ભૂતપૂર્વ નામચીન નાણાપ્રધાન ચિદમ્બરમના ખાસ મિત્ર-સાથી ગણાતા આઇએલઍન્ડએફએસના ગ્રુપ હેડ રવિ પાર્થસારથિની આખરે ગયા સપ્તાહમાં ચેન્નાઈની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગે ધરપકડ કરી. પાર્થસારથિ પર એક લાખ કરોડના સ્કેમનો આરોપ છે. આ બધી બાબતો આગળ વધી રહી છે ત્યારે ડીએચએફએલના વિવાદાસ્પદ પ્રકરણનો વધુ ને વધુ પર્દાફાશ થઈ રહ્યો છે. આ બન્ને ફાઇનાન્શિયલ ગ્રુપે દેશને, સિસ્ટમને, બૅન્કોને અને રોકાણકારોને કેવા ફસાવ્યા છે અને ખોટના ખાડામાં નાખ્યા છે તેની ચર્ચા આગળ વધારીએ ….

– જયેશ ચિતલિયા
ફાઇનાન્શિયલ માર્કેટમાં કલંક સમાન આઇએલઍન્ડએફએસના કેસમાં નવા ડેવલપમેન્ટ મુજબ આ ગ્રુપના હેડ રવિ પાર્થસારથિની ચેન્નાઈના ઈઓડબલ્યુ (ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ) એ ધરપકડ કરી હતી, આ રવિ પાર્થસારથિ ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમનો ખાસ માણસ ગણાય છે અને તેના પર આઇએલઍન્ડએફએસમાં એક લાખ કરોડ રૂપિયાના સ્કેમનો આરોપ છે. આ ધરપકડ 63 મૂન્સ ટેક્નૉલૉજીસે કરેલી પોલીસ ફરિયાદના આધારે થઈ છે. જેણે આ ગ્રુપ સામે જંગ છેડી છે.

આ જ 63 મૂન્સ ટેક્નૉલૉજીસે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિ. (ડીએચએફએલ) સામે પણ લડાઈ છેડી છે. આ ગ્રુપમાં 63 મૂન્સે 200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. આ ડીએચએફએલ ગ્રુપની કાળી કથા પણ જાણવા-સમજવા જેવી છે. કેવા-કેવા લોકો અને કઈ-કઈ રીતે લેભાગુઓ રોકાણકારો, બૅન્કોને લૂંટતાં રહ્યા છે તેનાં આવાં ઉદાહરણ આમ તો ઘણાં હશે, પણ આઇએલઍન્ડએફએસ અને ડીએચએફએલ તેમાં વિશેષ ગણાય. આઇએલઍન્ડએફએસ અને ડીએચએફએલ જેવા કૌભાંડી કારનામા કરનારા વ્હાઈટ કોલર ક્રિમિનલ્સ કહેવાય છે, પરંતુ કમનસીબે આ સફેદ વસ્ત્રધારીને બીજા ‘સફેદ વસ્ત્રધારીઓ’ જ બચાવી લેતા હોય છે. આર્થિક અપરાધીઓ અને રાજકીય અપરાધીઓની વરસોથી સાંઠગાંઠ હોય છે, વાસ્તવમાં આ બન્ને બિઝનેસ પાર્ટનર જ ગણાય.

એક સમયે શાહરુખ ખાન જેના બ્રાન્ડ ઍમ્બેસેડર હતા એ દીવાન હાઉસિંગ ઍન્ડ ફાઇનાન્સ લિ. (ડીએચએફએલ) એક યા બીજા કારણસર છેલ્લાં કેટલાંક વરસથી દેવામાં ખૂંપતી ગઈ હતી. જોકે, તેમાં બીજાં પરિબળો કરતાં કંપની મૅનેજમેન્ટનાં પરાક્રમો વધુ જવાબદાર હોવાનું કહેવાતું હતું, જે હવે વાજતે-ગાજતે બહાર આવી ગયું છે અને વિવાદોના વમળમાં અટવાયું છે. ડીએચએફએલે તેના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી)નાં નાણાં પરત કરવામાં વિલંબ કરવાને પરિણામે રૅટિંગ ઍજન્સીઓ ક્રિસિલ અને ઈકરાએ તેના રૅટિંગને ડિફોલ્ટ કેટેગરીમાં મૂકી દીધું હતું. કેર રૅટિંગ ઍજન્સીએ તો આ કંપનીના લોંગ ટર્મ ડેટ સાધન (એનસીડી) તેમ જ ફિકસ્ડ ડિપોઝિટને પણ ડિફોલ્ટ રૅટિંગ આપ્યું હતું, જેને પગલે કંપનીના આશરે 58,000 કરોડના પેપર્સ ડિફોલ્ટ કેટેગરીમાં આવી ગયા હતા. આ ઘટનાથી રોકાણકારોના વિશ્વાસને એવો આઘાત લાગ્યો કે ડેટ સાધનોમાં પોતાનાં નાણાં ઉંચી સલામતી ધરાવતા હોવાનું માનતા રોકાણકારોનો ભ્રમ વધુ એકવાર તૂટ્યો હતો.

સિક્યોર્ડ સાધનોની સલામતી કેટલી?
ડીએચએફએલે બૅન્કોનાં કરજ પણ ડૂબાડી દીધાં હોવાથી આ મામલો ઇનસોલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી કોડ (આઈબીસી) હેઠળ ગયો હતો. જોકે, એમાં બૅન્કોનાં નાણાં પાછાં મળવાનો મૂળ મુદ્દો બાજુએ રહી ગયો અને ડીએચએફએલના પ્રમોટરે સંપત્તિ વેચીને કરજ ચૂકવવા માટે કરેલી ઑફર વિશે ચર્ચા ચાલુ થઈ ગઈ હતી. ડીએચએફએલને અપાયેલા ઉંચા રૅટિંગને કારણે રોકાણકારો ભોળવાઈ ગયા હતા. હાલના અંદાજ મુજબ ડીએચએફએલે 87,000 કરોડ રૂપિયા કરતાં વધુ રકમ ચૂકવવાની નીકળે છે. આ કિસ્સામાં ફિક્સ્ડ ડિપોઝિટ ધારકોને આશરે 75 ટકા તથા બોન્ડધારકોને 60 ટકા નુકસાન થવાનું અનુમાન મુકાય છે. આમ, ઇન્સોલ્વન્ટ કંપની બને છે અને નાદાર તેના નાના રોકાણકારો બને એવો ઘાટ છે.
રિઝોલ્યુશન સાથે એક રૂપિયાના વેલ્યુએશનનો પ્લાન

દરમિયાન, નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)ની મુંબઈ બેન્ચે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ) માટેના પિરામલ ગ્રુપના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે. આ આદેશ લાગુ પડશે કે નહીં એનો આધાર ઍપેલેટ ટ્રિબ્યુનલ અને સર્વોચ્ચ અદાલતમાં આવનારા અપીલના પરિણામ પર નિર્ભર છે. પિરામલે ગ્રુપે ડીએચએફએલ માટે 37,250 કરોડ રૂપિયાનો રિઝોલ્યુશન પ્લાન સુપરત કર્યો છે. કમિટી ઑફ ક્રેડિટર્સ, રિઝર્વ બૅન્ક તથા કોમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા આની પહેલાં જ આ પ્લાનને મંજૂરી આપી ચૂક્યાં છે. જોકે, ડીએચએફએલના અગાઉના પ્રમોટર કપિલ વાધવાને નૅશનલ કંપની લૉ ઍપેલેટ ટ્રિબ્યુનલના આદેશ સામે સ્ટે અર્થે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ઍપેલેટ ટ્રિબ્યુનલે પ્રમોટર કપિલ વાધવાનની સેટલમેન્ટ ઑફર વિશે વિચારણા કરવા માટે કમિટી ઑફ ક્રેડિટર્સને અપાયેલા નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)ના આદેશ પર સ્ટે મૂક્યો છે. આમ, આ કેસ હવે સર્વોચ્ચ અદાલત પાસે છે એવા સંજોગોમાં ટ્રિબ્યુનલે પિરામલનો પ્લાન મંજૂર કર્યો છે.

ડીએચએફએલને હસ્તગત કરવાની બિડ પિરામલ ગ્રુપે મૂકીને ડીએચએફએલની તેમ જ ફાઇનાન્સ કંપનીઓની અને સિસ્ટમની ગંભીર મજાક ઉડાવી હોય એવું લાગે છે. આ મજાકની મજા એ છે કે પિરામલ ગ્રુપે ડીએચએફએલના કહેવાતાં ડૂબેલાં નાણાંમાંથી કોઈ રિકવરી નહીં થાય એવું કહીને તેનું વેલ્યુએશન માત્ર એક રૂપિયાનું મૂક્યું છે, વાહ! ભારતના, સંભવત વિશ્વના, કૉર્પોરેટ ટેકઓવરનો આ એકમાત્ર કિસ્સો હશે. આ સાથે પિરામલ કૅપિટલ ઍન્ડ હાઉસિંગ ફાઇનાન્સે નૅશનલ ટ્રિબ્યુનલમાં તેનો રિઝોલ્યુશન પ્લાન મૂકતાં ડીએચએફએલની એસેટ્સ માટે રૂ।. 37,250 કરોડનું વેલ્યુએશન મૂક્યું છે.
પિરામલના પ્લાન સામે પડકાર
ડીએચએફએલને હસ્તગત કરવાના પિરામલ ગ્રુપના આ પ્લાન સામે ડીએચએફએલના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સમાં રૂ।. 200 કરોડનું રોકાણ ધરાવનાર 63 મૂન્સ ટેક્નૉલૉજીસે પડકાર ફેંક્યો છે. તેના મતે પિરામલનો પ્લાન કાયદાથી વિરુદ્ધ છે અને બૅન્કો તથા નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સધારકોના હિતમાં નથી. કંપનીના લેણદારો પાસેથી માત્ર એક રૂપિયો નહીં, બલકે રૂ।. 45,000 કરોડ મળવા જોઈએ એવી દલીલ કરાઈ છે. ઇન્સોલ્વન્સી એકટ હેઠળ ઍક્વિઝિશનનો આ પ્રથમ કેસ છે. ડીએચએફએલે લેણદાર બૅન્કોને નાણાં ચૂકવવામાં ડિફોલ્ટ કર્યા બાદ રિઝર્વ બૅન્કે તેનો કેસ નવેમ્બર 2019માં એનસીએલટીને રિફર કર્યો હતો. લેણદાર બૅન્કોએ આ કંપની પાસેથી 87,000 કરોડ રૂપિયા લેવાના નીકળે છે. હવે દીવાન હાઉસિંગ તેના લેણદારો-રોકાણકારોમાંથી કેટલાને દિવાના અને કેટલાને પરવાના બનાવે છે એ આગામી સમય કહેશે. બાકી, આપણા દેશમાં વ્હાઇટ કોલર ક્રિમિનલ્સને મોટાભાગે જલસા હોય છે. તેમને સજા થાય તોપણ દેખાવ પૂરતી હોય છે.
સૌજન્યઃ ગુજરાત ગાર્ડિયન
—————————–