એનએસઈની ટેક્નિકલ ક્ષતિઃ ભુલાઈ ગઈ કે ભુલાવી દેવાશે?

સેબીની ચૂપકીદી અને નાણાં ખાતાની દલીલ ગળે ઊતરે એવી નથી!

એનએસઈ જેવા કેસમાં એક્સચેન્જ સામે, તેના સંબંધિત અધિકારીઓ સામે અને તેને ટેક્નૉલૉજી પૂરી પાડનાર કંપનીઓ સામે પણ ઍક્શન લેવાવી જોઈએ. આ સાથે રોકાણકારો કે બ્રોકરોને નુકસાન થયું હોય તેવા કિસ્સામાં તેમને એક્સચેન્જ વળતર પૂરું પાડે એવી કાનૂની જોગવાઈ કરવી જોઈએ.

આપણે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની ટેક્નિકલ ખામી વિશે ગયા વખતે વિગતવાર વાત કરી હતી, કિંતુ નિયમનકાર સેબી જાણે આ કોઈ સામાન્ય ઘટના હોય તેમ ચૂપચાપ બેઠું છે. તાજેતરમાં એટલે કે ઘટનાના ત્રણ દિવસ બાદ નાણાપ્રધાને નિવેદન કરી એનએસઈની ઘટના દેશ માટે નુકસાનકારક ગણાય એવું કહ્યું, પરંતુ દેશને નુકસાન કરાવનાર એ એક્સચેન્જ સામે કોઈ ઍક્શનની વાત કરી નહીં. એક્સચેન્જ તો શું તેની કોઈ વ્યક્તિને પણ જવાબદાર ઠરાવાઈ નથી. ગઇ 24મી ફેબ્રુઆરીએ નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)માં સર્જાયેલી યાંત્રિક ખામી એટલે કે ટેક્નિકલ ગ્લિચને લીધે એક્સચેન્જને ચાર કલાક કામકાજ બંધ રાખવાની ફરજ પડી હતી, જેમાં અબજો રૂપિયાના વ્યવહારો અટવાઇ ગયા હતા અને એક્સચેન્જે રાબેતા મુજબના સત્ર બાદ વધારાના કલાકો માટે ટ્રેડિંગ સત્ર રાખવું પડ્યું હતું. ભારતના પ્રથમ ક્રમાંકના એક્સચેન્જમાં આ નાલેશીભરી ઘટના બાદ પણ કોઈપણ અધિકારીને એના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા નથી અને જાણે કંઈ બન્યું જ ન હોય એવો ઘાટ ઘડાયો છે. 

આપણે અહીં વરસો જૂના હર્ષદ મહેતા પ્રકરણને યાદ કરીએ તો એ સમયે તે સ્કૅમના નામે સિક્યૉરિટીઝ માર્કેટમાં તળિયાઝાટક ફેરફારો કરવામાં આવ્યા અને એક્સચેન્જ ક્ષેત્રે સ્પર્ધા થવી ઘટે એવું કહીને બીએસઈ સામે એનએસઈની સ્થાપના કરવામાં આવી હતી. સ્પર્ધા તો ઊભી થઈ ગઈ, પરંતુ એ તંદુરસ્ત છે એવો દાવો કોઈ કરી શકતું નથી. ઉલટાનું, એ સ્પર્ધાના નામે એનએસઈની જાણે મોનોપોલી થઈ ગઈ. જેની સામે લડી શકે એવા ત્યારના નવા એક્સચેન્જ એમસીએક્સ સ્ટોક એક્સચેન્જની પ્રમોટર કંપની ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ (હાલનું નામ ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીસ લિ.)ને બીજા પ્રકરણમાં સંડોવીને તેને ફિટ એન્ડ પ્રોપર નથી એવા આરોપ સાથે બિઝેનેસમાંથી દૂર કરી દેવાઇ હતી, કારણ કે તે એક્સચેન્જ અને કંપની એનીએસઈને ફાઈટ આપવા તેમ જ તેને કટ્ટર સ્પર્ધામાં પાછળ પાડી દેવા સમર્થ હતી. આથી એ સમયના નાણાપ્રધાન પી. ચિદમ્બરમે તેમ જ તેમના બે સરકારી સાથીઓએ કેવી રમત રમી હતી એ જાહેર છે, જેમાં એકસાથે નવ એક્સચેન્જીસ વેચી દેવાની એફટીને ફરજ પડાઇ. એફટી ગ્રુપ ટ્રેડિંગમાં સક્ષમ હતું એટલું જ નહીં, ટેક્નૉલૉજીમાં પણ પાવરફુલ હતું. આજે પણ આ કંપની (૬૩ મૂન્સ ટેક્નૉલૉજીસ) ટેક્નૉલૉજી માટે અવ્વલ ગણાય છે. કમનસીબે, મોદી સરકાર તરફથી પી. ચિદમ્બરમને કંઈ થતું નથી અને તેમના ફેવરીટ એક્સચેન્જને પણ કંઇ કરી શકાતું નથી. પાવરફુલ કહેવાતું  નિયમન તંત્ર સેબી પણ તેની સામે ચૂપકીદી સેવી લે છે. હવે આ એનએસઈ ટેક્નિકલ ક્ષતિ પ્રકરણમાં પણ તપાસના નામે મામલો ભુલાવી દેવાય એવું બનવાની શક્યતા ઊંચી  જણાય છે.

એનએસઈની બાબતે સેબી કાયમ મૌન 

એનએસઈ આજની તારીખે ભારતનું સૌથી મોટું સ્ટૉક એક્સચેન્જ અને ડેરિવેટિવ્ઝમાં સમગ્ર વિશ્વમાં સૌથી મોટું એક્સચેન્જ બની ગયું છે, પરંતુ એ કઠણાઇ એ છે કે તે ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ અનેક ખામીઓથી ભરેલું હોવા છે અને છતાં એના ઉપાય માટે કોઈ પગલું હજી સુધી લેવામાં આવ્યું નથી.

24મી ફેબ્રુઆરીની લેટેસ્ટ ઘટના બાદ પણ કોઈ નક્કર ઍક્શન આવશે કે કેમ એ સવાલ છે. આપણે કૉ-લૉકેશન સ્કેમ વિશે અગાઉ વાત કરી હતી, જેમાં પણ સેબી અને સરકાર એનએસઈને છાવરતી હોય એવી છાપ પડી. આ કૉ-લૉકેશન કૌભાંડ એટલે ચોક્કસ બ્રોકરોને અન્ય કરતા માર્કેટમાં સોદા માટે ખાસ વહેલી અલગ સુવિધા કરી અપાઈ હતી, જેનો લાભ ચોક્કસ સ્થાપિત-વગદાર હિતો લઈ ગયાં હતાં. સેબી એ વખતે પણ મૌન રાખી બેઠું હતું. આવા અપરાધ બદલ વિદેશોમાં આકરી સજા અને ઍક્શન લેવાતી હોય છે. 

ક્લીયરિંગની ઇન્ટરઓપરેબિલિટીનું શું થયું?

એનએસઈએ યાંત્રિક ખામી બદલ કહ્યું છે કે તેની ટેલીકોમ લિંકની અસ્થિરતાને કારણે એની ક્લીયરિંગ તથા અન્ય સિસ્ટમ્સની જોખમ વ્યવસ્થાપન યંત્રણા પર વિપરીત અસર થવાથી ટ્રેડિંગ બંધ કરી દેવું પડ્યું હતું. એક્સચેન્જ હંમેશાં ખામીરહિત કામકાજની સુવિધા આપવાનો પ્રયાસ કરે છે એવું પણ કહેવામાં આવ્યું. ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડ, જાપાન, જર્મની અને યુનાઇટેડ કિંગડમમાં છેલ્લાં બે વર્ષોમાં આવી અનેક ખામીઓ સર્જાઈ ચૂકી હોવાનો પાંગળો બચાવ પણ તેણે કર્યો, પરંતુ એ ભૂલી ગયું કે ક્લીયરિંગ સિસ્ટમ માટે દેશમાં ક્લીયરિંગ હાઉસીસની ઇન્ટરઓપરેબિલિટી આપવામાં આવી છે. એક એક્સચેન્જનું ક્લીયરિંગ કામકાજ બરોબર ચાલતું ન હોય તો બીજા એક્સચેન્જની ક્લીયરિંગ યંત્રણાનો ઉપયોગ કરી શકાય એવો વિકલ્પ દેશમાં ઉપલબ્ધ છે. એ ઉપરાંત એક્સચેન્જની પાસે ડિઝાસ્ટર રિકવરી સાઇટ પણ છે, તેમ છતાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. એનએસઈએ કરેલા લૂલા બચાવની સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે, પરંતુ એમાંથી એકેયનો પારદર્શક રીતે જવાબ આપવાની કોશિશ એક્સચેન્જમાંથીય નથી થઈ અને સિક્યૉરિટીઝ માર્કેટના નિયમનકાર – સેબી તરફથી પણ કરવામાં આવી નથી. 

ક્લીયરિંગ હાઉસની ઇન્ટરઓપરેબિલિટી

એનએસઈના ક્લીયરિંગ હાઉસને પણ બંધ રાખવામાં આવ્યું ત્યારે ઇન્ટરઓપરેબિલિટીનો મુદ્દો મુખ્ય બન્યો હતો. સેબીએ 27 નવેમ્બર, 2018ના રોજ જાહેર કર્યું હતું કે એ એક્સચેન્જમાં થયેલા સોદાઓનું ક્લીયરિંગ અને સેટલમેન્ટ બીજા એક્સચેન્જના ક્લીયરિંગ હાઉસમાં કરી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આમ છતાં ગત 24મી ફેબ્રુઆરીએ ઇન્ટરઓપરેબિલિટી ઉપયોગમાં લઈ શકાઈ નહીં અને એમ નહીં થવા માટે એનએસઈએ ગળે ઊતરે એવું કારણ પણ આપ્યું નથી. આ બાબતે કહેવામાં આવી રહ્યું છે કે ક્લીયરિંગ યંત્રણાની ઇન્ટરઓપરેબિલિટી બરોબર ચાલતી હોત તો એનએસઈ બંધ પડ્યા બાદ બીએસઈ પર વોલ્યુમ 8 ગણું વધી ગયું હોત, પરંતુ એવું થયું નહીં. 

બીએસઈનું ટર્નઓવર વધવાની દલીલ

સેબીએ ટેક્નિકલ ખામીના મુદ્દે એનએસઈ સામે કડકમાં કડક પગલાં ભરવાં જોઈએ, પરંતુ હકીકતમાં નિયમનકારે એનએસઈનો પક્ષ લેવાતો હોય એમ કહ્યું કે ઇન્ટરઓપરેબિલિટીનો ઉપયોગ કરી શકાયો હોવાથી જ બીએસઈ પર ઈક્વિટી સેગમેન્ટમાં વોલ્યુમ વધીને 40,600 કરોડ રૂપિયા થઈ ગયું હતું. બીએસઈનું પાછલા 30 દિવસનું સરેરાશ ટર્નઓવર આશરે 5,200 કરોડ રૂપિયા હતું એવું સેબીએ કહ્યું છે. જોકે, આંકડાઓ પરથી કહી શકાય કે બીએસઈ પર વોલ્યુમ વધવાનું કારણ ઇન્ટરઓપરેબિલિટી હોય એવું લાગતું નથી. એનએસઈની ટેક્નિકલ ખામીના દિવસે બીએસઈ પર બોશ કંપનીના 29,000 કરોડ રૂપિયાના શેરનું બ્લોક ડીલિંગ થયું હોવાથી ટર્નઓવર વધ્યું હતું. આમ, બીએસઈના એ દિવસના ટર્નઓવરમાંથી 29,000 કરોડ રૂપિયાની બાદબાકી કરી નાખીએ તો ટર્નઓવરનો આંકડો 13,000 કરોડની આસપાસ થાય, જે સામાન્ય કરતાં બમણા કરતાં થોડો વધારે હતો. જો  ઇન્ટરઓપરેબિલિટી શક્ય બની હોત તો બીએસઈનું વોલ્યુમ 8થી 10 ગણું વધી ગયું હોત. નવાઈની વાત તો એ છે કે એનએસઈએ પોતે જ કબૂલ્યું છે કે એ દિવસે એના ક્લીયરિંગ હાઉસમાં ઓનલાઇન રિસ્ક મૅનેજમેન્ટ સિસ્ટમ કામ કરી રહી નહોતી. બજારમાં એનએસઈની ઈજારાશાહીની સ્થિતિ રચાઈ હોવાનો આક્ષેપ કરતાં સેબીને કરાયેલી ફરિયાદમાં કહેવાયું છે કે એનએસઈ ક્લીયરિંગ લિમિટેડ કામ કરતું બંધ થયું એ અનૈતિક તથા સ્પર્ધાને દબાવી દેનારી સ્થિતિ કહેવાય. સેબીએ તો વિશ્વમાં અન્યત્ર પણ ટેક્નિકલ ખામીઓ થાય છે એવું કહીને પોતાની અને એનએસઈની જવાબદારીમાંથી હાથ ધોઈ લેવાનો પ્રયત્ન કર્યો હોવાનું બજારના જાણકારોનું કહેવું છે. 

અનેક ગોટાળા છતાં કાર્યવાહીનો અભાવ

વિશ્લેષકો કહે છે કે એનએસઈ પર ગત થોડાં વર્ષોમાં અનેકવાર ગોટાળા બહાર આવ્યા હોવા છતાં એનાં થાબડભાણાં થઈ રહ્યાં છે. 2011માં ક્લાયન્ટ કોડ મોડિફિકેશન દ્વારા કરવેરાની ચોરી, 2012માં એનએસઈના ટોચના મૅનેજમેન્ટમાં થયેલી નિમણૂકો, 2009થી 2012ના ગાળામાં અસંબંધિત બિઝનેસની ખરીદી કરીને સેબીના નિયમોનો કરાયેલો ભંગ તથા 2010થી 2014 સુધીના કૉ-લૉકેશન કૌભાંડનો કેસ એ બધાં પ્રકરણોમાં એનએસઈ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. આમાં મોટાભાગના કેસ ગંભીર અપરાધ સમાન ગણાય, તેની સામે ઍક્શન પણ ગંભીર જ હોવી જોઈએ. શું બીએસઈમાં આમ થયું હોય તો સેબી અને નાણાં ખાતું આટલી જ શાંતિથી બેઠાં હોત?   

આખરે નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહેવું પડ્યું કે બે એક્સચેન્જ વચ્ચે ઇન્ટરઓપરેબિલિટી હોવી જોઈએ. શું વાત છે? નાણાં મંત્રાલયને પણ મોડે-મોડે સમજ આવે છે. શું હવે સેબી કે નાણાં ખાતું એનએસઈની ટેકનિકલ ગરબડ માટે કોઈને જવાબદાર ગણશે ખરાં? યાદ રહે, આ એક્સચેન્જ આ વરસે આઈપીઓ લાવવાની યોજના ધરાવે છે.

—————–

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s