ફિટ ઍન્ડ પ્રોપરના નામે આદેશ બહાર પાડનારી સેબીના પોતાના નિર્ણયો કેટલા ફિટ ઍન્ડ પ્રોપર?

– જયેશ ચિતલિયા

દેશમાં કેટલીક બૅન્કો, લેભાગુ કંપનીઓ, નોન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ, બ્રોકરો, એજન્ટો, નેતાઓ, અમલદારો-બ્યુરોક્રેટ્સ સહિત અનેક વર્ગ ફિટ ઍન્ડ પ્રોપર નથી, છતાં સ્થાપિત હિતો સમાન  રાજકરણીઓ અને અમલદારોની છત્રછાયા હેઠળ એ બધાં ચાલી જાય છે અને તેઓ બધાં દેશને તેમ જ પ્રજાને લૂંટે છે.

શું કોઈ નિયમનકારી સંસ્થા પક્ષપાતી હોય તો ચાલે? શું નિયમનકાર અમુક વર્ગ સાથે ચોક્કસ વ્યવહાર-વલણ રાખે અને તે વર્ગના અપરાધ સામે આંખ આડા કાન કરે અથવા તેની સામે કોઈ ઍક્શન જ ન લે અથવા સાવ જ બિનઅસરકારક ઍક્શન લે કે નામ પૂરતાં પગલાં લે, તો આપણે એને નિષ્પક્ષ નિયમનકાર કહી શકીએ, ન્યાયી નિયમનકાર કહી શકીએ? સ્વતંત્ર-સ્વાયત્ત નિયમનકારી સંસ્થા પણ કહી શકીએ ખરાં? ભારતીય સિક્યૉરિટીઝ માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી સેબીની શાખ સામે આવા જ સવાલો ઊભા થઈ રહ્યા છે. મૂડીબજારના નિયમનકાર તરીકે સેબીએ રોકાણકારોનો વિશ્વાસ જીતવાનો અને જાળવવાનો હોય, તેને બદલે રોકાણકારો સાથે બનતી જતી છેતરપિંડીની ઘટનાઓને કારણે સેબી સામે ચોક્કસ અંશે નારાજગી પણ ઊભી થઈ છે.

તાજેતરમાં સેબીએ ટેક્નૉલૉજી ક્ષેત્રની જાણીતી અને વિશ્વસનીય ગણાતી કંપની 63 મૂન્સ ટેક્નૉલૉજીસને તેની એસટીપી સર્વિસીસ ચાલુ રાખવા અંગે મંજૂરી આપવાનો ઈનકાર કરાતાં હવે તો માર્કેટના ખેલાડીઓમાં પણ સેબીના ઈરાદા સામે સવાલો થવા લાગ્યા છે.

સત્તાનો દુરુપયોગ કે પછી…?

અગાઉ આપણે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ પ્રત્યેના સેબીના પક્ષપાતી વલણની વાત કરી હતી. આ ઉપરાંત સેબીના કડક નિયમન છતાં એક વરસમાં 20 બ્રોકરોએ ડિફોલ્ટ કર્યાની ઘટના પણ સેબીના નિયમન સામે શંકા ઉઠાવે છે. ત્યાં વળી તાજેતરમાં જ જાણીતી ટેક્નૉલૉજી કંપની – 63 મૂન્સ ટેક્નૉલૉજીસને એસટીપી સર્વિસીસ ચાલુ રાખવા દેવાની ના ફરમાવવામાં આવી. એક સમયે ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ (ઇન્ડિયા) લિમિટેડ – એફટીઆઇએલ ગ્રુપ તરીકે ઓળખાતી આ કંપનીએ એક સમયે દેશ અને પરદેશમાં કુલ 9 એક્સચેન્જની સ્થાપના કરી હતી તથા દેશને એક સક્ષમ ઈકો-સિસ્ટમ પૂરી પાડી હતી, વિદેશોથી ભારતમાં બિઝનેસ આવતો થાય એવી અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તથા ભારતીય એક્સચેન્જોને વિશ્વના નકશા પર આગવું સ્થાન અપાવ્યું હતું. એફટી સામેના પગલાને જાણકારોએ સેબી દ્વારા સત્તાનો દુરુપયોગ ગણાવ્યું છે. 63 મૂન્સે સેબીના ઉક્ત આદેશ વિરુદ્ધ સિક્યૉરિટીઝ ઍપેલેટ ટ્રિબ્યુનલ (સેટ)માં અપીલ કરી છે, કારણ કે સેબીનું કદમ અન્યાયી અને મનસ્વી ગણાય છે.

સેબીનાં આઘાતજનક કદમ

ફાઇનાન્શિયલ માર્કેટના વરિષ્ઠ પત્રકારો અને અગ્રણી અખબાર સુધી બધા જ લોકો સેબીના આદેશની ટીકા કરી રહ્યા છે. આવક વેરા ખાતાના એક ભૂતપૂર્વ અધિકારીએ તો ત્યાં સુધી કહ્યું છે કે સેબીનું આ પગલું સખત વાંધાજનક છે અને ન્યાયની અદાલતમાં જરાપણ ટકી શકે એવું નથી. તેમણે કહ્યા મુજબ ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ (એફટી) ગ્રુપની કંપનીઓ તથા તેના પ્રમોટર વિરુદ્ધ અગાઉ વિવિધ નિયમન તંત્ર દ્વારા ભરાયેલાં પૂર્વગ્રહયુક્ત પગલાં સામે દેશની ઉપલી અદાલતો પણ સવાલો ઊભા કરી ચૂકી છે અને તેના સંબંધિત આદેશો રદ કરી ચૂકી છે. આમાં સૌથી વધુ વિવાદ જગાવનારું પગલું એફટી સાથે તેની પેટા કંપની – એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)નું મર્જર કરાવવાનું હતું. સર્વોચ્ચ અદાલતે કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયના એ પગલાને રદ કર્યું હતું. સેબી સાથે જેનું મર્જર થયું છે એ સંસ્થા – ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ની ભલામણના આધારે લેવાયેલો મર્જરનો નિર્ણય આખરે સર્વોચ્ચ અદાલતે રદ કર્યો હતો, કારણ કે અદાલતને મર્જરના પ્રસ્તાવમાં કોઈ વજૂદ યા વાજબીપણું  દેખાયું નહોતું.

આદેશ કેટલો ફિટ ઍન્ડ પ્રોપર?

તાજેતરમાં એ જ એફએમસીની સાત વર્ષ જૂની ભલામણના આધારે સેબીએ અચાનક જ નિર્ણય લીધો કે 63 મૂન્સ ટેક્નૉલૉજીસને એસટીપી સર્વિસીસ ચાલુ રાખવા દેવી નહીં. સેબીનું આ પગલું સેટ રદ કરી દે એવી પૂરેપૂરી શક્યતા છે, પરંતુ સવાલ એ છે કે સેબીએ શું કામ આવું પગલું ભર્યું? એસટીપી સર્વિસનો વપરાશ માર્કેટના મોટાભાગના બ્રોકરો કરે છે. બજારમાં એસટીપી સર્વિસીસનો આશરે 97 ટકા હિસ્સો છે. એની સામે એનએસઈ સહિત અન્ય સોફટવેર મહદ્અંશે નિષ્ફળ રહ્યાં છે. 97 ટકા બજારહિસ્સો ધરાવતી આ એસટીપી સર્વિસીસની સામે હજી સુધી એકપણ ફરિયાદ થઈ નથી. નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિ. (એનએસઈએલ)માં ડિફોલ્ટની ઘટના બની ત્યારે તેમાં પણ જવાબદાર પાત્ર તેમાં વેપાર કરતા ડિફોલ્ટર ટ્રેડર્સ-મેમ્બર્સ હતા, પરંતુ એફએમસીએ કથિત રીતે તેનો દોષ એનએસઈએલની પૅરન્ટ કંપની એફટી પર નાખીને તેને ખતમ કરી દેવાની, અર્થાત્ એને બિઝનેસમાંથી દૂર કરી દેવાની ચાલ રમી. આવા આક્ષેપ થયા, કારણ કે કમિશન એ ક્રાઇસિસનો ઉકેલ કરી શકે એમ હતું. આમ છતાં તેણે એફટીને એક્સચેન્જ બિઝનેસમાંથી દૂર કરવાની ચાલને અમલી બનાવી. આ ચાલમાં એફએમસીને પી. ચિદમ્બરમ જેવા નેતાનો સાથ મળ્યો હતો. એફએમસીએ એફટી સામે બહાર પાડેલો નોટ ફિટ ઍન્ડ પ્રોપરનો આદેશ એફટીને કોઈ પણ એક્સચેન્જમાં ઈક્વિટી હિસ્સો નહીં રાખવાને લગતો હતો. એ આદેશને સોફ્ટવેર સર્વિસીસ સાથે કોઈ સંબંધ નહોતો.

સેબીને એફએમસીનો એફટી માટેનો નોટ ફિટ ઍન્ડ પ્રોપરનો આદેશ અયોગ્ય રીતે સાત વર્ષે કેમ યાદ આવ્યો એવો સવાલ થવો સહજ છે, કેમ કે આ ઘટના વધુ એક વાર એક સફળ સાહસિકને અન્યાયી બનવા જઈ રહી છે. એટલે જ એફટીએ ગયા વરસે ચિદમ્બરમ, એફએમસીના તત્કાલીન ચૅરમૅન રમેશ અભિષેક અને એ સમયના નાણા ખાતાના અધિકારી કે. પી. કૃષ્ણન સામે 10,000 કરોડ રૂપિયાની નુકસાનીનો દાવો વડી અદાલતમાં કર્યો છે, જે દાખલ પણ થઈ ગયો છે.  

નિયમનતંત્રના અન્યાય સામે સવાલ

એસટીપીની વાત પર આવીએ તો, બજારમાં કોઈ ખલેલ ન પડે એ માટે 63 મૂન્સ ટેક્નૉલૉજીસને એસટીપી સેવાઓ ત્રણ મહિના માટે યથાવત્ રાખવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ કાયદાકીય દૃષ્ટિએ ટકી ન શકે એવા એક આદેશને લીધે કંપનીના શેરનો ભાવ ઘટી ગયો હતો, જેમાં નિર્દોષ રોકાણકારોને નુકસાન થયું. આના માટે કોણ જવાબદાર?  આ વિષયે એક અંગ્રેજી બિઝનેસ દૈનિકે અગ્રલેખમાં કહ્યું છે કે સેબીનો આદેશ આશ્ચર્યજનક – આઘાતજનક ગણાય, કારણ કે બજારમાં દેખરેખ રાખનારી અને ન્યાયીપણું ટકાવી રાખનારી સંસ્થા તરીકે સેબીનું આ કદમ શંકા જગાવે છે. આમ કહેવાનું કારણ એ છે કે એફએમસીનો નોટ ફિટ ઍન્ડ પ્રોપરનો આદેશ પણ પહેલેથી જ ખામી ભરેલો હતો એવું અદાલતમાં થયેલી દલીલોમાં જોવા મળ્યું હતું. આથી જ સર્વોચ્ચ અદાલતે તે આદેશના આધારે અપાયેલા એફટી-એનએસઈએલ મર્જરના આદેશને રદ કરી દીધો હતો. ઉલટાનું, એફએમસીના તત્કાલીન ચૅરમૅન રમેશ અભિષેકના વ્યવહારની યોગ્યતા વિશે અદાલતમાં સવાલો ઊભા કરવામાં આવ્યા હતા.

ઉકેલ લાવવાને બદલે સમસ્યા વધારી દેવાઇ

સેબી જિજ્ઞેશ શાહની પ્રતિષ્ઠાની વાત કરતી હોય તો, ખરેખર તેણે પોતાની પ્રતિષ્ઠાનો વિચાર કરવો જોઈએ, કારણ કે છેલ્લાં સાત વર્ષમાં થયેલી અનેક તપાસમાં પુરવાર થયું છે કે શાહે કે એમણે સ્થાપેલી કંપનીએ એનએસઈએલ કટોકટીનાં નાણાંમાંથી એક પૈસો પણ લીધો નથી. ખરી રીતે તો એનએસઈએલ પ્રકરણમાં રમેશ અભિષેકની ભૂમિકા વિવાદાસ્પદ રહી હતી. કહેવામાં આવ્યું છે કે જો એફએમસીએ ધાર્યું હોત તો એનએસઈએલની 5,600 કરોડ રૂપિયાની પૅમેન્ટ કટોકટી નિવારી શકાઈ હોત. વળી, કટોકટી સર્જાયા બાદ પણ રમેશ અભિષેકે તેને હલ કરવાનો પ્રયાસ કર્યો હોત તો વહેલી તકે તેનો નિવેડો આવી શક્યો હોત. ઉલટાનું, એમણે કટોકટીમાં સંડોવાયેલા જવાબદાર ડિફોલ્ટર ટ્રેડર્સ- બ્રોકરોની સામે કોઈ કાર્યવાહી કરવાને બદલે 63 મૂન્સ અને જિજ્ઞેશ શાહને નિશાન બનાવ્યા હતા. એ કાર્યવાહીને પણ શાહે કોર્ટમાં પડકારી છે.

એનએસઈએલ કટોકટીમાં બ્રોકરોએ ઘણી ગોલમાલ કરી હતી. તેમણે અનુચિત રીતે ક્લાયન્ટ કોડ મોડિફિકેશન, મની લૉન્ડરિંગ, પૅન લેન્ડિંગ, વગેરે ગોટાળા કર્યા એવું આ કેસમાં તપાસ કરનારી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ એફએમસીના તત્કાલીન ચૅરમૅન રમેશ અભિષેકને સુપરત કરેલા અહેવાલમાં જણાવ્યું હતું, પરંતુ અભિષેકે એ બાબતે પણ કોઈ કાર્યવાહી નહીં કરીને કંપનીને વધુ એકવાર ગંભીર અન્યાય કર્યો હતો. એમાં પણ એમના મળતિયા પી. ચિદમ્બરમ સામેલ હતા.

કોણ કાયદાથી પર છે?

સેબીએ એફએમસીનું પોતાની સાથે મર્જર થયા બાદ ગયા વર્ષે ટોચની બ્રોકરેજ કંપનીઓને નોટ ફિટ ઍન્ડ પ્રોપર અંગે નામપૂરતી  કારણદર્શક નોટિસ આપી હતી. જો કે, જેની સામે ગોટાળાના આક્ષેપો છે એવા બ્રોકરોને કોઈ ઉની આંચ નથી આવી. જેણે એકેય પૈસો લીધો નથી એ જિજ્ઞેશ શાહ અને તેમની લિસ્ટેડ કંપની સામે અનુચિત રીતે પગલાં ભરવાનું કામ સેબી શું કામ કરી રહી છે? ભારતમાં એક પછી એક મોટા મોટા આર્થિક અપરાધો થઈ રહ્યા છે અને છતાં કોઈનો વાળ પણ વાંકો થતો નથી એવા સમયે સેબીએ ઉક્ત પ્રશ્નોનો જવાબ આપવો રહ્યો.

———————–

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s