આઇપીઓ કૌભાંડમાં સંડોવણીથી લઈને ડિફોલ્ટર થવા સુધીનાં કાર્વીનાં કાવતરાં: સેબીએ શરૂઆતમાં આકરાં પગલાં ભર્યાં નહીં તેથી કાર્વીના કૌભાંડનું કદ અને ગંભીરતા વધી ગયાં

સેબી નિષ્પક્ષ નિયમનકાર તરીકે કાર્ય કરે એ મૂડીબજારના અને રોકાણકારોના હિતમાં રહેશે

કોઈની એક નાની ચોરી ચલાવી લેવાથી એ માણસ મોટી ચોરીઓ કરવા લાગી જાય છે. આ અનુભવસિદ્ધ વાત કાર્વી સ્ટૉક બ્રોકિંગ લિમિટેડ (કેએસબીએલ)ને લાગુ પડે છે. સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા સેબીએ 2003-05ના ગાળામાં થયેલા આઇપીઓ કૌભાંડમાં કાર્વી ગ્રુપની સંડોવણી જાહેર થયા બાદ જ જો તેની વિરુદ્ધ આકરાં પગલાં ભર્યાં હોત તો એ કંપની વધુ ગરબડ કરતાં અટકી ગઈ હોત.

સેબીએ આખા કાર્વી ગ્રુપને આઇપીઓ કૌભાંડ સંબંધે દોષિત ગણ્યું હતું, પરંતુ કાર્વી વિરુદ્ધનો કેસ છેક 2014 સુધી ખેંચાયો. નોંધનીય છે કે કેએસબીએલ ઉપરાંત કાર્વી કન્સલ્ટન્ટ્સ લિમિટેડ, કાર્વી કોમ્પ્યુશેર પ્રાઇવેટ લિમિટેડ, કાર્વી સિક્યૉરિટીઝ લિમિટેડ અને કાર્વી ઇન્વેસ્ટર સર્વિસીસ લિમિટેડને આઇપીઓ કૌભાંડમાં દોષિત ગણાવાઈ હતી. આ બધી કંપનીઓ કૌભાંડના દરેક તબક્કે સંડોવાયેલી હતી.

નવાઈની વાત છે કે સી. બી. ભાવે સેબીના ચૅરમૅન હતા એ અરસામાં આઇપીઓ કૌભાંડના અનેક દોષિતોને દંડ કરવામાં આવ્યા હતા, પરંતુ કાર્વી ગ્રુપને ઉની આંચ પણ આવી નહીં. છેલ્લે 2014માં સેબીએ કેએસબીએલને છ મહિના સુધી પ્રાઇમરી માર્કેટનાં નવાં એસાઇનમેન્ટ લેવાની મનાઈ ફરમાવી. નિયમનકાર સેબીએ કંપનીને દંડ કરવાનું મુનાસિબ કેમ માન્યું નહીં એ મોટો સવાલ છે. વળી, એ વાતનું પણ આશ્ચર્ય છે કે કાર્વીએ સેબીના પગલા વિરુદ્ધ સિક્યૉરિટીઝ ઍપેલેટ ટ્રિબ્યુનલ (સેટ)માં અપીલ કરી અને તત્કાળ રાહત મેળવી. સેટે 21 જાન્યુઆરી, 2015ના રોજ સેબીનો આદેશ રદ કરી દીધો અને ચાર મહિનાની અંદર નવા આદેશો બહાર પાડવાનું કહ્યું. પછી તો ‘રાત ગઈ, બાત ગઈ’ની જેમ સેબી જાણે બધું ભૂલી ગઈ અને કયાં પગલાં લેવાયાં તેના વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

કાર્વીને ફિટ ઍન્ડ પ્રોપરનો માપદંડ લાગુ કરીને તેની વિરુદ્ધ કડક પગલાં લેવાની જરૂર હતી

સિક્યૉરિટીઝ માર્કેટમાં કાર્વી મોટું નામ અને જવાબદારી ધરાવતી હોવા છતાં આઇપીઓ કૌભાંડમાં સંડોવણી જાહેર થયા બાદ પણ સેબીએ તેના કામકાજ પર ચાંપતી નજર રાખી નહીં. કાર્વીને ‘ફિટ ઍન્ડ પ્રોપર’નો માપદંડ લાગુ કરીને તેની વિરુદ્ધ કડક પગલાં લેવાની જરૂર હતી, છતાં સેબીએ જાણે એના બધા ગુના માફ કરી દીધા. તેનું પરિણામ એ આવ્યું કે કાર્વી સ્ટૉક બ્રોકિંગ લિમિટેડે પોતાના ક્લાયન્ટ્સના 2,300 કરોડ રૂપિયાના શેર ચાર ધિરાણકર્તાઓ પાસે ગિરવે રાખીને 600 કરોડ રૂપિયા ભેગા કર્યા. ધિરાણકર્તાઓએ પણ એ ચકાસવાની તસદી લીધી નહીં કે કાર્વીએ ગિરવે રાખેલા શેર એના પોતાના છે કે બીજા કોઈના! એટલું ઓછું હોય એમ કેએસબીએલે 1 એપ્રિલ 2016થી 19 ઑક્ટોબર 2019 સુધીના ગાળામાં 1,096 કરોડ રૂપિયા કાર્વી રિયાલ્ટી પ્રા. લિ.ને ગેરકાનૂની રીતે ટ્રાન્સફર કર્યા. આની પહેલાં 2017માં કાર્વીએ આવા જ ગોટાળાભર્યા નાણાકીય વ્યવહારો કર્યા હતા, પરંતુ સેબીએ કોઈ મોટી કાર્યવાહી કરવાને બદલે કંપનીને કેસ ‘સેટલ’ કરવાની છૂટ આપી. જો સેબી જવાબદાર નિયમનકાર હોય તો, કયા અધિકારીએ સેટલમેન્ટની ભલામણ કરી અને તેની કઈ ઉચ્ચ સ્તરીય સમિતિએ એની પરવાનગી આપી એ સવાલનો ઉત્તર તેણે આપવો રહ્યો.

કાર્વીની સામે જો ફરિયાદો વધી ન હોત તો કદાચ સેબીએ અને પછી એનએસઈએ તેની સામે પગલાં ભર્યાં હોત કે નહીં એ પણ શંકા છે, કારણ કે કાર્વી પાસે એક સમયે 12 લાખ કરતાં વધુ રોકાણકારોનાં ખાતાં હતાં અને એ રોકાણકારોની બચત અને રોકાણોનો મોટો હિસ્સો કાર્વીને પાવર ઑફ ઍટર્ની તરીકે રખેવાળ તરીકે આપવામાં આવ્યો હતો. ‘વાડ ચીભડાં ગળે’ એ ઉક્તિ યાદ અપાવે એ રીતે કાર્વીએ રોકાણકારોનાં નાણાં સાથે રમત કરીને કરોડો રૂપિયાના ગોટાળા કર્યા.

સેબી અને એનએસઈએ રોકાણકારોનાં નાણાં પાછાં અપાવવા માટે કાર્વીની ઍસેટ્સનું વેચાણ કરવા માટે એક આખા વર્ષનો સમય આપ્યો. ગત વર્ષે 22મી નવેમ્બરે સેબીએ ક્લાયન્ટ્સનાં નાણાંનો દુરુપયોગ કરવા બદલ કાર્વી સ્ટૉક બ્રોકિંગ લિમિટેડને સસ્પેન્ડ કરી હતી અને તેના એક વર્ષ બાદ એનએસઈએ કંપનીને ડિફોલ્ટર જાહેર કરીને બજારમાંથી હાંકી કાઢી. એક્સચેન્જને આ નિર્ણય લેવામાં એક વર્ષનો સમય કેમ લાગ્યો એ પણ એક મોટો સવાલ છે. કાર્વીની ઍસેટ્સ વેચાયા બાદ નાણાં આવશે એવું જો એનએસઈએ વિચાર્યું હતું તો એ નાણાં આખરે આવ્યાં કેમ નહીં અને કંપનીને ડિફોલ્ટર કેમ જાહેર કરવી પડી? કાર્વી ગ્રુપે પોતાનો રજિસ્ટ્રાર ઍન્ડ ટ્રાન્સફરનો બિઝનેસ જનરલ એટલાન્ટિક સિંગાપોર ફંડને વેચી દીધો, પણ એનાં નાણાં ક્યાં ગયાં એ કોઈને ખબર નથી.

કાર્વી ગ્રુપની અનેક કંપનીઓ સેબીના નિયમન હેઠળ હતી, પણ કોઈના પર કડપ રખાયો નહીં

ગ્રુપની વેબસાઇટ પરથી મળેલી જાણકારી મુજબ તેની સંખ્યાબંધ ગ્રુપ કંપનીઓ હતી અને એમાંની ઘણી કંપનીઓ સેબીના નિયમન હેઠળ હતી. ગ્રુપ કંપનીઓમાં કાર્વી કોમટ્રેડ, કાર્વી કૅપિટલ લિ, કાર્વી ઇન્વેસ્ટમેન્ટ ઍડવાઇઝરી સર્વિસીસ લિ, કાર્વી હોલ્ડિંગ્સ લિ, કાર્વી મિડલ ઈસ્ટ એલએલસી, કાર્વી રિયાલ્ટી (ઇન્ડિયા) લિ, કાર્વી હોલ્ડિંગ્સ લિ, કાર્વી ફાઇનાન્શિયલ સર્વિસીસ લિ, કાર્વી ઇન્સ્યૉરન્સ રિપોઝિટરી લિ, કાર્વી ફોરેક્સ કરન્સીઝ પ્રા. લિ, કાર્વી કન્સલ્ટન્ટ્સ લિ, કાર્વી ડેટા મૅનેજમેન્ટ સર્વિસીસ લિ, કાર્વી ઇન્વેસ્ટર સર્વિસીસ લિ, કાર્વી ઇનસાઇટ્સ લિ, કાર્વી ઍનાલિટિક્સ લિ, કાર્વી સોલર પાવર લિ, કાર્વી ગ્લોબલ સર્વિસીસ લિ, અને કાર્વી ઇન્ક, યુએસએ.

કાર્વી સ્ટૉક બ્રોકિંગ લિમિટેડને ઉગારી લે એટલી આર્થિક શક્તિ આમાંની કોઈ કંપની પાસે ન હતી? શું કેએસબીએલની હકાલપટ્ટીથી આમાંની કોઈ કંપનીને અસર નહીં થાય?

સેબી કે એનએસઈ એ બન્નેમાંથી કોઈએ હજી કેએસબીએલના મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નથી

સેબી કે એનએસઈ એ બન્નેમાંથી કોઈએ હજી કેએસબીએલના મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નથી. શું કંપનીએ રિયાલ્ટી બિઝનેસમાં ગેરકાનૂની રીતે ટ્રાન્સફર કરેલા 1,096 કરોડ રૂપિયા પાછા આવી ગયા છે? આ સવાલનો હજી કોઈ જવાબ નથી. એનએસઈએ 18મી નવેમ્બરના રોજ જાહેર કર્યું હતું કે એણે આશરે કાર્વી સ્ટૉક બ્રોકિંગમાં જેમનાં નાણાં ફસાયાં છે એવા 2,35,000 રોકાણકારોને 2,300 કરોડ રૂપિયા પાછા વાળ્યા છે. દરેક રોકાણકારને 30,000 રૂપિયા સુધીની રકમ મળશે, એવું એણે કહ્યું હતું. વાસ્તવમાં કેટલા રોકાણકારોને કેટલી રકમ મળી એના વિશે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી.

સેબીએ કેએસબીએલનું ફોરેન્સિક ઑડિટ થયાનું પોતાના 24મી નવેમ્બરના આદેશમાં જણાવ્યું છે, પરંતુ ઑડિટમાં શું જાણવા મળ્યું એ બાબતે કોઈ માહિતી જાહેર કરાઈ નથી. આવી ગોપનીયતાનો અર્થ શું કરવો? વળી, ફોરેન્સિક ઑડિટ કરવામાં આટલી બધી ઢીલ કેમ? શું એ માહિતી જાહેર થઈ જવાથી એનએસઈ અને સેબીએ શરમાવું પડે એવી શક્યતા છે?

ટૂંકમાં, નિયમનકાર તરીકે સેબીએ કાર્યવાહીને બદલે ઢાંકપિછોડા કરવામાં અને ભીનું સંકેલવામાં મદદ કરી હોય એવી છાપ ઉપસે છે. દેશની નાણાકીય વ્યવસ્થામાં આ એક મોટી નાલેશી કહેવાય. જો આવું જ ચાલ્યા કરશે તો આગામી દિવસોમાં કાર્વી જેવી અનેક કંપનીઓને ભાવતું મળી જશે.

સેબી નિષ્પક્ષ નિયમનકાર તરીકે કાર્ય કરે એ મૂડીબજારના અને રોકાણકારોના હિતમાં રહેશે.

————————

‘સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ સીરિઝ હિટ ગઈ છે; સેબી કેમ હજી ફ્લોપ જણાય છે?

શેરબજારની તેજી વિશે કોમન મૅન આર. કે. લક્ષ્મણનું માર્મિક કાર્ટૂન

સોનીલિવ પરની ‘સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ સીરિઝ તમે કદાચ જોઈ લીધી હશે અથવા તો કોઈકે તમને એ જોઈ જવાનું સૂચન કર્યું હશે. દેશમાં હાલ શેરબજાર નવાં શિખરો સર કરી રહ્યું છે એવા સમયે ભારતીય સિક્યોરિટીઝ માર્કેટના ચકચારભર્યા આ કૌભાંડની સીરિઝ પ્રસિદ્ધિ મેળવી રહી છે એ એક યોગાનુયોગ છે. અહીં નોંધનીય છે કે કોરોના હજી દુનિયામાં ફેલાયેલો છે અને હજી તેના દરદીઓની સંખ્યા રોજેરોજ વધી રહી છે, આપણા અર્થતંત્રમાં હજી પૂર્ણપણે સુધારો આવ્યો નથી તથા કોરોનાનો બીજો દોર શરૂ થવાની ભીતિ રહેલી છે છતાં શેરબજારની તેજી અવિરત ચાલી રહી છે. આ ઘટના આશ્ચર્ય સર્જનારી છે. હર્ષદ મહેતા કૌભાંડ વખતે પણ શેરબજાર સતત ઉપર જઈ રહ્યું હતું અને એક દિવસ ઉક્ત સ્કેમના સમાચાર પ્રગટ થતાં જ બજાર તૂટ્યું હતું.

હર્ષદ મહેતા કૌભાંડ ભારતીય સિક્યોરિટીઝ માર્કેટનું પ્રથમ મોટું કૌભાંડ હતું. આથી સમગ્ર દેશમાં ચકચાર જાગી હતી. હર્ષદ મહેતા સાથે શું થયું તેની વિગતો ઉક્ત સીરિઝમાંથી દર્શકોને મળી રહેશે, પરંતુ એ વખતે શેરબજારમાં કડાકો બોલાયો તેને કારણે નુકસાન ભોગવનારા લોકોની વ્યથા ‘ઘાયલ કી ગત ઘાયલ હી જાને’ જેવી કહી શકાય.

સ્કેમ 1992નું આજનું મૂલ્ય 20,000 કરોડ રૂપિયા થાય

હર્ષદ મહેતાએ બૅન્કિંગ ક્ષેત્રમાં રહેલી ખામીઓનો પોતાના લાભ માટે દુરુપયોગ કર્યો હતો. કમનસીબે આજે પણ બૅન્કિંગ ક્ષેત્ર અનેકવિધ ત્રુટિઓ અને સમસ્યાઓથી ગ્રસ્ત છે. મહેતાને કૌભાંડ આચરવામાં બ્રોકરો, સરકારી અમલદારો અને નેતાઓનો પણ સાથ મળ્યો હોવાનું સીરિઝમાં દર્શાવાયું છે. આજથી લગભગ 28 વર્ષ પહેલાંના એ કૌભાંડમાં સંડોવાયેલી તત્કાલીન રકમ 4,000 કરોડ રૂપિયા હતી. આજે કદાચ એનું મૂલ્ય 20,000 કરોડ રૂપિયા થાય.

ભવિષ્યમાં આવાં કૌભાંડો થાય નહીં એ દૃષ્ટિએ એ જ વર્ષે સિક્યોરિટીઝ બજાર માટેની નિયમનકાર સંસ્થા – સેબીને વૈધાનિક અધિકારો આપવામાં આવ્યા. જો કે, સેબીની સ્થાપના પછી પણ 2001માં હર્ષદ મહેતાના જ ચેલા ગણાવાયેલા કેતન પારેખનું કૌભાંડ બહાર આવ્યું. ત્યાર બાદ 2003-05ના ગાળામાં બનેલું સિક્યોરિટીઝ માર્કેટનું વધુ એક મોટું કૌભાંડ એટલે આઇપીઓ કૌભાંડ. આ કૌભાંડમાં આઇપીઓ માટે બ્રોકરોએ બનાવટી ડિમેટ અકાઉન્ટ્સનો અને ક્લાયન્ટ્સની પાવર ઑફ એટર્નીનો દુરુપયોગ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આઇપીઓ કૌભાંડ વખતની ડિપોઝિટરી – એનએસડીએલના વડા સી. બી. ભાવેને પછીથી સેબીના ચૅરમૅન બનાવવામાં આવ્યા હતા.

કૉ-લૉકેશન કૌભાંડમાં ટેક્નૉલૉજીનો થયો દુરુપયોગ

નિયમનકાર સેબીની સ્થાપના થઈ અને સિક્યોરિટીઝ માર્કેટમાં ડિજિટલ ટેક્નૉલૉજી ઉપયોગમાં લેવાવા લાગી તેથી કૌભાંડો અટકી જશે એવી આશા રાખવામાં આવી હતી. ઉલટાનું, વાસ્તવમાં એવું થયું કે થોડા સમય પહેલાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)નું કૉ-લૉકેશન કૌભાંડ બહાર આવ્યું અને ટેક્નૉલૉજીના દુરુપયોગનું એ જ્વલંત ઉદાહરણ છે.

ઉક્ત કૌભાંડોમાં બ્રોકરો, દેશના બૅન્કિંગ તંત્ર, સરકારી અમલદારો અને નેતાઓ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે અને રોકાણકારોને સિક્યોરિટીઝ માર્કેટમાં સંપૂર્ણ અને અડગ વિશ્વાસ જાગે એવું વાતાવરણ હજી સુધી સર્જી શકાયું નથી. કૉ-લૉકેશન કૌભાંડમાં તો એક્સચેન્જ (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ – એનએસઈ) પોતે જ દોષિત હોવાનું સેબીએ ખુદ કહ્યું છે. જો કે, તેણે 50,000 કરોડ જેવડી તોતિંગ રકમના આ કૌભાંડ બદલ સેબીએ એનએસઈને માત્ર 1,000 કરોડ રૂપિયાનો દંડ કરીને ફક્ત કામકાજની ત્રુટિ તરીકે તેનો ઉલ્લેખ કર્યો છે. આ કૌભાંડને કારણે સામાન્ય રોકાણકારોને થયેલા નુકસાનને ધ્યાનમાં જ લેવામાં આવ્યું નથી. નિયમનકાર તરીકેના સેબીના આવા વલણને લીધે જ કદાચ દેશની 1.3 અબજની વસતિના ફક્ત 1 ટકા જેટલા જ રોકાણકારો શેરબજારમાં ઈક્વિટીમાં રોકાણ કરે છે; મોટાભાગની જનતાને શેરબજારમાં રોકાણ કરવામાં હજી ડર લાગે છે.

શેરબજારમાં બ્રોકરો, સરકારી અમલદારો અને રાજકારણીઓની સંડોવણી પર પ્રકાશ પાડતું પુસ્તક

નોંધનીય છે કે બ્રોકરો, સરકારી અમલદારો અને રાજકારણીઓની સંડોવણી પર પ્રકાશ પાડતું પુસ્તક – ‘ધ માર્કેટ માફિયા’ હાલમાં જ પ્રકાશિત થયું છે. નવા જમાનામાં હવે વ્હાઇટ કોલર ક્રાઇમ ઘણા થવા લાગ્યા છે એ બાબત પુરવાર થતી હોય એ રીતે ‘ધ માર્કેટ માફિયા’ પુસ્તક એમેઝોન પર ગુના, રોમાંચકથા અને રહસ્યકથાના વિભાગમાં બેસ્ટ સેલર બન્યું છે. પત્રકાર પલક શાહ લિખિત આ પુસ્તકમાં કૉ-લૉકેશન કૌભાંડ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. કૉંગ્રેસના શાસનકાળમાં તત્કાલીન નાણાપ્રધાન પી. ચિદમ્બરમે આ કૌભાંડમાં કેવી ભૂમિકા ભજવી અને એમના કથિત મળતિયાઓ અત્યાર સુધી કોઈ પણ રીતે દંડિત થયા નથી તેની વિગતો પુસ્તકમાં છે.

શેરધારકોની રક્ષા કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે સ્થપાયેલી સેબી એ ઉદ્દેશ્યની પૂર્તિ કરવામાં દર વખતે નિષ્ફળ જાય છે અને સરકારી અમલદારો, સ્ટૉક એક્સચેન્જના અધિકારીઓ, સેબીના અધિકારીઓ અને એમને આશ્રય આપનારા રાજકારણીઓ રિટેલ રોકાણકારોની રક્ષા કરવાને બદલે એમને નુકસાન થાય એવી રમતો રમે છે એ મતલબનું આ પુસ્તકનું તારણ છે.

એનએસઈની સામે સ્પર્ધા ખડી કરનારા ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ સમૂહને કેવી રીતે મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું એની વિગતો અગાઉ શાંતનુ ગુહા રે નામના વરિષ્ઠ પત્રકારે લખેલા પુસ્તક – ‘ધ ટાર્ગેટ’માં પ્રકાશિત થઈ ચૂકી છે. ભારતના સત્તાતંત્રમાં ટોચનું સ્થાન ભોગવતા જે લોકોનાં નામ ‘ધ ટાર્ગેટ’માં સતસવીર પ્રગટ કરવામાં આવ્યાં હતાં એ જ લોકો તરફ ‘ધ માર્કેટ માફિયા’માં અંગુલીનિર્દેશ કરવામાં આવ્યો છે. એ વ્યક્તિ એટલે ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ અને સનદી અધિકારીઓ કે. પી. કૃષ્ણન તથા રમેશ અભિષેક. ઉપરાંત, એનએસઈના ટોચના અધિકારીઓ અને મોટા બ્રોકરોએ કૉ-લૉકેશન કૌભાંડમાં મોટી ભૂમિકા ભજવી હતી. સેબીનું કોઈ અસ્તિત્વ જ ન હોય એમ એનએસઈએ એની મંજૂરી લીધા વિના જ ગણ્યાગાંઠ્યા બ્રોકરોને કૉ-લૉકેશનની સુવિધા આપી અને રિટેલ રોકાણકારો સહિતના અન્ય તમામ રોકાણકારોને નુકસાન પહોંચાડ્યું એમ ‘ધ માર્કેટ માફિયા’માં લખાયું છે.

વાંચકો માઇકલ લુઇસ નામના લેખકના સુવિખ્યાત અને વૈશ્વિક બેસ્ટ સેલર પુસ્તક – ‘અ વૉલ સ્ટ્રીટ રિવોલ્ટઃ ફ્લેશ બોય્ઝ’થી વાકેફ હશે. એ પુસ્તક હાઇ ફ્રિકવન્સી ટ્રેડિંગ તરીકે ઓળખાતી સ્ટોક ટ્રેડિંગની સિસ્ટમ વિશેનું છે. અદ્યતન ટેક્નૉલૉજી પર આધારિત એ સિસ્ટમનો દુરુપયોગ કરીને બજારનો અમુક વર્ગ સામાન્ય રોકાણકારોને પ્રચંડ નુકસાન કરે છે એની ઝીણવટભરી વિગતો લુઇસે રજૂ કરી છે. હાઇ ફ્રિકવન્સી ટ્રેડિંગ એ ફક્ત ટેક્નૉલૉજી છે, પરંતુ તેનો દુરુપયોગ થવા લાગ્યો ત્યારે લુઇસે તેના પર પ્રકાશ પાડ્યો. એક નિયમનકાર તરીકે સેબીને ‘ફ્લેશ બોય્ઝ’ વિશે ખબર હતી, છતાં ભારતમાં કૉ-લૉકેશન કૌભાંડ સર્જાયું એ બાબત આઘાતજનક છે.

સેબી કેમ પોતાની જવાબદારીમાં નિષ્ફળ જતું જણાય છે?

ભારતમાં હાઇ ફ્રીકવન્સી ટ્રેડિંગ અને સાથે સાથે કૉ-લૉકેશન લાવવા દેવાની પરવાનગી સેબીના અગાઉના ચૅરમૅન સી. બી. ભાવેએ જ આપી હતી એવું ‘ધ માર્કેટ માફિયા’માં કહેવાયું છે. ફ્લેશ બોય્ઝ વિશે જાણી લીધા બાદ નિયમનકારે ભારતમાં કૉ-લૉકેશન બાબતે ચાંપતી નજર રાખવાની જરૂર હતી, પરંતુ એણે ચાંપતીને બદલે રહેમનજર રાખી કે કેમ એવો સવાલ ઊભો કરનારી હાલની પરિસ્થિતિ છે.

‘ધ માર્કેટ માફિયા’ની પ્રસ્તાવનામાં લેખક કહે છે, ”કારકિર્દીના શરૂઆતના દિવસોમાં મેં ગુનાખોરી જગત વિશે અહેવાલો આપ્યા હતા. સમય જતાં જોવા મળ્યું કે ભારતના આર્થિક ક્ષેત્રે પણ કેટલાક લોકો માર્કેટ માફિયાની જેમ વર્તી રહ્યા છે.”

ભારતીય શેરબજાર અત્યારે નવી વિક્રમી સપાટીઓ રચી રહ્યું છે ત્યારે સેબી ખરેખર તમામ પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખીને બેઠું છે કે પછી ફરી એક વાર બજારની સાથે સાથે રોકાણકારોનો વિશ્વાસ પણ તૂટવાની ભીતિ છે? નિયમનકાર સેબીએ આ સવાલનો જવાબ શક્ય તેટલો વહેલો આપવાની જરૂર છે.

——————————

આગામી વર્ષોમાં કયા શૈક્ષણિક ક્ષેત્રે ડિમાન્ડ વધવાની છે?

કરિઅર કાઉન્સેલિંગનું તારણ!!! સમજો તો ઈશારા કાફી…

  • જયેશ ચિતલિયા

જો વર્ષ 2020 પાસેથી પણ આપણે જીવનની સાચી સમજ મેળવી શક્યા ન હોઈએ તો આપણું ભલું કોઈ નહીં કરી શકે. કોઈ શું, આપણે પોતે પણ નહીં કરી શકીએ. ખૈર, વર્તમાન જગતમાંથી આપણને ભાવિમાં કેવા વિકાસની તકો ઉપલબ્ધ થશે તેનો ચિતાર મળી શકે છે, જસ્ટ અસત્યના અંધકારમાંથી બહાર નીકળી સત્યના માર્ગે આગળ વધીએ…

આ લખનાર એજ્યુકેશન કાઉન્સેલર નથી, પણ જો વર્તમાન સમયમાં તમને તમારાં સંતાનો માટે કયા ક્ષેત્રમાં કારકિર્દી ઘડવી, કયા શિક્ષણમાં આગળ વધવાથી ભાવિ ઉજ્જવળ થઈ શકે, કઈ લાઈન લેવી જોઈએ, શેનો અભ્યાસ વધુ કરીને તે ક્ષેત્રમાં નિષ્ણાત બનવાની જરૂર છે, વગેરે સવાલો થતા હોય તો આ તબક્કે એટલું ચોક્કસ કહી શકાય કે આગામી સમયમાં આપણા દેશમાં મેડિકલ ફીલ્ડમાં અઢળક તકો ઊભી થવાની છે, તેમાં પણ ખાસ કરીને સાઈકોલૉજિસ્ટ અને સાઈકિયાટ્રિસ્ટની જબરદસ્ત ડિમાન્ડ નીકળશે. આ સાથે ટેક્નૉલૉજી અને ફાઇનાન્સ સેક્ટરમાં પણ જબ્બર માગ નીકળવાની છે. આમ વિશ્વાસપૂર્વક કહી શકવાનાં દેખીતાં કારણો છે, જેમના વિશે જાણ્યા પછી તમે જ કહેશો કે વાત સાવ સાચી છે. ચાલો એ કારણો જાણીએ-સમજીએઃ

પહેલાં મેડિકલ ક્ષેત્રની માગને સમજીએ. તેમાં પણ શરૂઆત આંખથી કરીએ, આપણી આંખો દિવસભર ક્યાં હોય છે? મોબાઈલમાં, કોમ્પ્યુટરમાં, લૅપટોપમાં અને ટીવીમાં. પૂછો પોતાને જ. આંખોની શું દશા થવાની છે તે સમજી લો. અત્યારે પણ નાનાં-નાનાં બાળકોને પહેરવા પડતાં ચશ્માં હજી તો શરૂઆત છે. હવે પછી તો આંખોના ડૉકટરોની તેજી પાક્કી છે. તેમાં દષ્ટિસંબંધી દરેક પ્રકારના સમસ્યા આવી જશે.

બીજું, આપણા કાનની હાલત પણ કંઈક આવી જ થવાની છે. કાન સતત અવાજ-ધ્વનિપ્રદૂષણથી પીડિત છે. કાનમાં ઈઅર ફોન નાખીને ફરતા રહેતા યુવા વર્ગને કાનની કિંમત સમજાશે ત્યારે મોડું થઈ ગયું હશે. બીજા શબ્દોમાં કહીએ તો, કાનના ડૉકટરોની પ્રૅક્ટિસ પણ ભરપૂર ચાલવાની.

લૅપટોપ યા કોમ્પ્યુટર સામે સતત બેસી-બેસીને પીઠ, ડોક, કમરની દશા નહી બગડે? કેટલી કસરત કરશો? કેટલી ઉઠબેસ કરશો? ઝૂમ કે ગુગલ મીટિંગો તો ચાલુ જ રહેવાની છે. વિચારી જુઓ, ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપિસ્ટની ડિમાન્ડ કેટલી રહેશે.

બર્ગર, પિત્ઝા સહિત અનેક પ્રકારનાં જંક ફૂડ પેટમાં પધરાવનારા આપણે પેટની દશા કેટલી બગાડી દઈશું એનો કોઈને અંદાજ નથી. પેટના ડૉક્ટરો-વૈદ્યોની કમાણી વધશે એ નક્કી છે. આવું તો ઘણું છે અને થશે.

કોરોના તો આજે નહી તો કાલે ચાલ્યો જશે, પરંતુ આપણી લાઈફ સ્ટાઇલમાં-આપણા બિઝનેસ અને જોબમાં જે વ્યવસ્થા ઊભી થઈ છે કે પછી જે દોટ ચાલી રહી છે, જે સ્પર્ધા સતત તીવ્ર બની રહી છે, તે માણસોનું સ્ટ્રેસ લેવલ સતત વધારી રહી છે. સ્ટ્રેસ સામે ટેન્શન શબ્દ નાનો થઈ ગયો છે.

સ્ટ્રેસ કોઈપણ ઉંમરની વ્યક્તિને આવે છે અને એને પોતાના સકંજામાં લઈ લે છે. જેમાંથી ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશન સર્જાતા બહુ સમય લાગતો નથી. ઘણા લોકો આ હકીકતને છુપાવે છે અથવા સમજતા નથી અથવા કોઈને જણાવતા નથી; પોતાની અંદર જ ઘુંટાયા કરે છે. એ પછી આત્મહત્યા અથવા ઉદાસીનતા સતત જીવનમાંથી જીવંતપણાને છીનવી લે છે. આવી સ્થિતિ સતત વધી રહી છે, બહુ ઝડપથી અને બહુ શોર કર્યા વિના વધી રહી છે. આનું પરિણામ સમજાય છે? કાં તો લોકો ડ્રગ્સને રવાડે અથવા દારૂને રવાડે ચઢશે અથવા અનેક બીમારીઓના ભોગ બનશે અને એ રોગો ચિંતાને ઓર વધારશે.

જો આ સંભવિત ભાવિને જોઈ શકતા હો તો સમજી લો કે ભવિષ્યમાં સાઈકોલૉજિસ્ટ અને સાઈકિયાટ્રિસ્ટની જબ્બર ડિમાન્ડ નીકળશે. આ ક્ષેત્રે નિષ્ણાતો-કાઉન્સેલરોની બોલબાલા થવાની નક્કી છે. આમ તો આ ટ્રેન્ડ અત્યારે શરૂ થયો છે, પરંતુ હજી બહુ મોટો વર્ગ આ નિષ્ણાતો પાસે જતાં અચકાય છે. તેઓ એમ વિચારે છે, “શું હું ગાંડો થઈ ગયો છું?” “શું મારું ચસકી ગયું છે?” પણ આ લોકો એ સમજતા કે સ્વીકારતા નથી કે આ રોગ જ નથી, મહારોગ છે. વિદેશોમાં આ માનસિક રોગ કોમન છે અને ત્યાં માનસશાસ્ત્રીઓનાં મોટાં-મોટાં ક્લિનિક છે. આપણા દેશમાં આવા દિવસો બહુ દૂર નથી. આપણે સંયુક્ત રીતે મળીને એવો સમાજ બનાવવામાં લાગી ગયા છીએ. આવા સમયમાં આપણા હૃદયનું શું થશે એ પણ વિચારવાનું કામ મગજને સોંપવું જોઈએ. 

વિચારો તો ખરા, આપણે ફિલ્મો, વેબ સિરીઝ કે અન્ય મહત્તમ મનોરંજનનાં સાધનો મારફત સૌથી વધુ શું જોઈએ છીએ? સેક્સ, ક્રાઈમ (હિંસા), બીભત્સતા, ગાળો, અહંકાર, અંડરવર્લ્ડ, દગાબાજી, કૌભાંડો, બળાત્કારના કિસ્સા, ક્રાઈમની વાર્તાઓ, વગેરે. આ બધું આપણને આપે છે શું? આપણા મગજમાં જમા શું કરે છે? આપણાં નાના સંતાનો-ટીનેજર્સ આજકાલ શું વધુ જોઈ રહ્યા છે? બહુ બહુ તો તેઓ એવી ગૅમ રમી રહ્યાં છે, જે તેમને એડિક્ટ બનાવી દે છે. એનાથી તેમની બુદ્ધિ કેવી અને કેટલી ખીલશે? પૈસા, પદ, સત્તા, સુવિધા, લક્ઝરી પાછળની આપણી દોટ આપણને ક્યાં લઈ જશે એ આપણે દોડતી વખતે કલ્પી પણ શકતા નથી, કારણ કે એ બધી જ દોટ મોટેભાગે આંધળી હોય છે, અથવા હરીફાઈની હોય છે.

સોશ્યલ મીડિયા આગમાં ઘી સમાન

આ બધા વચ્ચે આપણા સમાજમાં સક્રિય થઈ ગયાં છે સોશ્યલ મીડિયા, જે આગમાં ઘી સમાન જ નહીં, ડીઝલ, પેટ્રોલ, વગેરે સમાન કામ કરી રહ્યાં છે. એમાં પણ આપણી પ્રજાનો ઈતિહાસ સાક્ષી છે. એને ગુલામ બની જવાની બહુ જૂની આદત છે. કોઈપણ આદતને ઝડપથી કેળવી લેવાની, ખાસ કરીને વિદેશી હોય ત્યારે તો જલ્દી અપનાવી લેવાની અને તેના શરણે થઈ જવાની માનસિકતા આપણને ક્યાંથી ક્યાં  લઈ ગઈ છે અને લઈ જઈ રહી છે! આ સોશ્યલ મીડિયા આપણને સતત વ્યસ્ત રાખે છે, જેમાં રચનાત્મક પણ ઘણું છે, કિંતુ આપણને જે વ્યસ્ત રાખે છે તે વિનાશાત્મક વધુ છે. આપણામાં આ મીડિયા અહંકાર, ઈર્ષ્યા, દેખાદેખી, નિંદારસ, પંચાત, ખોટા ટ્રેન્ડ, બનાવટી લોકોને હીરો માનવાની ચુંગાલમાં નાખી રહ્યાં છે. એ આપણી ભીતર એક બોગસ દુનિયા ઊભી કરી રહ્યાં છે, જેને આપણે અત્યારે વર્ચ્યુઅલ જગત કહીએ છીએ. આપણો મહત્તમ કિંમતી સમય આ સોશ્યલ મીડિયા ખાઈ જાય છે અને એ પછી આપણે પામીએ શું છે અને ગુમાવીએ શું છે એ સાદું ગણિત પણ આપણને સમજાતું નથી. આપણે સેલ્ફી લેવામાં, આપણા ફોટા અપલોડ કરવામાં એવા ખોવાઈ ગયા છીએ કે આપણે સેલ્ફને અને આપણી ખરી તસવીરને ભૂલી ગયા છીએ. આવાં તો અનેક એડિક્શનમાં આપણે એવા ફસાતા જઈએ છીએ કે ભવિષ્યમાં તેનાથી મુક્ત થવા આપણામાંથી ઘણાએ રિહેબિલિટેશન સેન્ટરમાં સારવાર માટે જવું પડશે. 

કેવા સમાજ તરફ ગતિ?

હવે વિચારી જુઓ કે આપણે કેવા સમાજ તરફ જઈ રહ્યા છીએ, આપણે બધા જ તેના માટે જવાબદાર હોઈશું. એ સમયે આપણને કોની વધુ જરૂર પડવાની છે. એની યાદી અને સમજ આપણે ઉપરની ચર્ચામાંથી મેળવી શકીશે છીએ. જેમણે આ ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી ઘડવી છે તેમના માટે આ બાબતો કેવી તકો ઉપલબ્ધ બનાવશે એ સમજો તો ઈશારા કાફી જેવી છે. આ સાથે એક ખાસ વાત નોંધવી જોઈએ કે આગામી સમયમાં ટેક્નૉલૉજી એક્સપર્ટની ડિમાન્ડ પણ ચિક્કાર વધવાની છે, જેથી આ ક્ષેત્ર પણ વધુ ને વધુ ખેડવા જેવું ખરું. કારણ કે લાઈફ પણ ઓનલાઈન-ડિજિટલ થઈ જવાની છે. હાલ બાળકથી માંડીને સીનિયર સિટિઝન્સ સુધી કે ગામડાઓની મહિલાઓ સુધી ટેક્નૉલૉજી – મોબાઈલ, ટીવી, ઇન્ટરનેટ, સોશ્યલ મીડિયાના માધ્યમ પહોંચી ગયાં છે. ભારતીયો આ બધાના મહત્તમ યુઝર્સ બની ગયા છે.

વર્ષ 2020ના સબક

આ બાબતો માત્ર આજની ઉપજ નથી, ઘણા વર્ષથી સતત વધતી-છવાતી રહી છે. કોરોનાએ આપણને આ વરસે એવો માહોલ આપ્યો કે આપણે ફરજિયાત આંધળી દોટમાંથી સ્થિરતા તરફ જવું પડ્યું,  જ્યાં આપણે કયાં જઈ રહ્યા છીએ તેનો વિચાર કરવાનો, જાતને અને જગતને જોવાનો બધાને સમય મળી શક્યો. હવે જો 2020નું આ વર્ષ પણ આપણને બદલી શકે નહીં તો સમજી લેવું કે હવે આપણા મરણ સુધી આપણને કોઈ બદલી નહીં શકે કે પછી આપણે સાવ જ સંવેદનહીન બની ગયા છીએ, આપણે મનુષ્ય ઓછા અને મશીન વધુ થઈ ગયા છીએ. જો કે, આપણે નિરાશા-નકારાત્મકતા સાથે વાત પૂરી કરવી નથી. આપણે જાગીશું, આપણે સત્યને ઓળખીશું, સ્વીકારીશું અને અસત્યના અંધકારમાંથી બહાર આવીશું. આપણે આશાવાદ અને સકારાત્મક અભિગમ સાથે આગળ જોવું છે અને આગળ જવું પણ  છે. આપણે સૌ નવા બહેતર જગત માટે સજ્જ થઈએ, તેમાં સહભાગી બનીએ અને સ્વસ્થ રહી આપણા સમાજ-દેશને પણ તમામ દૃષ્ટિએ સ્વસ્થ બનાવીએ એવો દૃઢ સંકલ્પ કરવાની અત્યારે જ જરૂર છે.   

——————————————————-

એનએસઈ સંબંધે સેબીનાં પગલાં બાબતે અનેક સવાલો

જયેશ ચિતલિયા

આજકાલ હર્ષદ મહેતા પર બનેલી વેબ સીરીઝ – ‘સ્કૅમ 1992’ સતત ચર્ચામાં છે. આ સ્કૅમ બાદ બે મહત્ત્વની ઘટના બની હતી. એક, સેબીને સરકારે પાવર્સ આપ્યા અને બે, નૅશનલ સ્ટૉક એક્સચેન્જની સ્થાપના થઈ. આ એક્સચેન્જ સ્થપાયું ત્યારથી જાણે એ સરકારી એક્સચેન્જ હોય એમ તેની સાથે વિશેષ પ્રેમભાવ રખાયો હોવાનું નોંધાયું છે. એનએસઈના નિયમ ઉલ્લધંન સામે કોઈ નક્કર પગલાં ન લેવા અને આ એક્સચેન્જને ઈચ્છે તે સેબીની મંજૂરી વિના કરવા મળે એવું મોટેભાગે જોવામાં અને ચર્ચામાં આવતું રહે છે. આવા ઘણા દાખલા જાહેર છે.

સિક્યોરિટીઝ માર્કેટનું નિયમન કરતી સંસ્થા – સેબી એનએસઈની બાબતે જે પણ નિર્ણય લે છે તેના દરેક નિર્ણય બાબતે શંકા-કુશંકાઓ થયા કરે છે. આ એક્સચેન્જમાં એવું તે શું છે કે તેના માટે હંમેશાં નરમ વલણ અપનાવવામાં આવે છે એવો સવાલ દર વખતે ઉપસ્થિત થાય છે. આમ કરવામાં કોનું સ્થાપિત હિત છે યા હશે?

કૉ-લૉકેશનનું પરિણામ?

સૌથી વધુ આશ્ચર્ય તો કૉ-લૉકેશન (જેમાં ચોક્કસ બ્રોકરોને ટ્રેડિંગ માટે ખાસ સુવિધા અપાઇ હતી) સંબંધે એનએસઈ માટે સેબી તરફથી અપનાવાયેલા વલણ અને તેને કરાયેલા મામૂલી દંડનું છે. એનએસઈ સેબીનાં નિયમનોને ગણકાર્યા વગર સ્વેચ્છાએ વર્તતું હોવા છતાં તેની સાથે ‘માનીતી રાણી’ જેવો જ વ્યવહાર કરવામાં આવે છે.

કૉ-લૉકેશનની જ વાત કરીએ તો, એનએસઈએ સેબીના આદેશાનુસાર કૉ-લૉકેશનની આશરે 4,000 કરોડ રૂપિયાની આવકને અલગ અકાઉન્ટમાં રાખી છે. એનએસઈએ કૉ-લૉકેશનના કેસમાં કરેલી કથિત ગેરરીતિઓને સેબીએ ફક્ત ત્રુટિ ગણાવી છે. જો કે, આ કેસમાં હાલ તપાસ ચાલી રહી છે. એનએસઈએ કરેલા ડિસ્ક્લોઝર મુજબ 30 જૂન, 2020ના રોજ સુધીમાં તેણે 4,066.78 કરોડ રૂપિયાની કૉ-લૉકેશનની આવકને અલગ બૅન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છે અને પોતાના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે માન્ય કરેલી નીતિ અને પ્રણાલી અનુસાર એ રકમનું રોકાણ કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે સેબીએ આ કેસમાં તપાસ પૂરી થાય નહીં ત્યાં સુધી સપ્ટેમ્બર 2016 બાદની કો-લોકેશન સુવિધાની તમામ આવક અલગ બૅન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવી એવો હુકમ કર્યો હતો.

કૉ-લૉકેશન શરૂ કરતાં પહેલાં એનએસઈએ સેબીની આગોતરી પરવાનગી લીધી ન હતી. દેખીતી વાત છે કે દેશમાં નિયમનકાર હોવા છતાં આ એક્સચેન્જે તેનું અસ્તિત્વ જ ન હોય એ રીતે વર્તીને બ્રોકરોને કૉ-લૉકેશન સેવા આપવાની શરૂઆત કરી દીધી. એનએસઈ કઈ આવકને કૉ-લૉકેશનની આવક ગણે છે અને તેણે જે રકમ અલગ રાખી છે એટલી જ આવક છે કે કેમ એવા બે અગત્યના સવાલ આ કેસમાં જાગ્યા છે. જાણકારો કહે છે કે જાહેર કરાયેલા આંકડા કરતાં અનેક ગણી આવક હોવાની શક્યતા વિશે વિવિધ સવાલ ઊભા થાય છે.

એનએસઈનું વિવિધ રોકાણ

કૉ-લૉકેશન ઉપરાંત બીજો આઘાતજનક અને આશ્ચર્યજનક મુદ્દો એનએસઈએ સેબીની મંજૂરી વગર છ કંપનીઓમાં કરેલા રોકાણનો છે. આ બાબતે સેબીએ સ્પષ્ટ કહ્યું છે કે એનએસઈએ સેબીના નિયમોનું ઉલ્લંઘન કરીને આ રોકાણ કર્યું છે. જે પગલું નિયમથી વિપરીત હોય તેનાથી થયેલો મસમોટો નફો કઈ રીતે એક્સચેન્જની પાસે રહેવા દેવાય એવો પાયાનો પ્રશ્ન ઊભો થયો છે.

અહીં જણાવવું રહ્યું કે એનએસઈએ સેબીની મંજૂરી વગર કોમ્પ્યુટર ઍજ મૅનેજમેન્ટ સિસ્ટમ્સ (કેમ્સ), પાવર એક્સચેન્જ ઇન્ડિયા (પીએક્સઆઇએલ), એનએસઈઆઇટી, માર્કેટ સિમ્પ્લીફાઇડ ઇન્ડિયા (એમએસઆઇએલ) અને રીસીવેબલ્સ એક્સચેન્જ ઑફ ઇન્ડિયા (આરએક્સઆઇએલ)માં રોકાણ કર્યું હતું. સેબીએ પોતાના આદેશમાં કહી તો દીધું કે અગ્રણી સ્ટૉક એક્સચેન્જ હોવાના નાતે એનએસઈએ કમ્પ્લાયન્સનાં ઉચ્ચ આદર્શો સ્થાપવાં જોઈએ. તેણે એક નહીં, અનેક વાર તથા લાંબા સમય સુધી નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જો આવી જ વાત હોય તો, કાનૂની વર્તુળોમાં બોલાઈ રહ્યું છે કે સેબીએ એનએસઈ પાસેથી ગેરરીતિપૂર્ણ નફાની રકમ લઈ લેવી જોઈએ. નિયમોનું ઉલ્લંઘન થયું હતું તેથી જ સેબીએ દંડ કર્યો, પણ નફો એક્સચેન્જ પાસે રહેવા દીધો. આ પગલું કાનૂની દૃષ્ટિએ ઉચિત અને ન્યાયી ગણાતું નથી. નિયમનકાર સંસ્થા હંમેશાં બીજા કેસમાં આવી ગેરરીતિપૂર્ણ આવક સંબંધિત પાર્ટી પાસેથી વસૂલ કરતી આવી છે. છ કંપનીઓમાં કરાયેલા અનુચિત રોકાણના કેસમાં સેબીએ આશરે 2,000 કરોડ રૂપિયાનો એનએસઈએ કરેલો નફો તેની પાસેથી લઈને સરકારી તિજોરીમાં જમા કરવો જોઈતો હતો એવો કાનૂની મત નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો સેબીના આવા આઘાતજનક પગલાને લીધે સરકારને 2,100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

આ એક્સચેન્જ કંઈપણ ગેરવાજબી કરે તો તેને  ફક્ત નામપૂરતો દંડ કરવાની સેબીની નીતિથી જાણે સેબી એનએસઈ પર વહાલ વરસાવી રહી હોય એવું લાગે છે. નિયમનકારનું આવું કૂણું વલણ ક્યાં સુધી વાજબી છે એવો સવાલ શેરબજાર સાથે સંબંધ ધરાવતા લોકોના મનમાં જાગ્યો છે. બીજી તમામ એન્ટિટીઝ બાબતે કડક વલણ અપનાવનાર સેબી ફક્ત એનએસઈની બાબતે જ કેમ નરમ પડી જાય છે એ કોયડો અત્યારે બજારમાં  ચર્ચાનો મુદ્દો બન્યો છે.

ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ

સેબીએ એનએસઈના વર્તન બાબતે આંખ આડા કાન કર્યા હોય એવો બીજો પણ એક મુદ્દો છે. હાલમાં સેબીના વડા અજય ત્યાગીએ કબૂલ્યું હતું કે સ્ટૉક એક્સચેન્જો પાસેનું ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (આઇપીએફ – રોકાણકાર સુરક્ષા ભંડોળ) ઘણું જ ઓછું છે. શ્રીમાન ત્યાગીએ આ નિવેદન બધાં એક્સચેન્જો સંબંધે કહ્યું છે, પરંતુ ઝીણી તપાસ કરતાં જાણવા મળે છે કે દેશમાં 90 ટકા કરતાં વધુ ટ્રેડિંગ ટર્નઓવર ધરાવતા એનએસઈનું આઇપીએફ ફક્ત 594.12 કરોડ રૂપિયા છે (31 માર્ચ, 2020ના રોજ). તેની સામે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જે 784.24 કરોડ રૂપિયાનું ભંડોળ રાખ્યું છે. આ ઉપરાંત એ પણ જાણવા મળ્યું છે કે એનએસઈ પર દર વર્ષે બ્રોકર ડિફોલ્ટને કારણે રોકાણકારોને નુકસાન ભરપાઈ કરવાની વધારે જરૂર પડે છે. આમ, અગ્રણી એક્સચેન્જ હોવા છતાં એનએસઈએ રોકાણકારોના રક્ષણની બાબતે ઘોર દુર્લક્ષ કર્યું હોવાનું દેખાઈ રહ્યું છે.

બ્રોકરોના ડિફોલ્ટના કિસ્સામાં રોકાણકારોને નુકસાન ભરપાઈ કરવા માટે આઇપીએફનો ઉપયોગ થાય છે.

મામલો આઈપીઓનો

એનએસઈ લાંબા સમયથી પોતાનો આઇપીઓ લાવવાના પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ કમ્પ્લાયન્સ અને ડિસ્ક્લોઝરની અનેક બાબતોમાં એ ઊણું ઊતરે છે. લિસ્ટિંગ માટે પ્રયત્નશીલ એક્સચેન્જને નિયમનકાર આ રીતે થાબડભાણાં કરતું હોવાનું પણ કહેવાય છે. બજારના અનુભવીઓના મતે નિયમનતંત્ર આવા ભેદભાવ રાખે અને ખોટા દાખલા બેસાડે એ મૂડીબજારની વિશ્વસનીયતા સામે પણ સવાલ ઊભા કરે છે. આ એક્સચેન્જના આઈપીઓનું સતત વિલંબમાં પડવું એ પણ આવો જ કોઈ સવાલ હોઈ શકે. આમાં એક ભૂતપૂર્વ નાણાપ્રધાનનું અઢળક રોકાણ બેનામી સ્વરૂપે હોવાની ચર્ચા છે, પણ આ ‘મહાન’ નાણાપ્રધાન સામે તો કોઈનું શું ચાલે? જે પોતે સતત એનએસઈની રક્ષા કરતા રહ્યા હોવાનું જાહેર છે.

ફ્રેન્કલિન અને ખાનગી બૅન્કો

તાજેતરમાં ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડની કેટલીક સ્કીમ્સ બાબતે પણ સેબીનું વિચિત્ર વલણ જોવામાં આવ્યું છે, જે મામલો હાલ કોર્ટમાં ચાલી રહ્યો હોવાનું કહેવાય છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં આ વિષય પર ચર્ચા ચાલે છે. રોકાણકારોમાં શંકા ઊભી કરે છે. અગાઉ કોટક મહિન્દ્રા બૅન્કના મામલે પણ સેબીનું વલણ સવાલ જગાવે એવું હતું. ઇન શોર્ટ, નિયમન સંસ્થાનું ચોક્કસ હસ્તીઓ સામે નિયમપાલન માટેનું વલણ કેમ જુદું-જુદું આવો સવાલ રોકાણકારોને પણ થતો હશે, પરંતુ તેમનું સાંભળે કોણ?

સેબીની સત્તાનો ઉપયોગ

સેબીએ મૂડીબજારના વિકાસ અને ઇન્વેસ્ટરોની રક્ષા માટે ઘણાં સારાં પગલાં પણ લીધાં છે, લેતું રહે છે, પરંતુ ચોક્કસ કેસોમાં સેબી શા માટે કૂણું પડી જાય છે અથવા શંકાજનક વલણ અપનાવે છે તેનો જવાબ મળતો નથી. 1992ના સ્કેમ બાદ સરકાર સેબીને સતત પાવરફુલ નિયમનતંત્ર બનાવતી ગઈ છે, પરંતુ પાવરનો ઉપયોગ ક્યાં અને કેટલો થાય છે એ સવાલ ખુદ સરકાર સેબીને પૂછે એ જરૂરી છે.

————————

નિયમનકારી સંસ્થા રોકાણકારોની રક્ષાનાં પગલાં લેવામાં મોડી અને મોળી કેમ પડી જાય છે?

લેખકઃ જયેશ ચિતલિયા (વરિષ્ઠ આર્થિક પત્રકાર)

સેબી રોકાણકારોનાં હિતની રક્ષા કરવા માટેની વાતો તો ઘણી કરે છે, પણ શું એવું કરવામાં સફળ રહે છે ખરી? સિક્યૉરિટીઝ માર્કેટના નિયમનકાર તરીકે તેનાં આંખ-કાન-નાક ખૂલ્લાં હોવાં જોઈએ, પરંતુ આ માર્કેટમાં જે પ્રકારની ઘટનાઓ બને છે તેના પરથી લોકોને શંકા જાય છે કે શું ખરેખર સેબી રોકાણકારોનું રક્ષણ કરી શકે છે? શું રોકાણકારો તો જવાબદાર નથી ને?

કોઈપણ બ્રોકર ડિફોલ્ટર થાય ત્યારે તેની પાસેથી રોકાણકાર ગ્રાહકોએ લેવાનાં નીકળતાં નાણાં કે શેર્સ એ બ્રોકર પાસે અથવા એક્સચેન્જ યા ક્લીયરિંગ કૉર્પોરેશન પાસે અટવાઈ જાય છે. આ શેર કે નાણાં પરત મેળવવા ગ્રાહકોએ લાંબી વિધિ કરવી પડે છે. જેમાં અનેક આંટીઘૂંટી પણ હોય છે. પોતાનાં જ નાણાં મેળવવા ગ્રાહકો-રોકાણકારોએ તરફડિયાં મારવાં પડે, ધક્કા ખાવા પડે, ભાઈ-બાપા કરવા પડે એનાથી મોટી કરુણતા શું હોઈ શકે? બૅન્કોના ઉઠમણામાં કે કંપનીઓના નાદાર થવામાં પણ ઇન્વેસ્ટરોની-બચતકારોની આવી જ દશા થાય છે.

પીએમસી બૅન્કનો કિસ્સો તાજો છે. અમુક કૉ-ઑપરેટિવ બૅન્કોના કિસ્સાના જખમ વરસો બાદ પણ રુઝાયા નથી ત્યારે તાજેતરમાં અનુગ્રહ સ્ટૉક ઍન્ડ બ્રોકિંગ કંપનીએ અનેક ઇન્વેસ્ટરોને ફસાવ્યા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આમાં હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ છે. એક્સચેન્જ અને સેબીએ આ કંપનીને ડિફોલ્ટર જાહેર કરી દીધી છે અને હવે સેબીએ  દરેક ડિફોલ્ટર બ્રોકરના કિસ્સામાં રોકાણકારોને તેમના નાણાં-શેર્સ વહેલી તકે મળી જાય એ માટે ડિફોલ્ટિંગ બ્રોકર્સની ઍસેટ્સનું છ મહિનામાં લિક્વિડેશન (નિકાલ કરવાનો) સ્ટૉક્સ એક્સચેન્જીસ અને ક્લીયરિંગ કૉર્પોરેશનને આદેશ આપ્યો છે, જેમાંથી નાણાં રિકવર કરી રોકાણકારોને તેની વેળાસર ચુકવણી થાય એવો સેબીનો ઉદ્દેશ છે.   

ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં જંગી ખોટ

અનુગ્રહના કેસમાં રીતસરની છેતરપિંડીનો આરોપ છે. આ ઘટના બનતી રહી અને સમયસર કે સમય પૂર્વે ઍક્શન ન લેવાઈ તેથી સેબી સામે પણ સવાલ થયા છે. અનુગ્રહ કંપની તેની ઍસોસિયેટ કંપની મારફતે રોકાણકારોના રૂ।. 1,000 કરોડ મૅનેજ કરતી હતી અને તેણે ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં જંગી ખોટ કરી હતી. કંપની અનધિકૃત ડેરિવેટિવ્ઝ ઍડવાઈઝરી સર્વિસ કંપની ચલાવતી હતી, જે તેજી મંદી એનાલિટિક્સ પ્રા. લિ અને ઓમ શ્રી સાંઈ ઇન્વેસ્ટમેન્ટ નામે ચાલતી હતી. આમાં ફસાયેલા કેટલાક ઇન્વેસ્ટરોએ મુંબઈ હાઈકોર્ટમાં કંપની સામે દાવો કર્યો છે.

રોકાણકારોને આ બ્રોકરે કોઈ દાદ આપી નહીં અને તેમનાં અકાઉન્ટ વિશે પણ કોઈ માહિતી આપી નહીં તેને પગલે વડી અદાલતમાં અરજી કરાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ મુંબઈ વડી અદાલતે અનુગ્રહ સ્ટૉક ઍન્ડ બ્રોકિંગ પ્રા. લિ.ને આદેશ આપ્યો છે કે તેણે 25 કરતાં વધુ રોકાણકારોની 58 કરોડ રૂપિયા મૂલ્યની ઍસેટ્સનો કોઈ ઉપયોગ કરવો નહીં.

રોકાણકારો વતી ડૉ. બીરેન્દ્ર સરાફે દલીલ કરીને દાવો કર્યો હતો કે તમામ રોકાણકારો મળીને 58 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. એ દરેક રોકાણકારે અલગ-અલગ કેસ કર્યો છે. જો કે, બીજા ઘણા રોકાણકારો પોતપોતાનાં રોકાણો પાછાં મેળવવા માટે કાનૂની મદદ લેવાનું વિચારી રહ્યા છે.

એક અહેવાલ મુજબ સેંકડો રોકાણકારોએ અનુગ્રહની સહયોગી કંપનીઓ – તેજી મંદી એનાલિટિક્સ અને ઓમ શ્રી સાઇ ઇન્વેસ્ટમેન્ટ્સ મારફતે રોકાણ કર્યું હતું. તેમને ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ દ્વારા દર મહિને 1 ટકા કરતાં વધુ વળતર આપવાની બાંયધરી અપાઈ હતી. જો કે, જૂનથી વળતર મળવાનું બંધ થઈ ગયું છે.

પોન્ઝી સ્કીમ ચાલતી રહી?

નવાઈની અને આઘાતજનક વાત એ છે કે અનુગ્રહ કંપની પોન્ઝી સ્કીમ ચલાવતી હોવાનો આરોપ થયા હતા. એનએસઈએ તેની સામે અચાનક ઈન્સ્પેક્શન કર્યુ હતું, જેમાં આ પોન્ઝી સ્કીમ વિશે ઘટસ્ફોટ થયો હતો. એક્સચેન્જે આ કંપનીને સસ્પેન્ડ કરી. આ મામલો ઈકોનોમિક ઓફેન્સીસ વિંગમાં પણ ગયો, આ કેસમાં હજી તપાસ ચાલુ છે. કંપની તેની ઍસોસિયેટ્સ મારફતે કરન્સી, ઈક્વિટી, કોમોડિટીઝ ડેરિવેટિવ્ઝ અને કૅશ માર્કેટમાં કામકાજ કરતી હતી. એનએસઈએ આ કંપની અને તેની ઍસોસિયેટ કંપની સામે ઍક્શન લેવામાં લાંબો સમય કાઢી નાખ્યો હોવાનું કહેવાય છે. આ દરમ્યાન કંપની તેની પ્રવૃત્તિ ચલાવતી રહી, તેને ડિફોલ્ટર જાહેર કરવામાં પણ વિલંબ થયો. સેબીએ પણ ઘણી ઢીલ રાખી. આમ, એક્સચેન્જ અને રેગ્યુલેટર ખુદ મહદ્અંશે જવાબદાર ગણાય. જો આ એક્સચેન્જ અને રેગ્યુલેટરને હાઈ કોર્ટ સવાલ પૂછે તો તેમની માટે જવાબ આપવાનું મોંઘું પડી શકે, જો કે આવા સવાલ પુછાશે કે એ પણ સવાલ છે.

કૉ-લૉકેશનના વિવાદ હજી ઊભો

એનએસઈ કૉ-લૉકેશનના કથિત કૌભાંડમાં પણ સેબીએ ઍક્શન લેવામાં વિલંબ કર્યો હતો અને એ પછી પણ ઍક્શનના નામે શું કર્યું, તેનું પરિણામ શું આવ્યું એ સવાલ હજી ઊભો છે. આ કેસમાં સામાન્ય રોકાણકારોને નુકશાન થયું હોવાનું નોંધાયુ છે. આ નુકશાન એ રીતે છે કે વગદાર બ્રોકરો-ઇન્વેસ્ટરો સિસ્ટમનો લાભ લઈ ગયા હતા, જેમાં ચોક્કસ સ્થાપિત હિતોને વહેલું ટ્રેડિંગ કરવાની તક મળી જતી હતી.

ફ્રેન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફંડ

તાજેતરમાં ફ્રેન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફંડના કેસમાં પણ જે રીતે આ ફંડની છ સ્કીમ્સમાં રોકાણકારોની મૂડીનું ધોવાણ થયું એ સૌની નજર સામે છે. આ મામલો પણ કોર્ટમાં ગયો છે. સેબીએ અત્યાર સુધીની તપાસમાં શું પરિણામ મેળવ્યું એ સ્પષ્ટ નથી. આવા તો વિવિધ કેસમાં આખરે સહન કરવાનું આવે છે સામાન્ય રોકાણકારોએ, જ્યારે એક્સચેન્જ અને નિયમનકાર તપાસ, પુરાવા, કોર્ટ કેસ, ઇન્વેસ્ટિગેશનમાં અટવાયા કરે છે અને એ નિમિત્તે સમય ખેંચાતો  જાય છે. યસ બૅન્કના કેસનો ઝડપથી ઉકેલ આપી દેનાર રિઝર્વ બૅન્ક પીએમસી બૅન્કના કિસ્સામાં કંઈ કરે છે કે શું? આ ડિપોઝિટધારકોનો શું વાંક? તેમને ન્યાય મળવામાં વિલંબ શા માટે? આ વિષયમાં દરેકે નવેસરથી વિચાર કરવાનો સમય છે.

જવાબદાર કોણ-કોણ?

આપણા દેશમાં નાના-સામાન્ય રોકાણકારોને શેરબજારમાં લાવવા માટે તેમ જ બજારમાં શું ધ્યાન રાખવું, કઈ રીતે કામકાજ કરવું, વગેરે વિશે ઘણી જાગૃતિ ઝુંબેશ ચાલે છે. તેમને આના લાભ સમજાવવા સાથે  શિક્ષણ અને સમજ અપાય છે, તેમ છતાં રોકાણકારો લાલસામાં આવીને ફસાઈ જતા સમય લાગતો નથી. ઝટપટ કે ઊંચી કમાણી કરી લેવાના આકર્ષણમાં આવી જનાર બધા જ રોકાણકારો ખરેખર દયાને પાત્ર હોતા નથી, તેમની પણ ભૂલ ગણાય, પરંતુ જ્યારે તેમની સાથે છેતરપિંડી કરાય ત્યારે એ છેતરપિંડી કરનાર અને એ છેતરપિંડી છાવરનાર પણ  જવાબદાર બને છે. અનુગ્રહ એનો તાજો દાખલો છે, બાકી વરસોથી સમયાંતરે આવું બનતું જ રહે છે. રોકાણકારોને આકર્ષીને જાળમાં સપડાવવામાં કંપનીઓ-બ્રોકરો હોંશિયાર હોય છે, જ્યારે કે તેમની સામે પહેલેથી ઍક્શન લેવા બાબતે નિયમન સંસ્થા કે એક્સચેન્જ કાયમ હિંદી ફિલ્મોની પોલીસની જેમ મોડા અને મોળા પડે છે. ત્યાં સુધીમાં ઘોડા તબેલામાંથી લગભગ નાસી ગયા હોય છે. ફ્રોડ કરનાર પાર્ટીએ નાણાં રફેદફે કરી નાખ્યાં હોય છે. ન્યાય પ્રક્રિયા પોતાની ગોકળગાયની ગતિએ ચાલ્યા કરે છે. આખરે રોકાણકાર થાકી-કંટાળી જાય છે. જો આમ જ ચાલતું રહેવાનું હોય તો નિયમન સંસ્થા અને એક્સચેન્જની સંસ્થા કે સત્તાનો અર્થ શું? કોના માટે? શા માટે અને ક્યાં સુધી નાના-સામાન્ય રોકાણકારો આમ છેતરાતા રહેશે? શું આનો કોઈ નક્કર ઉપાય નથી.

—————-

ખેડૂતો માટે મગરનાં આંસું પાડનારા પી. ચિદમ્બરમ પર માછલાં ધોવાયાં

ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલમાં રહી આવેલા ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દરેક નવી નીતિ પર પ્રહાર કરવાની એકપણ તક છોડતા નહીં હોવાથી દિલ્હીમાં એમની ઠેકડી ઉડાડાઈ રહી છે. એટલું જ નહીં, ટ્વીટર પર એમણે ટિપ્પણી કરી લીધા બાદ તેઓ રીતસરના ટ્રોલ થઈ રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો એમની ઘણી ‘ધુલાઈ થઈ રહી છે’.

લેખકઃ શાંતનુ ગુહા રે

નાતાલ સાથે જોડાયેલી એક વાર્તામાં વાક્ય આવે છે, “જેણે અત્યાર સુધી એકપણ પાપ કર્યું ન હોય એ આ ખરાબ સ્ત્રીને પથ્થર મારે.” જો કે, પાટનગરમાં અત્યારે એવી વાર્તા ચાલી રહી છે કે અનેક પાપ જેના નામે છાપરે ચડીને બોલી રહ્યાં છે એ વ્યક્તિ જ્યાં જુઓ ત્યાં પથ્થરો મારવાની વાત કરી રહી છે.

ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલમાં રહી આવેલા ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દરેક નવી નીતિ પર પ્રહાર કરવાની એકપણ તક છોડતા નહીં હોવાથી દિલ્હીમાં એમની ઠેકડી ઉડાડાઈ રહી છે. એટલું જ નહીં, ટ્વીટર પર એમણે ટિપ્પણી કરી લીધા બાદ તેઓ રીતસરના ટ્રોલ થઈ રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો એમની ઘણી ‘ધુલાઈ થઈ રહી છે’.

હાલમાં સરકારે ખેતી ક્ષેત્રે લાવેલા સુધારાના કાયદાની ચિદમ્બરમે ટ્વીટર પર ટીકા કરી છે. આમ કરતી વખતે એમને એનએસઈએલ (નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ) યાદ નથી આવ્યું. એમને સ્મરણ નહીં થવાનું કારણ એ કે અત્યારે સરકાર નવા કાયદા દ્વારા જે સારા સુધારા લાવવા માગે છે એવી જ એક પહેલ એટલે કે એનએસઈએલને એમણે પોતાના મળતિયા સનદી અમલદારો – રમેશ અભિષેક અને કે. પી. કૃષ્ણનની સાથે ષડ્યંત્ર રચીને 2013માં બંધ કરાવી દીધું.

ડિજિટલ ઇન્ડિયાના ઉત્તમ ઉદાહરણને પી. ચિદમ્બરમે ખતમ કરવામાં ભજવી ભૂમિકા

એનએસઈએલ એવું એક્સચેન્જ હતું, જે આજના ‘આત્મનિર્ભર ભારત’ની અને ‘ડિજિટલ ઇન્ડિયા’ની ગરજ સારી રહ્યું હતું. ખેડૂતોના હિત માટે સ્થપાયેલા એક્સચેન્જ એનએસઈએલને બંધ કરાવીને પી. ચિદમ્બરમે ખેડૂતોને ઘણું નુકસાન કર્યું હતું અને આજે તેઓ ખેડૂતોના મસીહા બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. એમણે એનએસઈએલને ખતમ કરવા માટે ભજવેલી કથિત ભૂમિકા વિશે દસ્તાવેજો સાથેની માહિતી ઉપલબ્ધ છે.

બીજાની સામે આંગળી ચીંધનારા પી. ચિદમ્બરમ એ ભૂલી ગયા કે ત્રણ આંગળીઓ એમની પોતાની તરફ છે (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)

જિજ્ઞેશ શાહે સ્થાપેલી ફાઇનાન્શિયલ ટેક્નોલોજીસ ઇન્ડિયા લિમિટેડની પેટા કંપની – એનએસઈએલે થોડા જ સમયમાં કાઠું કાઢ્યું એ આ ભૂતપૂર્વ નાણાપ્રધાન અને એમના માનીતા અમલદારોને રુચ્યું નહીં, કારણ કે તેઓ કથિત રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની તરફેણ કરવા માગતા હતા. નોંધનીય છે કે એમણે જેની તરફેણ કરી એ જ એનએસઈ આજે અતિ ગંભીર કો-લોકેશન કૌભાંડમાં સંડોવાયેલું હોવાનું કહેવાઈ રહ્યું છે. આમ છતાં પી. ચિદમ્બરમ એના વિશે એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી.

ટ્વીટર પર પી.સી. પર ચલાવાયાં ટીકાસ્ત્રો

પી. ચિદમ્બરમે ખેતીવિષયક નવા કાયદાની ટીકા કરી ત્યાર બાદ લગભગ 24 કલાક સુધી એમના ટ્વીટર હેન્ડલને ટાંકીને એમનો ઉધડો લેવામાં આવ્યો હતો. દેશની ખરી મેડ ઇન ઇન્ડિયા સંસ્થા (એનએસઈએલ)ને ખતમ કરવામાં એમની ભૂમિકા બદલ લોકોએ એમના પર ટીકાસ્ત્રો વરસાવ્યાં હતાં. આ રીતે એમનો ‘ગુનાહિત’ ભૂતકાળ યાદ કરાવવામાં આવી રહ્યો હતો.

જિજ્ઞેશ શાહે કેવી રીતે વિશ્વમાં ઉચ્ચ કક્ષાનાં એક્સચેન્જોની સ્થાપના દ્વારા મેડ ઇન ઇન્ડિયા સંસ્થાઓ સાકાર કરીને સર્વત્ર ભારતનું નામ ગજાવ્યું હતું એ બાબતનો એ બધી ટિપ્પણીઓમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઘણા લોકોએ નોંધ્યું છે કે ફાઇનાન્શિયલ ટેક્નોલોજીસ ઇન્ડિયા લિમિટેડ (હાલનું નામ 63 મૂન્સ ટેક્નોલોજીસ)ના ચેરમેન ઇમેરિટસ જિજ્ઞેશ શાહે રાખમાંથી ફરી બેઠા થતા ફિનિક્સ પંખીની યાદ અપાવે એવું કામ કર્યું છે.

વાસ્તવિકતા એ છે કે એનએસઈએલ તો શાહનાં સંખ્યાબંધ વેપાર સાહસોમાંનું ઘણું નાનું સાહસ હતું. અહીં જણાવવું રહ્યું કે 30 એપ્રિલ, 2019ના રોજ સર્વોચ્ચ અદાલતે સીમાચિહ્નરૂપ ચુકાદામાં કહ્યું હતું કે એનએસઈએલને 63 મૂન્સ ટેક્નોલોજીસ સાથે ભેળવી દેવાનો સરકારનો ફેંસલો અયોગ્ય હતો.

63 મૂન્સ ટેક્નોલોજીસની ટાંચમાં લેવાયેલી મિલકતો અદાલતોના બીજા કેસોમાં હવે મુક્ત કરવામાં આવી રહી છે.

પી. ચિદમ્બરમ અને એમના સાગરિતોએ શાહનું નામ ખરડવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ એ દૂરદ્રષ્ટાને એક છાંટોય ઉડ્યો નથી. ઉલટાનું, ટ્વીટર પર અત્યારે પી. ચિદમ્બરમ પૂરેપૂરા ખરડાઈ રહ્યા છે.

જિજ્ઞેશ શાહ સામેના આક્ષેપો એક પછી એક ખોટા સાબિત થઈ રહ્યા છે

અદાલતોના આદેશો દ્વારા જિજ્ઞેશ શાહ સામેના આક્ષેપો એક પછી એક ખોટા સાબિત થઈ રહ્યા છે, કારણ કે એનએસઈએલ કેસની 5,600 કરોડ રૂપિયાની પેમેન્ટ કટોકટીની એક રાતી પાઈ પણ શાહ કે એમની કંપનીએ લીધી નથી એવું અદાલતોમાં સ્પષ્ટ થઈ ગયું છે.

એનએસઈએલની એ કટોકટીને સાત વર્ષ પૂરાં થઈ ચૂક્યાં છે અને શાહ સતત કહેતાં આવ્યા છે કે કંપનીના અમુક કર્મચારીઓએ ડિફોલ્ટર બ્રોકરોની સાથે ભળીને એ કૌભાંડ કર્યું હતું. તેઓ એમ પણ કહેતાં આવ્યા છે કે એ કટોકટી એક કે દોઢ મહિનામાં હલ કરી શકાઈ હોત, પરંતુ એમના બિઝનેસના હરીફો ફાવી જાય એ હેતુથી એમની સામે રાજકીય કાવતરું રચવામાં આવ્યું હતું. પરિણામે, એમણે પોતાના ગ્રુપની મોખરાની કંપની એમસીએક્સ (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) અને બીજી કંપનીઓમાંથી પરાણે હિસ્સા વેચી દેવા પડ્યા હતા.

સત્યનો વિજય થશે અને પેમેન્ટ કટોકટીનો હલ આવીને દોષિતોને સજા થઈ શકશે એવો શાહને ગળા સુધી વિશ્વાસ છે. એમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં પણ એટલો જ વિશ્વાસ છે. એનું કારણ એ છે કે તેઓ આજે પણ ખરા દાવેદારોનાં લેણાં નીકળતાં નાણાં પાછાં અપાવવા માટે દિલોજાનથી પ્રયાસ કરી રહ્યા છે. એનએસઈએલની કટોકટી તો 5,600 કરોડ રૂપિયાની હતી, પરંતુ તેની સામે ડિફોલ્ટરોની 8,000 કરોડ રૂપિયા કરતાં વધુની સંપત્તિ જપ્ત થઈ ચૂકી છે. આટલું જ નહીં, આમાંથી 3,300 કરોડ રૂપિયા જેટલી રકમ માટે ડિક્રી અને આર્બિટ્રેશન ચુકાદા મેળવી લેવાયા છે અને બાકીની રકમ માટે આવા ચુકાદા મેળવવાના પ્રયત્ન કાયદાકીય રીતે થઈ રહ્યા છે.

52 વર્ષીય શાહને જગત ભારતના ‘એક્સચેન્જ મેન’ તરીકે ઓળખે છે. એમણે છ ખંડોમાં 14 એક્સચેન્જોની સ્થાપના કરી હતી, જે એક વૈશ્વિક વિક્રમ હતો. એમણે ન્યાયતંત્રમાં અડગ વિશ્વાસ ટકાવી રાખ્યો છે. એમની કંપનીઓ કોમોડિટી ટ્રેડિંગ, ઈલેક્ટ્રિસિટી, કરન્સી, બોન્ડ, વગેરે અનેક ક્ષેત્રે અગ્રણી હતી.

આ પ્રકરણમાં નોંધવા લાયક બાબત એ પણ છે કે 63 મૂન્સ ટેક્નોલોજીસે ચિદમ્બરમ, રમેશ અભિષેક તથા કે. પી. કૃષ્ણન વિરુદ્ધ 10,000 કરોડ રૂપિયાની નુકસાનીનો દાવો માંડ્યો છે, કારણ કે એમનું કહેવું છે કે એ ત્રણે વ્યક્તિઓએ ઘડેલા ષડ્યંત્રને લીધે 63 મૂન્સને ભયંકર મોટું નુકસાન થયું છે.

એનએસઈએલ રોકાણનું સાધન ન હતું, કૃષિપેદાશોની ખરીદી અને વેચાણ માટેનું ઓનલાઇન માધ્યમ હતું

વાત નીકળી જ છે તો જણાવવું ઘટે કે એનએસઈએલ રોકાણનું સાધન ન હતું, કૃષિપેદાશોની ખરીદી અને વેચાણ માટેનું ઓનલાઇન માધ્યમ હતું. આ સંદર્ભમાં મુંબઈ વડી અદાલતે 22 ઓગસ્ટ 2014ના રોજ કરેલી નોંધ અગત્યની છે. અદાલતે એનએસઈએલના રોકાણકારો કહેવાતા લોકો ખરેખર બોગસ ટ્રેડરો હતા એમ કહ્યું હતું. એ જ ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે પેમેન્ટ કટોકટીનાં નાણાં એનએસઈએલ કે એફટીઆઇએલે લીધાં ન હતાં, પરંતુ 25 ડિફોલ્ટરો લઈ ગયા હતા. એ જ વાત મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ તત્કાલીન ગ્રાહકસંબંધી કેન્દ્રીય મંત્રાલય સમક્ષ કહી હતી.

હાલમાં બહાર આવેલા એનએસઈના કો-લોકેશન કૌભાંડ દ્વારા ફરી એક વાર પુરવાર થયું છે કે બ્રોકરો દર વખતે એક્સચેન્જના અધિકારીઓને સાધીને પોતાનાં આર્થિક હિતો બર લાવે છે. આવાં કૌભાંડોમાં પ્રધાનો પણ સંડોવાયેલા હોય છે.

ખેડૂતોને લાભ કરાવવાનો એનએસઈએલની સ્થાપના પાછળનો ઉદ્દેશ્ય પૂરો કરવા દેવાયો હોત તો આજે ભારતના ખેડૂતો માટે સોનાનો સૂરજ ઊગી ચૂક્યો હોત અને ખેડૂતો ગરીબીમાંથી બહાર આવી ગયા હોત. ખેડૂતોને વચેટિયાઓની જંજાળમાંથી મુક્ત કરવાના શાહના ધ્યેયને આજે મોદી સરકાર નવા સ્વરૂપે લઈ આવી છે અને એ પગલાં યોગ્ય દિશામાં ભરાયેલાં કહી શકાય.

(લેખક સેન્ટ્રલ યુરોપિયન ન્યૂઝ, વિયેનાના ભારત ખાતેના સંપાદક અને ન્યૂઝ ઇન્ટરવેન્શનના સલાહકારી સંપાદક છે. એમનું પ્રખ્યાત પુસ્તક – ધ ટાર્ગેટ એનએસઈએલની કટોકટીના બારીક અભ્યાસ અને સંશોધનનું પરિણામ છે.) (ન્યૂઝ ઇન્ટરવેન્શનમાંથી સાભાર: spare-a-drop-of-tear-for-nsel)

——————–

આજકાલના નિરર્થક વિવાદો વચ્ચે પણ કોરોના માટે સેવાકાર્યો ચાલી રહ્યાં છે

આવડો મોટો રોગચાળો દુનિયાભરમાં ચાલ્યો છે અને લાખોની સંખ્યામાં જીવહાનિ તથા અગણિત અર્થહાનિ થઈ છે છતાં હાલ તમે જોયું હશે કે આજકાલ ક્ષુલ્લક બાબતો સમાચારોમાં ચમકી રહી છે. રોગચાળા સામે લડવાની વાત બાજુએ રહી ગઈ અને નિરર્થક બાબતોમાં બબડાટ ચાલી રહ્યો છે. ખરું પૂછો તો, કોરોનાનો મુકાબલો કરવા સિવાયની દરેક વાતને મહત્ત્વ મળી રહ્યું છે. અનલોક થયું ત્યારથી લોકોને પણ જાણે માંડ છૂટ મળી હોય એમ બધા વર્તી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, જેવી જાણે કોઈ આવશ્યકતા જ ન હોય એવા હાલ સર્વત્ર જોવા મળી રહ્યા છે. આવામાં ફક્ત સરકારને દોષ આપવાથી નહીં ચાલે. લોકોમાં જ સમજનો અભાવ હોય એવું બધે દેખાઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં પણ એવા કેટલાક લોકો છે, જેમણે સમયોચિત કાર્યો દ્વારા કોરોનાની કપરી પરિસ્થિતિને સહનીય બનાવવાના પ્રયાસ ચાલુ રાખ્યા છે. ગયા વખતે આપણે એકલા સોનુ સૂદની વાત કરી હતી, પરંતુ આપણા ગેસ્ટ બ્લોગર જયેશ ચિતલિયા કહે છે કે સોનુ ઉપરાંત બીજા ઘણા બેનામીઓએ પણ કોરોના સામેની લડાઈમાં મોટું યોગદાન આપ્યું છે. ચાલો, આપણે તેમની દૃષ્ટિએ દેખાયેલું દૃશ્ય જોઈએ.

લેખકઃ જયેશ ચિતલિયા

કોરોનાના કાળમાં થયેલી વાત એકલા સોનુ સૂદની નથી, આ કપરા સમયમાં અનેક વ્યક્તિઓએ લોકોની સહાય માટે પોતાનાથી બનતા પ્રયાસ કર્યા જ છે, તેઓ જાણીતા નામ નહીં હોવાથી તેમની બહુ ચર્ચા થતી નથી, અથવા એમણે કરેલી સહાયનું કદ કે પ્રમાણ ઓછું હશે તેથી તેમનું નામ સમાચારમાં આવ્યું નથી, બાકી વ્યક્તિગત સ્તરથી લઈ સંસ્થાકીય સ્તરે અનેક હસ્તીઓએ લોકોના ભોજનથી માંડીને રહેવાની, ઈલાજની અને તેમને પોતાના વતન પહોંચાડવાની કામગીરી બજાવી છે.

આ સમયમાં જેમના સારા કામની સતત ચર્ચા થતી રહી છે એવા અનેક ડૉક્ટર, નર્સ, પેરા મેડિકલ સ્ટાફ, પોલીસકર્મી, સફાઈ કામદાર સહિત નગરપાલિકાના કર્મચારીઓ અને બૅન્ક કર્મચારીઓનો સમાવેશ થાય છે. આમાં પણ ઘણી વ્યક્તિ એકલી પણ  હશે, જેમણે પોતાના જીવના જોખમે પોતાની ફરજ ચાલુ રાખી છે, આમાંના ઘણા લોકો જીવનાવશ્યક વસ્તુઓના દુકાનદારો પણ છે, જેમણે પોતાની કમાણી કરતાં પણ લોકોની જીવન જરૂરિયાતને વધુ ધ્યાનમાં રાખી દુકાનો ખોલી છે અને લોકોને જરૂરી સામગ્રીઓ પૂરી પાડી છે. આમાં ક્યાંક કોઈ વેપાર હિત હોઈ શકે, કિંતુ આમાંથી ચોક્કસ એવા લોકો પણ હશે, જેઓ પોતાની દુકાન બંધ રાખત તો તેમને પોતાને નાણાંની કોઈ તંગી થાત નહીં, પણ એમણે લોકોને વધુ મહત્ત્વ આપ્યું. ખાનગી ડૉક્ટરોએ પણ આ યજ્ઞમાં ચોક્કસ ફાળો આપ્યો છે. આ બધી બેનામી હસ્તીઓને પણ બિરદાવવી જોઈએ. 

સમાજહિતમાં અનેક હસ્તીઓ સતત કાર્યરત

વાત માત્ર કોરોના કાળની નથી, સમાજમાં વિવિધ સ્તરે કેટલીય વ્યક્તિઓ એકલપંડે સમાજના હિતમાં, માનવતાના હિતમાં, ગરીબ-જરૂરિયાતમંદ વર્ગ માટે સતત કાર્ય કરતી રહે છે. એ વ્યક્તિઓ પોતાની સાથે કોઈ જોડાય કે ન જોડાય તેની રાહ જોતી નથી, એ જુદી વાત છે કે પછીથી સાથીઓ આવતા જાય છે, ‘કારવાં’ બનતો જાય છે. આ વ્યક્તિઓ તબીબ સ્વરૂપે, કલાકાર સ્વરૂપે, વૈજ્ઞાનિક, પ્રોફેસર, શિક્ષક, વેપારી, બિઝનેસ સાહસિક, વગેરે સ્વરૂપે સમાજના હિતમાં કાર્ય કરતા જ રહે છે. આવી હસ્તીઓમાં અમુક લોકો પ્રસિદ્ધિ પામે છે, જ્યારે મોટાભાગની હસ્તીઓ સમાજ હિતનાં અનેક કાર્યો ચૂપચાપ કરીને પસાર થઈ જાય છે. કેટલાકની પછીથી ઈતિહાસ નોંધ લે છે.

આવી અનેક હસ્તીઓએ સમાજને સતત કંઈક નક્કર આપ્યું હોય છે અને આપતી રહે છે. શ્રીરામને લંકા જતી વખતે સાગર ઉપર સેતુ બાંધવાની જરૂર ઊભી થઈ હતી ત્યારે એક ખિસકોલી પોતાની પીઠ પર રેતી લઈને ઠાલવતી રહી હતી, જેની નોંધ પરમાત્માએ લીધી અને જગતે પણ લીધી.

કોઈ પણ સત્કાર્ય નાનું હોય કે મોટું હોય, જગત પર પોતાની અમીટ છાપ છોડી જાય છે. સમય તેને ભૂંસાવા દેતો નથી. આપણે દરેક જણે આપણી આસપાસ કોઈ પીડિત-મજબૂર માણસ હોય તો આપણો મદદનો હાથ લંબાવવો જોઈએ, કારણ કે ઈશ્વરની પ્રાર્થના માટે જોડાયેલા બે હાથ કરતાં ગરીબ-મજબૂરની સહાય માટે લંબાયેલો એક હાથ વધુ મહાન ગણાય છે. 

કોરોનાને કારણે અનેક પરિવારોની આર્થિક તારાજી થઈ છે. સમાજ ભેગો મળીને એમને મદદરૂપ થવાની સામાજિક જવાબદારી નિભાવવા સમર્થ છે. એ કામ કેવી રીતે થઈ શકે તેના વિશે આવતી કડીમાં વાત કરીશું.

——————————-

માત્ર એક માણસ પણ ધારે તો……

સલામ સોનુ સૂદનેઃ આવા સોનુ આપણા સમાજમાં ઘણા છે, ઘણા બની શકે છે!

તસવીર સૌજન્યઃ આઉટલૂક ઇન્ડિયા

લેખકઃ જયેશ ચિતલિયા

આ માણસ ફિલ્મ લાઇનમાં આવ્યો ત્યારથી વિલનના રોલ વધારે કરી રહ્યો છે અને 2009માં તેને શ્રેષ્ઠ વિલનનો પહેલો ઍવોર્ડ પણ મળ્યો હતો. જો કે, આજે એ દુનિયાની નજરમાં હીરો છે અને એણે હીરો જેવાં કાર્યો પણ કર્યાં છે. તમે કદાચ સમજી ગયા હશો. વાત થઈ રહી છે સોનુ સૂદની. કોરોનાના કાળમાં જ્યારે લોકો ઘરની બહાર નીકળતાં ગભરાય છે ત્યારે આ માણસે ગરીબોની વ્યથાને ઓળખી લીધી અને પોતાનાથી થાય એટલી મદદ કરી. શ્રમિકોને પોતપોતાના વતનમાં મોકલવા માટે બસની વ્યવસ્થા કરવાથી શરૂ કરીને ખેતરમાં બળદની જગ્યાએ પોતે જોતરાતી યુવતીઓના પરિવારને ટ્રેક્ટર ખરીદી આપવાનું કામ કરનાર આ અભિનેતાએ હાલમાં થયેલી જેઈઈ મેઇન 2020 અને નીટ 2020 પરીક્ષામાં બેસનારાઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં મદદ કરવા સુધીની સેવા બજાવી. એણે કેરળથી 177 કન્યાઓને ભુવનેશ્વર સુધી વિમાનમાં પહોંચાડવાની સહાય પણ કરી હતી. આ ઉપરાંત, એણે શ્રમિકોને રોજગાર મળે એ માટે પ્રવાસી રોજગાર ઍપ પણ શરૂ કરાવી છે. હૈદરાબાદની એક યુવતીએ નોકરી ગુમાવ્યા બાદ શાકભાજી વેચવાનો વખત આવ્યો છે એ જાણીને એણે નોકરીની ઑફર મોકલી. એટલું જ નહીં, પુણેનાં 85 વર્ષીય વૃદ્ધા પેટનો ખાડો પૂરવા માટે આટલી ઉંમરે લાઠીદાવ ખેલીને પૈસા માગતાં જોઈને સોનુએ એમને મદદ કરવા માટે મહિલાઓ માટે તાલીમ કેન્દ્ર ખોલી આપ્યું. તો ચાલો, આવા રિયલ લાઇફ હીરો વિશેના આજના ગેસ્ટ બ્લોગ તરફ વળીએ.

માણસના મનમાં જયારે કોઈ સારો ભાવ જાગી જાય, ચોક્કસ લક્ષ્ય મળી જાય અને નિઃસ્વાર્થ ભાવ સાથે લોકોના હિતમાં કંઈક સારું કરવાની ભાવના પ્રબળ બની જાય તો એ માણસ એકલો પણ ઘણું બધું કાર્ય કરી શકે છે, જે ક્યારેક અસંભવ જેવું  લાગી શકે, પરંતુ એ જીવનભર પ્રેરણારૂપ પણ બની શકે… 

એક જ માણસ ધારે તો શું ને શું કરી શકે? હા, ફકત એક જ માણસ! લાંબામાં લાંબી યાત્રાનો આરંભ પણ એક જ કદમથી થાય છે. કોઈપણ જબરદસ્ત ક્રાંતિનો જન્મ કેવળ એક વિચારથી જ થયો હોય છે. પછીથી અનેક લોકો જોડાતા જાય છે એ જુદી વાત છે, પરંતુ પ્રારંભ એકથી થાય છે. યસ, તો અહીં કહેવાનો આશય એ છે કે ફક્ત એક માણસ પણ ધારે તો સમાજને, માનવજાતને અને સમગ્ર જગતને સાર્થક પરિણામ આપી શકે છે.

તાજેતરમાં સતત સારા કારણસર સમાચારમાં રહેલા ફિલ્મ અભિનેતા સોનુ સૂદ આપણી સમક્ષ એક માણસ ધારે તો કેવું સુંદર પરિણામ લાવી શકે તેનું તાજું-મસ્ત મજાનું ઉદાહરણ છે. આપણે બધાંએ  કોરોના-લોકડાઉનના આ કપરા કાળમાં  વિવિધ શહેરોમાં ફસાઈ ગયેલા આપણા જ દેશના વિભિન્ન શહેરો કે ગામોના લોકોને પોતાના વતનમાં-પોતાના ઘરે પહોંચાડવા સોનુ સૂદે કેવી જહેમત ઉઠાવી એ નજરે જોયું અને વાંચ્યું પણ છે. એક ઘટનાથી તેના મનમાં એક સુવિચારે જન્મ લીધો અને એકલા હાથે માઈગ્રન્ટ મજદૂરો, કારીગરો, કર્મચારીઓ અને તેમના પરિવારના લોકોની પીડાને સમજીને આ અભિનેતાએ જે કામ કર્યું છે તેને ધ્યાનમાં રાખતાં સોનુ રિયલ લાઈફ હીરો બની ગયો છે એ હકીકત છે. તેણે પરદેશમાં કોરોનાને કારણે ફસાઈ ગયેલા હજારો લોકોને પણ દેશમાં લાવવાની સુવિધા કરી આપી. આ કાર્યને સફળ બનાવવા તેણે પોતાના પરિવારથી ઘણો સમય અલગ રહેવું પડ્યું, દિવસ-રાત આ પીડિત લોકોના વિચાર કરવા પડ્યા, કોરોનાના જોખમી માહોલમાં અનેકવાર બહાર નીકળવું પડ્યું. કેટલીય સરકારી વિધિઓ કરવી પડી. ખરેખર તો જે જવાબદારી કેન્દ્ર કે રાજય સરકારની હતી તેને પોતાની વિચારધારા અને ટીમ સાથે મળીને સોનુએ સુપેરે પાર પાડી. આખા દેશમાં કરુણતાની સાથે-સાથે વિવાદનો વિષય બની ગયો હતો એવા આ કિસ્સામાં સોનુએ જગતને, આપણા દેશ-સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોઈપણ જાતના ભેદભાવ વિના એકેએક વ્યક્તિના પત્ર, સંદેશ, ટ્વીટ પર તેણે ત્વરિત પ્રતિભાવ આપ્યો. આનું એનાલિસીસ કરવામાં આવે તો ખરી કલ્પના થઈ શકે કે ક્યાં એક સરકાર અને ક્યાં એક માણસ! એક માણસ પણ ધારે તો સરકાર કરતાંય બહેતર પરિણામ આપી શકે છે. પોતાના સમગ્ર જીવનના આ ચાર જ મહિનામાં જિંદગીનો સાચો આનંદ અને સંતોષ મેળવ્યાં છે એમ સોનુ સૂદે જાહેરમાં કહ્યું છે. એટલું જ નહીં, તેણે જે-જે લોકોને મદદ કરી છે એ બધાએ પણ પોતાના આ આકરા સમયમાં સોનુ સૂદની સહાયને કારણે જિંદગીમાં ખરી રાહત, સંતોષ અને આનંદ પ્રાપ્ત કર્યો છે. સોનુને પોતાને આ આનંદ અને સંતોષની લાગણી મળવાનું કારણ તેનું નિઃસ્વાર્થ ભાવથી કરાયેલું કાર્ય છે. લોકોની પીડાને પોતાની ગણીને જે કોઈ વ્યક્તિ આવું પરોપકારી કે માનવતાનું કાર્ય કરે છે તેને જીવનનો સાચો સંતોષ અને આનંદ મળે જ એવી વ્યવસ્થા ખુદ પ્રકૃતિ-કુદરતે કરી જ છે, જે પણ કોઈ આવું કાર્ય કરે છે તેને એની અનુભૂતિ ચોક્કસ થતી જ હોય છે.   

માત્ર ધનથી કામ થઈ જતું નથી

સોનુ સૂદ અભિનેતા હોવાને કારણે અને તેની પાસે સંપત્તિ હોવાને કારણે આમ કરવામાં તેને સરળતા રહી કે સફળતા મળી એવી દલીલ ઘણા કરી શકે, પરંતુ આ સાથે એ પણ વિચારવું જોઈએ કે આવી અને એનાથીય સદ્ધર સ્થિતિ તો ઘણા લોકોની હતી અને છે. બીજાઓને કેમ આવો વિચાર ન આવ્યો? અનેક સેલિબ્રિટીઝ સોનુ કરતાં પણ બધી રીતે વધુ સમર્થ છે, તો પછી તેઓ કેમ આ કામ માટે આગળ ન આવ્યા? સોનુને આ કામ માટે સારી ટીમ પણ મળી, જેમણે માનવતાને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું, પોતે તકલીફ ભોગવીને પણ આ ભગીરથ કાર્ય કર્યું. આ લોકોએ કોરોનાના ભય વિના કે પોતાના સ્વાસ્થ્યનો વિચાર કર્યા વિના આ સત્કર્મ કાર્ય કર્યું છે. આ પ્રકારના સંવેદનશીલ જવાબદારીભર્યા કાર્યમાં અનેક ગૂંચવણભરી વિધિમાંથી પસાર થવાનું હોય છે, સતત આયોજન, મૅનેજમેન્ટ વ્યવસ્થા અને કમિટમેન્ટ જરૂરી બને છે. સોનુ કરતાં વધુ સમર્થ હસ્તીઓ પાસે સોનુ કરતાં પણ મોટી ટીમ હોઈ શકે, પરંતુ સુવિચાર અને તેનું આચરણ સૌથી વધુ મહત્ત્વનાં છે.

કોરોના હજી ગયો નથી અને તેથી તેને લગતી અને સોનુ સૂદની વાતો પણ હજી પૂરી થઈ નથી. આવતી કડીમાં આ વાતને આગળ વધારશું.

———————————————–

કોરોનાથી નહીં ડરવાનાં આ રહ્યાં કારણો!

લેખકઃ જયેશ ચિતલિયા (કોરોનામાંથી સાજા થયેલા જાણીતા આર્થિક પત્રકાર)

કોરોનાના વિષયમાં થયેલા અનુભવોના આધારે જાહેર હિતમાં કેટલીક સીધી અને સ્પષ્ટ વાતો. 

કોરોનાથી ડરો નહીં એવી વાતો કે પ્રચાર બહુ થયા, પરંતુ આ હકીકતને બરાબર સમજવી જરૂરી છે. માત્ર વાતોથી કંઈ થતું નથી. આ હકીકત એ જ વ્યક્તિ સમજાવી શકે કે કહી શકે, જે આ અનુભવમાંથી પસાર થઈ હોય. કોરોના રોગ જેટલો ગંભીર નથી તેનાથી વધુ તેનો ડર, તેના વિશેની ભ્રમણા કે માન્યતા ગંભીર છે, જેણે લોકોમાં ભયંકર હદે હાઉ ઊભો કર્યો છે. આનું કારણ ઇન્ફેક્શન (ચેપ)નો ભય છે તેમ જ આ જેને થાય છે ત્યારે તેની સારવાર દરમ્યાન કેટલીક જરાય ન ગમે તેવી બાબતોમાંથી પસાર થવું પડે છે. દર્દીની નજીક જવાય નહીં, પરિવારજનો, સ્વજનો-પ્રિયજનો પણ તેની પાસે જઈ શકે નહીં. કોરોનાની આ જ સૌથી કડવી અને કરુણ બાબત છે. બાકી, કોરોના સરળ અને સાદી માંદગી છે, જે માત્ર ચોક્કસ દિવસોમાં વિદાય પણ લઈ લે છે. જો કે, આ વાઈરસ પ્રત્યે બેફિકર કે બેદરકાર થઈ જવું જોઈએ નહીં. દરેકે પોતાનું અને બીજાનું પણ પ્રોટેક્શન થાય એનું ધ્યાન રાખવું જોઈએ.

સારવાર દરમ્યાનની એકલતા

દર્દીને સારવાર દરમ્યાન સંપૂર્ણપણે એકલો પાડી દેવામાં આવે છે, તેની પાસે ડૉક્ટર કે નર્સ પણ જાય તો ચોક્કસ ડ્રેસ કિટ જેવાં પ્રોટેકશન પહેરીને જ જઈ શકે. જે દર્દીને ખૂબ જ તીવ્ર અસર થઈ હોય એ કેસમાં જ તેને હૉસ્પિટલમાં દાખલ કરવો જરૂરી બને છે, અન્યથા તેને આઇસોલેશન સેન્ટરમાં રાખીને પણ સારવાર થઈ શકે છે. આ બંને જગ્યાએ દર્દીને સારવારની આવશ્યકતા પડે છે, પરંતુ હૉસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીની સ્થિતિ વધુ કથળી હોય તો તેને ઓક્સિજન આપવો પડે છે, વેન્ટીલેટર પર મૂકવો પડે છે, અન્ય સારવાર કરવી પડે છે. જેવી જેની એક્યુટનેસ અથવા સેચ્યુરેશન. આમાં ફેફસાં પર અસર થતી હોવાથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. બાકી, આ રોગ એક તાવ, ફ્લુ કે શરદી-ખાંસી જેવો સરળ છે, રોગ અત્યંત વિકટ સંજોગોમાં જ જીવલેણ બને છે.

નોંધનીય છે કે 80થી 90 વરસની વયના લોકો પણ સાજા થઈને પાછાં ફર્યા છે.

બીએમસી અને મિત્રો-સ્વજનોની મહત્ત્વની ભૂમિકા

અહીં એ નોંધવું જરૂરી છે કે બીએમસી (પાલિકા)ના તબીબી સેવા સાથે સંકળાયેલા ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ કેટલાય અભાવ અને ગેરવ્યવસ્થા વચ્ચે મહત્ત્વની કામગીરી બજાવી રહ્યા છે. એટલું જ નહીં, સફાઈ કામદારો પણ સારી કામગીરી કરી સમાજને ખરા સમયે ખરી સેવા આપી રહ્યા છે.

તમે જ્યાં રહેતા હો એ સોસાયટીના સભ્યોનો સહયોગ પણ તમારી રિકવરીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અલબત્ત, પરિવારજનોના સ્નેહ અને સાથનું પણ અદકેરું મૂલ્ય રહે છે. અને હા, મિત્રોની બાબતમાં હું ધનવાન પહેલેથી રહ્યો છું. આ વખતે વધુ સંપત્તિવાન બની ગયો, કારણ કે સોશ્યલ ડિસ્ટન્સિંગ વચ્ચે ઈમોશનલ નીઅરનેસ (ભાવનાત્મક નિકટતા) સાથે સતત મજબૂત બની ઊભા રહ્યા. એટલું જ નહીં, તેમની લાગણીનું મૂલ્ય કઈ રીતે આંકી શકું?

મારી સોસાયટીના સભ્યોની લાગણી-સ્નેહ પણ સતત ટેકો બની રહ્યા. આ બધાં પરિબળો પણ કોરોનાના ઉપચારના ભાગરૂપ ચોક્કસ ગણી શકાય. આ બધાંને વંદન કરવાનું બને છે.

ભય અને તેનો પ્રચાર વધુ ગંભીર

અહીં મને એ કહેવું જરૂરી લાગે છે કે આ રોગ કરતાં તેનો ભય વધુ ગંભીર બનીને ફેલાયો છે. તેના વધુપડતા પ્રચારે વાતનું વતેસર કર્યુ છે. સોશ્યલ મીડિયાએ સારી-નરસી બંને ભૂમિકા ભજવી છે, જેમાં કઠણાઈ એ છે કે લોકો નકારાત્મક બાબત વધુ પકડે છે, ફેલાવે છે. બીજી બાજુ, સાચી બાબત સામે સવાલ અને શંકા ઊઠાવાય છે.

તો, એટલું કહેવાનું કે ડરો નહીં અને બીજાને ડરાવો પણ નહીં. સાંભળેલી વાતોના આધારે કંઈ ન કહો, માત્ર તમારા અનુભવના આધારે જ કહો. તેમાં પણ જજમેન્ટ સ્વરૂપે અથવા આમ જ થાય એવા દાવાથી વાત ન કરો. કેમ કે દરેક કેસમાં અનુભવમાં ફરક હોઈ શકે છે.

કોરોના પોઝિટિવ થયા તો પેનિકમાં ન આવો

અંગત અનુભવને આધારે કહેવું છે કે તમે કોરોના પોઝિટિવ થઈ જાવ તો  એકદમથી ટેન્શનમાં આવવું નહીં. પેનિક થવું નહી, પોઝિટિવ આવ્યા છો તો તેના પ્રત્યે વધુ પોઝિટિવ રહો. પહેલી વાત તો એ કે માત્ર દર્દીની ગંભીરતાના આધારે તેને ડૉક્ટરની સલાહ સાથે હૉસ્પિટલાઈઝ કરવો પડે છે, અન્યથા તેનો ઉપચાર હોમ ક્વોરન્ટાઇન સ્વરૂપે ઘેર બેઠાં કરાવી શકાય છે, જેમાં તમે 14 દિવસ ઘરમાં જ રહી ઉપચાર કરાવી શકો છો. જેની પાસે રહેવાની સગવડ પર્યાપ્ત ન હોય, ઘર નાનું હોય અને તેમાં વધુ સભ્યો હોય તો હૉસ્પિટલમાં કે આઇસોલેશન સેન્ટરમાં જવું પડે તો વાત જુદી છે. ડૉક્ટરો બહુ સરળતાથી તમને ઘરમાં જ સારવાર આપી શકે છે. તમારી સાથે રોજ ફોન પર વાતચીત કરીને માર્ગદર્શન આપી શકે છે. મારાં પત્ની સ્વાતિની આ રીતની સારવાર બોરીવલી મેડિકલ બ્રધરહૂડના તબીબોએ દરરોજ સારી રીતે વાજબી દરે માર્ગદર્શન આપીને કરી હતી. તમે પ્રત્યક્ષ ડૉક્ટર સામે હો એ રીતે વિડિયો કોલ દ્વારા તપાસ અને સલાહ આપવામાં આવે છે. આ કોર્સ માત્ર પાંચ દિવસનો હોય છે. આમાં દવા પણ મર્યાદિત હોય છે. આ રીતે સારવાર આપનારા ડૉક્ટરો પણ દરદીનું મનોબળ વધારવાનું કામ કરતા હોય છે.

ઘરગથ્થુ ઉપચાર પણ મહત્ત્વનો

અનુભવના આધારે કહેવાનું કે તમારા પોતાના ઘરગથ્થુ ઉપચાર તરીકે દિવસમાં બેથી ત્રણ વાર સ્ટીમ લેવી જોઈએ, જેને આપણે નાસ લેવાનું કહી શકીએ. લીંબુ-પાણી પીવું જોઈએ, હળદરવાળું ગરમ પાણી પીવું જોઈએ, સૂંઠની ગોળી ચુસતાં રહેવું જોઈએ, દિવસમાં બે વાર મીઠું નાખેલા ગરમ પાણીના કોગળા કરવા જોઈએ, રાતે સૂતાં પહેલાં હળદરવાળું દૂધ પીવું જોઈએ.

આ સાથે ડૉક્ટરની સલાહ મુજબ વિટામિનની ગોળી કે અન્ય દવા લેતાં રહેવું જોઈએ. પ્રાણાયામ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવી, તમારું ઓક્સિજન લેવલ  દિવસમાં ચારથી પાંચ વાર ચેક કરતાં રહેવું. આના માટે એક આંગળી જેટલું મશીન પલ્સઓક્સિમીટર આવે છે, જે વસાવી લેવું પડે. તમારું ઓક્સિજન લેવલ 95થી 100ની વચ્ચે રહેતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, જો 94થી વધુ નીચે ચાલ્યું જાય તો તેને ચેતવણી સમજવી, પણ પેનિક થવાનું નહીં. તમે તરત ડૉક્ટરનો સંપર્ક કરીને ઓક્સિજનની સુવિધા અને જરૂરી સારવાર મેળવી શકો છો. સંભવતઃ એ માટે હૉસ્પિટલમાં જવું પણ પડે, હવે તો ઘરે પણ આ સુવિધા મળે છે.

કોરોના દર્દીની સૌથી મોટી કરુણતા

અહીં 14 દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં કે આઇસોલેશનમાં કે હૉસ્પિટલમાં દર્દીને રાખવાનું કારણ એ છે કે આટલા દિવસ જ કોરોનાના વાઈરસ દર્દીના શરીરમાં રહે છે. એ પછી પણ કોઈ કેસમાં રહે તો ય અમુક દિવસ બાદ એ ચેપી નથી બનતા, અર્થાત્ નોન-ઈન્ફેકશનવાળા થઈ જાય છે.  ત્યાર બાદ દર્દીએ પોતે કે તેના ચેપ લાગવાનો ભય ધરાવતા લોકોએ પણ ગભરાવાની જરૂર રહેતી નથી. મારાં બા અને મારી પત્નીનાં બાને બંનેને પોઝિટિવ રિપોર્ટ આવતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાનું થયું હતું, પરંતુ એનું કારણ કોરોના કરતાં તેમની ઉંમરને લીધે ઊભી થતી શારીરિક સમસ્યા વધુ હતું. એ બંને જણાએ (ઉંમર અનુક્રમે 89 અને 76 વર્ષ) હૉસ્પિટલમાં એકલા રહેવું પડ્યું તેની પીડા પૂર્ણ પરિવારને હતી, કેમ કે પરિવારના કે અન્ય કોઈને તેમને મળવા અપાતું નહીં. તેઓ સાવ જ એકલાં એક રૂમમાં રહેતાં હતાં. આ ઉંમરે આવી એકલતા વધુ પીડા આપે છે. હું અને મારી પત્ની સ્વાતિ બંને પોઝિટિવ હોમ ક્વોરન્ટાઈન હતાં. જો કે આ બંને સીનિયર સિટિઝન પાછાં ઘરે પણ આવી ગયાં છે.

લોકોની બદલાતી દૃષ્ટિનું દર્દ

કોરોના દર્દીનું બીજું સૌથી મોટું દુઃખ કે રંજ તેના પ્રત્યેની સમાજની, આસપાસના લોકોની બદલાઈ જતી દૃષ્ટિ અને અભિગમ છે. જાણે કોરોના થયો તો એ માણસે મોટો અપરાધ કે પાપ કર્યા હોય! તેના પ્રત્યે કરુણાભાવ રાખવાને બદલે તેને જુદી નજરથી જોવાનું શરૂ કરાય છે. લોકો ત્યારે એ ભૂલી જાય છે કે આ રોગ કોઈને પણ, ક્યારે પણ થઈ શકે છે. આ વાઈરસ એક્ઝેક્ટલી ક્યાંથી અને કઈ રીતે આવે છે એની સ્પષ્ટ સમજ હજી કોઈને થઈ હોય એવું જણાતું નથી, માત્ર લોકો ધારણા બાંધે છે, જેમાં ગેરસમજ પણ ફેલાય છે. ઘણાને તો આ વાઈરસ આવ્યા હશે, તેણે ટેસ્ટ પણ નહીં કરાવી હોય અને કોઈપણ અસર વિના વાઈરસ ચાલ્યા પણ ગયા હશે. જેની જેવી ઇમ્યુનિટી સિસ્ટમ. અત્યારે પણ અનેક લોકો આ વાઇરસ લઈને ફરતા હશે. બની શકે કે તેમને એનાથી કંઈ ન થાય, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય. તેમની અસર તેમની નજીકના લોકોને થઈ શકે; થાય જ એ જરૂરી નથી.

સબક અને સ્વસ્થતા આપી

કોરોનાનો સામનો માણસ પોતાની સકારાત્મકતાથી પણ સહેલાઈથી કરી શકે છે. જો તેના પ્રત્યે નેગેટિવ થયા કે પેનિકમાં આવી ગયા તો મૂંઝવણ અને ભય વધશે.

બાય ધ વે, કોરોનાએ આપણને સ્વસ્થતાની બાબતમાં ઘણી શીખ આપી છે, જેને કોરોનાની વિદાય બાદ પણ સાચવી રાખવાની જરૂર રહેશે. શરીરની તંદુરસ્તી માટે આ બાબત આવશ્યક છે અને રહેશે. એક પોઝિટિવ અભિગમ એવો પણ રાખી શકાય કે કોરોના સજા કરવા આવ્યો નથી, કોરોના આપણને સબક સાથે શુદ્ધ અને સ્વસ્થ બનાવવા આવ્યો છે. કોરોનાનો અનુભવ લીધા બાદ આ કહ્યું છે.

મારી બધી જ વાત બરાબર છે એવો કોઈ દાવો કરતો નથી, માત્ર મારો અનુભવ તમારી સાથે વહેંચ્યો છે. તમને જેટલું ઠીક લાગે તે અપનાવો, બાકીનું છોડી દો યા ભૂલી જાવ….

————————— 

કોરોનાએ આપેલી નવી દૃષ્ટિનો ઉપયોગ કરીને હવે રાસાયણિક ખાતરોથી ધરતીને બચાવી શરીરને રોગમુક્ત કરો

ગાય આધારિત ખેતી અને જૈવિક ખેતીને અપનાવીને ધરતી અને માનવજીવનને બચાવવાની મહામૂલી જવાબદારી હવે કોરોના સંકટ પછી ખેડૂતોએ નિભાવવી પડશે

લેખકઃ મયૂર મહેતા (કોમોડિટી ક્ષેત્રના નિષ્ણાત અને કોમોડિટી વર્લ્ડ અખબારના તંત્રી)

દુનિયામાં આધુનિકીકરણ થયું તે જ રીતે ખેતીનું પણ ઝડપી આધુનિકીકરણ થવા લાગતાં ખેડૂત આપણાં શાસ્ત્રોમાં દર્શાવેલા રસ્તાઓથી દૂર જઇને વધુ ઉત્પાદન મેળવવા આંધળુકિયું કરવા લાગ્યો. આવા આંધળુકિયાને કારણે આજની ખેતી ઝેર બની ગઇ છે. રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓને કારણે ખેડૂત રાત-દિવસ મહેનત કરીને જે પાક ઉગાડે છે તેનાથી આપણા બધાનું શરીર હવે દિવસે ને દિવસે અનેક રોગોનું ઘર બની ગયું છે. કૅન્સર, હૃદયરોગ, લિવરના રોગ, કિડનીના રોગનું પ્રમાણ રાત-દિવસ વધી રહ્યું છે. તેના માટે ખેતીમાં વપરાતાં બેફામ રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓ જવાબદાર છે.

અત્યારે જંતુનાશક દવાઓ બનાવતી કંપનીઓ એકબીજાથી હરિફાઇમાં આગળ આવવા નીતનવાં ઝેરી કેમિકલો વાપરીને ખેડૂતોને લલચાવીને પધરાવે છે, પણ આ જંતુનાશક દવાઓના ડોઝ એટલી હદે ઝેરી હોય છે કે તેનો ઉપયોગ કરવાથી આપણી જમીનનું હીર ચુસાઇ જાય છે અને આ દવાઓના છંટકાવ બાદ જે ખેતપેદાશો ઉત્પન્ન થાય છે તેનો ઉપયોગ કરવાથી હું અને તમે ન ધારેલા રોગના શિકાર બની રહ્યા છીએ.

ખેડૂતો જગતના તાત છે ત્યારે મારા જગતાત, બે હાથ જોડીને વિનંતી છે કે આવાં ખતરનાક અને જિંદગી ઝેર કરી નાખે તેવાં રાસાયણિક ખાતરો અને કાતિલ ઝેર ફૂંકતી જંતુનાશક દવાઓથી આપણી ધરતી માને બચાવવાનો સમય આવી ચૂક્યો છે. આપણી ધરતીની ફળદ્રુપતા ઝેરી દવાઓના વધુપડતા ઉપયોગથી ખતમ થઇ રહી છે. ધરતી અને આપણું શરીર હવે કુદરતે આપેલી શક્તિને ગુમાવી રહ્યાં છે.  

જંતુનાશક દવાઓના વધુપડતા ઉપયોગથી શું નુકશાન થાય તે ઉદાહરણ સાથે સમજીએઃ તમને માથું દુખે છે ડૉક્ટરે એક ગોળી લેવાનું કહેવા છતાં તમે બે ગોળી લઈ લો અને આવું અનેક વખત થાય ત્યારે થોડા સમય પછી તમે બે ગોળી લેશો તો પણ તમારું માથું નહીં ઉતરે. એવા વખતે તમારે ત્રણ ગોળી લેવી પડશે. માથાના દુ:ખાવાની વધારેપડતી ગોળી લેવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને એક તબક્કે ગમે તેટલી ગોળી લો પણ તમને માથાનો દુ:ખાવો મટતો નથી. આવું જ ધરતી માતાનું છે. વૈજ્ઞાનિકો જ્યારે તમને કોઇપણ દવા માત્ર એક જ થેલી કે એક જ ગ્લાસ છોડ પર છાંટવાનું કહે પણ દવા વેચનારી કંપનીને તો ધંધો કરવો હોય એટલે તે ખેડૂતને એક ને બદલે બે થેલી કે બે ગ્લાસ છાંટવાનું કહે અને વગર વિચાર્યે આપણે દવાની કંપનીના માણસ કહે તેમ કરીએ ત્યારે આપણે ‘ધરતી માતા’ને ઘણું મોટું નુકશાન પહોંચાડીએ છીએ. આ બાબતે હવે ખેડૂતોએ ગંભીરતાથી વિચારવું પડશે.

આપણે પૂર્વજો કહી ગયા છીએ એ છાણિયું ખાતર, અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટનો ઉપયોગ કરીશું તો ધરતીનું સત્ત્વ ટકી રહેશે. ઉભા પાકને વિવિધ રોગ અને જિવાતથી બચાવવા ઝેરી જંતુનાશક દવાઓને બદલે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ, વગેરેનો ઉપયોગ કરીએ કે જેથી આપણે જે પકવીએ છીએ તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ એમ ને એમ રહે.

કૃષિ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે રાસાયણિક ખાતરથી જે ઉગાડ્યું હોય તેની સરખામણીમાં સજીવ કે જૈવિક ખેતીથી જે ઉગાડ્યું હોય તેમાં 63 ટકા વધુ કેલ્શિયમ, 73 ટકા વધુ લોહતત્ત્વ, 91 ટકા વધુ ફોસ્ફરસ, 125 ટકા વધુ પોટેશિયમ અને 60 ટકા વધુ જસત મળે છે. આ તમામ ખનિજતત્વો મારા-તમારા શરીરને અનેક રોગો સામે લડવાની આંતરિક શક્તિ આપે છે.

કોરોનાના કાળમાં આપણે સાંભળીએ છીએ કે કોઇને કોરોના દવા વગર માત્ર શરીરની અંદર રહેલી રોગપ્રતિકારક શક્તિથી દૂર થઇ જાય છે. કુદરતે મને-તમને બધાને કુદરતી રોગપ્રતિકારક શક્તિ આપી છે. આપણા જ શરીરમાં રહેલી આ રોગપ્રતિકારક શક્તિ ગમે તેવા રોગ સામે લડવા સક્ષમ છે પણ આજકાલનાં રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓમાં પકવેલી ખેતપેદાશો આપણા શરીરમાં જઇને મારી-તમારી રોગપ્રતિકારક શક્તિને બુઠ્ઠી બનાવી દે છે, જેને કારણે આપણે જીવલેણ રોગો સામે રક્ષણ મેળવી શકતા નથી.

રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓનો વધુપડતો ઉપયોગ કરવાથી થયેલા ફેરફારો આપણને સામે જ દેખાઇ રહ્યા છે. કપાસમાં ગુલાબી ઇયળ, રાક્ષસી ઇયળોનો ત્રાસ પહેલાં આટલો નહોતો, જેટલો આજે જોવા મળી રહ્યો છે. દર વર્ષે ખેતપેદાશોમાં રોગ અને જિવાતનું પ્રમાણ છાશવારે વધતું જોવા મળે છે આ દૂષણ માત્ર ને માત્ર વધુ રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓના વધુપડતા ઉપયોગને કારણે માથું ઉંચકી રહ્યું છે.

ભારતમાં ઝેરી જંતુનાશક દવાઓનો વધુપડતો ઉપયોગ થવાને પગલે જીરાની વૈશ્વિક માર્કેટમાં ટચુકડાં તુર્કી-સીરિયા ભારતને હંફાવી રહ્યાં છે
ભારતમાં જીરાનું સૌથી વધુ ઉત્પાદન વિશ્વમાં વર્ષોથી સૌથી વધુ પ્રમાણમાં થઇ રહ્યું છે. જીરાની વૈશ્વિક માર્કેટમાં ભારતની મોનોપોલી છે. ભારત દર વર્ષે સાડા ત્રણથી ચાર લાખ ટન જીરાનું ઉત્પાદન કરે છે, જ્યારે તુર્કી માત્ર 12-15 હજાર ટન અને સિરિયા 25-30 હજાર ટન જીરાનું ઉત્પાદન કરે છે.
ભારતના જીરું ઉગાડતા ખેડૂતો વધુપડતાં રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતાં હોઇ યુરોપિયન દેશો, જપાન અને કેટલાક પ્રગતિશીલ ખેડૂતો ભારતીય જીરાનું નામ સાંભળીને જ મોઢું મચકોડે છે. તેની સામે તુર્કી અને સીરિયાના ખેડૂતો રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ ન કરતાં હોઇ તેમનું જીરું ભારતના જીરા કરતાં દોઢા ભાવે પણ વેચાય છે.
અહીં સરખામણી કરો, ભારતનું જીરાનું ઉત્પાદન કેટલું અને તેની સામે તુર્કી-સીરિયાના જીરાનું ઉત્પાદન કેટલું? આ બંને દેશો જીરાની વૈશ્વિક માર્કેટમાં ભારતને વર્ષોથી હંફાવી રહ્યાં છે. આવું જ સફેદ અને કાળા તલની માર્કેટમાં છે. યુરોપિયન દેશો અને જપાને ભારતના તલને ખરીદવાનું વર્ષોથી બંધ કરી દીધું છે. આમ, આપણે વધુપડતાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી આપણી ખેતપેદાશોની બજારને પણ નુકશાન પહોંચાડી રહ્યા છીએ અને તેને કારણે ખેડૂતોને નિકાસબજારમાં ખેતપેદાશોના સારા ભાવ મળતા નથી.

 ———————–