પ્રમોટરોએ લૂંટી લીધા બાદ બૅન્કો રીઝોલ્યુશન પ્લાનમાં મોટાભાગની રકમ માંડી વાળે છે અને ખરીદદાર કંપનીઓને ફાયદો કરાવે છે
ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ સરકારને ઊંઘમાંથી બહાર લાવવા કરેલી ટ્વીટઃ હાલમાં એનસીએલટીએ પણ આ બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે

હાલમાં જ આપણે ‘લૂંટો ઇન્ડિયા લૂંટો…’ એ શીર્ષક હેઠળ આઇએલઍન્ડએફએસ તથા ડીએચએફએલના કેસમાં આચરાયેલા કૌભાંડની વાત કરી. ખરું પૂછો તો, સમગ્ર ભારતમાં અત્યારે સામાન્ય જનતાને ધોળેદિવસે લૂંટી લેવાની અને મૂર્ખ બનાવવાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. લોકોને લૂંટવાની પદ્ધતિનાં નામ બદલાઈ રહ્યાં છે, પણ કામ એ જ થઈ રહ્યું છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ ટ્વીટ કરીને વડા પ્રધાનના કાર્યાલયનું આ બાબતે ધ્યાન દોર્યું છે. તેમણે કોઈ કિસ્સાનો નામોલ્લેખ કર્યો નથી, પરંતુ આપણે આ બ્લોગ દ્વારા સતત જે ચિંતા વ્યક્ત કરી રહ્યા છીએ તેનો પડઘો જ ગોએન્કાએ પાડ્યો છે. હર્ષ ગોએન્કા દેશના સુપ્રસિદ્ધ આરપીજી ગ્રુપના ચૅરમૅન છે. તેમણે ટ્વીટમાં આ મતલબનું નિવેદન કર્યું છેઃ “પ્રમોટરો પોતાનાં નાણાં બાજુએ કાઢી લીધાં બાદ કંપનીને ઇન્સોલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી કોડ હેઠળ લઈ જાય છે અને બૅન્કરો/એનસીએલટી પાસેથી 80થી 90 ટકા હેરકટ પ્રાપ્ત કરી લે છે. આજકાલ આ નવું ચલણ ચાલ્યું છે. ઘણી બંધી કંપનીઓએ આ રીતે સરકાર – એનસીએલટી પાસેથી આ ગેરલાભ ખાટ્યો છે. જનતાની મહેનતની કમાણી આ રીતે ચોરવા દેવાય નહીં!”

આપણે ડીએચએફએલના કેસમાં આવું થતાં જોયું છે. પિરામલ ગ્રુપે વાધવાન દ્વારા થયેલી 45,000 કરોડ રૂપિયાની ગોલમાલ/ઉચાપતની રિકવરીનું મૂલ્ય માત્ર 1 રૂપિયો ગણ્યું છે. પ્રમોટર વાધવાન લોકોને લૂંટી ગયા અને હવે રીઝોલ્યુશન પ્લાન દ્વારા કંપની ખરીદનારાઓ કમાઈ રહ્યા છે. જનતાનાં નાણાંનું જે થવાનું હોય તે થાય! ગેરરીતિ દ્વારા ભરપૂર લોન મંજૂર કરનારી બૅન્કો પણ જનતાને નુકસાન થાય છે તેની પરવા કર્યા વગર હેરકટ સ્વીકારી લે છે.
નોંધનીય છે કે હાલમાં વિડિયોકોન ગ્રુપ માટે મંજૂર થયેલા રિઝોલ્યુશન પ્લાનમાં અરજદારે કુલ લેણી રકમના માત્ર ૪.૧૫ ટકા રકમ ઑફર કરી હોવાની બાબતે એનસીએલટી (નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ)એ પોતે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ઑફર થયેલી રકમ નગણ્ય કહેવાય એમ કહેતાં તેણે ઉમેર્યું છે કે તમામ લેણદાર બૅન્કોએ ૯૫.૮૫ ટકા હેરકટ સ્વીકાર્યું છે. આ સ્થિતિમાં કમિટી ઑફ ક્રેડિટર્સ તથા અરજદાર કંપનીએ વધુ રકમ ચૂકવવા વિશે વિચાર કરવો જોઈએ.
એનસીએલટીને રીઝોલ્યુશન પ્લાન મંજૂર કરવાની જ સત્તા છે, તેમાં ફેરફાર કરવાની નહીં. પરિણામે, એણે ફક્ત આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
એનસીએલટીએ વિડિયોકોન ગ્રુપ માટે વેદાંત રીસોર્સીસ ગ્રુપની પ્રમોટર કંપની ટ્વીન સ્ટાર ટેક્નૉલૉજીસનો રીઝોલ્યુશન પ્લાન આ મહિનાના પ્રારંભે મંજૂર કર્યો હતો, પરંતુ તેનો ઔપચારિક આદેશ હાલ અપલોડ કરવામાં આવ્યો છે.
આદેશમાં ટ્રિબ્યુનલે કહ્યું છે કે કૉર્પોરેટ ઇનસોલ્વન્સી રીઝોલ્યુશન પ્રોસેસ (સીઆઇઆરપી) દરમિયાન ગોપનીયતા જળવાઈ હતી કે નહીં એ બાબતે ઇનસોલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી બોર્ડ ઑફ ઇન્ડિયાએ તપાસ કરવી. તેનું કારણ જણાવતાં ટ્રિબ્યુનલે કહ્યું છે કે લિક્વિડેશન વેલ્યૂ ગોપનીય હોવી જોઈએ, પણ ટ્વીન સ્ટારની બિડ આ વેલ્યૂની આસપાસ હોવાથી આશ્ચર્ય થાય છે. આના પરથી એનસીએલટી વગર બોલ્યે આપણને કહી રહી છે કે અંદરના માણસોએ જ લિક્વિડેશન વેલ્યૂ જાહેર કરી દીધી અને તેથી બિડમાં વધુ બોલી લગાવાઈ જ નહીં.
વિડિયોકોન ગ્રુપ સામે ૭૧,૪૩૩.૭૫ કરોડ રૂપિયાના કુલ દાવા છે અને તેમાંથી ૬૪,૮૩૮.૬૩ કરોડ રૂપિયાના દાવા મંજૂર કરવામાં આવ્યા છે, પણ રીઝોલ્યુશન પ્લાન ફક્ત ૨,૯૬૨.૦૨ કરોડનો મંજૂર કરવામાં આવ્યો છે, જે કુલ લેણી રકમના માત્ર ૪.૧૫ ટકા થાય છે.
એચ. પી. ચતુર્વેદી અને રવિકુમાર દુરાઇસ્વામીની એનસીએલટીની બેન્ચે કહ્યું છે કે ટ્વીન સ્ટારને રીઝોલ્યુશન પ્લાન હેઠળ આપવામાં આવનારી કુલ રકમના ફક્ત ૮.૮૪ ટકા રકમમાં એટલે કે ૨૬૨ કરોડ રૂપિયામાં વિડિયોકોન ગ્રુપની તમામ ૧૩ કંપનીઓની માલિકી મળી જશે. આ મુદ્દો કમિટી ઑફ ક્રેડિટર્સે ધ્યાનમાં લેવાનો હોય છે અને માનનીય સર્વોચ્ચ અદાલતના અનેક ચુકાદાના આધારે તથા અદાલતી ચુકાદાઓના દાખલાને અનુસરીને રીઝોલ્યુશન પ્લાન મંજૂર કરવામાં આવે છે.
એનસીએલટીએ એ બાબતે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે ગ્રુપની તમામ ઍસેટ્સનું મૂલ્ય નક્કી કરનારા રજિસ્ટર્ડ વેલ્યૂઅર્સે જેટલું મૂલ્ય નક્કી કર્યું છે એટલું જ લગભગ મૂલ્ય રીઝોલ્યુશન માટે અરજી કરનારી કંપનીએ નક્કી કર્યું છે.
રીઝોલ્યુશન પ્રક્રિયાના નિયમો કહે છે કે લિક્વિડેશન વેલ્યૂ અને ફેર માર્કેટ વેલ્યૂ ગોપનીય રાખવાની હોય છે અને રીઝોલ્યુશન પ્લાન મંજૂર થયા બાદ જ કમિટી ઑફ ક્રેડિટર્સના સભ્યોને તેની જાણ કરવાની હોય છે, પરંતુ કમિટીની ગયા સપ્ટેમ્બરમાં મળેલી બેઠકમાં જ સભ્યોને તેની જાણ કરવામાં આવી હતી. આથી ગોપનીયતાનો ભંગ થયો હોવાની શંકા ઊપજતી હોવાનું એનસીએલટીએ કહ્યું છે. લેણદાર બૅન્કોએ ટ્વીન સ્ટારની ઑફર ગયા ડિસેમ્બરમાં મંજૂર કરી હતી.
દુનિયા ઝૂકતી હૈ, ઝુકાને વાલા ચાહિયે એ કહેવતને લોકોના નુકસાન માટે વાપરીને લૂંટ ચલાવનારાઓ પ્રત્યે જનતામાં જાગરૂકતા આવે અને સ્થિતિ બદલવા માટે ચોમેરથી ઊગ્ર અવાજ ઊઠે એ આજના સમયની જરૂર છે.
————————