
એનું નામ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ ઍન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ (આઇએલઍન્ડએફએસ) છે, પરંતુ એને ભારત પર બેઠેલી પનોતી કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય. આ કંપનીએ સપ્ટેમ્બર 2018માં સિડબીની 1,000 કરોડ રૂપિયાની ટૂંકા ગાળાની લોનની પરત ચૂકવણીમાં ડિફોલ્ટ કર્યો હતો. એ જ વખતે તેની એક પેટા કંપનીએ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કંપની પાસેથી લીધેલી 500 કરોડ રૂપિયાની લોન ચૂકવી નહીં. એ ઘટનાના ગણતરીના દિવસોમાં કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે આઇએલઍન્ડએફએસ ગ્રુપના બોર્ડને સુપરસીડ કરીને નવા બોર્ડની રચના કરવા માટે નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી) સમક્ષ અરજી કરી. આ ગ્રુપ દેશ માટે પનોતી કહેવાય, કારણ કે સંખ્યાબંધ મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ અને બ્રોકરેજ પાસે આ ગ્રુપના 11 લાખ કરોડ રૂપિયા કરતાં વધુના બોન્ડ હતા. ઢમ ઢોલ માંહે મોટી પોલની જેમ ગ્રુપને AA+ ક્રેડિટ રૅટિંગ મળ્યું હતું. સંપૂર્ણ ગ્રુપમાં અંદરખાને અનેક ગરબડો ચાલતી હતી અને તેણે ડિફોલ્ટ કર્યા બાદ ક્રેડિટ રૅટિંગ ઍજન્સીઓએ તરત જ તેનું રૅટિંગ ઘટાડી દીધું હતું.
સરકારે જાણીતા બૅન્કર ઉદય કોટકના અધ્યક્ષસ્થાને રચેલા નવા બોર્ડને સમસ્યાનો હલ લાવવાની જવાબદારી સોંપી, પરંતુ તાજેતરમાં બહાર આવેલી માહિતી અનુસાર સમસ્યા ઉકેલાવાને બદલે ગ્રુપના સમગ્ર તંત્રમાં અને દેશના નાણાકીય તંત્રમાં ખદબદી રહેલા ભ્રષ્ટાચારનું વરવું સ્વરૂપ છતું થયું છે.
છેક 2011-12થી ગોટાળા અને તેના ઢાંકપિછોડા ચાલી રહ્યા છે
તાજેતરની આ ઘટના એટલે ગ્રાન્ટ થોર્નટન કંપની દ્વારા એક ફોરેન્સિક ઑડિટના અહેવાલની જાહેરાત. ગ્રાન્ટ થોર્નટને આઇએલઍન્ડએફએસ એન્જિનિયરિંગ ઍન્ડ કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (આઇઈસીસીએલ)નું ફોરેન્સિક ઑડિટ કરીને તેનો અહેવાલ 6 મે, 2021ના રોજ બહાર પાડ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ ગ્રુપમાં 2018થી નહીં, પણ છેક 2011-12થી ગોટાળા અને તેના ઢાંકપિછોડા ચાલી રહ્યા છે અને તેમાં ગ્રુપના સંચાલકો પણ સંડોવાયેલા હોવાની શંકા છે. નવાઈની વાત તો એ છે કે સરકારે જે નવા બોર્ડની નિમણૂક કરી છે તેણે પણ ફોરેન્સિક ઑડિટર ગ્રાન્ટ થોર્નટન (જીટી)ને મહત્ત્વપૂર્ણ માહિતી પૂરી પાડવામાં ગલ્લાંતલ્લાં કર્યાં છે. નોંધનીય છે કે વરિષ્ઠ નિવૃત્ત સરકારી અમલદારોને નવા બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તેમના અખત્યાર હેઠળ પણ ગ્રુપમાં હજી ગરબડ ચાલી રહી છે. જેમને બગડેલી બાજી સુધારવાની જવાબદારી સોંપવામાં આવી હતી એ જ લોકોએ ખોટી કે અપૂરતી માહિતી પૂરી પાડી છે. ચાળીસેક કિસ્સાઓમાં ઑડિટ માટે બૅન્ક સ્ટેટમેન્ટ પણ આપવામાં આવ્યાં નથી.
ગોટાળામાં આઇએલઍન્ડએફએસના તત્કાલીન સંચાલકો પણ સંડોવાયેલા હતા
જીટીએ સ્પષ્ટપણે કહ્યું છે કે 2011-12થી શરૂ થયેલા ગોટાળામાં આઇએલઍન્ડએફએસના તત્કાલીન સંચાલકો પણ સંડોવાયેલા હતા. રવિ પાર્થસારથિ, હરિ શંકરન, અરુણ સાહા, કે. રામચંદ, મુકુંદ સપ્રે (આઇઈસીસીએલના મૅનેજિંગ ડિરેક્ટર) અને એમ. ડી. ખટ્ટર સહિતના આ સંચાલકોએ ગ્રુપમાં ચાલી રહેલી ગરબડ વિશે પોતાના અંગત ઈ-મેઇલ મારફતે સત્તાવાર સંદેશવ્યવહાર કર્યો હતો. એ બધી વિગતો દેશના માથે બેઠેલી પનોતીને સમજવામાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ નવા બોર્ડની મહેરબાનીથી એ પણ શક્ય બન્યું નથી. નવા બોર્ડે જીટીને એ સંદેશવ્યવહારની વિગતો પૂરી પાડી નથી. જીટીને જેટલી સામગ્રી મળી તેના પરથી પણ પ્રચંડ મોટાં કૌભાંડો અને ગોટાળાઓ પ્રકાશમાં આવ્યાં છે. આથી જ રિપોર્ટના પ્રથમ પાના પર જીટીએ નોંધ કરી છે કે તેને પૂરા પાડવામાં આવેલા આઇઈસીસીએલના ફક્ત 40 ટકા ડેટાના આધારે તેણે ફોરેન્સિક ઑડિટનો અહેવાલ તૈયાર કર્યો છે.
આઇઈસીસીએલે પોતાના કાર્યકાળમાં જેટલા ખર્ચ કર્યા એમાંથી લગભગ 80 ટકા ખર્ચ કોઈ ને કોઈ પ્રોજેક્ટ સાથે સંકળાયેલો હતો, પરંતુ એમાંથી ફક્ત 22 ટકા ડેટા જીટીને પૂરો પાડવામાં આવ્યો હતો. પરિણામે, જીટી એ કંપનીના પ્રોજેક્ટ વિશે સર્વાંગી વિશ્લેષણ કરી શકી નથી.
જીટીએ તો 2019ની 13મી જૂનથી ડેટા માગવાનું શરૂ કર્યું હતું, પરંતુ અનેક ઈ-મેઇલ કર્યા પછી પણ માત્ર 22.5 ટકા પ્રોજેક્ટને લગતી 25થી 30 ટકા જેટલી જ માહિતી મળી. છેલ્લે તો ગયા વર્ષે 7 ઑક્ટોબરના રોજ કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઑફિસરે જીટીને ઈ-મેઇલમાં કહી દીધું કે બધો ઉપલબ્ધ ડેટા આપી દેવાયો છે, વધુ ડેટા નથી. દેખીતી વાત છે કે નવા બોર્ડ ઑફ ડિરેક્ટર્સની પરવાનગી વગર સીએફઓ આ ઈ-મેઇલ કરી શકે નહીં.
ઑડિટર ભ્રષ્ટાચારના ભોરિંગને જોઈને મોંમાં આંગળા નાખી ગયા છે
કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે પેન્શન ફંડ, સરકારી સંસ્થાઓ, બોન્ડ ધરાવતા સામાન્ય નાગરિકો અને મોટી સંખ્યામાં ખાનગી કંપનીઓનાં નાણાંની રિકવરી માટે આઇએલઍન્ડએફએસમાં નવા બોર્ડની રચના કરી હતી, પરંતુ આજે લગભગ ત્રણ વર્ષે એવી પરિસ્થિતિ છે કે ગ્રુપની એક કંપની વિશે પણ ફોરેન્સિક ઑડિટ પૂરું કરવામાં ઑડિટર ભ્રષ્ટાચારના ભોરિંગને જોઈને મોંમાં આંગળા નાખી ગયા છે. શું નિવૃત્તિ સરકારી અમલદારોની નિમણૂક આના માટે કરવામાં આવી હતી! અને સરકારે ઉદય કોટક પર મૂકેલા ભરોસાનું શું! બોર્ડમાં કોટક ઉપરાંત સી. એસ. રાજન, જી. સી. ચતુર્વેદી, શ્રીનિવાસન નટરાજન, નંદકિશોર અને માલિની શંકર એ બધા ડિરેક્ટર્સ છે.
હજી પણ જૂના સંચાલકોના વફાદારો ગ્રુપમાં સક્રિય છે
જીટીના અહેવાલ વિશે જાણકારી મળ્યા બાદ જાણીતા પત્રકાર સૂચેતા દલાલે આઇએલઍન્ડએફએસના કોમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટ અને ચૅરમૅનનો સંપર્ક કરીને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ એમના તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી.
ફક્ત 40 ટકા ડેટા પરથી પણ ગ્રુપના ભૂતપૂર્વ સંચાલક રવિ પાર્થસારથિના વડપણ હેઠળના સંચાલકગણના વાંધાજનક વ્યવહારો વિશેના આઘાતજનક તથ્યો પ્રકાશમાં આવ્યાં છે. નોંધનીય છે કે પાર્થસારથિ લગભગ 25 વર્ષ સુધી આ મહાકાય ગ્રુપના વડા હતા અને તેનો ભાંડો ફૂટ્યો એના થોડા જ સમય પહેલાં તેમણે પદ છોડ્યું હતું.
જીટીના અહેવાલ પરથી વગર કીધે સ્પષ્ટ થઈ જાય છે કે હજી પણ જૂના સંચાલકોના વફાદારો ગ્રુપમાં સક્રિય છે અને તેઓ બધા ભ્રષ્ટ વ્યવહારોના ઢાંકપિછોડા કરવા માગે છે. જનતાનાં નાણાંની રિકવરીની નવા બોર્ડ સહિત કોઈને પડી નથી.
આઇઈસીસીએલ મૂળ માયતાસ ઇન્ફ્રા લિમિટેડ કંપની હતી
ફોરેન્સિક ઑડિટની ટીમને સહકાર નહીં આપવા બદલ શું નવું મૅનેજમેન્ટ જવાબદાર નથી? તેનું પરિણામ એ આવશે કે 40,000 કરોડ રૂપિયાના નુકસાન માટે જવાબદાર લોકો બચી જશે અને નુકસાન સહન કરનારાઓના હાથમાં બાબાજી કા ઠુલ્લુ આવશે.
હવે વાંચકોને જાણીને નવાઈ લાગશે કે આઇઈસીસીએલ મૂળ માયતાસ ઇન્ફ્રા લિમિટેડ કંપની હતી, જે કૌભાંડી સત્યમ ગ્રુપનો હિસ્સો હતી.
આમ, આઇઈસીસીએલનાં મૂળ અને કુળ કૌભાંડથી જ ભરેલાં છે. તેમાં આઇએલઍન્ડએફએસે ઘટાડો કરવાને બદલે વધારો જ કર્યો છે.
સત્યમ ગ્રુપમાં અકાઉન્ટિંગની ગરબડ બહાર આવી ત્યારે આઇએલઍન્ડએફએસે વર્ષ 2009માં આઇઈસીસીએલની ખરીદી કરી હતી. 2010-11માં માયતાસ ઇન્ફ્રાનું નામ બદલીને આઇઈસીસીએલ કરવામાં આવ્યું અને એના બીજા જ વર્ષથી એમાં ભૂત ગયા ને પલીત જાગ્યાની જેમ વધુ ગોટાળા થવા લાગ્યા. આઇએલઍન્ડએફએસ માયતાસ ઇન્ફ્રાનું પુનરુત્થાન કરશે એવી ધારણા હતી, પરંતુ જીટીના અહેવાલ પરથી તો એવું જ લાગે છે કે ખરીદી કરનારા ગ્રુપે કંપનીની મથરાવટી મેલી ને મેલી જ રાખી અને એનો ઉપયોગ પોતાના ગોરખધંધાઓ માટે કર્યો.
જીટીના ફોરેન્સિક ઑડિટમાં જણાવવામાં આવ્યું છે કે આઇઈસીસીએલનું આર્થિક સંકટ છુપાવવામાં આવ્યું હતું તથા તેના ઑડિટ અહેવાલોમાં બનાવટ કરવામાં આવી હતી. અનેક વ્હીસલબ્લોઅરોએ કૌભાંડો બહાર લાવવાની કોશિશ કરી, પરંતુ ગ્રુપના તત્કાલીન સંચાલકોએ બધાનો અવાજ દાબી દીધો.
સત્યમે માયતાસ ઇન્ફ્રાનો કર્યો નહતો એટલો ખરાબ ઉપયોગ આઇએલઍન્ડએફએસે આઇઈસીસીએલનો કર્યો
અહેવાલ મુજબ આઇઈસીસીએલની 31 માર્ચ 2018ના રોજની લાયેબિલિટી 5,306 કરોડ રૂપિયા હતી અને એમાં ભરપૂર પ્રમાણમાં નાણાકીય ગેરરીતિઓ કરવામાં આવી હતી. સત્યમે માયતાસ ઇન્ફ્રાનો કર્યો નહતો એટલો ખરાબ ઉપયોગ આઇએલઍન્ડએફએસે આઇઈસીસીએલનો કર્યો હતો.
હવે સવાલ એ છે કે જીટીના અહેવાલ બાદ શું નવું બોર્ડ દેશની નૅશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઑથોરિટીને આ બધા ગોરખધંધાની જાણ કરશે? શું ફોરેન્સિક ઑડિટરને માહિતી નહીં આપવા બદલ નવા બોર્ડને જવાબદાર ગણવામાં આવશે? શું નવા બોર્ડની સામે સરકાર કોઈ પગલાં લેશે? છેલ્લે, સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે સામાન્ય નાગરિકોનાં નાણાંનું આટલી હદે સત્યાનાશ કરનારાઓને આ દેશમાં ક્યારે સજા થશે?
——————–