એનએસઈએલ કેસ સંબંધે અંજની સિંહાની પુનઃ ધરપકડ શું સ્થાપિત હિતોની નવી ચાલ છે કે પછી ન્યાયને લંબાવવાની વધુ એક મેલી રમત છે?

શું સરકાર નથી ઈચ્છતી કે આ કેસનો ન્યાયપૂર્ણ અંત આવે?

હાલમાં પ્રગટ થયેલા બે સમાચાર આપણને ફરી એક વાર અનુભવ કરાવી રહ્યા છે કે દેશના સમગ્ર નાણાકીય તંત્રમાં ભયંકર અવ્યવસ્થા ચાલી રહી છે અને સમસ્યાઓના હલ લાવવા કરતાં તેની ગૂંચને યથાવત્ રાખવામાં અથવા વધારવામાં જ કેટલાંક સ્થાપિત હિતોને રસ છે. આ સડો એટલો અંદર પેસી ગયો છે કે નરેન્દ્ર મોદીની સરકારનાં સાતમા વર્ષે પણ તેનો ઈલાજ કરવાનું શક્ય બની રહ્યું નથી.  

આ બે સમાચાર એક સમયના ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ (ઇન્ડિયા) લિમિટેડ – એફટીઆઇએલ ગ્રુપને સંબંધિત છે. એફટીની પેટા કંપની એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)માં પૅમેન્ટ કટોકટી સર્જવા માટે જવાબદાર મનાતા એ સમયના એનએસઈએલના  મૅનેજિંગ ડિરેક્ટર અંજની સિંહાની દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ 17મી જાન્યુઆરીએ ધરપકડ કરી છે. મૂળ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાનો આ કેસ હોવા છતાં હવે રહસ્યમય રીતે દિલ્હીની ઈઓડબ્લ્યુ એમાં સક્રિય થઈ છે. વળી, સીબીઆઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સ્પેશિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસ એ બધી ઍજન્સીઓ પણ જુલાઈ 2013ના આ કેસમાં તપાસ કરી ચૂકી છે.

એફટીઆઇએલના પ્રમોટર જિજ્ઞેશ શાહે કે તેમના પરિવાર અને એફટી ગ્રુપની કંપનીઓએ આ કેસમાં નાણાંની હેરફેર કરી નહી હોવાની વાતને મુંબઈ વડી અદાલતથી માંડીને સર્વોચ્ચ અદાલત અને વિવિધ ઍજન્સીઓએ સમર્થન આપ્યું છે. મની ટ્રેઈલમાં પણ આ હકીકત પુરવાર થઈ છે. તેમ છતાં અંજની સિંહાને પકડીને તેના મોઢે જિજ્ઞેશ શાહનું નામ બોલાવડાવાનું કારણ સ્થાપિત હિતોની ચાલ સિવાય બીજું શું હોઈ શકે?

આ એ જ અંજની સિંહા છે, જેની સામે એફટીઆઇએલે પૅમેન્ટ કટોકટી બદલ એફઆઇઆર નોંધાવી હતી અને કહ્યું હતું કે સિંહાએ મૅનેજમેન્ટને અંધારામાં રાખીને એનએસઈએલમાં અનેક ગેરરીતિઓ આચરી હતી.  

સાત વર્ષ પૂરાં થયા બાદ પણ દેશની આ બધી તપાસ સંસ્થાઓ કેમ આ કેસનો હલ લાવી શકી નથી અને જેઓ આબાદ છટકી ગયા હોવાનું દેખાય છે એ ડિફોલ્ટરોની સામે આકરી કાર્યવાહી કરવાને બદલે કેસની ફરતે ફેરફુદરડી ફરવાની પ્રવૃત્તિ કેમ ચાલી રહી છે? 

એનબીએચસી કેસઃ વધુ એક પુરાવો

હવે થોડો વખત એ વાતને બાજુમાં રાખીને બીજા સમાચાર પર આવીએ. હાલમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને મુંબઈસ્થિત નૅશનલ બલ્ક હૅન્ડલિંગ કૉર્પોરેશન (એનબીએચસી)ના ચૅરમૅન વિજય કેળકર વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. પંજાબ નૅશનલ બૅન્કની આંધ્ર પ્રદેશ ખાતેની રાજામુંદ્રી શાખાએ કરેલી ફરિયાદને પગલે 20 કરોડના કેસમાં કેળકર તથા અન્ય અધિકારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓએ સૂર્યાશ્રી કેશ્યુ પ્રૉડક્ટ્સ સાથે મળીને બૅન્ક સાથે છેતરપિંડી કરી છે. યોગાનુયોગે એનબીએચસી એક સમયે એનએસઈએલની જેમ એફટીઆઇએલની પેટા કંપની હતી.  

એનએસઈએલની 2013ની પૅમેન્ટ કટોકટી અને એનબીએચસીના અધિકારીઓએ કરેલા અત્યારના ફ્રોડ એ બન્ને કેસમાં સંબંધિત સંસ્થાના રોજબરોજના કામકાજને સંભાળનારા અધિકારીઓની સંડોવણી સ્પષ્ટ તરીને આવે છે. એક સમયે એનએસઈએલની કટોકટી માટે તત્કાલીન પૅરન્ટ કંપની એટલે કે એફટીઆઇએલના પ્રમોટર જિજ્ઞેશ શાહ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું વલણ અપનાવવામાં આવ્યું હતું, હકીકતમાં જિજ્ઞેશ શાહ અંજની સિંહાના વિશ્વાસઘાતનો ભોગ બન્યા હતા. છેલ્લાં સાત વર્ષમાં અલગ અલગ અદાલતોમાં સ્પષ્ટપણે જોઈ શકાયું છે કે પ્રમોટરની એમાં કોઈ સંડોવણી કે અપરાધ નથી. પૅમેન્ટ કટોકટીનાં નાણાં પ્રમોટર કે તેમની કંપનીઓ નહીં, પણ ડિફોલ્ટર લઈ ગયા છે. ડિફોલ્ટરોને સાથ આપનારા બ્રોકરો હતા, એવું પણ મુંબઈની ઈઓડબ્લ્યુના અહેવાલમાં કહેવામાં આવ્યું હોવા છતાં કેસમાં ભેદભરી રીતે પ્રમોટરની સામે જ કાર્યવાહી કેન્દ્રીત કરવામાં આવી હતી. જો એનબીએચસી હજી પણ એફટીઆઇએલ પાસે હોત તો શક્ય છે કે કેટલાંક હિતોએ કેળકરને બદલે એફટીઆઇએલના પ્રમોટર વિરુદ્ધ કાર્યવાહીના પ્રયાસ કરાવ્યા હોત.  

વાસ્તવમાં એફટીઆઇએલ, જેનું નવું નામ હવે 63 મૂન્સ ટેક્નૉલૉજીસ છે, એની પાસે દેશવિદેશમાં અલગ અલગ ઍસેટ્સનાં નવ એક્સચેન્જ અને બીજી અનેક પેટા કંપનીઓ હતી, જેમાં રોજબરોજના કામકાજને સંભાળવા માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતોને મૅનેજિંગ ડિરેક્ટર બનાવાયા હતા. અંજની સિંહાની પુનઃ ધરપકડ અને વિજય કેળકરની સામે ગુનાની નોંધ એ બન્ને બાબતો દર્શાવે છે કે એફટીઆઇએલની પેટા કંપનીઓના મૅનેજિંગ ડિરેક્ટરોની દાનતમાં જ ખોટ હતી.  

સિંહાની સામે પહેલી ફરિયાદ કોણે કરી હતી?

એનએસઈએલની પ્રમોટર કંપની એફટીઆઇએલે આથી જ સિંહાની સામે ફરિયાદ નોંધાવી હતી અને બ્રોકરો સાથે જેમની સાંઠગાંઠ ખૂલ્લી પડી ગઈ છે એ 22 ડિફોલ્ટરો પાસેથી નાણાં પાછાં મેળવવા માટે અદાલતી કાર્યવાહી શરૂ કરી હતી.  

એફટીના સતત પ્રયાસ

એફટીઆઇએલે, એટલે કે હાલની 63 મૂન્સે સાત વર્ષમાં ડિફોલ્ટરો પાસેથી નાણાંની રિકવરી માટે કરેલા પ્રયાસને પગલે વડી અદાલતમાંથી 3,365 કરોડ રૂપિયાની ડિક્રી અને 4,515 કરોડ રૂપિયાનાં ઇન્જંક્શન મેળવી લીધાં છે. આશ્ચર્યની વાત છે કે દિલ્હી પોલીસની ઈઓડબ્લ્યુએ સિંહાની ધરપકડ કરીને આ કેસને એકડે એકથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું લાગે છે. પરિણામે, એનએસઈએલ પૅમેન્ટ કટોકટીનો હલ આવવા સામે ફરી પ્રશ્નાર્થ ઊભો થઈ જાય અથવા આ કેસ હજી લંબાતો રહે.

જો કોઈ સ્થાપિત હિતના ઈશારે અને કેસને ગૂંચવી રાખવા માટે સિંહાની ધરપકડ થઈ ન હોય તો એ યથાયોગ્ય છે, કારણ કે આ વ્યક્તિની મથરાવટી જ મેલી છે. એમણે કટોકટી બહાર આવી એ વખતે શરૂઆતમાં જ કબૂલી લીધું હતું કે એનએસઈએલની પૅમેન્ટ કટોકટી માટે પોતે જવાબદાર છે.  

ગેરરીતિ બધી અંજની સિંહાની

એનએસઈએલ કેસમાં એક નહીં, પણ અનેક મોરચે સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રમોટરો નહીં, પણ અંજની સિંહાની ગેરરીતિઓ અને તેમાં બ્રોકરો તથા ડિફોલ્ટરોની સંડોવણી એ બધાને કારણે અને તત્કાલીન નિયમનકાર એફએમસી (ફોરવર્ડ માર્કેટ્સ કમિશન)ના ચૅરમૅન રમેશ અભિષેકના વિવાદાસ્પદ વલણને કારણે પેમેન્ટ કટોકટી સર્જાઈ હતી.  

અંજની સિંહા અને વિજય કેળકર જેવી વ્યક્તિઓ સામે હવે કાર્યવાહી થઈ રહી છે તેથી ફરી સવાલ ઊભો થયો છે કે એફએમસીએ તથા તેના કહેવાથી કંપની અફેર્સ મંત્રાલયે પ્રમોટર એફટીઆઇએલ (63 મૂન્સ) વિરુદ્ધ અપનાવેલું વલણ પક્ષપાતી હતું કે કેમ. સર્વોચ્ચ અદાલતે રમેશ અભિષેક બાબતે કરેલી ટિપ્પણીઓ પરથી તો એવું જ દેખાય છે કે બ્રોકરો અને ડિફોલ્ટરોના દોષનો ટોપલો પ્રમોટર પર ઢોળવાનો પ્રયાસ થયો હતો.  

આપણે શરૂઆતમાં જ કહ્યું હતું કે એનએસઈએલ કેસમાં સ્થાપિત હિતોએ વધુ ભાગ ભજવ્યો છે. દિલ્હી પોલીસે સિંહાની ધરપકડ કરી એમાં નવાઈ નથી, કારણ કે આ વ્યક્તિ પહેલેથી જ શંકાના ઘેરામાં છે, પરંતુ હવે આ કેસમાં નિવેડો આવે અને ડિફોલ્ટરો પાસેથી નાણાંની વસૂલાત કરીને જેના હોય એના પૈસા ચૂકવી દેવાય એ અગત્યનું છે.  

એનએસઈએલ કેસ સંબંધે અંજની સિંહાની આટલા વરસે પુનઃ ધરપકડ સ્થાપિત હિતોની નવી ચાલ છે કે પછી ન્યાય તોળાવાની શરૂઆત છે?

આશા રાખીએ કે સરકાર અને સંબંધિત ઑથોરિટીઝ આ કેસમાં હવે લેભાગુ ડિફોલ્ટર્સ પાસેથી નાણાંની વસૂલી કરી ટ્રેડર્સને તેમનાં નાણાં પરત અપાવી દે. આ કાર્ય પોલિટિકલ ઈચ્છા હોય તો સરળતાથી અને ઝડપથી થઈ શકે છે.    

———————————

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s