કૌભાંડી આઇએલઍન્ડએફએસમાં હજી પણ ભ્રષ્ટાચાર ખદબદતો હોવાની શંકાઃ ગ્રુપના નવા બોર્ડે પણ ફોરેન્સિક ઑડિટરને પૂરતી માહિતી પૂરી પાડી નથી

એનું નામ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ ઍન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ (આઇએલઍન્ડએફએસ) છે, પરંતુ એને ભારત પર બેઠેલી પનોતી કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય. આ કંપનીએ સપ્ટેમ્બર 2018માં સિડબીની 1,000 કરોડ રૂપિયાની ટૂંકા ગાળાની લોનની પરત ચૂકવણીમાં ડિફોલ્ટ કર્યો હતો. એ જ વખતે તેની એક પેટા કંપનીએ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કંપની પાસેથી લીધેલી 500 કરોડ રૂપિયાની લોન ચૂકવી નહીં. એ ઘટનાના ગણતરીના દિવસોમાં કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે આઇએલઍન્ડએફએસ ગ્રુપના બોર્ડને સુપરસીડ કરીને નવા બોર્ડની રચના કરવા માટે નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી) સમક્ષ અરજી કરી. આ ગ્રુપ દેશ માટે પનોતી કહેવાય, કારણ કે સંખ્યાબંધ મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ અને બ્રોકરેજ પાસે આ ગ્રુપના 11 લાખ કરોડ રૂપિયા કરતાં વધુના બોન્ડ હતા. ઢમ ઢોલ માંહે મોટી પોલની જેમ ગ્રુપને AA+ ક્રેડિટ રૅટિંગ મળ્યું હતું. સંપૂર્ણ ગ્રુપમાં અંદરખાને અનેક ગરબડો ચાલતી હતી અને તેણે ડિફોલ્ટ કર્યા બાદ ક્રેડિટ રૅટિંગ ઍજન્સીઓએ તરત જ તેનું રૅટિંગ ઘટાડી દીધું હતું.

સરકારે જાણીતા બૅન્કર ઉદય કોટકના અધ્યક્ષસ્થાને રચેલા નવા બોર્ડને સમસ્યાનો હલ લાવવાની જવાબદારી સોંપી, પરંતુ તાજેતરમાં બહાર આવેલી માહિતી અનુસાર સમસ્યા ઉકેલાવાને બદલે ગ્રુપના સમગ્ર તંત્રમાં અને દેશના નાણાકીય તંત્રમાં ખદબદી રહેલા ભ્રષ્ટાચારનું વરવું સ્વરૂપ છતું થયું છે.

છેક 2011-12થી ગોટાળા અને તેના ઢાંકપિછોડા ચાલી રહ્યા છે

તાજેતરની આ ઘટના એટલે ગ્રાન્ટ થોર્નટન કંપની દ્વારા એક ફોરેન્સિક ઑડિટના અહેવાલની જાહેરાત. ગ્રાન્ટ થોર્નટને આઇએલઍન્ડએફએસ એન્જિનિયરિંગ ઍન્ડ કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (આઇઈસીસીએલ)નું ફોરેન્સિક ઑડિટ કરીને તેનો અહેવાલ 6 મે, 2021ના રોજ બહાર પાડ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ ગ્રુપમાં 2018થી નહીં, પણ છેક 2011-12થી ગોટાળા અને તેના ઢાંકપિછોડા ચાલી રહ્યા છે અને તેમાં ગ્રુપના સંચાલકો પણ સંડોવાયેલા હોવાની શંકા છે. નવાઈની વાત તો એ છે કે સરકારે જે નવા બોર્ડની નિમણૂક કરી છે તેણે પણ ફોરેન્સિક ઑડિટર ગ્રાન્ટ થોર્નટન (જીટી)ને મહત્ત્વપૂર્ણ માહિતી પૂરી પાડવામાં ગલ્લાંતલ્લાં કર્યાં છે. નોંધનીય છે કે વરિષ્ઠ નિવૃત્ત સરકારી અમલદારોને નવા બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તેમના અખત્યાર હેઠળ પણ ગ્રુપમાં હજી ગરબડ ચાલી રહી છે. જેમને બગડેલી બાજી સુધારવાની જવાબદારી સોંપવામાં આવી હતી એ જ લોકોએ ખોટી કે અપૂરતી માહિતી પૂરી પાડી છે. ચાળીસેક કિસ્સાઓમાં ઑડિટ માટે બૅન્ક સ્ટેટમેન્ટ પણ આપવામાં આવ્યાં નથી.

ગોટાળામાં આઇએલઍન્ડએફએસના તત્કાલીન સંચાલકો પણ સંડોવાયેલા હતા

જીટીએ સ્પષ્ટપણે કહ્યું છે કે 2011-12થી શરૂ થયેલા ગોટાળામાં આઇએલઍન્ડએફએસના તત્કાલીન સંચાલકો પણ સંડોવાયેલા હતા. રવિ પાર્થસારથિ, હરિ શંકરન, અરુણ સાહા, કે. રામચંદ, મુકુંદ સપ્રે (આઇઈસીસીએલના મૅનેજિંગ ડિરેક્ટર) અને એમ. ડી. ખટ્ટર સહિતના આ સંચાલકોએ ગ્રુપમાં ચાલી રહેલી ગરબડ વિશે પોતાના અંગત ઈ-મેઇલ મારફતે સત્તાવાર સંદેશવ્યવહાર કર્યો હતો. એ બધી વિગતો દેશના માથે બેઠેલી પનોતીને સમજવામાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ નવા બોર્ડની મહેરબાનીથી એ પણ શક્ય બન્યું નથી. નવા બોર્ડે જીટીને એ સંદેશવ્યવહારની વિગતો પૂરી પાડી નથી. જીટીને જેટલી સામગ્રી મળી તેના પરથી પણ પ્રચંડ મોટાં કૌભાંડો અને ગોટાળાઓ પ્રકાશમાં આવ્યાં છે. આથી જ રિપોર્ટના પ્રથમ પાના પર જીટીએ નોંધ કરી છે કે તેને પૂરા પાડવામાં આવેલા આઇઈસીસીએલના ફક્ત 40 ટકા ડેટાના આધારે તેણે ફોરેન્સિક ઑડિટનો અહેવાલ તૈયાર કર્યો છે.

આઇઈસીસીએલે પોતાના કાર્યકાળમાં જેટલા ખર્ચ કર્યા એમાંથી લગભગ 80 ટકા ખર્ચ કોઈ ને કોઈ પ્રોજેક્ટ સાથે સંકળાયેલો હતો, પરંતુ એમાંથી ફક્ત 22 ટકા ડેટા જીટીને પૂરો પાડવામાં આવ્યો હતો. પરિણામે, જીટી એ કંપનીના પ્રોજેક્ટ વિશે સર્વાંગી વિશ્લેષણ કરી શકી નથી.

જીટીએ તો 2019ની 13મી જૂનથી ડેટા માગવાનું શરૂ કર્યું હતું, પરંતુ અનેક ઈ-મેઇલ કર્યા પછી પણ માત્ર 22.5 ટકા પ્રોજેક્ટને લગતી 25થી 30 ટકા જેટલી જ માહિતી મળી. છેલ્લે તો ગયા વર્ષે 7 ઑક્ટોબરના રોજ કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઑફિસરે જીટીને ઈ-મેઇલમાં કહી દીધું કે બધો ઉપલબ્ધ ડેટા આપી દેવાયો છે, વધુ ડેટા નથી. દેખીતી વાત છે કે નવા બોર્ડ ઑફ ડિરેક્ટર્સની પરવાનગી વગર સીએફઓ આ ઈ-મેઇલ કરી શકે નહીં.

ઑડિટર ભ્રષ્ટાચારના ભોરિંગને જોઈને મોંમાં આંગળા નાખી ગયા છે

કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે પેન્શન ફંડ, સરકારી સંસ્થાઓ, બોન્ડ ધરાવતા સામાન્ય નાગરિકો અને મોટી સંખ્યામાં ખાનગી કંપનીઓનાં નાણાંની રિકવરી માટે આઇએલઍન્ડએફએસમાં નવા બોર્ડની રચના કરી હતી, પરંતુ આજે લગભગ ત્રણ વર્ષે એવી પરિસ્થિતિ છે કે ગ્રુપની એક કંપની વિશે પણ ફોરેન્સિક ઑડિટ પૂરું કરવામાં ઑડિટર ભ્રષ્ટાચારના ભોરિંગને જોઈને મોંમાં આંગળા નાખી ગયા છે. શું નિવૃત્તિ સરકારી અમલદારોની નિમણૂક આના માટે કરવામાં આવી હતી! અને સરકારે ઉદય કોટક પર મૂકેલા ભરોસાનું શું! બોર્ડમાં કોટક ઉપરાંત સી. એસ. રાજન, જી. સી. ચતુર્વેદી, શ્રીનિવાસન નટરાજન, નંદકિશોર અને માલિની શંકર એ બધા ડિરેક્ટર્સ છે.

હજી પણ જૂના સંચાલકોના વફાદારો ગ્રુપમાં સક્રિય છે

જીટીના અહેવાલ વિશે જાણકારી મળ્યા બાદ જાણીતા પત્રકાર સૂચેતા દલાલે આઇએલઍન્ડએફએસના કોમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટ અને ચૅરમૅનનો સંપર્ક કરીને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ એમના તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી.

ફક્ત 40 ટકા ડેટા પરથી પણ ગ્રુપના ભૂતપૂર્વ સંચાલક રવિ પાર્થસારથિના વડપણ હેઠળના સંચાલકગણના વાંધાજનક વ્યવહારો વિશેના આઘાતજનક તથ્યો પ્રકાશમાં આવ્યાં છે. નોંધનીય છે કે પાર્થસારથિ લગભગ 25 વર્ષ સુધી આ મહાકાય ગ્રુપના વડા હતા અને તેનો ભાંડો ફૂટ્યો એના થોડા જ સમય પહેલાં તેમણે પદ છોડ્યું હતું.

જીટીના અહેવાલ પરથી વગર કીધે સ્પષ્ટ થઈ જાય છે કે હજી પણ જૂના સંચાલકોના વફાદારો ગ્રુપમાં સક્રિય છે અને તેઓ બધા ભ્રષ્ટ વ્યવહારોના ઢાંકપિછોડા કરવા માગે છે. જનતાનાં નાણાંની રિકવરીની નવા બોર્ડ સહિત કોઈને પડી નથી.

આઇઈસીસીએલ મૂળ માયતાસ ઇન્ફ્રા લિમિટેડ કંપની હતી

ફોરેન્સિક ઑડિટની ટીમને સહકાર નહીં આપવા બદલ શું નવું મૅનેજમેન્ટ જવાબદાર નથી? તેનું પરિણામ એ આવશે કે 40,000 કરોડ રૂપિયાના નુકસાન માટે જવાબદાર લોકો બચી જશે અને નુકસાન સહન કરનારાઓના હાથમાં બાબાજી કા ઠુલ્લુ આવશે.

હવે વાંચકોને જાણીને નવાઈ લાગશે કે આઇઈસીસીએલ મૂળ માયતાસ ઇન્ફ્રા લિમિટેડ કંપની હતી, જે કૌભાંડી સત્યમ ગ્રુપનો હિસ્સો હતી.

આમ, આઇઈસીસીએલનાં મૂળ અને કુળ કૌભાંડથી જ ભરેલાં છે. તેમાં આઇએલઍન્ડએફએસે ઘટાડો કરવાને બદલે વધારો જ કર્યો છે.

સત્યમ ગ્રુપમાં અકાઉન્ટિંગની ગરબડ બહાર આવી ત્યારે આઇએલઍન્ડએફએસે વર્ષ 2009માં આઇઈસીસીએલની ખરીદી કરી હતી. 2010-11માં માયતાસ ઇન્ફ્રાનું નામ બદલીને આઇઈસીસીએલ કરવામાં આવ્યું અને એના બીજા જ વર્ષથી એમાં ભૂત ગયા ને પલીત જાગ્યાની જેમ વધુ ગોટાળા થવા લાગ્યા. આઇએલઍન્ડએફએસ માયતાસ ઇન્ફ્રાનું પુનરુત્થાન કરશે એવી ધારણા હતી, પરંતુ જીટીના અહેવાલ પરથી તો એવું જ લાગે છે કે ખરીદી કરનારા ગ્રુપે કંપનીની મથરાવટી મેલી ને મેલી જ રાખી અને એનો ઉપયોગ પોતાના ગોરખધંધાઓ માટે કર્યો.

જીટીના ફોરેન્સિક ઑડિટમાં જણાવવામાં આવ્યું છે કે આઇઈસીસીએલનું આર્થિક સંકટ છુપાવવામાં આવ્યું હતું તથા તેના ઑડિટ અહેવાલોમાં બનાવટ કરવામાં આવી હતી. અનેક વ્હીસલબ્લોઅરોએ કૌભાંડો બહાર લાવવાની કોશિશ કરી, પરંતુ ગ્રુપના તત્કાલીન સંચાલકોએ બધાનો અવાજ દાબી દીધો.

સત્યમે માયતાસ ઇન્ફ્રાનો કર્યો નહતો એટલો ખરાબ ઉપયોગ આઇએલઍન્ડએફએસે આઇઈસીસીએલનો કર્યો

અહેવાલ મુજબ આઇઈસીસીએલની 31 માર્ચ 2018ના રોજની લાયેબિલિટી 5,306 કરોડ રૂપિયા હતી અને એમાં ભરપૂર પ્રમાણમાં નાણાકીય ગેરરીતિઓ કરવામાં આવી હતી. સત્યમે માયતાસ ઇન્ફ્રાનો કર્યો નહતો એટલો ખરાબ ઉપયોગ આઇએલઍન્ડએફએસે આઇઈસીસીએલનો કર્યો હતો.

હવે સવાલ એ છે કે જીટીના અહેવાલ બાદ શું નવું બોર્ડ દેશની નૅશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઑથોરિટીને આ બધા ગોરખધંધાની જાણ કરશે? શું ફોરેન્સિક ઑડિટરને માહિતી નહીં આપવા બદલ નવા બોર્ડને જવાબદાર ગણવામાં આવશે? શું નવા બોર્ડની સામે સરકાર કોઈ પગલાં લેશે? છેલ્લે, સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે સામાન્ય નાગરિકોનાં નાણાંનું આટલી હદે સત્યાનાશ કરનારાઓને આ દેશમાં ક્યારે સજા થશે?

——————–

બે પુસ્તકોમાં પી. ચિદમ્બરમ અને એમની ચંડાળચોકડીની કુંડળી ખૂલ્લી કરી દેવાઈ હોવા છતાં દેશના નાણાકીય તંત્રમાં એમની વગ ઓસરતી નથી!

તસવીર સૌજન્યઃ http://www.pgurus.com

પરસ્પર સંકળાયેલા આ લોકોની પાસે એવી તે કઈ ‘માસ્ટર કી’ છે કે એનએસઈના બધા ગુના માફ થાય છે અને બીજાના નાના ગુના બદલ કઠોર કાર્યવાહી થાય છે !

ભારતના નાણાકીય તંત્રમાં હજી પણ ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ અને એમના સાથીઓનું વર્ચસ્ હોવાનું એક પછી એક કિસ્સા પરથી પુરવાર થઈ રહ્યું છે. આપણે ચિદમ્બરમ સાથેના અનેક સરકારી અમલદારોના સંબંધો વિશે વાતો કરી ગયા છીએ, પરંતુ જેમની પહોંચ ઘણી ઉંચી હોય એ લોકો નખશિખ પ્રામીણિક વડા પ્રધાન જેવી વ્યક્તિને ગણકારતા નહીં હોવાનું દરેક વખતે દેખાઈ આવે છે.

કાજુ કૌભાંડના આરોપીનું એનએસઈ કનેક્શન

પી. ચિદમ્બરમ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો થયા અને તેઓ જેલમાં રહી આવ્યા, પરંતુ હજી પણ સ્થિતિ બોલીવૂડની ફિલ્મોના ડાયલોગની જેમ ‘મેરે આદમી ચારો ઓર ફૈલે હુએ હૈ’ જેવી છે. થોડા સમય પહેલાં પ્રકાશિત થયેલા ‘ધ માર્કેટ માફિયા’ના બીજા પ્રકરણમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પી. ચિદમ્બરમને એનએસઈ (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ) સાથે સંકળાયેલી અનેક વ્યક્તિઓ સાથે ઘરોબો છે. હાલમાં જ એનબીએચસી (નૅશનલ બલ્ક હૅન્ડલિંગ કૉર્પોરેશન)ના કાજુ કૌભાંડ સંબંધે આરોપી ગણાવાયેલા ડૉ. વિજય કેળકર સામેલ હોવાનું ઉક્ત પુસ્તકમાં કહેવાયું છે. એ ઉપરાંત એનએસઈના ભૂતપૂર્વ ઉચ્ચાધિકારીઓ ચિત્રા રામકૃષ્ણન અને રવિ નારાયણ, સેબીના ભૂતપૂર્વ ચૅરમૅન સી. બી. ભાવે, સનદી અધિકારી કે. પી. કૃષ્ણન પણ ટોળકીમાં સામેલ છે.

એનએસઈ અને એના બે ભૂતપૂર્વ અધિકારીઓને સાવ મામૂલી દંડ કેમ?

હજી બે દિવસ પહેલાં સેબીએ કૉ-લૉકેશન કેસમાં એનએસઈને તથા ચિત્રા રામકૃષ્ણન અને રવિ નારાયણને અમુક બાબતે દોષિત ગણ્યા ખરાં, પરંતુ એમને લવિંગ કેરી લાકડીએ ફટકારતા હોય એમ મામૂલી દંડ કરવામાં આવ્યો છે. 50,000 કરોડથી 60,000 કરોડ રૂપિયાનું કૌભાંડ હોવાનું મનાતા કૉ-લૉકેશન કેસમાં સેબીની એડજ્યુડિકેટિંગ ઑથોરિટીએ એનએસઈને કરેલા 1 કરોડ રૂપિયાના તથા ચિત્રા રામકૃષ્ણન અને રવિ નારાયણને કરેલા 25-25 લાખ રૂપિયાના દંડની વાત સાંભળીને સિક્યૉરિટીઝ માર્કેટના જાણકારો કહે છે કે આમાં નવાઈ પામવા જેવું કંઈ નથી; ચિદમ્બરમ અને એનએસઈના સંબંધો વિશે સિક્યૉરિટીઝ માર્કેટનો નાનામાં નાનો માણસ પણ ઘણું બધું જાણે છે.

ભારતમાં પાર્ટિસિપેટરી નોટ્સ મારફતે સિક્યૉરિટીઝ માર્કેટમાં કાળાં નાણાં લાવીને સફેદ કરવાની રમત વિશે પણ ‘ધ માર્કેટ માફિયા’માં વાત કરવામાં આવી છે. પાર્ટિસિપેટરી નોટ્સ માટે 2009માં બનાવાયેલી સમિતિમાં કે. પી. કૃષ્ણન, એનએસઈના તત્કાલીન એમડી-સીઈઓ રવિ નારાયણ, સી. કે. જી. નાયર અને અજય શાહ સામેલ હતા. આ બધી વ્યક્તિઓ કોઈક ને કોઈક રીતે ચિદમ્બરમની જ ટીમના માણસો છે અને એમને તથા એમના વહાલા એનએસઈને બધી રીતે સાચવવાનું કામ કરનારા લોકો છે. પુસ્તકમાં અનેક ચોંકાવનારી વિગતો છે. તેમાં કહેવાયા મુજબ સી. કે. જી. નાયરને સરકારી હોદ્દા પરથી નીકળ્યા બાદ સિક્યૉરિટીઝ ઍપેલેટ ટ્રિબ્યુનલમાં ન્યાયમૂર્તિ બનાવવામાં આવ્યા હતા. એમનાં દીકરી 2013થી એનએસઈમાં કામ કરતાં હતાં.

એનએસઈના ઍલ્ગરિધમિક ટ્રેડિંગ કૌભાંડ વિશે એક વ્હીસલબ્લોઅરે 2015માં ફરિયાદ કર્યા બાદ સેબીએ જ્યારે એ વિષયે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે અજય શાહને વર્ષો સુધી એનએસઈ પાસેથી મહત્ત્વપૂર્ણ ડેટા મળતા રહ્યા હતા. એમણે સંશોધનના નામે ડેટા મેળવ્યા અને ઍલ્ગરિધમિક ટ્રેડિંગ માટે અને કેટલાક ગણ્યાગાંઠ્યા બ્રોકરોને આર્થિક લાભ કરાવવા માટે તેનો ઉપયોગ કર્યો.

એનએસઈની સામે સ્પર્ધા ખડી કરનાર સામે કિન્નાખોરી

ટૂંકમાં, એનએસઈ સાથે સંકળાયેલા તમામ ઘટનાક્રમમાં પી. ચિદમ્બરમનો ઉલ્લેખ આવ્યા વગર રહેતો નથી. એનએસઈ સામે એક સમયે સ્પર્ધા ઊભી કરનારા એફટીઆઇએલ (ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ – નવું નામ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ)ના સામ્રાજ્યને એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ની પૅમેન્ટ કટોકટીનું નિમિત્ત બનાવીને તોડી પાડવાનું ષડ્યંત્ર રચાયું, એમાં પણ પી. ચિદમ્બરમનું નામ હોવાનું આ બ્લોગ વાંચનારા હવે સારી રીતે જાણે છે. આ ભૂતપૂર્વ નાણાપ્રધાનની નજીકના ગણાતા અજય શાહ એક સમયે નાણાકીય ક્ષેત્રના સુધારા માટેની આયોજન પંચની સમિતિમાં સભ્ય ન હોવા છતાં તેના પર વગ ધરાવતા હતા. હાલમાં જેમની સામે એનબીએચસી કેસમાં એફઆઇઆર નોંધાયો એ ડૉ. વિજય કેળકર કૉ-લૉકેશન કૌભાંડ જ્યારે ચરમસીમાએ હતું ત્યારે એનએસઈમાં બિન કાર્યકારી ચૅરમૅન હતા. કેળકર 13મા નાણાં પંચના અધ્યક્ષપદેથી નિવૃત્ત થઈને એક્સચેન્જીસ બોર્ડમાં જોડાયા. નૈતિક દૃષ્ટિએ એમણે ખાનગી કંપનીમાં જોડાતાં પહેલાં બ્રેક લેવો જોઈએ, પરંતુ એમણે એમ કરવાને બદલે સીધેસીધો એનએસઈમાં પ્રવેશ મેળવી લીધો, કારણ કે ચિદમ્બરમની ટીમમાં એમની નિકટના હોવાનું મનાતા સી. બી. ભાવે એ વખતે સેબીના ચૅરમૅન હતા. સેબીને એક્સચેન્જોમાં થતી નિમણૂકોને મંજૂરી આપવાની કે નકારી કાઢવાની પૂરેપૂરી સત્તા હોય છે, જેનો ઉપયોગ એક જ ટોળકીના સાથીની નિમણૂકને મંજૂરી આપવા માટે થયો. કેળકરને ભૂતપૂર્વ સનદી અધિકારીઓની જેમ સરકારી પૈસે મળતી લક્ઝરીઓની આદત પડી ગઈ હોય એ સ્વાભાવિક છે. એ વખતે રવિ નારાયણે એનએસઈમાં એમને પોશ એરિયામાં ફ્લેટ અને શોફર ડ્રિવન ગાડીની સુવિધા પૂરી પાડી. એમનો પગાર પણ ખાનગી ક્ષેત્રની કંપનીના ટોચના અધિકારીઓને શરમાવે એટલો ઉંચો હતો. એનએસઈમાં કેળકરના કાર્યકાળ દરમિયાન જ એક્સચેન્જે રવિ નારાયણનું વાર્ષિક પૅકેજ વધારીને આશરે 8 કરોડ રૂપિયા કરી દીધું હતું.

ખરું પૂછો તો, ‘ધ માર્કેટ માફિયા’ પુસ્તક જેણે વાંચી લીધું હોય એને એનએસઈની સાથે સંકળાયેલી દરેક ઘટના પાછળનાં રહસ્યો આપોઆપ અને સહેલાઈથી સમજાઈ જાય એવાં છે. એ સમજાઈ ગયા બાદ એફટીઆઇએલના સ્થાપક જિજ્ઞેશ શાહને કેન્દ્રમાં રાખીને પીઢ પત્રકાર શાંતનુ ગુહા રેએ લખેલા ‘ધ ટાર્ગેટ’ પુસ્તકમાં લખાયેલી દરેક વાત સાચી લાગે છે. આવતા વખતે આપણે ભારતીય નાણાકીય ક્ષેત્રની બીજી કેટલીક વાતો કરીએ ત્યાં સુધી આટલું જ……

(વધુ વિગતો માટે વાંચોઃ https://www.pgurus.com/c-company-to-the-market-mafia-the-story-of-the-deep-state-of-indias-financial-markets/)

——————

સ્થાપિત હિતો કરી રહ્યાં છે કૃષિસુધારા માટેના કાયદાઓનો વિરોધ

ખેતીની સાથે ભલે તમને કંઈ લાગતું વળગતું ન હોય, આ બ્લોગ વાંચજો અને બીજાઓને પણ વંચાવજો. ખરી રીતે તો ખેતીની સાથે પ્રત્યક્ષ રીતે ભલે કોઈને સંબંધ ન હોય, પણ પ્રત્યક્ષ રીતે દરેક જીવને સંબંધ છે તેથી હવે પછીનું લખાણ વાંચ્યે જ છૂટકો!!!

હાલમાં સરકારે કૃષિને લગતા કાયદાઓ પસાર કરીને ખેડૂતોને પોતે પકાવેલી ખેતપેદાશ કોઈને પણ વેચવાની છૂટ આપી છે. અત્યાર સુધીની સિસ્ટમમાં ખેડૂતોએ મંડી તરીકે ઓળખાતી જગ્યાએ જ માલ લઈ જવો પડતો અને ત્યાં આડતિયાઓ મારફતે જ વ્યવહાર કરવો પડતો. કહેવા માટે કોઈ સિસ્ટમ ખોટી હોતી નથી, પરંતુ તેમાં જ્યારે સ્વાર્થ અને સ્થાપિત હિતો ભળી જાય છે ત્યારે સમસ્યા સર્જાય છે.

આ લખનાર વ્યક્તિ ઘણા વખતથી કહેતી આવી છે કે ભારતમાં નફાખોરી સૌથી મોટી સમસ્યા રહી છે. જ્યારે જ્યારે એ નફાખોરી જોખમમાં આવે છે ત્યારે સ્થાપિત હિતો કાગારોળ કરી મૂકે છે. અત્યાર સુધી સ્થાનિક વેપાર-ઉદ્યોગોએ ભરપૂર નફો કમાવા માટે જાતજાતની નીતિ-રીતિઓ અપનાવી છે અને તેને કારણે સામાન્ય વર્ગે ફુગાવાનો માર સહન કરવો પડ્યો છે.  

મહેનત જગતના તાત કહેવાતા ખેડૂતની હોય અને મલાઈ આડતિયાઓ-દલાલો-એજન્ટો ખાઈ જાય એવી સ્થિતિ હતી.

નફો કરવો એ વેપાર-ધંધાનો સિદ્ધાંત છે, પરંતુ એ નફાની પણ એક મર્યાદા હોય. ખેતરમાં લોહીનું પાણી કરીને કૃષિપેદાશો ઊભી કરનાર ખેડૂતને નુકસાન થયે રાખે અને બીજાઓ માત્ર દલાલી કરીને કમાણી કર્યે જ રાખે એ પરિસ્થિતિને બદલવા માટે જ હાલની સરકારે ‘એક રાષ્ટ્ર, એક બજાર’ની નીતિ હેઠળ નવા કાયદાઓ ઘડીને ખેડૂતોને પોતાની મહેનતનું યોગ્ય મૂલ્ય મળી રહે એ માટેનો પ્રયાસ કર્યો છે.

વર્ષોથી ચાલતી આવતી કોઈ પદ્ધતિ બદલાય અને તેમાં સ્થાપિત હિતોને જરાપણ નુકસાન થાય તો તેઓ નવી પદ્ધતિ સહેલાઈથી સ્વીકારે એવું તો ભારત શું, કોઈ દેશમાં શક્ય જ નથી. આથી જ નવા કાયદાઓના વિરોધમાં ભારત સરકારના જ એક સહયોગી પક્ષના પ્રધાને રાજીનામું આપ્યું અને રાજ્યસભામાં ગુંડાઓ કરતા હોય એવા વ્યવહાર-વર્તન થયાં. આમ થવા પાછળનું કારણ ફરી એક વાર સ્વાર્થ અને સ્થાપિત હિતો છે.

ભારતની લોકશાહી સંપૂર્ણપણે વોટબૅન્ક પર આધારિત રહી છે અને હજી પણ એવું જ ચાલી રહ્યું છે. વોટબૅન્કને રાજી રાખવા માટે અને પોતાનો પગદંડો જામેલો રહે એ માટે રાજકીય પક્ષો જાતજાતનાં નાટકો કરતાં હોય છે. તેમાં પ્રજાનું હિત હોય એવું તો ભાગ્યે જ બન્યું છે. આ વખતે ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતોની વોટબૅન્ક ધરાવતા પક્ષોએ નવા કાયદાનો વિરોધ કર્યો છે. તેમણે અનેક તર્કવિતર્કો દ્વારા એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે નવા કાયદાથી ખેડૂતોનું નુકસાન થશે.

જો સ્વાર્થી લોકોએ વધુપડતી નફાખોરી કરી ન હોત તો જૂની સિસ્ટમમાં પણ કંઈ ખોટું નહતું અને જો યોગ્ય મૂલ્યનિષ્ઠ કામકાજ કરવામાં નહીં આવે તો નવી સિસ્ટમ પણ ખેડૂતોનું ભલું નહીં કરી શકે.

જો કે, અત્યાર સુધી પ્રાપ્ત માહિતી મુજબ સ્પષ્ટ છે કે ખેડૂતોને મંડીઓના દૂષણથી મુક્ત કરવાની જરૂર હતી અને એ કામ થયું છે. આપણે આ બ્લોગમાં પણ ભારતના જાણીતા આન્ત્રપ્રેન્યોર અને દૂરદૃષ્ટા જિજ્ઞેશ શાહના એક ઇન્ટરવ્યૂ મારફતે કહ્યું હતું કે ‘એક રાષ્ટ્ર, એક બજાર’ની સિસ્ટમ ભારતના કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે.

(એ બ્લોગ આ રહ્યાઃ 1) વડા પ્રધાનનું E-NAM કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવી શકે છે; 2) કૃષિ કોમોડિટીમાં ટોચના ઉત્પાદક અને ગ્રાહક તરીકેની ભારતની સ્થિતિનો લાભ અપાવશે રાષ્ટ્રવ્યાપી કૃષિ ગ્રિડ).

હવેનું લખાણ વાંચતાં પહેલાં જો ઉપરોક્ત બ્લોગ વાંચી લીધા હશે તો ઘણી સ્પષ્ટતા થઈ જશે.

અત્યારના ડિજિટલ જમાનામાં ઈલેક્ટ્રોનિક નૅશનલ એગ્રિકલ્ચર માર્કેટ (વેબસાઇટઃ e-nam) સમયની માગ છે. એક સમયે માતાપિતા બાળકોને મોબાઇલથી શક્ય તેટલાં દૂર રાખતાં હતાં, પણ હવે કોરોનાને પગલે શરૂ થયેલા ઓનલાઇન શિક્ષણને કારણે સામેથી મોબાઇલ આપવો પડે છે. આપણે હવે રોકડને બદલે ડિજિટલ પૅમેન્ટ કરવા લાગ્યા છીએ. ગ્રાહકો ઓનલાઇન ખરીદી કરે છે. જો ખેડૂતોને e-namને લીધે પોતાની ખેતપેદાશોનું વેચાણ કરવામાં સરળતા રહેતી હોય તો એમાં ખોટું કંઈ નથી.

ખેડૂતો માટેના નવા કાયદાઓની જોગવાઈઓ મુજબ તેઓ હવે કોઈ પણ વચેટિયા, આડતિયા કે ઍજન્ટ કે મંડીને વચ્ચે રાખ્યા વગર પોતાનો માલ કોઈ પણ કંપનીને  અથવા ખરીદદારને વેચી શકશે. કાયદાઓનો વિરોધ થયા બાદ સરકારે સ્પષ્ટતા પણ કરી છે કે સરકાર દ્વારા જાહેર કરાતા ટેકાના ભાવની સિસ્ટમ બંધ કરવામાં આવી નથી. વળી, આ વર્ષે ટેકાના ભાવમાં વધારો પણ કરવામાં આવ્યો છે. આમ, ખેડૂતોને નુકસાન થવાની શક્યતા નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જાહેર કર્યું છે કે આ વર્ષે કોરોનાના રોગચાળા વચ્ચે પણ રવી મોસમમાં ખેડૂતો પાસેથી ઘઉંની વિક્રમી ખરીદી કરવામાં આવી છે. આ વર્ષે રવી પાકમાંથી ઘઉં, ચોખા, કઠોળ અને તેલીબિયાં મળીને ખેડૂતોને 1.13 લાખ કરોડ રૂપિયા ટેકાના ભાવના આધારે ચૂકવવામાં આવ્યા છે અને આ રકમ ગયા વર્ષની તુલનાએ 30 ટકા વધારે છે. અન્ય માહિતી મુજબ દરેક ક્વિન્ટલ દીઠ ઘઉંના ટેકાના ભાવમાં 50 રૂપિયા, ચણામાં 225, જવમાં 75, મસૂરમાં 300 અને સરસવમાં 225 રૂપિયા વધારે ચૂકવવામાં આવ્યા છે. આ ઐતિહાસિક વૃદ્ધિ ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના લક્ષ્યની દિશામાં ભરાયેલું મોટું પગલું હોવાનું કહેવાય છે.

આ વિષય ઘણો લાંબો અને ઊંડો છે. આથી જ નવા કાયદાઓના બચાવમાં કહેવાયું છે કે કોઈ એક મોટી કંપની ઈજારાશાહી ઊભી કરીને ખેડૂતોને નુકસાન કરાવે એવી શક્યતા નથી. આ મુદ્દા પર આપણે આવતી કડીમાં વાત કરીશું.

————————-

ભારતમાં બજારો રોકાણનું સ્થળ બનવાને બદલે સટ્ટાનું સ્થળ બની ગયાં છેઃ જિજ્ઞેશ શાહ

”એનએસઈને એક વરિષ્ઠ રાજકારણી સાથે સંબંધ હોવાનું ચર્ચાય છે તેથી સમજી શકાય છે કે એનએસઈમાં હાઇ ફ્રીકવન્સી ટ્રેડિંગ કરનારાઓને દેશના આર્થિક ડેટા સાર્વજનિક થવા પહેલાં જ મળી જતા હશે. એક વહાલો અને બીજા બધા દવલા જેવી સ્થિતિમાં વહાલો જ કમાય એ દેખીતી વાત છે. તેનું પરિણામ એ આવે છે કે સ્ટૉક એક્સચેન્જના મારફતે મૂડીસર્જન અને રોકાણની પ્રવૃત્તિ થવાને બદલે સટ્ટો જ ખેલાતો રહે છે અને કૉ-લૉકેશન કે લેટેન્સી આર્બિટ્રેજ જેવી સ્થિતિમાં અમુક જ વહાલાઓ કમાણી કરી જાય અને બીજા બધાને નુકસાન થાય. ભારતમાં પણ આવું જ થયું હોવાથી હજી દેશમાં ઈક્વિટી કલ્ટ નિર્માણ થયો નથી, અર્થાત્ ઈક્વિટીમાં વિશ્વાસપૂર્વક રોકાણ કરવાની પ્રવૃત્તિ વધી નથી.”

ઉપર લખાયેલું વાક્ય તમે ગયા વખતના બ્લોગમાં વાંચ્યું હશે. હજી હમણાં જ આપણે કહ્યું હતું કે આ બ્લોગમાં એક વખત લખાઈ ગયેલી વાતોને પછીથી ક્યાંક ને ક્યાંકથી સમર્થન મળી જાય છે. ઉપર કહેલી આપણી વાતને ભારતના એક્સચેન્જ મૅન તરીકે ઓળખાતા જિજ્ઞેશ શાહ પાસેથી સમર્થન મળ્યું છે. તેમણે હાલમાં સન્ડે ગાર્ડિયન અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં (https://www.sundayguardianlive.com/business/indias-markets-can-become-world-beaters) કહેલી વાતો દેશની વર્તમાન સ્થિતિનો સ્પષ્ટ ચિતાર આપે છે. ચાલો, જોઈએ તેમના આ ઇન્ટરવ્યૂના અમુક અંશઃ

જિજ્ઞેશ શાહનું કહેવું છે કે ભારતમાં ટ્રેડિંગ માટેની ભરપૂર સંભાવનાઓ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એ ક્ષમતાઓનો લાભ અપાવવા માટે સક્ષમ અને સાનુકૂળ વાતાવરણ રચવાની તકેદારી લેવી જોઈએ.

આજની તારીખે ભારતીય બજારોની સ્થિતિ જેવી મજબૂત હોવી જોઈએ એવી નથી. બજારો રોકાણનું સ્થળ બનવાને બદલે સટ્ટાનું સ્થળ બની ગયાં છે. આગામી દિવસોમાં એ મટકા માર્કેટ બની જવાનું જોખમ રહેલું છે. હાલ, ઇન્ડેક્સ વધે તેને બજારની સફળતાનો માપદંડ માની લેવાય છે અને બજારમાં ભ્રામક વોલ્યુમ ઊભાં કરવામાં આવી રહ્યાં છે. વોલ્યુમ ભ્રામક એટલા માટે કહેવાય કે નાણાકીય દૃષ્ટિએ પ્રીમિયમના મૂલ્યને ગણતરીમાં લેવાને બદલે સ્ટ્રાઇક પ્રાઇસના આધારે તેની ગણતરી કરવામાં આવે છે. ટર્નઓવર નક્કી કરવામાં આવી ગણતરીઓ સદંતર ભૂલભરેલી છે. બજારમાં ઊંડાણ કેટલું છે અને પ્રવાહિતા કેટલી છે તેનો વિચાર કરવાને બદલે માર્કેટના ટર્નઓવરના આધારે તેની મજબૂતી માપવામાં આવે છે એ ખોટું કહેવાય.

અન્ય એક સવાલના જવાબમાં તેમણે કહ્યું છે કે ભારતમાં ઇસવીસન પૂર્વે છઠ્ઠી સદીથી કોમોડિટી ટ્રેડિંગની પરંપરા છે. વિશ્વમાં ચીન અને ભારત જ ટ્રેડિંગ માટે પ્રખ્યાત છે. ચીનમાં ઉદારીકરણ બાદ ઘણી પ્રગતિ થઈ, પરંતુ ભારત પાછળ રહી ગયું. ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ચીન ભારત પછી આવ્યું, છતાં આજે તેનું ટ્રેડિંગ વોલ્યુમ ભારત કરતાં ઘણું વધારે છે.

જિજ્ઞેશ શાહે એમસીએક્સ, સિંગાપોર મર્કન્ટાઇલ એક્સચેન્જ, દુબઈ ગોલ્ડ ઍન્ડ કોમોડિટી એક્સચેન્જ, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ જેવાં વિવિધ ઍસેટ ક્લાસનાં એક્સચેન્જોની સ્થાપના કરી હતી. આજે એ એક્સચેન્જોના ખરીદદારોમાં ન્યૂ યોર્ક સ્ટૉક એક્સચેન્જ તથા સંયુક્ત આરબ અમીરાતની સરકારનો સમાવેશ થાય છે. તેમણે દેશ-વિદેશમાં એક્સચેન્જ મૅન તરીકે નામના મેળવી હતી. તેમણે વધુમાં કહ્યું છે કે આજે પણ ભારત એક્સચેન્જોના વિકાસની ઘણી બધી સંભાવનાઓ ધરાવે છે, પરંતુ અત્યારે સાંકડી માર્કેટમાં છીછરી પ્રૉડક્ટ્સ લાવીને માત્ર નફો રળવાની વૃત્તિ જોવા મળી રહી છે. ખરી રીતે તો બજારનું વિસ્તૃતીકરણ કરવાની જરૂર છે.

ભારતને મેટલ્સ અને એનર્જી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં વૈશ્વિક ખેલાડી બનાવવા માટે શેની જરૂર છે એમ પુછાતાં તેમણે કહ્યું હતું કે બજારના ખેલાડીઓને તમામ  પ્રકારનો ટેકો આપવામાં આવવો જોઈએ તથા રોકાણકારોને ઉચિતપણે સહભાગી થવાનો મોકો મળવો જોઈએ.

પ્રથમ હરોળના આન્ત્રપ્રેન્યોર જિજ્ઞેશ શાહ એમ પણ કહે છે કે પ્રૉડક્ટ્સની વિશાળ શ્રેણી તૈયાર કરવા ઉપરાંત શેરધારકોને તેમના રોકાણનું મૂલ્ય અપાવે એવી મજબૂત આર્થિક સ્થિતિ તૈયાર કરવાનો કોઈ પણ વેપાર સાહસનો ઉદ્દેશ્ય હોય છે. આન્ત્રપ્રેન્યોરે ક્યારેય પોતાના વેપારના ઉદ્દેશ્ય તથા મજબૂત આર્થિક સ્થિતિ તરફ દુર્લક્ષ કરવું જોઈએ નહીં. આન્ત્રપ્રેન્યોરમાં એવી દૃષ્ટિ હોવી જોઈએ. લોકોને ફસાવવા માટે ફક્ત મોટી મોટી વાતો કરનારા લોકો લાંબા સમય સુધી ટકી શકતા નથી.

નાણાકીય બજારમાં આવી રહેલી નવી નવી ટેક્નૉલૉજીઓ વિશે તેઓ જણાવે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્રિપ્ટોકરન્સી એ બન્ને નવી ટેક્નૉલૉજીઓ નાણાકીય ઉદ્યોગમાં મોટા પાયે પ્રવેશ કરવા આવી રહી છે. તેનો ઉપયોગ અમુક ગણ્યાગાંઠ્યા લોકોની અનુચિતપણે તરફેણ કરવા માટે નહીં, પણ બજારના હિતમાં કરવામાં આવવો જોઈએ.

ભારતની ભાવિ સંભાવનાઓ વિશે જિજ્ઞેશ શાહ જણાવે છે કે ભારત ટોકિયો અને લંડનની વચ્ચેના આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર તરીકે ફરી એક વાર કાઠું કાઢી શકે છે. દેશનું અર્થતંત્ર ઘણું મોટું છે અને ગ્રાહકદીઠ વપરાશનું પ્રમાણ વધી શકે છે. આ રીતે વ્યક્તિદીઠ આવક વધીને 2,000 ડૉલરના વિકસિિત દેશોના સ્તર સુધી પહોંચી શકે છે.

——————————–

હવે જાહેરમાં બોલાવા લાગ્યું, ”પોતાના બાપાનો માલ હોય એ રીતે પી. ચિદમ્બરમે ઉદ્યોગપતિઓને પૈસા લૂંટાવ્યા છે”

દેશ સામે નોન પરફોર્મિંગ ઍસેટ્સની વિકરાળ સમસ્યા ઊભી છે ત્યારે અમર સિંહનું નિવેદન ઘણું મહત્ત્વપૂર્ણ બની જાય છે

અમર સિંહ

સત્તા સામે શાણપણ નકામું હોય છે, પરંતુ જ્યારે માણસ સત્તા પરથી ઊતરી જાય ત્યારે તેની ખરી હેસિયત દેખાઈ જાય છે. હાલ ભૂતપૂર્વ નાણાપ્રધાન અને ભૂતપૂર્વ ગૃહપ્રધાન પી. ચિદમ્બરમના કેસની વાતો ચાલી રહી છે અને તેમના કિસ્સામાં ઉક્ત વાત સાચી ઠરે છે. ચિદમ્બરમ સત્તા પર હતા ત્યારે તેમના વિરુદ્ધ બોલવાનું ઘણું મુશ્કેલ હતું. તેનું દેખીતું કારણ છે કે તેઓ સત્તાના જોરે અમિત શાહને જેલમાં નખાવી શક્યા હતા. તેમણે અમિત શાહની જેમ સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અને રાજ્યસભાના સભ્ય અમર સિંહને પણ થોડા દિવસ માટે જેલમાં મોકલવામાં ભૂમિકા ભજવી હોવાનું બહાર આવ્યું છે.

અમર સિંહે પોતે ટ્વીટર પર પોસ્ટ કરેલા વિડિયો (જે હવે યુટ્યુબ પર ઉપલબ્ધ છેઃ https://youtu.be/uSBOlxFG56I) સંદેશ મુજબ તેમણે કૉંગ્રેસને સમર્થન આપ્યું હોવા છતાં તેમને 2011માં જેલમાં અદાલતી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

સિંહે ડૉ. મનમોહન સિંહને 2008માં વિશ્વાસનો મત જિતાડવા માટે ત્રણ સંસદસભ્યોને લાંચ આપી હોવાનો આરોપ હતો. તેઓ બીમાર હોવાનું તેમના વકીલોએ અદાલતને કહ્યું હોવા છતાં દિલ્હીની અદાલતે તેમને તિહાર જેલમાં અદાલતી કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો હતો. ડાયાબિટીસના દરદી અમર સિંહને એ વખતે કિડનીની ગંભીર તકલીફ હતી. દસ વર્ષ પહેલાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર અમર સિંહને ફરી એ જ વ્યાધિ હોવાથી તેઓ આ વિડિયો બનાવતી વખતે હૉસ્પિટલમાં હતા. ટ્વીટર પર વાઇરલ થયેલા વિડિયોમાં તેમણે હવે કહ્યું છે કે તેમની બીમારીની અવગણના કરીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમને ગણતરીના દિવસ જેલમાં રખાયા બાદ અદાલતે પુરાવાના અભાવે મુક્ત કર્યા હતા.

આ જ નેતાએ વિડિયોમાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ઉદ્દેશીને કહ્યું છે કે દેશમાં અબજો રૂપિયાની નોન પરફોર્મિંગ ઍસેટ્સ બની ગયેલી લોન અપાવવામાં કૉંગ્રેસના નાણાપ્રધાન પી. ચિદમ્બરમની ભૂમિકા હતી. બોલવામાં પણ શરમ આવે એ રીતે ઉદ્યોગપતિઓ ચિદમ્બરમને સાધીને પોતાની લોનો મંજૂર કરાવતા હતા. આ બધી વાતોના પુરાવા પોતાની પાસે હોવાનો તેમણે દાવો કર્યો છે.

અમર સિંહે એવો પડકાર પણ ફેંક્યો છે કે જો પોતાના પિતાજીનો માલ હોય એ રીતે મોટા-મોટા ઉદ્યોગપતિઓમાં પૈસા લૂંટાવનારી વ્યક્તિ પી. ચિદમ્બરમ ન હોય તો રાહુલ ગાંધીએ શ્વેતપત્ર બહાર પાડવું.

તેમણે કહ્યું છે, અત્યારે અર્થતંત્ર ડૂબી રહ્યું છે અને તેના મૂળમાં છે શ્વેત લુંગીધારી ભ્રષ્ટ ચિદમ્બરમ, ચિદમ્બરમ, ચિદમ્બરમ.

પોતે જે બોલી રહ્યા છે તેના પુરાવા પોતાની પાસે છે એવું પણ તેમણે કહ્યું છે. તેમનું કહેવું છે કે પોતાના પિતાજીનો માલ હોય એ રીતે ઉદ્યોગપતિઓમાં પૈસા લૂંટાવનારા પી. ચિદમ્બરમ હવે સીબીઆઇને કાયદાનો પાઠ પઢાવી રહ્યા છે.

આપણે હાલમાં જ એક બ્લોગમાં લખ્યું હતું કે બાપાનો માલ હોય એ રીતે આ દેશના અનેક નેતાઓ વર્ત્યા છે. અમર સિંહના વિડિયોમાં પણ એ જ વાત બહાર આવી છે. તેમણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે પી. ચિદમ્બરમે પિતાજીનો માલ હોય એમ મોટા-મોટા ઉદ્યોગપતિઓને લોનો અપાવી.

અત્યારે દેશની આર્થિક સ્થિતિ નબળી છે તેની પાછળ માત્ર દેશી નહીં, વિદેશી પરિબળો પણ જવાબદાર છે. ચીન અને અમેરિકાનું વેપારયુદ્ધ તેમાંનું એક મોટું પરિબળ છે. સાથે જ એ વાત કહેવી રહી કે ભારતમાં નોન પરફોર્મિંગ ઍસેટ્સની સમસ્યા વિકરાળ સમસ્યા છે અને તેને કારણે આપણો ખમતીધર દેશ પણ આર્થિક મુશ્કેલીમાં સપડાયો છે.

પી. ચિદમ્બરમ જેવા નેતાઓને જો ભ્રષ્ટાચાર બદલ સજા થાય તો એમાં ખોટું શું છે એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એ નોંધવું ઘટે કે સત્તાધારી નેતાની ધાક એટલી મોટી હોય છે કે તેમના વિશે રાષ્ટ્રીય કક્ષાના વિપક્ષી નેતાઓ પણ અવાજ ઉઠાવી શકતા નથી.

——————————————

પ્રજાના સેવકોને રાજા બનાવવાની માનસિકતામાંથી બહાર આવો….

રાજકારણીઓ આટલા બધા પેધી ગયા છે એવું આપણે ગયા વખતના બ્લોગમાં કહ્યું હતું. આમ કહેવા પાછળનું કારણ એ છે કે જનતાની સેવાના નામે જાતે મેવા ખાવા જવાનું છે એવું માનીને જ મોટાભાગના લોકો રાજકારણમાં જતા હોય છે. તેમની આવી સમજની પાછળ ભારતીયોની માનસિકતા જવાબદાર હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે.

લાંચ હોય કે દહેજ હોય, તેમાં લેનારની જેટલો જ દોષી આપનાર પણ હોય છે. પોતાનું કામ સરળતાથી પતી જાય એ માટે નાની-મોટી ગિફ્ટ આપવાની પ્રથા કાળક્રમે પ્રચંડ માત્રામાં લાંચ લેવાની સિસ્ટમ બની જાય છે. આપણા પારિવારિક સ્તરથી જ આ લાંચ શરૂ થતી હોય છે. તેનું સૌથી મોટું ઉદાહરણ નાના બાળકને કંઈક કરવા માટે કે કંઈક નહીં કરવા માટે અપાતી લાલચ હોય છે. ”તું ગીત ગા તો તને ચોકલેટ આપીશ”, ”તું સારા માર્ક્સ લાવીશ તો તને સાયકલ લાવી આપીશ”, ”તું કજિયા નહીં કરે તો તને બહાર ફરવા લઈ જઈશ”. એવાં બધાં વિધાનો શું સૂચવે છે? બાળકને નાનપણમથી જ આવી લાલચો આપી-આપીને બગાડવામાં આવે છે. પછીથી જ્યારે એ કંઈ પણ લીધા વિના કામ કરવા તૈયાર ન થાય ત્યારે એ જ માતાપિતા બળાપો કાઢતાં હોય છે કે છોકરો બહુ બગડી ગયો છે.

તસવીર સૌજન્યઃ indiacelebrating.com

પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે લોકો રાજકારણીઓને લાંચ-રુશ્વત આપવા લાગી જાય છે

પોતાના જીવનમાં શાંતિ થાય એ માટે બાળકની આદતો બગાડવાનું કામ જે રીતે થાય છે. પછીથી બાળક મોટું થઈને એ જ વાતનું અનુકરણ કરે છે. તેના મનમાં ગ્રંથિ બંધાઈ જાય છે કે પોતાનું કામ કરાવવું હોય તો સામેવાળાને કંઈક આપવું જ પડે છે. એ જ રીતે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે લોકો રાજકારણીઓને લાંચ-રુશ્વત આપવા લાગી જાય છે.

ટ્રેનમાં જગ્યા ન હોય તો ટીટીઈને લાંચ આપવી, રસ્તા પર બાંકડો લગાવવો હોય તો પાલિકાના અધિકારીઓને લાંચ આપવી, શાળામાં પ્રવેશ જોઈતો હોય તો તેના સંચાલકોને લાંચ આપવી, સરકારી કાર્યાલયમાં પોતાની ફાઇલ પર જલદી નિર્ણય આવે એ માટે ત્યાંના અધિકારીઓને લાંચ આપવી, પોતાને કોન્ટ્રેક્ટ મળે એ માટે સંબંધિત ખાતાના પ્રધાનને લાંચ આપવી એ બધી પ્રવૃત્તિનો જનક દેશનો નાગરિક જ હોય છે. જો આપનાર હોય તો જ લેનાર પેદા થાય એ સ્પષ્ટ વાત છે.

તસવીર સૌજન્યઃ એદ્રિયા ફ્રુતો

જનતાના સેવક કે રાજા?

બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે આપણે ત્યાં રાજાશાહી નહીં હોવા છતાં સત્તાધારીઓને રાજા જેટલું જ માન આપવામાં આવે છે. કોઈ વ્યક્તિને માન આપવામાં આવે એ સહજ છે, પરંતુ વધુપડતું માન આપવામાં આવે અને માથે ચડાવી દેવાય એ બીજી વાત છે. આપણે ત્યાં તો સામાન્ય પંચાયતના પ્રમુખને પણ રાજા જેટલું માન આપવાની પ્રથા પડી ગઈ છે. એક બાજુ આપણે કહે છીએ કે રાજકારણીઓ અને સરકારી કર્મચારીઓ તો જનતાના સેવક હોય છે અને બીજી બાજુ આપણે જ તેમને રાજાનો દરજ્જો આપીને તેમને માથે ચડાવી દઈએ છીએ.

કોઈ નગરસેવક પણ મત માગવા આવે તો તેની પાછળ ચમચાઓની ફોજ હોય અને જાણે સ્વર્ગમાંથી કોઈ ઊતરી આવ્યું હોય એમ નાગરિકો તેને વધુપડતું માન આપીને માથે ચડાવી દેતા હોય છે. એ જ રાજકારણીને પછીથી અમુક ઉદઘાટનો માટે કે પોતાના પ્રસંગો માટે બોલાવીને લોકો ફુલાતા હોય છે.

ટૂંકમાં, આ દેશમાં પ્રજાનો સેવક ગણાવો અને મનાવો જોઈએ એ માણસ સાથે પ્રજાના શાસક જેવો વ્યવહાર થાય છે અને પછીથી તેની આદત બગાડીને પછીથી ફરિયાદ કરાય છે કે રાજકારણીઓ તો બધા ભ્રષ્ટ છે અને રાજકારણ તો સાવ ગંદું છે.

ગુલામીની માનસિકતા હજી ગઈ નથી!

દેશને આઝાદી મળ્યાને 72 વર્ષ થઈ જવા છતાં લોકોની ગુલામીની માનસિકતા આજે પણ ગઈ નથી. તેનું પરિણામ એ આવ્યું કે આજની તારીખે શાસન સાથે સંકળાયેલા સૌ એ વાત ભૂલી ગયા છે કે તેઓ પ્રજાના સેવકો છે, માલિક નહીં. દેશની લોકશાહીમાં જનપ્રતિનિધિઓ પ્રજાની સેવા કરવા માટે ચૂંટાય છે; પ્રજા પર રાજ કરવા માટે નહીં.

તસવીર સૌજન્યઃ gettyimages/istockphotos

પ્રજાની યાદશક્તિ ઘણી ઓછી હોય છે એ વાતનો ગેરફાયદો રાજકારણીઓ ઉઠાવતા હોય છે. અત્યાર સુધીમાં કેટકેટલાંય કૌભાંડો બહાર આવ્યાં, પરંતુ જનતાએ હંમેશાં થોડા દિવસ તેની ચર્ચા કરી અને પછી તેને ભુલાવી દીધી. અખબારોમાં થોડા દિવસ જોરશોરથી ઊહાપોહ મચ્યા બાદ બધું રાબેતા મુજબ થઈ જાય. નાગરિકોએ ક્યારેય જાગૃત જનતા તરીકેની જવાબદારી નિભાવી નથી. થોડા દિવસ બળાપો કાઢ્યા બાદ ફરી પોતાના રોજિંદા જીવનમાં જોતરાઈ જવાની બધાને આદત પડી ગઈ છે. એક રાષ્ટ્રીય નૈતિક બળ ઊભું નહીં થવાને કારણે બધા રાજકારણીઓને ભાવતું મળી જાય છે. વળી, રાજકારણીઓ ત્યારે જ કૌભાંડો કરી શકે, જ્યારે લોકો તેમને પૈસા આપવા માટે તૈયાર હોય. અહીં ઉપર કહેલો મુદ્દો ફરી ઉપસ્થિત થાય છે. રાજકારણીઓને પૈસા આપનારાઓ રાજકારણીઓ હોતા નથી. તેઓ તો જનતામાંથી જ હોય છે. દા.ત. રાજકારણીઓને લાંચ આપીને કે બીજા લાભ આપીને પોતાના માટે કૉર્પોરેટ્સે લોનો લીધી અને પછી એ બધી લોનો નોન પરફોર્મિંગ ઍસેટ્સ બની ગઈ. આવા કેસમાં રાજકારણીઓ જેટલી જ દોષિત કૉર્પોરેટ્સ પણ છે.

અન્યાય કરવાવાળા જેટલી જ જવાબદાર અન્યાય સહન કરવાવાળી વ્યક્તિ પણ હોય છે

આઇએનએક્સ કેસમાં પી. ચિદમ્બરમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઇ માટે દોષિત છે એ જ રીતે ઇન્દ્રાણી તથા પીટર મુખર્જી પણ દોષિત છે. ચિદમ્બરમ રાજકારણી છે અને ઇન્દ્રાણી તથા પીટર મુખર્જી સામાન્ય નાગરિકો કહો તો નાગરિકો અને કૉર્પોરેટ કહો તો કૉર્પોરેટ છે. આમ, કૉર્પોરેટ્સ પણ ભ્રષ્ટાચાર માટે જવાબદાર છે. વળી, અત્યાર સુધી અનેક કૌભાંડો બહાર આવવા છતાં નહીં જાગેલી પ્રજા પણ જવાબદાર છે. અન્યાય કરવાવાળા જેટલી જ જવાબદાર અન્યાય સહન કરવાવાળી વ્યક્તિ પણ હોય છે.

એકંદરે ભારતની જનતાએ હવે જાગવાની અને પોતાના અધિકારો પ્રત્યે સભાન થઈને જાગૃત નાગરિકો તરીકેના કર્તવ્યનું પાલન કરવાની જવાબદારી છે.

નેતાઓ અને અભિનેતાઓની પાછળ ગાંડા થઈને ફરવાનું બંધ કરીને પોતાનું મૂલ્ય સમજવાની દરેક નાગરિકે જરૂર છે. લોકશાહીમાં જનતા જ પ્રથમ ક્રમે આવે છે. આથી તેણે પોતાના અધિકારો અને કર્તવ્યો નિભાવવાની ખાસ આવશ્યકતા છે. ‘યહ પબ્લિક હૈ યહ સબ જાનતી હૈ…’ એવું ગીત સાંભળવામાં સારું લાગે છે, પણ અહીં કહી દેવું ઘટે કે અગર સબ જાનતી હૈ તો ક્યોં કોઈ કારવાઈ નહીં કરતી? ક્યોં અપની આવાજ નહીં ઉઠાતી? ક્યોં અન્યાય સહ લેતી હૈ? ક્યોં પ્રજા કે સેવકોં કો રાજા બનાકર સર પે બિઠાતી હૈ ઔર ફિર ઉનકે હી બોજ તલે દબ જાતી હૈ?

————————————-

પી. ચિદમ્બરમ હોય, હૂડા હોય કે શરદ પવાર હોય, બધા જ કેસમાં ‘આગ હોય તો જ ધુમાડા થયા હોય’ની સ્થિતિ છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 15મી ઑગસ્ટે લાલ કિલ્લા પરથી આપેલા ભાષણના બે મુદ્દાઓને પી. ચિદમ્બરમે વખાણ્યા ત્યારે જ જનતાને સમજાઈ ગયું હતું કે આ ભૂતપૂર્વ નાણાપ્રધાનને પોતાની ધરપકડના ભણકારા સંભળાઈ ગયા છે. જનતા જનાર્દનને સમજાઈ ગયેલી વાત 21મી ઑગસ્ટે સાચી પુરવાર પણ થઈ ગઈ.

આ જ રીતે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દરસિંહ હુડાએ કાશ્મીરને લગતી કલમ 370 રદ કરાવવાના સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું ત્યારે પણ લોકોને લાગ્યું હતું કે હૂડા કોઈક રીતે ક્યાંક બચવા માગી રહ્યા છે. તેમની આ શંકા સોમવારે 26મી ઑગસ્ટે સાચી ઠરી, જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) પંચકુલા જમીન સોદા સંબંધે હૂડાની સામે ચાર્જશીટ નોંધાવી. હૂડા ઉપરાંત કૉંગ્રેસના પીઢ નેતા મોતીલાલ વોરા વિરુદ્ધ પણ ચાર્જશીટ ફાઇલ થઈ છે. કૉંગ્રેસે શરૂ કરેલી ઍસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડને કરાયેલી જમીનની ફાળવણીમાં ગેરરીતિ કરી હોવાનો તેમના પર આરોપ મૂકવામાં આવ્યો છે.

ઉક્ત બન્ને નેતાઓ સામે પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. ચંડીગઢની નજીકના પંચકુલા ખાતે હૂડા સરકારે 1992માં ઍસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ)ને જમીન ફાળવી હતી. એજેએલની સ્થાપના નૅશનલ હેરાલ્ડ અખબારનું પ્રકાશન કરવામાં માટે થઈ હતી. એક સમયે આ જમીન એજેએલને ફાળવાઈ હતી, પરંતુ તેના પર નિર્ધારિત સમયગાળામાં કોઈ બાંધકામ નહીં થતાં અગાઉની ભજનલાલ સરકારે હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી હેઠળ હસ્તગત કરી લીધી હતી. ભૂપિન્દરસિંહ હૂડા 2005માં મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમણે મોતીલાલ વોરાની ભલામણના આધારે 23 વર્ષ જૂના ભાવે એ જમીન ફરીથી એજેએલને ફાળવી હતી. આમાં વાંધો એ વાતનો છે કે બજારભાવ 64.93 કરોડ રૂપિયા હોવા છતાં તેની ફાળવણી ફક્ત 69.39 લાખ રૂપિયામાં કરવામાં આવી.

આ ફાળવણી સંબંધે સીબીઆઇએ તપાસ કરીને ડિસેમ્બર 2018માં ચાર્જશીટ નોંધાવી હતી અને તેનો ખટલો હાલ પંચકુલાની સીબીઆઇ અદાલતમાં ચાલી રહ્યો છે અને હૂડા તથા વોરા એ કેસમાં જામીન પર મુક્ત થયા છે. હવે ઈડીએ તેમની સામે મોરચો માંડ્યો છે. હૂડા કૉંગ્રેસ છોડી જવાની વેતરણમાં હતા એવા સમયે તેમની સામે ઈડીએ ચાર્જશીટ નોંધાવી છે એ વાતની નોંધ લેવી ઘટે.

બીજી વાત પી. ચિદમ્બરમની છે. તેઓ અત્યારે સીબીઆઇની કસ્ટડીમાં છે અને ઈડી તેમની સામેનો કેસ તૈયાર કરી રહી છે. ઈડીએ સોમવારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે આ નેતા આર્જેન્ટિના, ઑસ્ટ્રિયા, બ્રિટિશ વર્જિન આઇલૅન્ડ્સ, ફ્રાન્સ, ગ્રીસ, મલયેશિયા, મોનેકો, ફિલિપાઇન્સ, સિંગાપોર, સાઉથ આફ્રિકા, સ્પેન અને શ્રીલંકામાં બૅન્ક ખાતાં તથા મિલકતો ધરાવે છે. તેમના બધા વ્યવહારો તેમણે સ્થાપેલી બોગસ કંપનીઓ મારફતે થતા હતા. ઈડીએ એવો આરોપ પણ મૂક્યો છે કે આરોપી આઇએનએક્સ મીડિયા કેસમાં પુરાવા નષ્ટ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તથા સાક્ષીઓ પર દબાણ લાવી રહ્યા છે. પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિની ધરપકડ કરાવાની શક્યતા હોવાનું પણ તેણે દર્શાવી આપ્યું છે. મદ્રાસ વડી અદાલતે કાર્તિની ધરપકડ સામે રક્ષણ આપ્યું હોવાથી ઈડીએ તેની સામે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે.

આગામી દિવસોમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રમુખ શરદ પવાર પણ કોઈક કાનૂની કેસ સંબંધે સકંજામાં આવી શકે છે. તેનું કારણ એ છે કે મુંબઈ વડી અદાલતે મહારાષ્ટ્ર સ્ટેટ કૉ-ઓપરેટિવ બૅન્ક સંબંધિત 1,000 કરોડ રૂપિયાના કૌભાંડ સંબંધે શરદ પવાર, તેમના ભત્રીજા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર તથા બીજા 70 લોકો સામે એફઆઇઆર નોંધાવવાનો મુંબઈ પોલીસને ગત 22મી ઑગસ્ટે આદેશ આપ્યો હતો. તેને પગલે મુંબઈના એમઆરએ માર્ગ પોલીસે એફઆઇઆર નોંધાવી છે, પરંતુ તેમાં શરદ પવાર કે અજિત પવારનો નામોલ્લેખ કરવામાં આવ્યો નથી.

નિયમોનું ઉલ્લંઘન કરીને આ બૅન્કે ખાંડનાં કારખાનાં માટે લોન આપી હતી અને તેને પગલે બૅન્કને 25,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું ફરિયાદી સુરિન્દર અરોરાએ કહ્યું છે. તેમણે આ બાબતે વડી અદાલતમાં ફોજદારી જનહિતની અરજી નોંધાવી છે. ફરિયાદમાં અજિત પવાર ઉપરાંત રાષ્ટ્રવાદી પક્ષના ભૂતપૂર્વ નેતા – વિજયસિંહ મોહિતે-પાટીલ અને ભૂતપૂર્વ સાંસદ તથા બૅન્કના ભૂતપૂર્વ ડિરેક્ટર આનંદરાવ અડસૂળનાં નામ પણ આપવામાં આવ્યાં છે. બૅન્કમાં 2002થી 2017 સુધીના ગાળામાં સતત છેતરપિંડી થતી રહી છે અને બૅન્કના ડિરેક્ટરોએ પોતાના લોભને સંતોષવા બૅન્કિંગના નિયમો તથા રિઝર્વ બૅન્કનાં ધોરણોનો ભંગ કરીને બૅન્કને તો નુકસાન કર્યું જ છે, સાથે સાથે ગ્રામીણ અર્થતંત્રને પણ નુકસાન કર્યું છે.

અહીં જણાવવું રહ્યું કે મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બૅન્ક સતત ખોટમાં રહી છે અને તેમાં દાળમાં કાળું હોવાની શંકા વર્ષોથી થતી આવી છે. આમ છતાં, મહારાષ્ટ્રમાં કૉંગ્રેસની સરકાર હોવાથી એ બાબતે કોઈ નક્કર કાર્યવાહી થતી ન હતી.

હાલમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઑફિસમાં નવ કલાક સુધી પૂછપરછનો સામનો કરીને આવ્યા છે. આઇએલઍન્ડએફએસના કથિત પૅમેન્ટ ડિફોલ્ટ કેસમાં ચાલી રહેલી મની લૉન્ડરિંગની તપાસ સબબ રાજને સમન્સ મોકલવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના શિવસેનાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશીના દીકરા ઉન્મેષ જોશીની સાથે મળીને રાજ ઠાકરેએ કોહીનૂર મિલની જગ્યાએ કોહીનૂર સીટીએનએલ કંપની સ્થાપી હતી. આઇએલઍન્ડએફએસે તેમાં 450 કરોડ રૂપિયા મૂલ્યની લોન ઈક્વિટી રોકી હતી. એ લોનમાં ગેરરીતિ થઈ હોવાની શંકાને પગલે ઉન્મેષ અને રાજ બન્નેની પૂછપરછ કરવામાં આવી છે.

ઉક્ત દરેક કેસમાં અત્યારે ઘણા લોકોને રાજકીય કિન્નાખોરી દેખાતી હશે, પરંતુ દરેકમાં સંડોવાયેલા નેતાઓ વિશે જનતા પહેલેથી સાશંક રહી છે. તેમાંય પી. ચિદમ્બરમ અને શરદ પવાર તો આ દેશના સૌથી વધુ શ્રીમંત રાજકારણીઓ હોવાનું ‘બચ્ચાં-બચ્ચાં જાનતા હૈ’ની સ્થિતિ રહી છે.

રાજકારણીઓ આટલા બધા પેધી ગયા છે તેની પાછળ ભારતીયોની માનસિકતા અને તેમનું વલણ કઈ રીતે જવાબદાર છે તેના વિશે આપણે આવતી કડીમાં વાત કરીશું.

———————–

ચિદમ્બરમ, કરન્સી સ્કેમ, નોટબંધી, પાકિસ્તાન, વગેરે વગેરે

(ડાબેથી અરવિંદ માયારામ, પી. ચિદમ્બરમ અને અશોક ચાવલા)

ચિદમ્બરમ આપણા દેશના હોવા છતાં દેશ માટે દુશ્મન હોય એ રીતે વર્ત્યા છે એવી શંકા જગાવતા અહેવાલ સતત બહાર આવી રહ્યા છે. અત્યાર સુધી તેમની વગ તેમનાં કાળાં કારનામાને દબાવી રાખવામાં ચાલતી રહી હતી, પણ કહે છે ને કે પાપ છાપરે ચડીને પોકારે છે….

ચિદમ્બરમનાં અને તેમનાં મળતિયાઓનાં પગલાં રાષ્ટ્રવિરોધી હતાં એ હવે સામે આવવા લાગ્યું છે. મોદી સરકારે નોટબંધી શા માટે લાવવી પડી એ સવાલના જવાબ પણ મળે છે.

ચિદમ્બરમની હરકત પાકિસ્તાનના બદમાશ વર્ગને કઈ રીતે ફાયદો કરાવતી હતી તેનો પર્દાફાશ પણ થઈ રહ્યો છે. અહીં આપણે તેની ઝલક જોઈએ, જેમાં ચિદમ્બરમનાં કાળાં કામ ખુલ્લાં પડે છેઃ

ગયા વખતના બ્લોગમાં આપણે જોયું કે એનએસઈએલ ટ્રેડરોને ચૂકવણી કરવા બંધાયેલું નથી, એવું રિઝર્વ બૅન્કે કહ્યું હોવા છતાં આર્થિક બાબતોના તત્કાલીન સચિવ અરવિંદ માયારામની સમિતિની ભલામણોના આધારે એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ના કેસમાં એમપીઆઇડી કાયદો લાગુ કરવામાં આવ્યો. એ વાતને છ વર્ષ થવા આવ્યાં ત્યારે મુંબઈ વડી અદાલતે એમપીઆઇડી કાયદો લાગુ પડતો નહીં હોવાનું કહીને સત્યને સમર્થન આપ્યું છે.

માયારામ સમિતિની નિમણૂક તત્કાલીન નાણાપ્રધાન પી. ચિદમ્બરમના કહેવાથી થઈ હતી. હવે મજાની વાત એ છે કે જેમાં ખોટું પગલું ભરવામાં આવ્યું હતું એવા એનએસઈએલ કેસમાં સત્ય પ્રગટ થયું છે અને જે સત્યને દબાવીને રાખવામાં આવ્યું હતું એ સત્ય પ્રગટ થતાં પી. ચિદમ્બરમ અત્યારે સીબીઆઇની કસ્ટડીમાં છે. આ જ ચિદમ્બરમને લગતાં અનેક તથ્યો અત્યારે વિવિધ પ્રસાર માધ્યમોમાં બહાર આવી રહ્યાં છે અને તેમના અનેક ગોરખધંધા વિશે લોકો રોષપૂર્વક વાતો કરી રહ્યા છે.

પી. ચિદમ્બરમ અને અરવિંદ માયારામને લગતો એક કિસ્સો અત્યારે યુટ્યુબ પર ચર્ચાસ્પદ બની ગયો છે. યુટ્યુબ પર ઇન્ડિયા સ્પીક્સ નામની ન્યૂઝ ચૅનલ ચલાવનારા સંદીપ દેવ નામની વ્યક્તિએ અપલોડ કરેલા વિડિયોને હજારોની સંખ્યામાં લાઇક મળી રહી છે અને એ વિડિયો એટલી જ મોટી સંખ્યામાં લોકો જોઈ રહ્યા છે. એ વિડિયોમાંની મોટાભાગની માહિતી ધરાવતો અહેવાલ પીગુરુસ ડોટ કોમ વેબસાઇટ પર છેક 13 જાન્યુઆરી, 2019ના રોજ અહેવાલ પ્રગટ થયો હતો.

ચિદમ્બરમ પકડાયા છે તેથી બધા કિસ્સા બહાર આવી રહ્યા છે એવું નથી. તેમને સીબીઆઇએ ધરપકડ માટે હાથ પણ લગાડ્યો ન હતો ત્યારે પીગુરુસ પર આ સ્કેમ વિશે પ્રકાશ પાડવામાં આવ્યો હતો. એ કિસ્સામાં જેનું નામ સંડોવાયેલું હતું એવી બ્રિટનની ડે લા રુ નામની કંપની વિશે સ્થાનિક સીરિયસ ફ્રોડ ઑફિસે તપાસ શરૂ કરી હોવાનો અહેવાલ હજી ગયા જ મહિને ‘ફાઇનાન્શિયલ ટાઇમ્સ’, ‘ધ ગાર્ડિયન’ અને ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ જેવાં વિવિધ પ્રસાર માધ્યમોમાં પ્રગટ થયો હતો.

ભારતમાં થયેલા કરન્સી સ્કેમની વિગતો એટલી જટિલ છે કે તેની વાત ક્યાંથી શરૂ કરવી એ જ સમજાતું નથી. એનએસઈએલથી શરૂ થયેલી વાત આજે બ્રિટનની ડે લા રુ સુધી પહોંચી છે તેનું એકમાત્ર કારણ ચિદમ્બરમ છે. એનએસઈએલમાં તેમણે કાવતરું રચ્યું હોવાનો આક્ષેપ છે અને એ સત્ય ધીમેધીમે પ્રગટ થઈ રહ્યું છે. અરવિંદ માયારામ, ચિદમ્બરમ, ડે લા રુ અને કરન્સી સ્કેમ એ બધાં એકદમ નિકટથી સંડોવાયેલાં છે અને આજની તારીખે એ બધા જ ચર્ચામાં છે.

પીગુરુસ ડોટ કોમના ગત જાન્યુઆરીના અહેવાલ મુજબ પી. ચિદમ્બરમ, અરવિંદ માયારામ અને અશોક ચાવલા એ ત્રણે વ્યક્તિઓ કરન્સી સ્કેમમાં સંડોવાયેલી છે. તેમણે ત્રણેએ બ્રિટનની ડે લા રુ પાસેથી સિક્યૉરિટી પ્રિન્ટિંગ પૅપર એટલે કે ભારતની કરન્સી નોટ છાપવા માટેનો કાગળ ખરીદવા માટે કરાર કર્યો હતો. અશોક ચાવલાનું નામ આવ્યું છે તો તેનો પણ ખુલાસો કરી દઈએ. કરન્સી સ્કેમ ઉપરાંત એરસેલ-મેક્સિસ કેસ (જેમાં ચિદમ્બરમ સંડોવાયેલા છે)માં પણ અશોક ચાવલા સંડોવાયેલા છે. ચાવલાની સામે એરસેલ-મેક્સિસ કેસમાં ચાર્જશીટ નોંધાવાયેલી છે.

ઉક્ત વેબસાઇટ મુજબ (https://www.pgurus.com/de-la-rue-currency-scam-how-pc-and-a-few-officials-compromised-national-security/) 2005માં અરવિંદ માયારામ નાણાં મંત્રાલયમાં સંયુક્ત સચિવ અને અશોક ચાવલા અતિરિક્ત સચિવ હતા. કોઈ પણ સ્કેમ પ્લાનિંગ સાથે જ થતું હોય છે. આવા જ પ્લાનિંગ પ્રમાણે ઉક્ત ત્રિપુટીએ સિક્યૉરિટી પ્રિન્ટિંગ ઍન્ડ મિન્ટિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (એસપીએમસીઆઇએલ)ની સ્થાપના 2006માં કરવામાં આવી હતી. તેના મૅનેજિંગ ડિરેક્ટર તરીકે અરવિંદ માયારામ અને ચેરમેન તરીકે અશોક ચાવલાની નિમણૂક કરવામાં આવી હતી. સરકારી અમલદારોને આ રીતે કોઈ કંપની સ્થાપીને તેના ઉચ્ચાધિકારી બનાવવામાં આવે એ જ આશ્ચર્યજનક બાબત છે. આશ્ચર્યમાં ઉમેરો કરનારી બાબત એ પણ છે કે તેમની નિમણૂક કેબિનેટની અપોઇન્ટમેન્ટ કમિટીની મંજૂરી વગર જ કરવામાં આવી હતી. ચાવલા અને માયારામે ભારતીય રિઝર્વ બૅન્ક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડને કહ્યું કે તેણે એસપીએમસીઆઇએલની મદદથી સિક્યૉરિટી પ્રિન્ટિંગ પૅપરના સપ્લાયરની શોધ કરવી.

ડે લા રુ કંપનીએ 2010માં જાહેર કર્યું કે તેના અમુક કર્મચારીઓએ સિક્યૉરિટી પ્રિન્ટિંગ પૅપરની ગુણવત્તા બાબતે જુઠાણું ચલાવ્યું હતું અને તેની અસર ભારત સરકારને આ પૅપર આપવાના કોન્ટ્રેક્ટ પર પડી હતી. કંપનીએ પોતે જ એકરાર કર્યા બાદ ભારત સરકારે ડે લા રુ કંપનીને બ્લેકલિસ્ટ કરી દીધી. આ પગલું ચિદમ્બરમે ગૃહ મંત્રાલયની સાથે સલાહમસલત કર્યા બાદ ભર્યું હતું. એ ઘટનાના તુરંત બાદ પ્રણવ મુખર્જીને નાણાપ્રધાન બનાવવામાં આવ્યા, પરંતુ ભારતને વચ્ચે-વચ્ચે ડે લા રુ પાસેથી સિક્યૉરિટી પ્રિન્ટિંગ પૅપર મળતું હતું. વર્ષ 2011-12 સુધીમાં ભારત સરકારે નવા સપ્લાયર માટે ઈ-ટેન્ડર જારી કરવાની તૈયારી શરૂ કરી દીધી હતી. 1 ઑગસ્ટ, 2012 સુધીમાં માયારામ ચિદમ્બરમની આગેવાની હેઠળ આર્થિક બાબતોના સચિવ બની ગયા હતા.

આમાં ગરબડ ક્યાં આવી?

અરવિંદ માયારામ સારી રીતે જાણતા હતા કે ડે લા રુને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. આમ છતાં તેમણે ડે લા રુ પાસેથી સિક્યૉરિટી પ્રિન્ટિંગ પૅપર લેવાનું ચાલુ રાખ્યું. ચલણી નોટોમાં મુકાતા તારની પેટન્ટ ડે લા રુ પાસે હોવાથી તેની ખરીદી પણ તેની પાસેથી કરવામાં આવી.

સરકારે નીમેલી શીલભદ્ર બેનર્જી કમિટીએ નોટોનાં ફીચર બદલવા માટે ઈ-ટેન્ડર બહાર પાડવા કહ્યું હતું અને એ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. માયારામે બ્લેકલિસ્ટેડ કંપની પાસેથી સપ્લાય કરાવવા માટે ગૃહ મંત્રાલયની પાસેથી ત્રણ વર્ષની મંજૂરી માગી. ચિદમ્બરમ તો કહે છે કે તેમને કહ્યા વગર જ ગૃહ મંત્રાલય પાસેથી મંજૂરી મગાઈ હતી. નાણાં મંત્રાલય અગાઉ દર વખતે ડે લા રુ બાબતે નાણાપ્રધાનની મંજૂરી લીધા બાદ જ આગળ વધતું હતું.

સરકાર બદલાતાં પરિસ્થિતિ બદલાઇ

2014માં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ની સરકાર આવી અને બ્લેકલિસ્ટેડ ડે લા રુ પાસેથી પૅપર ખરીદવાનું ચાલુ છે એ બાબતે નવા ગૃહપ્રધાન રાજનાથ સિંહનું ધ્યાન દોરવામાં આવ્યું. તેમણે 2015 સુધીમાં એ કોન્ટ્રેક્ટ રદ કરી નાખ્યો અને બીજેથી પૅપર મગાવવાનું શરૂ થયું. નોંધનીય છે કે 2015નો ભાવ 2005ના ભાવ કરતાં ઘણો ઓછો હતો.

માયારામે આ સ્કેમમાં ભૂમિકા ભજવી હોવાની જાણ વડા પ્રધાનના કાર્યાલયને કરવામાં આવી અને એ કાર્યાલયે મુખ્ય દક્ષતા પંચના કાર્યાલય દ્વારા તપાસ કરાવવાનો આદેશ આપ્યો. તત્કાલીન આયુક્ત રાજીવના કાર્યાલયે નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના ખાતા પાસેથી ફાઇલો મગાવી. આ ખાતું જેટલીના વડપણ હેઠળ હોવા છતાં તેણે ફાઇલો મોકલવામાં ઢીલ કરી. એ બાબતની જાણ વડા પ્રધાનને થયા બાદ આયુક્તને ફાઇલો મળી. ફાઇલો મળવા સુધીમાં આયુક્તની બદલી થઈને કે. વી. ચૌધરી નવા દક્ષતા આયુક્ત બન્યા. પીગુરુસ કહે છે કે ચૌધરી પણ પી. ચિદમ્બરમની નજીકના માણસ ગણાય છે.

પીગુરુસ પર ઉક્ત અહેવાલ પ્રગટ થયો ત્યાં સુધીની માહિતી પ્રમાણે કેન્દ્રીય દક્ષતા પંચ તથા સીબીઆઇએ માયારામ સામે આરોપો ઘડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

કઈ મોટી સમસ્યા સર્જાઈ?

આ સમગ્ર પ્રકરણમાં એક સમસ્યા એ હતી કે બ્લેકલિસ્ટ કરાયેલી કંપની પાસેથી સિક્યૉરિટી પ્રિન્ટિંગ પૅપર લેવાનું ચાલુ રખાયું. તેનાથી મોટી સમસ્યા એ હતી કે આ જ કંપની પાકિસ્તાનને પણ પૅપર સપ્લાય કરતી હતી. તેનું પરિણામ એ આવ્યું કે ભારતની ચલણી નોટોની ડુપ્લિકેટ બનાવવાનું પાકિસ્તાન માટે આસાન બની ગયું.

હવે પીગુરુસના ઉક્ત અહેવાલના આધારે કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે કાળાં નાણાંની સમસ્યાને નાથવા માટે 500 અને 1,000 રૂપિયાની ચલણી નોટો બંધ કરી ત્યારે સમાન નંબર ધરાવતી અનેક નોટો મળી આવી હતી. એ બધી નોટો પાકિસ્તાને બનાવેલી નકલી નોટ હોવાની પૂરેપૂરી શક્યતા છે. મોટા પ્રમાણમાં કાળું નાણું બાળી નખાયું અને નદી-નાળાં-દરિયામાં ફેંકી દેવાયું હોવા છતાં મોટાભાગની ચલણી નોટો કેવી રીતે જમા થઈ ગઈ એવી વાતો કરવામાં આવી રહી છે. તેમાં પણ એ જ મુદ્દો સામે આવે છે કે પાકિસ્તાનમાંથી આવેલી બનાવટી નોટો બૅન્કોમાં જમા થઈ હતી.

પીગુરુસનું કહેવું છે કે દેશની સલામતી સાથે બાંધછોડ કરવા બદલ સરકારે પી. ચિદમ્બરમ અને તેમના મળતિયા સરકારી અમલદારો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.

ભારતમાં ડે લા રુએ જે રીતે ગરબડ કરી તેવા જ પ્રકારની ગરબડ સાઉથ સુદાનમાં થઈ હોવાથી બ્રિટનની સિરીયસ ફ્રોડ ઑફિસે ડે લા રુની વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. આપણે અગાઉ જોયું એમ, સીરિયસ ફ્રોડ ઑફિસે 2010માં પણ તપાસ કરી હતી. હકીકતમાં છેલ્લાં 12 વર્ષોમાં આ ઑફિસે ડે લા રુની સામે આ ત્રીજી વખત તપાસ શરૂ કરી છે. 2007માં તપાસ થયા બાદ કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

ડે લા રુનું પ્રકરણ ઘણું મોટું છે. જો કે, અત્યારે દેશમાં પી. ચિદમ્બરમનાં કારનામાં વિશે જેટલી વાતો થાય એટલી ઓછી છે.

—————

એનએસઈએલના પ્રકરણમાં તમામ કેસ જુઠ્ઠા હતા એ હવે સ્પષ્ટ થઈ ગયું!

એક્સચેન્જ સામેનાં તમામ ખોટાં પગલાં રદ થઈ રહ્યાં છે અને તેને ફસાવનાર વ્યક્તિ સીબીઆઇની કસ્ટડીની હવા ખાઈ રહી છે

આ બ્લોગના વાંચકો માટે એનએસઈએલનો કેસ જાણીતો છે. 31 જુલાઈ, 2013ના રોજ આ કોમોડિટી સ્પોટ એક્સચેન્જમાં નાણાકીય કટોકટી બહાર આવી. રોકાણકારોની ઘણી જ ચિંતા હોય એમ તત્કાલીન નાણાપ્રધાનથી માંડીને નાના-મોટા નેતાઓ એ કેસની પાછળ પડી ગયા. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખામાં ફરિયાદ નોંધાઈ અને તેણે તપાસ શરૂ કરી. એનએસઈએલ કોમોડિટી એક્સચેન્જ હતું, છતાં તેને ફાઇનાન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે નાણાકીય આસ્થાપન ગણીને એ કેસમાં મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઑફ ઇન્ટરેસ્ટ્સ ઑફ ડિપોઝિટર્સ (એમપીઆઇડી) કાયદો લાગુ કરવામાં આવ્યો.

કાયદાનું સામાન્ય જ્ઞાન ધરાવનાર માણસ પણ કહી શકે કે એ કેસમાં એમપીઆઇડી કાયદો લાગુ કરવાનું પગલું જ ખોટું હતું. ‘એક પગલું ખોટું અને ખોટો આખો દાખલો’ એ ઉક્તિની જેમ એનએસઈએલના કેસમાં પહેલું પગલું જ ખોટું ભરવામાં આવ્યું હતું. જો કે, આ કેસમાં રોકાણકારોને નાણાં પાછાં અપાવવાને બદલે એનએસઈએલની સ્થાપક કંપની ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ (એફટીઆઇએલ, જેનું નવું નામ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ છે) અને તેના પ્રમોટર જિજ્ઞેશ શાહના એક્સચેન્જ સામ્રાજ્યને તોડી પાડવાની દાનત હતી. આ પગલું ભરનારા અને ભરાવનારા લોકો વિશે અત્યાર સુધીમાં ઘણું લખાયું છે, પરંતુ 22મી ઑગસ્ટ, 2019ના રોજ મુંબઈ વડી અદાલતે જે આદેશ આપ્યો છે તેની દૃષ્ટિએ ફરી એક વાર એ મુદ્દો લોકો સમક્ષ લાવવો જરૂરી બને છે.

આપણા દેશમાં કાયદો કાયદાનું કામ કરે છે, પરંતુ તેમાં કેટલો વધારે સમય નીકળી જાય છે એ ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત છે. 2013ના કેસમાં 2019માં એટલે કે છ વર્ષે અદાલતમાં નિર્ણય આવ્યો કે એનએસઈએલમાં પહેલું પગલું જ ખોટું ભરવામાં આવ્યું હતું. ખરી રીતે જોઈએ તો ન્યાયમાં વિલંબ એ ન્યાય નકારવા સમાન બાબત ગણાય છે, પરંતુ આ સમગ્ર પ્રકરણમાં ન્યાયતંત્રનો કોઈ દોષ નથી, કારણ કે કેસને પ્રથમ દિવસથી ગૂંચવી નખાયો હતો. એફટીઆઇએલની સામે એટલા બધા કેસ કરવામાં આવ્યા કે તેને કોઈ વાતે ફુરસદ જ ન મળે. એનએસઈએલની નિયમનકાર સંસ્થા ફોરવર્ડ માર્કેટ્સ કમિશન એટલે કે એફએમસીની સામે 6 ઑગસ્ટ, 2013ના રોજ થયેલી મીટિંગના આધારે સ્પષ્ટ થઈ ગયું હતું કે આ કેસમાં ડિફોલ્ટરો પાસે જ નાણાં છે. આમ છતાં તેણે ડિફોલ્ટરોની પાછળ પડીને નાણાં કઢાવવાને બદલે એફટીઆઇએલ પાસેથી એક પછી એક એક્સચેન્જ નીકળી જાય એ માટે તેને નોટ ફિટ એન્ડ પ્રોપર જાહેર કરી.

જિજ્ઞેશ શાહ આ કેસમાં સચ્ચાઈ સાબિત કરવા પી. ચિદમ્બરમ સામે ચર્ચાનો પડકાર ફેંકી ચૂક્યા છે

એફએમસીને 2011થી કોમોડિટી માર્કેટ્સની નિયમનકારી ઍજન્સી બનાવવામાં આવી હતી, પરંતુ તેણે પોતાની ભૂમિકા મર્યાદિત હોવાનું સતત કહ્યે રાખ્યું. આમ છતાં જ્યારે એનએસઈએલ કેસ બાબતે કાર્યવાહી કરવાની વાત આવી ત્યારે તેણે એફટીઆઇએલને દેશમાં કોઈ પણ એક્સચેન્જ ચલાવવા માટે અપાત્ર જાહેર કરી દીધી. તેનું પરિણામ એ આવ્યું કે એફટીઆઇએલે દેશ-વિદેશમાં ઊભાં કરેલાં બધાં એક્સચેન્જોમાંથી પોતાનો હિસ્સો વેચી દેવો પડ્યો. આ જ એફએમસીની ભલામણને પગલે કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે એફટીઆઇએલ અને એનએસઈએલનું મર્જર કરી દેવાનો આદેશ બહાર પાડ્યો હતો.

આ કટોકટીની કણેકણની માહિતી આપનારા પુસ્તક ‘ધ ટાર્ગેટ’માં કહેવાયું છે કે 6 ઑગસ્ટની મીટિંગમાં ડિફોલ્ટરોએ પોતાની ચૂકવણીની જવાબદારી સ્વીકારી લીધી હતી, પરંતુ પછીથી બ્રોકર્સે આખી વાત બદલાવી કાઢી અને એનએસઈએલના બોર્ડ ઑફ ડિરેક્ટર્સ વિરુદ્ધ ગેરવહીવટનો આક્ષેપ કર્યો. એફએમસીએ પણ પોતાનો સૂર બદલી કાઢ્યો અને ડિફોલ્ટિંગ બ્રોકર્સ તથા ડિફોલ્ટિંગ વેચાણકર્તાઓને સાણસામાં લેવાને બદલે એફટીઆઇએલ પરની ખોટી તવાઈ વધુ ઉગ્ર બનાવી દીધી.

એનએસઈએલ કેસ બાબતે તપાસ કરી ચૂકેલી આર્થિક બાબતોના ખાતાના તત્કાલીન સચિવ અરવિંદ માયારામની સમિતિના અહેવાલ મુજબ રિઝર્વ બૅન્કે સમિતિને કહ્યું હતું કે એનએસઈએલનું કામકાજ રિઝર્વ બૅન્ક ઍક્ટની કલમ 45-1(બીબી) મુજબ ડિપોઝિટ સ્કીમ ગણી શકાય નહીં અને એનએસઈએલ ખરીદદારોને ચૂકવણી કરવા બંધાયેલું નથી. આમ છતાં એ સમિતિની ભલામણોના આધારે એનએસઈએલ સામે એમપીઆઇડી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. અહીં જણાવવું રહ્યું કે ધ ટાર્ગેટ પુસ્તક મુજબ અરવિંદ માયારામ સમિતિની નિમણૂક તત્કાલીન નાણાપ્રધાન પી. ચિદમ્બરમના કહેવાથી થઈ હતી. સમિતિના અહેવાલ તથા તેણે કાઢેલા નિષ્કર્ષ પાછળ તેમનો જ હાથ હતો. એ કાવતરું ચિદમ્બરમે ઘડ્યું હતું તથા તેમના વફાદાર કે. પી. કૃષ્ણન (નાણાં ખાતાના સચિવ) અને રમેશ અભિષેક (એફએમસીના ચેરમેન).

હાથનાં કર્યાં હૈયે વાગ્યાં હોય એમ હવે માથે હાથ દઈને બેઠા છે

ઉપર જોયું એમ એનએસઈએલ કેસમાં ત્રણ મોટાં પગલાં ભરવામાં આવ્યાં હતાં. 1) એફટીઆઇએલ અને એનએસઈએલનું મર્જર, 2) એફટીઆઇએલ એક્સચેન્જો ચલાવવા માટે અપાત્ર અને 3) એનએસઈએલ કેસમાં એમપીઆઇડી કાયદો લાગુ કરવો.

30 એપ્રિલ, 2019ના રોજ સર્વોચ્ચ અદાલતે ઉક્ત મર્જર રદ કરવાનો આદેશ આપ્યો અને 22 ઑગસ્ટ, 2019ના રોજ મુંબઈ વડી અદાલતે એમપીઆઇડી કાયદો લાગુ પાડવાનો નિર્ણય ખોટો ઠેરવ્યો. એફટીઆઇએલને અપાત્ર ઠેરવવાનું પગલું પણ મનસ્વી હતું. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ આ કેસમાં એમપીઆઇડી કાયદો લાગુ પાડ્યો, પણ તેની જ તપાસમાં જણાઈ આવ્યું હતું કે આ કેસમાં બ્રોકરોએ લોકોને ગેરમાર્ગે દોરીને ટ્રેડિંગ કરાવ્યું હતું. એ અહેવાલ એફએમસીના તત્કાલીન ચેરમેન રમેશ અભિષેક પાસે ગયો હતો, પરંતુ તેમણે તેને દબાવીને રાખ્યો. એફએમસીનું સેબીમાં મર્જર થયા બાદ સરકારની સ્પેશિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસે (એસએફઆઇઓ) એ અહેવાલ પ્રકાશમાં લાવ્યો. ડિફોલ્ટરોએ પોતાની જવાબદારી સ્વીકારી હતી એ મીટિંગની મિનટ્સ પણ રમેશ અભિષેકની રાહબરી હેઠળની નિયમનકાર સંસ્થાએ ખોઈ નાખી છે.

આમ, આ કેસમાં ભરાયેલાં ત્રણેય મોટાં પગલાં ખોટાં પુરવાર થયાં છે. વડી અદાલતના 22 ઑગસ્ટ, 2019ના આદેશમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે એનએસઈએલ કોમોડિટીનાં ખરીદી-વેચાણ માટેનું ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ હતું. આથી તેને એમપીઆઇડી લાગુ કરી શકાય નહીં.

નોંધનીય છે કે આર્થિક ગુના શાખાએ 4 ઑગસ્ટ, 2014ના રોજ નોંધાવેલી ચાર્જશીટમાં પણ એનએસઈએલને સ્પોટ એક્સચેન્જ કહેવામાં આવ્યું હતું.

વડી અદાલતે એમ પણ કહ્યું છે કે આર્થિક ગુના શાખાએ આ કેસનાં નાણાં પોતાની બીજી કંપનીઓ તથા પરિવારના સભ્યો તરફ વાળી દેનારા ડિફોલ્ટરો તરફ ધ્યાન આપ્યું જ નથી એ બાબત આશ્ચર્યજનક છે. નાણાં રોકનારાઓએ ઊહાપોહ મચાવ્યો એટલે તપાસકારોએ એનએસઈએલને ફાઇનાન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ ગણાય કે નહીં તેનો વિચાર કર્યા વગર જ એમપીઆઇડી કાયદો લાગુ કરી દીધો અને તેના આધારે કાર્યવાહી શરૂ કરી દીધી.

એપ્રિલમાં સર્વોચ્ચ અદાલતે મર્જર બાબતે અને ઑગસ્ટમાં વડી અદાલતે એમપીઆઇડી બાબતે એફટીઆઇએલની તરફેણમાં ચુકાદો આપ્યો, પરંતુ ત્યાર સુધીમાં કંપનીને પ્રચંડ નુકસાન થઈ ચૂક્યું છે. કાળનું ચક્ર એવું ફર્યું છે કે એફટીઆઇએલની સામેનું દરેક પગલું ખોટું પુરવાર થઈ રહ્યું છે અને તેની સામેના ષડ્યંત્ર માટે જેમને જવાબદાર ગણાવાયા છે એ પી. ચિદમ્બરમ હવે સીબીઆઇની કસ્ટડીમાં છે.

આ પ્રકરણમાં જાણવા જેવી વધુ વાતો આપણે ચાલુ રાખશું.

—————————

પી. ચિદમ્બરમની ધરપકડ અને લોકશાહીનો વિજય

તસવીર સૌજન્યઃ http://www.dailyhunt.in

કોઈ લાખ કરે ચતુરાઈ, કરમ કા લેખ મિટે ના રે ભાઈ….કવિ પ્રદીપનું લખેલું આ ગીત ઘણું જ પ્રખ્યાત છે. બુધવારે પી. ચિદમ્બરમની ધરપકડ થઈ ત્યારે કર્મ કોઈને છોડતું નથી એવા ટ્વીટર પર ફરતા સંદેશાઓ વાંચતાં આ ગીત યાદ આવ્યું. સંદેશાઓમાં પી. ચિદમ્બરમે કરાવેલી અમિત શાહની ધરપકડને લગતો સંદેશ પણ સામેલ હતો. આ કિસ્સામાં અમિત શાહે લીધેલા બદલાનો મુદ્દો ભલે ઉછાળાયો હોય, હકીકત તો એ છે કે તેમાં લોકશાહીના વિજયનો મુદ્દો મુખ્ય છે. આ દેશની પ્રજાએ જોયું કે અનેક નેતાઓ ભ્રષ્ટાચારના કળણમાં ખૂંપેલા છે અને તેઓ દેશને નુકસાન કરી રહ્યા છે, ત્યારે જનતાએ એકીઅવાજે સત્તાપરિવર્તન કરાવી નાખ્યું. બ્રિટિશ શાસકો પણ માનતા કે તેમના સૂરજનો ક્યારેય અસ્ત થવાનો નથી, પરંતુ અસ્ત થયો. આ જ રીતે અનેક ભૂતપૂર્વ શાસકો પોતાને અજિંક્ય માનવા લાગ્યા હતા. તેમના ભ્રમને જનતાએ તોડી નાખ્યા અને લોકશાહીની શક્તિ બતાવી આપી.

પી. ચિદમ્બરમ બીજાઓના કેસ લડ્યા અને જીત્યા, પરંતુ જ્યારે તેમનું કર્મ પોકારતું આવ્યું ત્યારે બચી શક્યા નહીં. તેમણે લાપતા થયા બાદ ફરી પ્રગટ થઈને કહ્યું કે તેઓ ખરેખર તો ન્યાય મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. આમ છતાં લોકોને તેમના પર વિશ્વાસ બેઠો નથી. કાયદાની દુહાઈ આપનારા નેતાઓને આ વખતે અદાલતોના વલણમાં અજુગતું લાગ્યું અને તેઓ તેની સામે આક્ષેપો કરવા લાગ્યા. ખરી રીતે તો ભાજપના નેતા સુબ્રહ્મણ્યન સ્વામીએ છેક એપ્રિલ 2012માં ઍરસેલ-મેક્સિસ કેસમાં ચિદમ્બરમનો ભાંડો ફોડ્યો હતો. દેખીતી વાત છે, એ વખતે અમિત શાહ ગૃહપ્રધાન ન હતા અને ભાજપની સરકાર પણ ન હતી. આમ, રાજકીય કિન્નાખોરીને અંજામ આપવાનો મુદ્દો ઊભો થતો નથી. ઍરસેલ-મેક્સિસ કેસમાં જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) ડિસેમ્બર 2014માં ચિદમ્બરમના ઘરે અને કાર્તિ ચિદમ્બરમની કંપનીઓ પર દરોડા પાડ્યા ત્યારે આઇએનએક્સ મીડિયા સ્કેમ ખૂલ્લું પડ્યું. ઈડીના તપાસનીશ અધિકારી રાજેશ્વર સિંહે ચિદમ્બરમની ગેરકાનૂની સંપત્તિઓ પરથી પર્દાફાશ કર્યો હતો, જેની વિગતો બુધવારના બ્લોગમાં અપાયેલી અને અહીં ફરી રજૂ કરાયેલી લિંક પર ઉપલબ્ધ છેઃ https://www.pgurus.com/चिदंबरा-रहस्य-चिदंबरम-और/

દેશના ગૃહપ્રધાન અને નાણાપ્રધાન રહી ચૂકેલી આ વ્યક્તિને મે 2018 બાદ દરેક સુનાવણી વખતે ધરપકડ સામે રક્ષણ મળી જતું હતું. છેલ્લે જ્યારે ન્યાયમૂર્તિ સુનીલ ગૌડની નિવૃત્તિનો દિવસ નજીક આવ્યો ત્યારે તેમણે આગોતરા જામીનની અરજી ફગાવી દીધી. ચિદમ્બરમ ન્યાયતંત્ર અને સરકારી અમલદાર તંત્ર પર વર્ચસ્ ધરાવતા હોવાનું સૌ જાણે છે, છતાં કર્મના સિદ્ધાંત પ્રમાણે દરેકે પોતાના કર્મનું ફળ ભોગવવું પડે છે. આ જ વ્યક્તિએ કોઈ પણ વાંક-ગુના વગર જિજ્ઞેશ શાહને જેલમાં મોકલાવવામાં ભૂમિકા ભજવી હતી એવું ‘ધ ટાર્ગેટ’ પુસ્તકમાં કહેવાયું છે. આજે એ જ વ્યક્તિ પોતાના બચાવમાં કહે છે કે પોતાને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. પી. ચિદમ્બરમે એનએસઈને મદદરૂપ થવા માટે જિજ્ઞેશ શાહના એક્સચેન્જ સામ્રાજ્યને તોડી પાડ્યું હોવાનું પણ કહેવાયું છે. આજે જ્યારે આ ભૂતપૂર્વ નાણાપ્રધાન સામેના બીજા આરોપો બહાર આવ્યા છે ત્યારે લોકોને એ જૂની વાતો યાદ આવી રહી છે.

આઇએનએક્સ મીડિયા કેસમાં સહ આરોપી ઇન્દ્રાણી મુખર્જી તાજના સાક્ષી બન્યા ત્યારે ચિદમ્બરમ વિશે વિગતો બહાર આવી. ઇન્દ્રાણી મુખર્જી પોતાની દીકરીની હત્યાના કેસમાં જેલમાં જશે અને સરકાર તેમની પાસે ચિદમ્બરના વિરોધમાં નિવેદનો કરાવી શકશે એવું તો કોઈનેય ખબર ન હતી. આથી, ભાજપે રાજકીય કિન્નાખોરી રાખી હોય એવો સવાલ આવતો નથી. ચિદમ્બરમે જે અપરાધ કર્યો હોવાનો આરોપ છે એ જ આરોપસર તેમની સામે કાર્યવાહી થવા લાગી છે.

ટૂંકમાં, પોતાને કંઈ થવાનું નથી એમ માનીને ભ્રષ્ટાચારની માળાજાળ રચનારા નેતાઓએ હવે સમજી લેવાની જરૂર છે કે આખરે પાપ છાપરે ચડીને પોકારતું હોય છે અને લોકશાહીમાં પ્રજા જ રાજા છે. પોતાને રાજા સમજી લેવાની ભૂલ કરનારા રાજકીય નેતાઓ પછી જેલમાં ગયાના અનેક દાખલા છે.

લોકશાહીનો વિજય હજો!

———————