‘લેનાર’ લોકોની દુવાઓ કે આશીર્વાદની વરાળમાંથી જ્યારે વાદળો બંધાય છે, ત્યારે ‘આપનાર’ના ઘર પર બારે મેઘ ખાંગા થાય છે

સૌજન્યઃ રેડ રિવાઇવલ

-ડૉ. નિમિત્ત ઓઝા

મને ખબર નથી પડતી કે મારે આ કઈ રીતે રજૂ કરવું પણ મારી આસપાસ હું એવા કેટલાય લોકોને ‘અનુભવી’ રહ્યો છું, જેઓ સારવાર માટે પૈસા ખર્ચવા કરતા પીડા ભોગવવાનું પસંદ કરી રહ્યા છે. એનું એક માત્ર કારણ એ છે કે શારીરિક કરતા તેમની ‘આર્થિક પીડા’ અનેકગણી વધારે છે. એમના જ શબ્દોમાં કહું તો ‘દુખાવો મારે એકલાને જ સહન કરવો પડશે. પૈસાની તંગી આખા કુટુંબને.’

ધંધો નથી, રોજગાર નથી, નોકરીમાંથી છૂટો કરી દીધો, રીક્ષાનું ભાડુ નથી મળતું, જીમ-ઈન્સ્ટ્રક્ટર છું પણ જીમમાં કોઈ આવતું નથી, ભણાવું છું પણ ટ્યુશન ક્લાસીસ બંધ છે, આર્ટિસ્ટ છું પણ શૉઝ બંધ છે, ડ્રાઈવર છું પણ વર્દી નથી મળતી, હીરાઘસુ છું પણ મંદી છે. ‘નોટિસ વગર છૂટો કરી દીધો’થી માંડીને ‘છેલ્લા પાંચ મહિનાથી પગાર નથી થયો’ સુધીની અસંખ્ય ફરિયાદો હું રોજ સાંભળું છું. કદાચ તમે પણ સાંભળતા હશો. ફક્ત હેલ્થ-સેક્ટર જ નહીં, અત્યારે માનવતા પણ એના સૌથી ચેલેન્જિંગ તબક્કામાંથી પસાર થઈ રહી છે.

શારીરિક તકલીફો કરતાં લોકોની સામાજિક તકલીફો અનેકગણી વધારે છે. કમનસીબી એ છે કે સામાજિક પીડા માટે કરુણા સિવાયના કોઈ પેઈન-કિલર્સ કામ નથી કરતાં. અને આપણે ત્યાં એની ભયંકર તંગી છે. કદાચ આવતીકાલ સવારે કોરોનાની વેક્સિન આવી જશે પણ કરુણાની વેક્સિન આવતા સમય લાગશે.

‘જીવિત અને મૃત’ ઉપરાંત કોરોનાએ આપણા ભાગલા અન્ય એક રીતે પણ કરી નાખ્યા છે. ‘કમાઈ રહેલા’ અને બેરોજગાર. જેમની પાસે ‘આવકનો સ્થિર સ્રોત’ કે તગડું સેવિંગ્સ છે, તેઓ લોકડાઉન, કરફ્યુ કે ક્વૉરન્ટાઇનમાં કુટુંબ સાથેનો ‘ક્વોલિટી ટાઈમ’ પસાર કરી રહ્યા છે. નેટફ્લિક્સ પર વેબ-સીરીઝ જોઈ રહ્યા છે, વોટ્સ-એપ પર મેસેજીઝ ફોરવર્ડ કરી રહ્યા છે, ફેસબુક પર પોસ્ટ અપલોડ કરી રહ્યા છે. તેમની માટે માસ્ક, સેનીટાઈઝર અને સોશિયલ ડીસ્ટન્સિંગ સિવાયના અન્ય કોઈ પડકારો નથી. આપણે બધા આ પહેલી કેટેગરીમાં આવીએ છીએ.

બીજી કેટેગરીમાં એવા લોકો છે જેમને કોરોનાથી બચી જવાનો ડર લાગે છે. આઈ રીપીટ, કોરોનાથી બચી જવાનો ડર લાગે છે. કારણકે કોરોનાથી અનેકગણા મોટા પ્રશ્નો અને પડકારો રોજ રાતે, ઘરે તેમની રાહ જોઈ રહ્યા હોય છે. એક જૂનું ફાટી ગયેલું અને મેલું થઈ ગયેલું માસ્ક પહેરીને તેઓ સવારથી સાંજ કામની શોધમાં ભટકતા રહે છે. તેઓ ધંધા બદલે છે, લારીઓ બદલે છે, રસ્તાઓ બદલે છે. મકાન, શહેરો અને ચહેરાઓ બદલે છે પણ એમની લાચારી સિવાયનું કશું જ બદલાતું નથી.

કુટુંબ કે માથા-દીઠ ફક્ત ૧૯૯ રૂપિયા ખર્ચીને જો આપણે નેટફ્લિક્સને સદ્ધર કરી શકતા હોઈએ, તો વંચિત રહી ગયેલા આપણા સાથી મનુષ્યોને કેમ નહીં ? એમની મદદ કરવા માટે કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી. આપણી સૂક્ષ્મ કાળજી જ પર્યાપ્ત છે.

– એક એમ્પ્લોયર તરીકે એટલી નૈતિકતા રાખીએ કે કામ અથવા ઉત્પાદનની અછતનો ભોગ કર્મચારીઓ ન બને. પ્રોફિટ માર્જિન ઘટી જવા કે નફો ન મળવાની ઘટનાને ક્યારેક આપણે ખોટ કે નુકશાન ગણાવતા હોઈએ છીએ. આપણે જેને આર્થિક ખોટ ગણતા હોઈએ, એ કોઈનું ગુજરાન પણ હોઇ શકે છે.

– માળી, દૂધવાળા, કામવાળા કે લોન્ડ્રીવાળાની સેવાઓ પૂર્વવત્ શરૂ રાખીએ. આપણી સુરક્ષા કે અન્ય કોઈ કારણસર એમને રજા આપવી પડે, તો નિયમિતપણે એમનો પગાર કરતાં રહીએ.

– કેટલાય એવા લોકો છે જેઓ પહેલી તારીખ સુધી નથી પહોંચતા. તેમનું આખું જીવન ‘ઉપાડ’ અને ‘ઉધાર’માં જ પૂરું થઈ જાય છે. એમને જ્યારે જરૂર હોય ત્યારે ‘એડવાન્સ’ આપીએ.

ડિજિટલ ન્યૂઝપેપર ભલે વાંચીએ, પણ રોજ સવારે આપણા ઘરે એટલિસ્ટ એક છાપું તો આવવું જ જોઈએ. આપણા ઘરે બંધાવેલું એક છાપું કે દૂધ કેટલા લોકોને રોજગાર આપી શકે છે ? એની આપણને કલ્પના જ નથી.

– સગવડતા ખાતર ઓનલાઈન ખરીદી ભલે કરીએ પણ નાના ફેરિયાઓ, લારી-ગલ્લાવાળાઓ કે ‘નાનો ધંધો’ લઈને બેઠેલા લોકોને થોડું રળાવી આપીએ. એમની સાથે બાર્ગેઈનિંગ બિલકુલ ન કરીએ. દસ કે વીસ રૂપિયા ઓછા કરાવવા, એ આપણા માટે ક્યારેક પ્રેસ્ટિજ ઈશ્યુ હોય છે અને એમને માટે પ્રોફિટ માર્જિન. ભલે છેતરાઈએ, પણ એમને થોડું કમાવા દઈએ. ક્યારેક આપણે કરાવેલી બોણી જ, એમના દિવસની એકમાત્ર આવક હોય છે.

– જો શક્ય હોય, તો એટલિસ્ટ એક વ્યક્તિને રોજગાર આપીએ. એમને કામે રાખી લઈએ. બગીચાની લૉન કાપવાથી માંડીને ગાડી સાફ કરવા સુધી, ફળિયું વાળવાથી લઈને કરિયાણું લાવી આપવા સુધી, અત્યારે લોકો કોઈ પણ કામ કરવા તૈયાર છે. ઓછા પગારમાં પણ કામ કરવા તૈયાર છે. બસ, એમને કામ મળવું જોઈએ.

– આ સિવાય પણ આવા અસંખ્ય રસ્તાઓ છે, જેના દ્વારા આપણે તેમની મદદ કરી શકીએ છીએ. આ દાન નથી, ઉદારતા છે. ભીખ નથી, સહાય છે. દયા નથી, સહાનુભૂતિ છે. કોઈની ખુમારીને ઠેસ પહોંચાડ્યા વગર તેમની મહેનત અને ધગશને પ્રોત્સાહન આપી તેમનું દુઃખ અને તકલીફો દૂર કરવાનો એક નાનો એવો પ્રયત્ન છે.

– કેટલીક વસ્તુઓ આપવાથી નથી ખૂટતી, સંગ્રહ કરવાથી ખૂટી જતી હોય છે.

કોને ખબર, કોણ કોને પગાર આપે છે? કોણ કોના સેવક છે? ‘લેનાર’ લોકોની દુવાઓ કે આશીર્વાદની વરાળમાંથી જ્યારે વાદળો બંધાય છે, ત્યારે ‘આપનાર’ના ઘર પર બારે મેઘ ખાંગા થાય છે. જેમ આપણે કોઈને પગાર આપીએ છીએ, એમ આપણો ‘પગાર’ પણ કોઈક તો કરતું જ હશે ને! ભલે એ દેખાતો ન હોય, પણ આપણો બોસ આપણા કામથી ખુશ રહેવો જોઈએ.

——————–

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s