
ભારતીય શેરબજારમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાને કોણ નથી જાણતું? રાકેશ ઝુનઝુનવાલા ફલાણા શેર ખરીદે છે એવી વાત કે અફવા ફેલાય તોપણ બજારમાં એ શેરના ભાવ આપોઆપ વધી જાય, તેઓ વેચે છે એ ખબર પડે તો લોકો તે શેર વેચવા માંડે એવું પણ બને. ઈન શોર્ટ, રાકેશ ઝુનઝુનવાલાને માર્કેટમાં ફોલો કરનારો બહુ મોટો વર્ગ છે. એટલે જ હાલમાં એમણે એમસીએક્સ (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ)માંથી પોતાનો સંપૂર્ણ ૪.૯ ટકા હિસ્સો વેચી દીધાના સમાચાર ચર્ચામાં આવ્યા.
આપણે અહીં આ વિષયમાં બજારમાં ચાલતી વાતોની ચર્ચા કરીએ. આમ કરવા પાછળનો હેતુ બજારને અને તેની માનસિકતાને સમજીને આપણા રોકાણના નિર્ણય લેવાનો કે સ્ટ્રેટેજી ઘડવાનો બની શકે. કહેવાય છે કે ઝુનઝુનવાલાના વિશ્વાસુ ગણાતા અમિત ગોએલા અને મધુ જયકુમાર બન્ને જણ એમસીએક્સના બોર્ડમાંથી નીકળી ગયા છે. તેઓ વર્ષ ૨૦૧૫માં એમસીએક્સના બોર્ડમાં નિમાયા હતા. ઝુનઝુનવાલાના શેર વેચાણ પહેલાં જ જયકુમાર વર્ષ ૨૦૨૦માં અને ગોએલા વર્ષ ૨૦૨૧માં બોર્ડમાંથી નીકળી ગયા એ હકીકતને પણ ઝુનઝુનવાલાના હિસ્સાના વેચાણ સાથે સાંકળીને જોવામાં આવી રહી છે.
તાજેતરમાં પ્રગટ થયેલા અહેવાલો અનુસાર વોરેન બફેટનું ભારતીય વર્ઝન ગણાતા ઝુનઝુનવાલા પાસે ગત જૂનમાં પૂરા થયેલા ક્વૉર્ટરમાં એમસીએક્સના ૨૫ લાખ શેર હતા, પણ સપ્ટેમ્બર ક્વૉર્ટરના આંકડાઓ મુજબ એમનું નામ એમસીએક્સના ટોચના જાહેર શેરધારકોમાં સામેલ નથી. નિયમ મુજબ દરેક કંપનીએ જાહેર શેરધારકોમાંથી જેનું શેરહોલ્ડિંગ એક ટકા કરતાં વધારે હોય તેમનાં નામ જાહેર કરવાનાં હોય છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઝુનઝુનવાલાએ ગત જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં પ્રતિ શેર ૧,૪૮૦થી ૧,૮૪૬ રૂપિયાના ભાવની રૅન્જમાં પોતાના શેરનું વેચાણ ઓપન માર્કેટમાં કર્યું હતું. એમણે એમસીએક્સમાં જુલાઈ ૨૦૧૪માં પ્રતિ શેર ૬૬૪ રૂપિયાના ભાવે આશરે ૧૦ લાખ શેર (લગભગ ૨ ટકા હિસ્સો) ખરીદ્યા હતા. ત્યાર બાદ તેઓ પોતાનું હોલ્ડિંગ વધારતાં ગયા. નોંધનીય છે કે બીએસઈ પર એમસીએક્સનો સ્ટૉક ગત છઠ્ઠી એપ્રિલના રોજ બાવન સપ્તાહની નીચલી સપાટીએ હતો, જે ૧૪મી ઑક્ટોબર સુધીમાં બાવન સપ્તાહની ટોચે પહોંચીને હવે ઘટવા લાગ્યો છે.
જુલાઈ ૨૦૧૪માં કરી હતી પહેલી ખરીદી
રાકેશ ઝુનઝુનવાલાએ જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં પ્રતિ શેર ૧,૪૮૦થી ૧,૮૪૬ રૂપિયાના ભાવની રેન્જમાં પોતાના શેરનું વેચાણ ઓપન માર્કેટમાં કર્યું હતું. એમણે એમસીએક્સમાં જુલાઈ ૨૦૧૪માં પ્રતિ શેર ૬૬૪ રૂપિયાના ભાવે આશરે ૧૦ લાખ શેર (લગભગ ૨ ટકા હિસ્સો) ખરીદ્યા હતા. ત્યાર બાદ તેઓ પોતાનું હોલ્ડિંગ વધારતાં ગયા હતા.
અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે એમસીએક્સમાં દિવસે ને દિવસે ઘટી રહેલું ટ્રેડિંગ વોલ્યુમ પણ બિગ બુલના હિસ્સાના વેચાણની સાથે સાથે ચર્ચાનો વિષય બન્યું છે. અમુક સેગમેન્ટમાં તો એક દાયકાનું સૌથી નીચું પ્રમાણ જોવા મળી રહ્યું છે. કંપનીના ઓપરેટિંગ નફામાં કોઈ મોટો ઉછાળો થયો નથી. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ઝુનઝુનવાલાની રોકાણની સ્ટ્રેટેજીનું અનુકરણ કરનારા અન્ય કેટલાક હાઇ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સે પણ એમસીએક્સમાંથી હિસ્સો વેચી દીધો હોવાની ચર્ચા પણ બજારમાં ચાલે છે, કેમ કે રાકેશ ઝુનઝુનવાલાના શેર વેચાણનું કારણ એ નીકળે છે, કે આ કંપનીના ભાવિ સામે પડકાર છે, તેની સામે અનિશ્ચિતતા છે, વિકાસ સામે અવરોધ છે, ડાઉનવર્ડ ટ્રેન્ડ છે. એમસીએકસની કામગીરી તેની સાક્ષી પૂરે છે.
એમસીએક્સના ટ્રેડિંગ વોલ્યુમમાં થઈ રહેલો ઘટાડો
અન્ય એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એમસીએક્સનું સરેરાશ ટ્રેડિંગ વોલ્યુમ ટોચના સ્તરેથી ૪૦ ટકા જેટલું ઘટી ગયું છે. એક સમયે એમસીએક્સમાં સોનાના કૉન્ટ્રેક્ટની બોલબાલા હતી, પણ હવે વિશ્લેષકોનું કહેવું છે કે એનું ટ્રેડિંગ વોલ્યુમ પણ સતત નીચું જતું જાય છે. વર્ષ ૨૦૧૧માં એક્સચેન્જમાં સૌથી વધુ સક્રિય કૉન્ટ્રેક્ટ આજની તારીખે એ સ્તરથી ઘણું નીચું વોલ્યુમ ધરાવે છે. ૨૦૧૧માં તેનું સરેરાશ દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ આશરે ૪૮,૩૨૬ કરોડ રૂપિયા હતું, જે ગયા ઑગસ્ટમાં પ્રગટ થયેલા અહેવાલ અનુસાર ૨૮,૦૦૦ કરોડની આસપાસ ચાલી રહ્યું છે. બુલિયન સેગમેન્ટમાં મોનોપોલી ધરાવતા આ એક્સચેન્જમાં ગોલ્ડ ફ્યુચર્સ કૉન્ટ્રેક્ટનું વોલ્યુમ ૨૦૧૧માં ૧૨,૪૩૬ કરોડ રૂપિયા હતું, જે આશરે ૫૦ ટકા ઘટીને લગભગ ૫,૭૦૦ કરોડ રૂપિયા થઈ ગયું હતું.
આશ્ચર્ય એ વાતે વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે વર્ષ ૨૦૧૪ પછી તો બૅન્કો, મ્યુચ્યુઅલ ફંડ્સ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોને એમસીએક્સમાં ટ્રેડિંગ કરવાની તક આપવામાં આવી હોવા છતાં તેનો કોઈ લાભ થયો હોય એવું દેખાતું નથી. એક સમયે રોકાણકારોમાં ફેવરિટ બની ગયેલા એમસીએક્સમાં ગયા વર્ષે એપ્રિલમાં દૈનિક સરેરાશ ટર્નઓવર વર્ષ ૨૦૧૩ પછીના ૧૫,૬૫૮ કરોડના સૌથી નીચલા સ્તરે પહોંચ્યું હતું.
રાકેશ ઝુનઝુનવાલાને અનુસરીને લોકોએ એમસીએક્સના શેરની ખરીદી શરૂ કરી તેને કારણે ઑગસ્ટ ૨૦૧૩માં ૨૯૦ રૂપિયાના ભાવે ચાલી રહેલો શેર ઑક્ટોબર ૨૦૨૦માં ૧,૮૭૫ના સ્તરે પહોંચ્યો હતો. આ જ શેર ૧૪ ઑક્ટોબર, ૨૦૨૧ના રોજ ૨,૧૩૪.૯૦ના સર્વોચ્ચ ભાવે પહોંચ્યો હતો. હવે બિગ બુલે હિસ્સો વેચી દીધાનું જાહેર થયા બાદ આ લખાઈ રહ્યું છે ત્યારે ભાવ ફરીથી ઘટીને ૧,૭૯૮.૩૫ રૂપિયા થયો છે.
બજારના જાણકારોનું કહેવું છે કે એમસીએક્સની હાલની આવકનો ઘણો ખરો હિસ્સો તેની ૬૮૫ કરોડ રૂપિયાની રોકડ અનામત પર મળી રહેલા વ્યાજમાંથી આવે છે.
કોમોડિટી ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે એમસીએક્સની એકધારી વૃદ્ધિને બ્રેક લાગી ગઈ છે. ઝુનઝુનવાલાએ હિસ્સો વેચી દીધા બાદ ક્યાંક નિરાશાનો સૂર પણ છે. દેશનો બિગ બુલ ખેલાડી કંપનીમાંથી ક્યારે નીકળી જાય? તેના બધા જ શેર ક્યારે અને શા માટે વેચી દે? આ સવાલના જવાબ શેરધારકો-રોકાણકારોએ પોતે જ શોધવા અને સમજવા પડે.
કેટલાક જાણકારો તો એમ સુદ્ધાં કહે છે કે આજની તારીખે કોટક ગ્રુપ એમસીએક્સમાં મહત્તમ એટલે કે ૧૫ ટકા હિસ્સો ધરાવે છે. જો આ ગ્રુપ પોતાના હિસ્સામાં જરાક અમથો પણ ઘટાડો કરે તો સ્ટૉકના ભાવ પર કેવી અસર થઈ જાય એવું વિચારીને લખલખું પસાર થઈ જાય. કોઈ પણ શેર કોઈ એક વ્યક્તિ કે સમૂહની ખરીદી કે વેચાણના આધારે નહીં, પણ તેનાં ફંડામેન્ટલ્સના જોરે જ ચાલે એ ઈચ્છનીય છે.
——————-