્વેસ્ટરો લાઇવ ભાવ જોઈને ટ્રેડિંગ કરી રહ્યા હોવાનું માની રહ્યા હતા, પરંતુ હકીકતમાં કેટલાક બ્રોકરોને બીજાઓની પહેલાં ભાવ જોવા મળી જતા હતા અને તેઓ ટ્રેડિંગ કરીને તેનો (ગેર)લાભ લઈ લેતા હતા.

હા, તમે બરોબર સમજી ગયા છો. આ વાત છે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ના કૉ-લૉકેશન કૌભાંડની. અત્યારે નાણાકીય જગતમાં જેની ચર્ચા ચાલી રહી છે એવા અગત્યના પ્રશ્નોમાં કૉ-લૉકેશન કૌભાંડનો પણ સમાવેશ થાય છે. તેનું કારણ એ છે કે કૉ-લૉકેશન કૌભાંડ આશરે 50,000થી 60,000 કરોડ રૂપિયાનું હતું. આ બજારમાં સેકંડના અડધા ભાગનો તફાવત પણ ઘણો મોટો ગણાય છે. આથી તેમાં ગણતરીના બ્રોકરોએ લીધેલા ગેરલાભનું પ્રમાણ પણ ઘણું ઉંચું રહ્યું છે.

એનએસઈની બૉર્ડ ઑફ ડિરેક્ટર્સની મીટિંગમાં નક્કી થયા મુજબ સેબીએ એક્સચેન્જની વિરુદ્ધ આપેલા આદેશને પડકારવામાં આવશે. સેબીએ કૉ-લૉકેશન કૌભાંડ સંબંધે આપેલા આ આદેશ મુજબ એનએસઈએ 624.89 કરોડ રૂપિયાનો દંડ અને તેના પર 12 ટકા લેખે વ્યાજ એ બધું મળીને આશરે કુલ 1,000 કરોડ રૂપિયાનો દંડ ભરવાનો છે. તેણે એક્સચેન્જને આઇપીઓ લાવવા માટે છ મહિનાની મનાઈ પણ ફરમાવી છે.

સેબીએ એક્સચેન્જમાં કૉ-લૉકેશનના નામે કેટલાક બ્રોકરોને વિશિષ્ટ સુવિધા આપી એ બદલ દંડ કર્યો છે. ઉપરાંત, એક્સચેન્જના ગોપનીય ડેટાનો અનુચિત ઉપયોગ થવાને કારણે ઉઠેલા કૉર્પોરેટ ગવર્નન્સના પ્રશ્ને પણ એક્સચેન્જને દંડ કર્યો છે. એનએસઈના બૉર્ડે લીધેલા નિર્ણય મુજબ સેબીના આદેશને સૅટ (સિક્યૉરિટી ઍપેલેટ ટ્રિબ્યુનલ)માં પડકારવામાં આવશે, કારણ કે તેની પાસે પડકાર ફેંકવા માટે સબળ દલીલો છે.

અત્યાર સુધી આ કેસમાં અન્યો સામે અપાયેલા ચુકાદામાં પણ સૅટે ઢીલું વલણ અપનાવ્યું હોવાથી એક્સચેન્જ પણ તેનો લાભ ખાટી જાય એવી શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

સેબીએ પોતાના આદેશમાં કહ્યું છે કે એક્સચેન્જના ટિક બાય ટિક ડેટા ફીડ માટે સબસ્ક્રિપ્શન કરનારા બ્રોકરોને સમાન સ્તરે કાર્ય કરવા દેવાની ફરજ બજાવવામાં એક્સચેન્જ નિષ્ફળ ગયું છે. તેની ક્ષતિને લીધે કેટલાક બ્રોકરોને બીજાઓ કરતાં પહેલાં ભાવસંબંધી માહિતી મળી ગઈ હતી. ડાર્ક ફાઇબર નામની સુવિધા સંબંધે સેબીએ કહ્યું છે કે એક્સચેન્જ તથા તેના કેટલાક અધિકારીઓએ અમુક બ્રોકરોને બીજાઓ કરતાં વધારે સુવિધા આપી.

કૉર્પોરેટ ગવર્નન્સના કેસમાં સેબીએ કહ્યું છે કે એનએસઈ તથા તેના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર-ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રવિ નારાયણ અને ચિત્રા રામકૃષ્ણ બેદરકારી બદલ દોષિત છે. તેમણે ગોપનીય ડેટા ઇન્ફોટેક ફાઇનાન્શિયલ સર્વિસીસને આપતી વખતે હિતોના ટકરાવ તરફ ધ્યાન આપ્યું નહીં. આથી એ મામલે પણ તેઓ દોષિત છે.

નોંધનીય છે કે રવિ નારાયણને સૅટે મંગળવારે 14મી મેએ સ્ટેના સ્વરૂપે વચગાળાની રાહત આપી હતી. ચિત્રા રામકૃષ્ણને પણ આવી રાહત મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

તેની પહેલાં છઠ્ઠી મેએ સૅટે રવિ વારાણસી, નગેન્દ્રકુમાર તથા દેવીપ્રસાદ સિંહ નામના ત્રણ અધિકારીઓની સામેની કાર્યવાહીમાં પણ સ્ટે આપ્યો હતો. આ ત્રણે અધિકારીઓએ વેટુવેલ્થ બ્રોકર્સ અને જીકેએન સિક્યૉરિટીઝ નામના સ્ટૉક બ્રોકર્સની સાથે મળીને તેમને બીજાઓની તુલનાએ અનુચિત લાભ આપ્યો હોવાનો આરોપ સેબીએ 30મી એપ્રિલના તેના આદેશમાં મૂક્યો હતો. તેમને બે વર્ષ સુધી કોઈ પણ સ્ટૉક એક્સચેન્જમાં કોઇ પણ હોદ્દો લેવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. સૅટે તેમની સામેના આદેશ બાબતે પણ સ્ટે આપ્યો હતો.

એનએસઈ ખાનગી એક્સચેન્જ છે, પરંતુ તેની સામાન્ય છાપ સરકારી એક્સચેન્જ તરીકે જ પાડવામાં આવી છે. સેબીએ અને સૅટે જે રીતે તેની સાથે વ્યવહાર કર્યો છે એ પણ જાણે સરકારી એક્સચેન્જ ગણીને જ કર્યો હોય એવી છાપ પડે છે.

એનએસઈની જેમ એમસીએક્સમાં પણ ડેટા શૅરિંગનું કૌભાંડ થયું હોવાનું બોલાઈ રહ્યું છે, પરંતુ એનએસઈના કેસની જેમ જ સેબી અને સૅટમાં લોકોની લાગણીઓ સાથે રમત થઈ શકે છે એવી વાતો પણ થઈ રહી છે.

એમસીએક્સના ડેટા શૅરિંગ કૌભાંડ વિશે આગામી કડીમાં વાત કરીશું.

—————-

—————-

પી. ચિદમ્બરમને આગોતરા જામીનની સિલ્વર જ્યુબિલીઃ શું આ જ કારણસર આપણે ‘મેરા ભારત મહાન’ કહીએ છીએ?

ઍરસેલ-મેક્સિસ કેસમાં ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિને ધરપકડ સામે સતત મળી રહેલા કાનૂની રક્ષણનું આશ્ચર્ય

તસવીર સૌજન્યઃ https://www.newslaundry.com

પી. ચિદમ્બરમ શેરબજાર અને શેરબજારનાં કૌભાંડોમાં સંડોવાયેલા હોવા વિશે અનેક જગ્યાએ શંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં આપણે આ બ્લોગમાં જ જોયું કે આ ભૂતપૂર્વ નાણાપ્રધાનને જાહેર પડકાર ફેંકવામાં આવ્યો હોવા છતાં તેમના પેટનું પાણીય હલતું નથી. એ કેમ હલતું નથી તેનું એક કારણ ન્યાયતંત્ર પાસેથી તેમને વારંવાર મળી રહેલી સુવિધા છે. આથી જ કહેવું રહ્યું કે આટલી સુવિધા તો પતિ-પત્ની પણ એકબીજાને નથી આપતાં.

લગ્નની સિલ્વર જ્યુબિલી ઉજવાય એમ પી. ચિદમ્બરમને ધરપકડ સામે મળેલા રક્ષણની સિલ્વર જ્યુબિલી હાલ ઉજવાઈ છે. તેમને ઍરસેલ-મેક્સિસ કેસમાં સતત પચ્ચીસમી વખત આગોતરા જામીન મળી ગયા છે.

ચિદમ્બરમ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આરોપ મૂક્યો છે કે તેમણે કેન્દ્રીય નાણાપ્રધાનપદનો દુરુપયોગ કરીને વિદેશી રોકાણકારો સાથે મળીને કાવતરું રચ્યું અને પોતાના દીકરા કાર્તિની કંપનીને મદદ કરી. તેઓ 2006માં નાણાપ્રધાન હતા ત્યારે તેમણે મોરિશિયસસ્થિત કંપની ગ્લોબલ કોમ્યુનિકેશન હોલ્ડિંગ સર્વિસીસ લિમિટેડને ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડર કંપની ઍરસેલમાં રોકાણ કરવા માટે મંજૂરી આપી. તેમને માત્ર 600 કરોડ રૂપિયાનું રોકાણ મંજૂર કરવાની સત્તા હતી, પરંતુ તેમણે 3,500 કરોડ રૂપિયાના રોકાણ માટે મંજૂરી આપી. આ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને ચલાવેલી સમાંતર તપાસમાં કહેવામાં આવ્યું છે કે ઍરસેલ-મેક્સિસ કેસમાં કાર્તિને કટકી મળી હોવાથી ચિદમ્બરમે સત્તાનો દુરુપયોગ કર્યો. આ કેસમાં કાર્તિની સાથે સંકળાયેલી કંપનીને 26 લાખ રૂપિયા મળ્યા હતા. બીજા આશરે 90 લાખ રૂપિયા કાર્તિ અને તેના કઝીન એ. પલાનીપ્પને પ્રમોટ કરેલી ચેસ મૅનેજમેન્ટ કંપનીને મળ્યા હતા.

અદાલતે અકળ કારણોસર પી. ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમને સતત ધરપકડ સામે રક્ષણ આપ્યું છે. અત્યાર સુધીમાં ચિદમ્બરમને 2018ની 9 માર્ચ, 20 માર્ચ, 16 એપ્રિલ, 1 મે, 29 મે, 4 જૂન, 9 જુલાઈ, 6 ઑગસ્ટ, 9 સપ્ટેમબર, 24 સપ્ટેમ્બર, 7 ઑક્ટોબર, 1 નવેમ્બર, 17 ડિસેમ્બર તથા આ વર્ષની 11 જાન્યુઆરી, 28 જાન્યુઆરી, 18 ફેબ્રુઆરી, 8 માર્ચ, 25 માર્ચ, 26 એપ્રિલ અને છેલ્લે 6 મેના રોજ દિલ્હીની વિશેષ અદાલતે ધરપકડ સામે રક્ષણ આપ્યું છે.

કાર્તિને પણ સતત ધરપકડ સામે રક્ષણ આપવા ઉપરાંત વિદેશ જવા માટે પરવાનગી આપવામાં આવતી રહી છે. આ જ કાર્તિ માટે મધરાતે 12 વાગ્યે અદાલતની કાર્યવાહી ચલાવવામાં આવી હતી, જેથી એ ભાઈ બીજા દિવસે પરોઢે પાંચ વાગ્યે ફ્લાઇટ પકડીને વિદેશ જઈ શકે. હાલમાં પાછો તેને 10 કરોડ રૂપિયાનો બોન્ડ આપીને વિદેશ જવાની પરવાનગી અપાઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભારત, યુનાઇટેડ કિંગડમ અને સ્પેનમાં કાર્તિની 54 કરોડ રૂપિયા મૂલ્યની સંપત્તિને ટાંચ મારી છે.

એનએસઈના કો-લોકેશન કેસમાં સંડોવાયેલા અજય શાહ પી. ચિદમ્બર સાથે સંકળાયેલા હોવાનું અનેક અહેવાલોમાં બહાર આવી ચૂક્યું છે અને આપણે પણ તેના વિશે વાત કરી છે.

હાલમાં એનએસઈના આ કૌભાંડ બાબતે એક મહત્ત્વપૂર્ણ વિડિયો પ્રસિદ્ધ થયો છે, જે ભારતીય રોકાણકારોની આંખ ઉઘાડનારો છે. (https://youtu.be/VxCSQETjYlg)

રોકાણકારોનાં નાણાં સાથે રમનારા લોકોને અદાલતોમાં ધરપકડ સામે 25-25 વખત રક્ષણ મળે છે એ આશ્ચર્યજનક બાબત છે. આ રીતે લોકોની ભાવનાઓની સાથે પણ રમત થાય છે. એનએસઈના કેસમાં પણ સેબીએ કરેલી કાર્યવાહીનો આદેશ નબળો હોવાથી ઍપલેટ ટ્રિબ્યુનલે તેની સામે સ્ટે આપી દીધો છે.

દેશના અગ્રણી ઉદ્યોગપતિએ પણ અમુક રકમ ચૂકવાય નહીં તો જેલમાં જવું પડે એવી સ્થિતિ હાલમાં ઊભી થઈ હતી. તેમના ભાઈએ સમયસર આર્થિક મદદ કરતાં તેઓ બચી ગયા. જો કાયદાની નજરમાં બધા સરખા હોય તો આ એક માણસને 25-25 વખત આગોતરા જામીન આપવા પાછળનું સ્પષ્ટ કારણ પણ દેખાવું જોઈએ, જે કમનસીબે અત્યાર સુધી ક્યાંય દેખાયું નથી.

શેરબજારનાં વર્તુળોમાં તો વર્ષોથી કહેવાતું આવ્યું છે કે આ પિતા-પુત્ર શેરબજારમાં મોટાપાયે સટ્ટો કરે છે અને તેઓ બજારને રમાડે છે. કો-લોકેશન દ્વારા અમુક ગણ્યાગાંઠ્યા લોકોને ગેરરીતિથી કમાણી કરી લેવાની તક આપવામાં આવે છે ત્યારે પોતાની મહેનતની કમાણી આ બજારમાં રોકીને પ્રામાણિકપણે વળતર મેળવવાની કોશિશ કરનાર રોકાણકારોને અન્યાય થાય છે.

બજારને રમાડનારાં આ તત્ત્વો વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થાય અથવા તો તેઓ કાર્યવાહીમાંથી આબાદ છટકી જાય ત્યારે ખરી ભાવનાથી નહીં, પણ મહેણા તરીકે કહેવાનું મન થાય કે ‘મેરા ભારત મહાન!’

———————

ભારતીય નિયમનકારોનું વલણઃ જમવામાં જગલો અને કૂટવામાં ભગલો

આપણે એનએસઈએલ કેસની ચર્ચા કરતાં કરતાં ન્યાયપ્રક્રિયાની વિસંગતિ તરફ આગળ વધી ગયા છીએ. જમવામાં જગલો અને કૂટવામાં ભગલો જેવું વલણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. એનએસઈએલમાં પૅમેન્ટ કટોકટી બહાર આવી એનાં ચાર વર્ષની અંદર લોકોનાં નાણાં પાછાં અપાવવા માટે કંઈ થયું નથી, પરંતુ એનએસઈએલની પ્રમોટર  કંપનીને સંપૂર્ણપણે એક્સચેન્જ બિઝનેસમાંથી બહાર ખદેડી દેવાઈ, જ્યારે એનએસઈનું ઍલ્ગોરિધમ (કૉ-લૉકેશન) કૌભાંડ બહાર આવ્યાને ચાર વર્ષ થયાં હોવા છતાં તેમાં જાણે કંઈ બન્યું જ ન હોય એવું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે.

નોંધપાત્ર બાબત એ છે કે ઍલ્ગોરિધમ કૌભાંડમાં એનએસઈએલ કરતાં દસ ગણી વધુ રકમ સંકળાયેલી છે. ઉપરાંત, એનએસઈએલમાં જેમણે સોદાઓ કર્યા તેમનાં નાણાંના સ્રોત આજે પણ શંકાસ્પદ છે, જ્યારે ઍલ્ગોરિધમ કૌભાંડને કારણે શેરબજારના નાના રોકાણકારોની જિંદગીની મૂડીનો સવાલ છે. નવાઈની વાત એ છે કે એનએસઈએલની પ્રમોટર કંપની એફટીઆઇએલે જેની સ્થાપના કરી હતી એવા મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ)માં પણ પ્રમોટરે નીકળી જવું પડ્યું ત્યાર બદ ઍલ્ગોરિધમ કૌભાંડને લગતું કામકાજ થયું હોવાનું તાજેતરમાં બહાર આવ્યું છે.

એકાઉન્ટન્સી ફર્મ ટી. આર. ચઢ્ઢા ઍન્ડ કંપનીએ આ વર્ષે ફોરેન્સિક ઑડિટ કર્યું હતું. એનએસઈના કૌભાંડમાં જે મોટાં માથાં સંડોવાયેલાં હતાં એમનાં જ નામ એમસીએક્સના કેસમાં બહાર આવ્યાં છે. એમસીએક્સે પોતાનો ડેટા સંશોધનના નામે પૂરો પાડ્યો, પરંતુ તેની પાછળનું કારણ ઍલ્ગોરિધમિક ટ્રેડિંગનું જ હોવાનું મનાય છે. વળી, જે વ્હીસલ બ્લોઅરે એનએસઈના કેસમાં ભાંડો ફોડ્યો હતો તેણે જ એમસીએક્સની અંદર રંધાઈ રહેલી ખિચડીની જાણ કરી હતી.

એનએસઈના કેસમાં ભૂતપૂર્વ પી. ચિદમ્બરમના માનીતા અજય શાહનાં પત્ની સુસાન થોમસની ભૂમિકા વિશે તપાસ થઈ છે. આ જ સુસાન, જેઓ ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યુટ ઑફ ડેવલપમેન્ટલ રિસર્ચમાં સંશોધક છે, તેમના માટે એમસીએક્સે જૂન 2016માં ડેટા શેરિંગ શરૂ કર્યું. તેમની સૂચના અનુસાર નવી દિલ્હીસ્થિત ઍલ્ગો સોફ્ટવેર ડેવલપર ચિરાગ આનંદને ડેટા આપવામાં આવ્યો. આ સંશોધન કોમોડિટીઝ ટ્રેડિંગ ટૅક્સની અસરનો અભ્યાસ કરવા માટે છે એવું કહેવામાં આવ્યું હતું, પરંતુ ઑડિટના અહેવાલમાં કહેવાયું છે કે અભ્યાસનું તો ફક્ત નામ હતું, ખરો ઉદ્દેશ્ય તો ઍલ્ગો ટ્રેડિંગ સ્ટ્રેટેજીનું નિર્માણ કરવા માટે ડેટાનો ઉપયોગ કરવાનો હતો.

એમસીએક્સ અને ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યુટ ઑફ ડેવલપમેન્ટલ રિસર્ચે કરેલો કરાર પણ કાનૂની ચર્ચાવિચારણા વગર કરાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ કરાર સુસાન થોમસ માટે હતો અને તેમના જ કહેવાથી ચિરાગ આનંદને ડેટા આપવામાં આવ્યો હતો. આનંદ પણ અજય શાહની નૅશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ પબ્લિક ફાઇનાન્સીસ ઍન્ડ પોલિસી સાથે સંકળાયેલા હતા.

નોંધવા જેવી વાત એ છે કે એમસીએક્સે એનએસઈના એનસીડેક્સ સામે સ્પર્ધા ઊભી કરી ત્યારે ચિદમ્બરમના ખાસ મનાતા કે. પી. કૃષ્ણને એનસીડેક્સમાં એનએસઈનો હિસ્સો વધારવા માટે એલઆઇસી અને નાબાર્ડના હિસ્સાનું વેચાણ એનએસઈને કરવું એવી ભલામણ કરી હતી. પ્રમોટર એફટીઆઇએલે એમસીએક્સમાંથી હિસ્સો વેચી દેવો પડ્યો ત્યારે જાણે બધાને મોકળું મેદાન મળી ગયું હોય એમ તેમાં પણ ઍલ્ગોરિધમનું દૂષણ ઉમેરી દેવાનો પ્રયાસ થયો, જે ચઢ્ઢા ઍન્ડ કંપનીના ઑડિટના અહેવાલ પરથી જોઈ શકાય છે.

સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા સેબી હવે શેરબજારની સાથે સાથે કોમોડિટીઝ બજારનું પણ નિયમન કરે છે. એનએસઈનું ઍલ્ગો કૌભાંડ બહાર આવ્યા પછી પણ એમસીએક્સમાં એ જ પ્રકરણ દોહરાવવાનો પ્રયાસ થયો એ કેટલાંક વગદાર તત્ત્વોનું જોર દર્શાવે છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય.

સફેદપોશ ગુનેગારો તરીકે ઓળખાતા લોકો સંશોધન સંસ્થાના નામે પોતાના સ્વાર્થ સાધતા હોય એનું આ ઉદાહરણ કહી શકાય.

આ બધી બાબતોને અનુલક્ષીને પીગુરુસ ડોટ કોમ વેબસાઇટ પરના લેખમાં કહેવામાં આવ્યું છે કે આ બન્ને કેસમાં ફોજદારી તપાસ કરાવવાની જરૂર છે, કારણ કે તેમાં જાહેર નાણાંની ઉચાપતનો સવાલ સંકળાયેલો છે.

ઉક્ત સંપૂર્ણ લેખ નીચે આપેલી લિંક પરના લેખોના આધારે તૈયાર કરાયો છેઃ

https://www.pgurus.com/indias-algo-trading-scandal-a-tale-of-two-exchanges-and-one-somnolent-regulator-sebi/

https://www.thehindubusinessline.com/markets/commodities/forensic-auditors-indicate-igidr-used-data-shared-by-mcx-to-develop-an-algo-trading-strategy/article269354

https://www.thehindubusinessline.com/todays-paper/tp-markets/article26937939.ece

————————–

આ કેવું?

એનએસઈ અને એનએસઈએલ સાથેના વ્યવહારમાં આટલો તફાવત કેમ?

તસવીર સૌજન્યઃ medium.com

આજથી લગભગ છ વર્ષ પહેલાં નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (NSEL)માં 5,600 કરોડ રૂપિયાની પૅમેન્ટ કટોકટી સર્જાઈ હતી. તેને કૌભાંડ તરીકે ખપાવી દેવાઈ. એ પ્રકરણનો ઉકેલ લાવવાને બદલે તેને વધુ ને વધુ ગૂંચવી દેવાયું. એટલું જ નહીં, જેનો ઉપાય છ મહિનામાં સંભવ હતો તેને છ વર્ષ સુધી અદ્ધર રખાયું છે.

NSEL પ્રકરણમાં મુખ્ય જવાબદાર-દોષિત ડિફોલ્ટરોને પકડીને તેમની પાસેથી નાણાંની વસૂલી કરવાને બદલે એ એક્સચેન્જની સ્થાપના કરનાર પ્રમોટર કંપની અને તેના સ્થાપક સામે જ  સતત ઍક્શન લેવામાં આવી. હવે જ્યારે હકીકત બહાર આવતી જણાય છે ત્યારે પણ ગુનેગારોને છાવરવાની કોશિશ ચાલુ છે.

કોઈને થશે કે આ વાત અત્યારે શા માટે કરાઇ રહી છે? તેનો સીધો જવાબ એ છે કે 5,600 કરોડ કરતા દસગણું મોટું કૌભાંડ નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)ના કૉ-લૉકેશન પ્રકરણમાં થયું હોવા છતાં તેની સામે ઍક્શન લેવાનું સરકાર અને રેગ્યુલેટર સતત ટાળી રહ્યાં હોવાની  પ્રતીતિ થાય છે.

નૅશનલ સ્ટૉક એક્સચેન્જના કેસમાં નિયમનકારની ઍક્શન મૅનેજમેન્ટ સામેય નહીં, બ્રોકરો વિરુદ્ધ પણ નહીં અને સંડોવાયેલા અધિકારીઓ સામે પણ નહીં. આવું થઈ રહ્યું છે તેથી જ સવાલ થાય છે, આવું કેમ?

વાહ રે, નિયમનકારનો ન્યાય. આ જ બાબત બીએસઈ સાથે થઈ હોત તો તરત જ 24 કલાકમાં શું ને શું કરી નાંખ્યું હોત. હજી પણ એનએસઈને આ વિષયમાં માફી આપી માત્ર દંડ લઈ છોડી મૂકવાની વેતરણ ચાલી રહી છે, કારણ કે તેમાં મોટાં માથાં છે, વગદાર લોકો અને લૉબી છે. સરકારના ચોક્કસ પ્રધાનના તેમના પર ચાર હાથ છે. તેનાથી વિપરીત, નૅશનલ સ્પોટ એક્સચેન્જના કિસ્સામાં એ જ ચોક્કસ પ્રધાન વિરોધી રહ્યા છે અને એનએસઈની સામે કોઈ સ્પર્ધા ઊભી ન થાય એ માટે પહેલેથી જ પ્રયત્નશીલ રહ્યા છે. એ પ્રધાન કોણ છે એના વિશે અગાઉ લખાઈ ગયું છે અને જગજાહેર છે તેથી તેમનું નામ લખવાની જરૂર નથી (હા, વાંચકો ચોક્કસપણે કમેન્ટ દ્વારા એ નામ લખી શકે છે).

અત્યાર સુધી દેશના હિતના ભોગે એનએસઈની અઢળક ફેવર કરાઈ છે. ફેવર તો એક વખત ચલાવી લેવાય, પરંતુ તેને કારણે અન્ય સમકક્ષ સંસ્થાઓને અઢળક અન્યાય કરાયો છે.

વિચારક્રાંતિ અન્યાય સામે અવાજ ઊઠાવે છે તેથી આ વાતને અહીં મૂકવી જરૂરી છે. આ અન્યાય માત્ર એક ઉદ્યોગસમૂહ સાથે થયો છે એવું નથી, રાષ્ટ્ર સાથે પણ થયો છે. કઈ રીતે તેની વાત હવે કરીશું. ચોક્કસ મિનિસ્ટર અને અધિકારીઓએ મળીને મેક ઈન ઈન્ડિયાની સક્સેસફુલ સ્ટોરીને કઈ રીતે ખતમ કરી તેની દાસ્તાન વારંવાર યાદ આવ્યે રાખે છે, કારણ કે……વાત કરીશું આગળની કડીમાં…

————————

ખરેખર, મતદાન માટે દૃઢ મનોબળની જરૂર પડે છે!

આ વખતે મુંબઈના મતદારોના મનોબળની આકરી કસોટી થવાની છે. 29મી એપ્રિલે મતદાનનો દિવસ હોવાથી રજા હશે. 28મીએ રવિવારની રજા હશે અને પહેલી મેએ મહારાષ્ટ્ર દિવસની રજા હશે. શનિવારે જેને ઑફિસ ચાલુ હશે એ એક દિવસની કેઝ્યુઅલ લીવ લઈ લેશે તો તેને શનિવારથી લઈને બુધવાર સુધીની રજા મળી જશે અને સરસ મજાનું વૅકેશન માણી શકાશે. ખરેખર, લોભામણી તક છે. તેથી જ કહેવું પડે કે મતદાન કરવા માટે દૃઢ મનોબળની જરૂર પડે છે અને આ વખતે ખરી કસોટી છે.

હૃદય પર પથ્થર મૂકી દેજો, પણ મતદાન કર્યા વગર રહેતા નહીં. આવું બે-ચાર દિવસનું વૅકેશન માણવાની બીજી અનેક તક મળશે, પરંતુ પાંચ વર્ષ સુધી લોકસભાની ચૂંટણી નહીં થાય અને તમારી મરજી મુજબનો ઉમેદવાર તમારા પ્રતિનિધિ તરીકે મોકલવાની બીજી તક પાંચ વર્ષ સુધી નહીં મળે.

બડાઈની વાત નથી, પણ આપણી લોકશાહી દુનિયામાં વખણાય છે. ભારતને લોકો માનથી જુએ છે અને એ માન આપણું પોતાનું પણ છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં આવેલા આંકડા અનુસાર ગુરુવારે પ્રથમ ચરણમાં થયેલા મતદાનમાં મણિપુરમાં 78 ટકા કરતાં વધારે મતદાન થયું છે. આ દેશના ઘણા લોકો જેમના ચહેરાને જોઈને તેમને વિદેશી માણસો માની બેસે છે એવા મણિપુરના લોકોએ દેશ આખાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરાં પાડ્યાં છે. મૂછે હો તો નથ્થુલાલ જૈસીની જેમ કહી શકાય, મતદાન હો તો મણિપુર જૈસા.

ચાલો, આપણે પણ કહેવત પ્રમાણે મૂછોને વળ ચડાવીને કહીએ કે આપણે આ લોકશાહીના જતન માટે મોટા પ્રમાણમાં મતદાન કરીશું.

પાંચ દિવસની રજાના લોભમાં દેશનાં અમૂલ્ય પાંચ વર્ષ બગડે નહીં એ વાતની કાળજી લેવાની આપણે બધાએ જરૂર છે, એવું કહીએ તો જરાપણ અતિશયોક્તિ નહીં કહેવાય.

જો કોઈને એમ લાગતું હોય કે મારા એકલાના મતદાનથી કોઈ ફરક પડવાનો નથી, તો તેમણે કદાચ સાંભળ્યું હશે કે બધા જ આવું વિચારશે તો કોઈ જ મતદાન કેન્દ્રમાં નહીં દેખાય. બીજા કરે કે ન કરે, મારે તો મતદાન કરવાનું જ છે એવા દૃઢ નિશ્ચય સાથે મતદાન કરવા જજો અને આજુબાજુવાળાને પણ સાથે લઈને જજો. જો મતદાન નહીં કરો અને કોઈ નકામો ઉમેદવાર ચૂંટાઈને આવશે તો પછી પાંચ વર્ષ સુધી ભોગવવું પડશે. એ વખતે પછી કોઈને ગાળો ભાંડવાનો કોઈ અર્થ નથી. આ વખતે તો ચૂંટણી પંચે સાર્વત્રિક ચૂંટણીને દેશનો તહેવાર ગણાવ્યો છે. આ તહેવાર માટે એટલું ચોક્કસ કહી શકાયઃ અસલી મજા સબ કે સાથ આતા હૈ.

પ્રથમ ચરણ કરતાં વધારે મતદાન કરીશું એવી ચડસાચડસી પછીના તબક્કાઓમાં થાય એવી સદિચ્છા સાથે આપણે આ વિચારક્રાંતિની જ્યોતને આગળ લઈ જઈએ.

——–

મોનોપોલી તોડવા રચેલી સંસ્થાએ જ રચી મોનોપોલી અને માયાજાળ!

કૉ-લૉકેશન કેસમાં વ્હીસલ બ્લોઅરે અનેક ભયંકર વિગતો બહાર લાવવામાં આપ્યો છે સિંહફાળો

એનએસઈની કૉ-લૉકેશન સુવિધા વિશેની વાતને આગળ વધારીએ. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની કહેવાતી મોનોપોલીને તોડવા માટે એનએસઈની સ્થાપના કરવામાં આવી રહી છે એવું કહેવામાં આવ્યું હતું, પરંતુ વખત જતાં એનએસઈ પોતે એક મોનોપોલી બની ગયું અને એ અકબંધ રહે તે માટે લાગતા-વળગતા અને મળતિયા તમામ લોકો સાથે મળીને કામ કરતા રહ્યા.

કૉ-લૉકેશનનો સવાલ છે ત્યાં સુધી એનએસઈએ સેબીની ઔપચારિક મંજૂરી લીધા વિના ડાઇરેક્ટ માર્કેટ એક્સેસના નામે તેનો પ્રારંભ કર્યો. વિકિપિડિયામાં ચોખ્ખું કહેવાયું છે કે પી. ચિદમ્બરમની નિકટના હોવાનું મનાતા વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરોના લાભાર્થે ડાઇરેક્ટ માર્કેટ એક્સેસ આપવામાં આવ્યું. તેને કારણે એવું બન્યું કે આ ઇન્વેસ્ટરો સીધેસીધા જ સોદાઓ પાડવા લાગ્યા, બ્રોકરોનું વચ્ચે કોઈ નામોનિશાન નહીં. સી. બી. ભાવે, રવિ નારાયણ અને ચિત્રા રામકૃષ્ણનની મંડળીએ પી. ચિદમ્બરમના આશીર્વાદથી કૉ-લૉકેશન સેવા આપી એવું વિકિપિડિયા બીજી વાર કહે છે.

સી. બી. ભાવે અને રવિ નારાયણનાં નામ અનેક વાર આવશે એવું આપણે પહેલી કડીમાં કહ્યું તેનું આ જ કારણ છે!

વળી, પસંદગીના ટ્રેડરોને વધુ લાભ મળી રહે એ માટે કૉ-લૉકેશન અર્થે ડાર્ક ફાઇબર સ્થાપવામાં આવ્યું. ડાર્ક ફાઇબર ટેક્નિકલ શબ્દ છે. તેને સાદી ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે રિઝર્વ બૅન્કની ટંકશાળમાં કે ભાભા અણુ સંશોધન કેન્દ્રની અણુભઠ્ઠીમાં સામાન્ય માણસને જવાનો અધિકાર આપવો. આવો વિશેષાધિકાર સરકારમાં ઉચ્ચ હોદ્દો ભોગવનારી વ્યક્તિના આશીર્વાદ વગર શક્ય નથી.

કૉ-લૉકેશન માટે ટેક્નિકલ વ્યવસ્થા કરી આપનાર પણ કોઈક જોઈએ ને? એમ કામ અજય શાહને સોંપવામાં આવ્યું. તેઓ પણ ચિદમ્બરમના ખાસ માણસ ગણાય છે. તેમણે જ નિફ્ટી50ની સંરચના ઘડી હતી અને હાઇ ફ્રિકવન્સી ટ્રેડિંગમાં વપરાતા ઍલ્ગરિધમની સંપૂર્ણ જાણકારી તેમને હતી. અજય શાહને તેમનાં પત્ની સુસાન થોમસનો અને સુસાનનાં બહેન સુનીતા થોમસનો સાથ મળ્યો. સુનીતા એનએસઈના ટ્રેડિંગ હેડ સુપ્રભાત લાલાનાં પત્ની છે. આ લોકોએ ભેગાં મળીને ઍલ્ગરિધમિક પ્રોગ્રામ એટલે કે સોફ્ટવેર તૈયાર કર્યું, જેનો ઉપયોગ કેસમાં પછીથી પિક્ચરમાં આવેલા ઓપીજી, આલ્ફા ગ્રેપ, વગેરે બ્રોકરોએ કર્યો.

આખા કૉ-લૉકેશન કૌભાંડમાં જોવા જેવી વાત એ છે કે અત્યાર સુધીમાં એનએસઈનું અનેક કંપનીઓએ ફોરેન્સિક ઑડિટ કર્યું છે, પરંતુ તેના અહેવાલ જાહેર કરવામાં આવ્યા નથી. અજય શાહ ઘનિષ્ઠ રીતે આ કેસમાં સંકળાયેલા છે અને તેમનું નામ ઓપીજી સિક્યૉરિટીઝમાં તથા કૉ-લૉકેશન કૌભાંડમાં તેમની ભૂમિકા સંબંધે એફઆઇઆરમાં પણ લખવામાં આવ્યું છે. આમ છતાં, તેમની સામે કોઈ કાર્યવાહી થતી હોય એવું દેખાયું નથી. સીબીઆઇએ તેમને આરોપી ગણાવ્યા છે. સીબીઆઇએ કહ્યા મુજબ શાહે એનએસઈ માટે લોબિંગ કર્યું, કારણ કે તેઓ નાણાં મંત્રાલયમાં વગ ધરાવતા હતા. તેમણે સંશોધનના નામે એનએસઈનો ટ્રેડિંગ ડેટા ભેગો કર્યો હતો, જેનો ઉપયોગ કરીને તેમણે ચાણક્ય નામનું ઍલ્ગરિધમનું સોફ્ટવેર બનાવ્યું. એ સોફ્ટવેર ઓપીજી સિક્યૉરિટીઝ જેવા કેટલાક પસંદગીના બ્રોકરોને વેચવામાં આવ્યું હતું. વેચાણ ઇન્ફોટેક ફાઇનાન્શિયલ્સ દ્વારા થયું હતું, જેમાં સુસાન અને સુનીતા થોમસ બન્ને ડિરેક્ટર હતાં. સીબીઆઇની કાર્યવાહી બાદ સેબીએ તેમને એનએસઈ સાથેના ડેટા શૅરિંગના કરારનો ભંગ કરવા બદલ કારણદર્શક નોટિસ મોકલી. કૉ-લૉકેશન વિશે પત્ર લખનાર વ્હીસલ બ્લોઅરે આરોપ મૂક્યો છે કે અજય શાહે એનએસઈમાં ચાલતા વિદેશી સંસ્થાકીય રોકાણકારોના અને પાર્ટિસિપેટરી નોટ્સ મારફતે થતા વ્યવહારોમાંથી પણ લાભ ખાટ્યો છે. અજય શાહની બાબતે સંસદમાં નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન પોન રાધાકૃષ્ણન પણ નિવેદન આપી ચૂક્યા છે, જેમાં તેમણે ડેટાના દુરુપયોગની વાત કરી છે. આવક વેરા ખાતાએ અજય શાહના સ્થળે નવેમ્બર 2017માં દરોડો પાડ્યો હતો. નવાઈની વાત છે કે તેમની પાસેથી બજેટને લગતી કેટલીક રજૂઆતો તથા અત્યંત ગોપનીય દસ્તાવેજો મળી આવ્યા હતા. એવું મનાય છે કે નાણાં મંત્રાલય અજય શાહના વડપણ હેઠળની નૅશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ પબ્લિક ફાઇનાન્સ ઍન્ડ પોલિસીને દર વર્ષે 1 કરોડ રૂપિયા ચૂકવતું હતું. ઉપરાંત, તેમને નિફ્ટી50ની રચના કરવા બદલ તગડી રોયલ્ટી પણ મળતી રહી છે. ખરી રીતે તો આ ઉદ્યોગના નિયમ પ્રમાણે એક જ વખત રોયલ્ટી ચૂકવવામાં આવે છે.

મોનોપોલી તોડવા માટે રચાયેલા એનએસઈએ કેવી માયાજાળ રચી એ આપણે કૉ-લૉકેશન કૌભાંડ બહાર આવતાં જોઈ શક્યા છીએ.

વધુ વિગતો માટેઃ https://en.m.wikipedia.org/wiki/NSE_co-location_scam; https://www.pgurus.com/nse-the-whole-co-location-based-trading-is-illegal/#_ftn3


એનએસઈના કૉ-લૉકેશન કૌભાંડમાં છેડા ક્યાં ક્યાં અડેલા છે?

એનએસઈના કૉ-લૉકેશન કૌભાંડમાં સેબીને પણ એક્સચેન્જની ગંભીર ભૂલચૂક ધ્યાનમાં આવી છે. આમ છતાં ફક્ત દંડ કરવાનો વિચાર થઈ રહ્યો છે.

વ્હીસલ બ્લોઅરે સેબીને ઉદ્દેશીને પહેલો પત્ર લખ્યો હતો અને તેની એક નકલ મનીલાઇફ નામના સામયિકને મોકલી હતી. સેબીએ આ કેસમાં 2017માં એનએસઈ (NSE) તથા 14 વ્યક્તિઓને કારણદર્શક નોટિસ મોકલી હતી. તેમાં એક્સચેન્જના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર્સ – ચિત્રા રામકૃષ્ણ અને રવિ નારાયણનો સમાવેશ હતો. તેમને નોટિસ મોકલવાનું કારણ એ હતું કે તેઓ એક્સચેન્જમાં કથિત ગેરરીતિઓ થઈ એ સમયે ઉચ્ચ હોદાઓ પર હતા. નોંધનીય છે કે સેબીની નોટિસ આવે તેની પહેલાં જ કેટલાક ઉચ્ચ હોદ્દેદારો 2015 અને 2016માં નોકરી છોડી ગયા હતા. નોટિસ મળ્યા બાદ ચિત્રા રામકૃષ્ણ અને રવિ નારાયણે જુલાઈ 2017માં કન્સેન્ટ મિકેનિઝમ હેઠળ કેસની પતાવટ કરવાની અરજી સેબીમાં કરી હતી. લાગે છે કે જો સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને (સીબીઆઇ – CBI) કેસની તપાસ હાથ ધરી ન હોત તો કન્સેન્ટ દ્વારા પતાવટ થઈ પણ ગઈ હોત.

જાણીતા પત્રકાર શાંતનુ ગુહા રેએ ‘ધ ટાર્ગેટ’ નામના પુસ્તકમાં લખ્યા મુજબ ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ તથા તેમના વિશ્વાસુ સનદી અધિકારી કે. પી. કૃષ્ણન એનએસઈને મદદ કરી રહ્યા હતા અને તેથી જ કૃષ્ણને ધ ટાર્ગેટના મુખ્ય પાત્ર જિજ્ઞેશ શાહ સ્થાપિત મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ)ની સામે સ્પર્ધામાં પાછળ રહી ગયેલા એક્સચેન્જ – એનસીડેક્સને લાભ કરાવવા માટેની ભલામણ ચિદમ્બરમને મોકલી હતી, જેનો સ્વીકાર થઈ ગયો હતો. નોંધનીય રીતે કૃષ્ણનને કોમોડિટી બજાર સાથે કંઈ લેવાદેવા ન હતું, છતાં તેમણે કોમોડિટી એક્સચેન્જોના બિઝનેસમાં પોતાનું નાક ખોંસ્યું. આ રીતે પી. ચિદમ્બરમ સામે પણ શંકાની સોય તકાઈ છે. વિકિપિડિયામાં કૉ-લૉકેશન કૌભાંડ વિશેના પૅજમાં કહેવાયા મુજબ આ ભૂતપૂર્વ નાણાપ્રધાને વર્ષ 2004થી 2014 સુધીના યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો. નોંધનીય રીતે તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચિદમ્બરમે પોતાના વિશ્વાસુ સી. બી. ભાવેને સેબીના, ચિત્રા રામકૃષ્ણ અને રવિ નારાયણ તથા અશોક ચાવલાને એનએસઈના અને રમેશ અભિષેકને ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના ટોચના હોદ્દા સોંપ્યા. એનએસઈની હાઇ ફ્રિકવન્સી ટ્રેડિંગની સુવિધાનો ઉપયોગ કરીને બ્રોકરોએ ખાસ કરીને વિદેશી સંસ્થાકીય રોકાણકારોને ગેરકાનૂની નાણાં રોકવા માટે મોકળું મેદાન કરી આપ્યું. સેબીએ હાઇ ફ્રિકવન્સી ટ્રેડિંગને લગતી બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ અને જિજ્ઞેશ શાહ સ્થાપિત એફટી ગ્રુપના સ્ટૉક એક્સચેન્જ – એમસીએક્સ-એસએક્સની ફરિયાદો તરફ દુર્લક્ષ કર્યું.

ભારતમાં હવે તો દરેક જણ જાણે છે કે કોઈ પણ કૌભાંડમાં સત્તાધીશોની મદદથી જ બધા ગોટાળા થયેલા હોય છે. ધ સન્ડે ગાર્ડિયનમાં માધવ નલપતે લખેલા લેખમાં કહેવાયું છે કે હજી સુધી તપાસ ઍજન્સીઓએ ચિદમ્બરમની સામે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી, પરંતુ તેઓ યુપીએ સરકારમાં ઘણા વગદાર હતા એ વાત સાચી છે. તેમની નજીકના અધિકારીઓમાં અરવિંદ માયારામ, કે. પી. કૃષ્ણન, રઘુરામ રાજન, એસ. કે. દાસ, સી. બી. ભાવે, રમેશ અભિષેક, અશોક ચાવલા, ડી. કે. મિત્તલ, અરવિંદ મોદી, યુ. કે. સિંહા, વગેરે સામેલ હતા. સરકારની બહાર તેમની નજીકના લોકોમાં રવિ નારાયણ, ચિત્રા રામકૃષ્ણ, અજય શાહ, વિજય કેળકર, સુસાન થોમસ, સુપ્રભાત લાલા, વગેરેનો સમાવેશ થાય છે.

નાણાં મંત્રાલયના આશીર્વાદ વગર કંઈ કરવું શક્ય નથી એ શું કામ કહી શકાય એની વાતો આવતી કડીમાં…

—————

 
Vicharkranti
Public group · 32 members
ફેસબુક પર આ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
વિચારક્રાંતિમાં આપનું સ્વાગત છે વિચારક્રાંતિમાં આપનું સ્વાગત છે અમે આ બ્લોગ મારફતે સત્યને વધુ બુલંદ બનાવવા માગીએ છીએ અને અન્યાય સામેની લડતને વધુ મજબૂત-નક્કર બનાવવા માગીએ છીએ…