એમસીએક્સના ડેટા શૅરિંગ પ્રકરણમાં બહાર આવેલી આંચકાદાયક બાબતો

તસવીર સૌજન્યઃ https://www.aiip.org

એનએસઈના કૉ-લૉકેશન કેસમાં આપણી ધારણા સાચી પડી છે. (જુઓઃ https://vicharkranti2019.wordpress.com/2019/05/17/હવે-એનએસઈ-પણ-સૅટમાં-સેબીન/).

સિક્યૉરિટીઝ ઍપેલેટ ટ્રિબ્યુનલે (સેટ) એનએસઈને સેબીના આદેશમાં રાહત આપી છે. તેણે કૉ-લોકેશન કેસમાં આશરે 1,100 કરોડ રૂપિયાની રકમ ભરપાઈ કરવા માટેના સેબીના 30મી એપ્રિલના આદેશની સામે સ્ટે આપ્યો છે. અત્યારે ફક્ત 625 કરોડ રૂપિયા સેબીમાં જમા કરવાના રહેશે, જેના વિશે આખરી ચુકાદામાં નિર્ણય લેવામાં આવશે.

એકંદરે, કૉ-લૉકેશન કેસમાં સેબીએ જેની સામે કાર્યવાહી કરી હતી એ તમામ લોકોને સેટ તરફથી રાહત મળી ગઈ છે. અધૂરામાં પૂરું, એમસીએક્સમાં થયેલા આવા જ પ્રકારના કથિત કૌભાંડ સંબંધે હજી સુધી કોઈ કાર્યવાહીનાં એંધાણ નથી. અત્યાર સુધી આપણે એમસીએક્સના આ કેસમાં બહાર આવેલી માહિતીની ચર્ચા કરી ગયા છીએ. હવે તેમાં કેટલીક નવી બાબતો ઉમેરાઈ છે અને નવા પ્રશ્નો ઊભા થયા છે.

સેબી અને એમસીએક્સ (મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ)ના કહેવાથી જ ટી. આર. ચઢ્ઢા ઍન્ડ કંપનીએ ઑડિટ કર્યું હતું અને તેમાં તેમણે ડેટા શૅરિંગ બાબતે શંકા જાગે એવા મુદ્દાઓ રજૂ કર્યા છે.

1) ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યુટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચ (આઇજીઆઇડીઆર) એમસીએક્સના ડેટાના ઉપયોગ બાબતે ત્રણ ડિલિવરેબલ્સ આપવાની હતી, અર્થાત્ ડેટાનો ઉપયોગ કેવી રીતે થયો તેની જાણ કરવાની હતી, પરંતુ એમ કરવામાં આવ્યું નહીં. એ ઇન્સ્ટિટ્યુટ વતી સુસાન થોમસે સહી કરી હતી.

2) એમસીએક્સ પાસેથી જૂનો ડેટા મળ્યો હોત તો પણ ચાલે એવા પ્રકારનું સંશોધન હતું, પરંતુ એમસીએક્સે રોજિંદા ધોરણે તાજો ડેટા આપ્યો.

ઇન્સ્ટિટ્યુટ કોમોડિટી બજાર પર કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટૅક્સની અસરનો અભ્યાસ કરવાની હતી અને તેના માટે જૂનો ડેટા પણ પૂરતો હતો. વળી, અનેક બાબતોમાં એમસીએક્સે ડેટા આપવાની જરૂર ન હતી. એમસીએક્સ ધારાધોરણો મુજબ જે ડેટા જાહેર કરે છે તેનો સીધેસીધો ઉપયોગ કરી શકાયો હોત. ઈકોનોમિક ટાઇમ્સ અને હિન્દુ બિઝનેસ લાઇન અખબારોમાં પ્રગટ થયેલા અહેવાલો મુજબ એમસીએક્સે ટિક બાય ટિક અને રિયલ ટાઇમ ડેટા આપ્યો હતો.

એમસીએક્સ, એનએસઈ, ડેટા શેરિંગ, અજય શાહ, સુસાન થોમસ એ બધાના છેડા વિશે આપણે અગાઉ વાત કરી. તેમાં ઉમેરવાની એક કડી આ રહીઃ એમસીએક્સમાંથી ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસને પરાણે સ્ટેક વેચાવડાવી દીધા બાદ તેમાં મૃગાંક પરાંજપે મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર બન્યા. તેઓ અજય શાહ અને સુસાન થોમસને આઇઆઇટી પવઈમાં વિદ્યાર્થી અવસ્થાથી ઓળખતા હતા. પરાંજપેની નિમણૂક 9 મે, 2016ના રોજ થઈ. તેના એક મહિના બાદ 9મી જૂનના રોજ સુસાને પરાંજપેને ઈ-મેઇલ લખીને ઇન્સ્ટિટ્યુટ સાથે કરાર કરવાનું કહ્યું. એ ઈ-મેઇલ સુસાનના અંગત ઈ-મેઇલ અકાઉંટમાંથી પરાંજપેના અંગત ઈ-મેઇલ પર મોકલાયો હતો. ત્યાર બાદ 29મી ઑગસ્ટે એક અને પહેલી સપ્ટેમ્બરે બીજો, એમ બે અલગ અલગ કરાર એમસીએક્સ અને ઇન્સ્ટિટ્યુટ વચ્ચે થયા.

દરમિયાન, એનએસઈના ડેટાનો ઇન્સ્ટિટ્યુટે દુરુપયોગ કર્યો હોવાને લગતા અનેક અહેવાલો પ્રસાર માધ્યમોમાં આવ્યા હોવા છતાં એમસીએક્સે ઇન્સ્ટિટ્યુટ સાથે કરાર કર્યો.

સામે આવેલી બીજી નોંધનીય બાબત છે કે એમસીએક્સ જેને ડેટા પૂરો પાડતું હતું એ ચિરાગ આનંદ ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યુટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચના કર્મચારી ન હતા. અજય શાહ જેની સાથે સંબંધ ધરાવતા આવ્યા છે એ નૅશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ પબ્લિક ફાઇનાન્સ ઍન્ડ પોલિસીમાં ચિરાગ આનંદ કાર્યરત હતા. ચઢ્ઢા ઍન્ડ કંપનીના ઑડિટના અહેવાલ મુજબ ડૉ. સુસાન થોમસ અને તેની ટીમ વચ્ચેનો પત્રાચાર અંગત ઈ-મેઇલ પર જ થતો હતો. એ ટીમના સભ્યો ઇન્સ્ટિટ્યુટના કર્મચારીઓ ન હતા.

આ અહેવાલમાં અનેક ગંભીર બાબતો બહાર આવી હોવા છતાં હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ઉલટાનું, જેમાં કાર્યવાહી થતી હોવાનું દેખાયું એ એનએસઈ કૉ-લૉકેશન કેસમાં પણ શકમંદોને સૅટ તરફથી રાહત મળી ગઈ છે.

એમસીએક્સનું ડેટા શૅરિંગ પ્રકરણ વગદાર માણસો શું નું શું કરી શકે એનાં ઉદાહરણોમાંનું એક ઉદાહરણ બની શકે છે.

સંદર્ભઃ https://www.pgurus.com/illegal-sharing-of-confidential-trade-data-by-mcx-to-susan-thomas-wife-of-ajay-shah/

https://www.thehindubusinessline.com/todays-paper/article26937926.ece

————————–

ભારતીય નિયમનકારોનું વલણઃ જમવામાં જગલો અને કૂટવામાં ભગલો

આપણે એનએસઈએલ કેસની ચર્ચા કરતાં કરતાં ન્યાયપ્રક્રિયાની વિસંગતિ તરફ આગળ વધી ગયા છીએ. જમવામાં જગલો અને કૂટવામાં ભગલો જેવું વલણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. એનએસઈએલમાં પૅમેન્ટ કટોકટી બહાર આવી એનાં ચાર વર્ષની અંદર લોકોનાં નાણાં પાછાં અપાવવા માટે કંઈ થયું નથી, પરંતુ એનએસઈએલની પ્રમોટર  કંપનીને સંપૂર્ણપણે એક્સચેન્જ બિઝનેસમાંથી બહાર ખદેડી દેવાઈ, જ્યારે એનએસઈનું ઍલ્ગોરિધમ (કૉ-લૉકેશન) કૌભાંડ બહાર આવ્યાને ચાર વર્ષ થયાં હોવા છતાં તેમાં જાણે કંઈ બન્યું જ ન હોય એવું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે.

નોંધપાત્ર બાબત એ છે કે ઍલ્ગોરિધમ કૌભાંડમાં એનએસઈએલ કરતાં દસ ગણી વધુ રકમ સંકળાયેલી છે. ઉપરાંત, એનએસઈએલમાં જેમણે સોદાઓ કર્યા તેમનાં નાણાંના સ્રોત આજે પણ શંકાસ્પદ છે, જ્યારે ઍલ્ગોરિધમ કૌભાંડને કારણે શેરબજારના નાના રોકાણકારોની જિંદગીની મૂડીનો સવાલ છે. નવાઈની વાત એ છે કે એનએસઈએલની પ્રમોટર કંપની એફટીઆઇએલે જેની સ્થાપના કરી હતી એવા મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ)માં પણ પ્રમોટરે નીકળી જવું પડ્યું ત્યાર બદ ઍલ્ગોરિધમ કૌભાંડને લગતું કામકાજ થયું હોવાનું તાજેતરમાં બહાર આવ્યું છે.

એકાઉન્ટન્સી ફર્મ ટી. આર. ચઢ્ઢા ઍન્ડ કંપનીએ આ વર્ષે ફોરેન્સિક ઑડિટ કર્યું હતું. એનએસઈના કૌભાંડમાં જે મોટાં માથાં સંડોવાયેલાં હતાં એમનાં જ નામ એમસીએક્સના કેસમાં બહાર આવ્યાં છે. એમસીએક્સે પોતાનો ડેટા સંશોધનના નામે પૂરો પાડ્યો, પરંતુ તેની પાછળનું કારણ ઍલ્ગોરિધમિક ટ્રેડિંગનું જ હોવાનું મનાય છે. વળી, જે વ્હીસલ બ્લોઅરે એનએસઈના કેસમાં ભાંડો ફોડ્યો હતો તેણે જ એમસીએક્સની અંદર રંધાઈ રહેલી ખિચડીની જાણ કરી હતી.

એનએસઈના કેસમાં ભૂતપૂર્વ પી. ચિદમ્બરમના માનીતા અજય શાહનાં પત્ની સુસાન થોમસની ભૂમિકા વિશે તપાસ થઈ છે. આ જ સુસાન, જેઓ ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યુટ ઑફ ડેવલપમેન્ટલ રિસર્ચમાં સંશોધક છે, તેમના માટે એમસીએક્સે જૂન 2016માં ડેટા શેરિંગ શરૂ કર્યું. તેમની સૂચના અનુસાર નવી દિલ્હીસ્થિત ઍલ્ગો સોફ્ટવેર ડેવલપર ચિરાગ આનંદને ડેટા આપવામાં આવ્યો. આ સંશોધન કોમોડિટીઝ ટ્રેડિંગ ટૅક્સની અસરનો અભ્યાસ કરવા માટે છે એવું કહેવામાં આવ્યું હતું, પરંતુ ઑડિટના અહેવાલમાં કહેવાયું છે કે અભ્યાસનું તો ફક્ત નામ હતું, ખરો ઉદ્દેશ્ય તો ઍલ્ગો ટ્રેડિંગ સ્ટ્રેટેજીનું નિર્માણ કરવા માટે ડેટાનો ઉપયોગ કરવાનો હતો.

એમસીએક્સ અને ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યુટ ઑફ ડેવલપમેન્ટલ રિસર્ચે કરેલો કરાર પણ કાનૂની ચર્ચાવિચારણા વગર કરાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ કરાર સુસાન થોમસ માટે હતો અને તેમના જ કહેવાથી ચિરાગ આનંદને ડેટા આપવામાં આવ્યો હતો. આનંદ પણ અજય શાહની નૅશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ પબ્લિક ફાઇનાન્સીસ ઍન્ડ પોલિસી સાથે સંકળાયેલા હતા.

નોંધવા જેવી વાત એ છે કે એમસીએક્સે એનએસઈના એનસીડેક્સ સામે સ્પર્ધા ઊભી કરી ત્યારે ચિદમ્બરમના ખાસ મનાતા કે. પી. કૃષ્ણને એનસીડેક્સમાં એનએસઈનો હિસ્સો વધારવા માટે એલઆઇસી અને નાબાર્ડના હિસ્સાનું વેચાણ એનએસઈને કરવું એવી ભલામણ કરી હતી. પ્રમોટર એફટીઆઇએલે એમસીએક્સમાંથી હિસ્સો વેચી દેવો પડ્યો ત્યારે જાણે બધાને મોકળું મેદાન મળી ગયું હોય એમ તેમાં પણ ઍલ્ગોરિધમનું દૂષણ ઉમેરી દેવાનો પ્રયાસ થયો, જે ચઢ્ઢા ઍન્ડ કંપનીના ઑડિટના અહેવાલ પરથી જોઈ શકાય છે.

સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા સેબી હવે શેરબજારની સાથે સાથે કોમોડિટીઝ બજારનું પણ નિયમન કરે છે. એનએસઈનું ઍલ્ગો કૌભાંડ બહાર આવ્યા પછી પણ એમસીએક્સમાં એ જ પ્રકરણ દોહરાવવાનો પ્રયાસ થયો એ કેટલાંક વગદાર તત્ત્વોનું જોર દર્શાવે છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય.

સફેદપોશ ગુનેગારો તરીકે ઓળખાતા લોકો સંશોધન સંસ્થાના નામે પોતાના સ્વાર્થ સાધતા હોય એનું આ ઉદાહરણ કહી શકાય.

આ બધી બાબતોને અનુલક્ષીને પીગુરુસ ડોટ કોમ વેબસાઇટ પરના લેખમાં કહેવામાં આવ્યું છે કે આ બન્ને કેસમાં ફોજદારી તપાસ કરાવવાની જરૂર છે, કારણ કે તેમાં જાહેર નાણાંની ઉચાપતનો સવાલ સંકળાયેલો છે.

ઉક્ત સંપૂર્ણ લેખ નીચે આપેલી લિંક પરના લેખોના આધારે તૈયાર કરાયો છેઃ

https://www.pgurus.com/indias-algo-trading-scandal-a-tale-of-two-exchanges-and-one-somnolent-regulator-sebi/

https://www.thehindubusinessline.com/markets/commodities/forensic-auditors-indicate-igidr-used-data-shared-by-mcx-to-develop-an-algo-trading-strategy/article269354

https://www.thehindubusinessline.com/todays-paper/tp-markets/article26937939.ece

————————–