
દેશના નાણાકીય ક્ષેત્ર પર શું પી. ચિદમ્બરમે અજગરનો ભરડો લીધો છે?
કોઈ પણ વસ્તુને પ્રબળતાથી પકડી રાખવામાં આવી હોય ત્યારે અજગરનો ભરડો એવો શબ્દપ્રયોગ થાય છે. દેશના નાણાકીય ક્ષેત્ર પર પી. ચિદમ્બરમે જમાવેલી પકડ માટે પણ અજગરનો ભરડો જ કહેવું પડે એવું એક પછી એક કેટલાંય ઉદાહરણો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે.
હાલમાં પ્રકાશિત માહિતી મુજબ એક ફોજદારી ફરિયાદ સંબંધે ચિદમ્બરમ સામે કામ ચલાવવા માટે લોકપાલ અને કેન્દ્રીય દક્ષતા પંચે (સેન્ટ્રલ વિજિલન્સ કમિશન – સીવીસી) મંજૂરી આપી હોવા છતાં કેન્દ્ર સરકારના આર્થિક બાબતોના ખાતાએ હજી સુધી તેના માટે હા ભણી નથી.

નાગરિકોને સજાગ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતી પીગુરુસ ડોટ કોમ (https://www.pgurus.com/) વેબસાઇટના એક અહેવાલ (https://www.pgurus.com/dea-protects-p-chidambaram-k-p-krishnan-ramesh-abhishek-in-a-criminal-complaint-filed-with-cbi-by-63-moons/#_ftn1) અનુસાર 63 મૂન્સ ટેક્નૉલૉજીસે ચિદમ્બરમ, નાણાં ખાતાના ભૂતપૂર્વ અતિરિક્ત સચિવ કે. પી. કૃષ્ણન અને ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના ભૂતપૂર્વ અધ્યક્ષ રમેશ અભિષેક વિરુદ્ધ ભ્રષ્ટાચાર અટકાયત ધારાની કલમ 17એ હેઠળ ફોજદારી ફરિયાદ નોંધાવી છે.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) સમક્ષ કરાયેલી આ ફરિયાદમાં 63 મૂન્સે કહ્યું છે કે તેની પેટા કંપની એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)માં જુલાઈ 2013માં પૅમેન્ટ કટોકટી સર્જાઈ ત્યારે ઉક્ત ત્રણે વ્યક્તિઓએ પોતપોતાના સરકારી હોદ્દાઓનો દુરુપયોગ કરીને 63 મૂન્સને જાણીજોઈને નુકસાન પહોંચાડ્યું છે.
63 મૂન્સે આ કેસમાં લોકપાલ અને સીવીસી સમક્ષ ધા નાખી ત્યારે એ બન્ને સંસ્થાઓએ પી. ચિદમ્બરમ, કે. પી. કૃષ્ણન અને રમેશ અભિષેક વિરુદ્ધ તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. સીવીસીએ તો એટલે સુધી કહ્યું હતું કે ફરિયાદમાં જણાવાયેલા ભ્રષ્ટાચારના આરોપ ગંભીર, નિશ્ચિત સ્વરૂપના અને ખરાઈ થાય એવા છે. તેણે 12 સપ્તાહની અંદર તપાસ પૂરી કરવાનો અને કાર્યવાહી માટેનાં સૂચનો સહિતનો અહેવાલ સુપરત કરવા માટે આર્થિક બાબતોના ખાતાને આદેશ સુદ્ધાં આપ્યો હતો. આર્થિક બાબતોના ખાતાએ નિયમ મુજબ 120 દિવસની અંદર ફરિયાદ સંબંધે કાર્યવાહી કરવી જરૂરી હોવા છતાં બે વર્ષ બાદ પણ હજી સુધી તેણે કોઈ જવાબ આપ્યો નથી.
આપણે અગાઉ આ બ્લોગમાં કહી ચૂક્યા છીએ કે પી. ચિદમ્બરમ દેશના આર્થિક ક્ષેત્રે પ્રચંડ વગ ધરાવે છે. ઉક્ત કેસ તેનું જ્વલંત ઉદાહરણ છે. દેશની માનનીય બે સંસ્થાઓ – લોકપાલ અને સીવીસીએ સ્પષ્ટપણે કહેવા છતાં આર્થિક બાબતોનું ખાતું આ ત્રણે વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મંજૂરી આપી રહ્યું નથી તેના પરથી કહી શકાય કે ન્યાયને ઘોળીને પી જવાની બાબતમાં તેઓ માહેર છે.
પીગુરુસનું કહેવું છે કે 2જી કૌભાંડમાં ભ્રષ્ટ ગણાતી યુપીએ સરકારે પણ 24 કલાકની અંદર મંજૂરી આપી દીધી હતી. પી. ચિદમ્બરમ, કે. પી. કૃષ્ણન અને રમેશ અભિષેકે એનએસઈએલમાં પૅમેન્ટ કટોકટી સર્જી હતી અને તેનો હલ લાવવાનું આસાન હોવા છતાં એમ કર્યું નહીં. માત્ર આઠ દિવસમાં હલ થઈ શકે એવા એ કેસને આઠ વર્ષ પછી પણ એમ ને એમ રહેવા દેવાયો છે. એટલું જ નહીં, હાલમાં બનેલી એક ઘટનામાં લેણદારોને નાણાં ચૂકવવા માટેના મુંબઈ વડી અદાલતના આદેશનો અમલ અટકી જાય એ માટે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. આમ, વડી અદાલતનો આદેશ બે સપ્તાહ મુલતવી રહી ગયો છે. આ બાબતે આવતી કડીમાં વાત કરીશું.
——————-