ભારતમાંથી સ્થાપિત હિતોની બનેલી આઇએએસ સિસ્ટમને નાબૂદ કરવાનો સમય પાકી ગયો છે?

ભારતના આઇએએસ અધિકારો વિશે એમના જ સમુદાયના સંજીવ સભલોકે કરેલા ઘટસ્ફોટ (ખુદ એક આઇએએસ અધિકારી કહે છે કે ભારતમાં ચૂંટાયેલા રાજકારણીઓ તો અમલદારશાહીની કઠપૂતળીઓ માત્ર છે)ની વાતને આજે આગળ વધારીએ. 

સભલોક પોતાના બ્લોગ (https://timesofindia.indiatimes.com/blogs/seeing-the-invisible/our-pm-and-cms-are-puppets-of-the-ias/)માં કહે છે કે આઇએએસ વ્યવસ્થામાં પર્સોનેલ (કર્મચારીગણ) મંત્રાલયમાંના એસ્ટાબ્લિશમેન્ટ ઑફિસર (ઈઓ) ઉક્ત કઠપૂતળીના સૂત્રધાર હોય છે. મોટાભાગના લોકોને આ અધિકારી વિશે માહિતી જ નથી. દેખીતી વાત છે કે કઠપૂતળીના સૂત્રધાર હોવાના નાતે ઈઓ હંમેશાં પડદા પાછળ રહીને પોતાનું કામ કર્યે રાખે છે. તેમનું કામ અમલદારોને મળેલી સત્તાને હંમેશની જેમ ટકાવી રાખવાનું છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કંટાળી ન જાય ત્યાં સુધી તેઓ સ્થિતિને પોતાના કાબૂમાં રાખે છે અને ગરબડ-ગોટાળા કરે છે.

સરકાર કોઈ પણ મોટી નિમણૂક કરવા માગતી હોય, આ ઈઓ લગભગ બધી જ નિમણૂકોમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામે એ હોદ્દા માટેની વ્યક્તિઓના વધારે વિકલ્પો રહેવા જ દેતા નથી. આથી અમુક વખત પરાણે ઈઓએ નક્કી કરેલા અધિકારીની જ નિમણૂક કરવી પડતી હોય છે. આઇએએસના સમગ્ર સામ્રાજ્યનું રક્ષણ કરવામાં કેબિનેટ સેક્રેટરી પણ ઘણી મોટી ભૂમિકા ભજવતા હોય છે, કારણ કે તેઓ સીધા કેબિનેટ સાથે સંકળાયેલા હોય છે. ખરી લોકશાહીમાં કોઈ અમલદારને રાજકીય તખ્તા પર મહત્ત્વનો હોદ્દો આપવાનો હોય જ નહીં. ઑસ્ટ્રેલિયામાં કેબિનેટ સેક્રેટરીનું પદ ચૂંટાયેલા સંસદસભ્યને મળે છે, પણ ભારતમાં કેબિનેટ સેક્રેટરી આઇએએસ અધિકારી હોય છે અને સૌથી વધુ વગદાર હોય છે.

ઈઓ અને કેબિનેટ સેક્રેટરીની વગ એટલી બધી હોય છે કે પ્રધાનો અને મુખ્ય પ્રધાનોએ પોતાના નિર્ણયોને સમર્થન મળે એ માટે એમની પાસે પોતાના માણસને મોકલીને વિનંતી કરવી પડે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં ખરી સત્તા કોની પાસે છે. આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટણી વખતે વચનોની લહાણી તો કરી દે છે, પરંતુ એ પૂરાં કરવાં જેટલી સત્તા તેમની પાસે હોતી નથી. પરિણામે, અતિશય વગદાર અને કોઈને જવાબદાર ન હોય એવા આઇએએસ અધિકારીઓને કારણે આપણી લોકશાહીનું ગળું ઘોંટાઈ રહ્યું છે.

પોતાના સહકાર્યકરો વિશે ઘસાતું બોલવાનું સહેલું હોતું નથી. ઘણા લોકો એમ કરવાનું ટાળે છે, પરંતુ સંજીવ સભલોક કહે છે કે આઇએએસ અધિકારીઓ ભારતને વિશ્વમાં અગ્રક્રમે લઈ જવા અસમર્થ છે. કોઈ આઇએએસ અધિકારી ઑસ્ટ્રેલિયાની સરકારમાંના મધ્યમ હરોળના વહીવટદારોની ક્ષમતાની તોલે આવવાની વાત બાજુએ રહી, એમની નિકટ આવવાની લાયકાત પણ ધરાવતા નથી. જો ભારતના વહીવટી આગેવાનો જ આટલા નબળા હોય તો ભારત કેવી રીતે સફળ થઈ શકે?

એસ્ટાબ્લિશમેન્ટ ઑફિસર (ઈઓ)ની કામગીરી બ્રિટિશ કાળમાં ભલે કારગત નીવડી હોય, આધુનિક લોકશાહીમાં એ જરાપણ ચાલે નહીં.

ભારતની અતિશય શક્તિશાળી અમલદારશાહી ઑસ્ટ્રેલિયાની પદ્ધતિ કરતાં તદ્દન વિપરીત છે. ઑસ્ટ્રેલિયામાં મુખ્ય પ્રધાનનો અધિકાર સર્વોપરી હોય છે. તેઓ પોતે જ સેક્રેટરીઓની નિમણૂક કરે છે અને એ સેક્રેટરી પોતાની નીચેના પદ ભરે છે. કોઈ વામણો અમલદાર કોઈ પણ રાજ્યના મુખ્ય પ્રધાનને એમ ન કહી શકે કે એમણે ‘પસંદગી કરેલા’ અધિકારીઓમાંથી જ કોઈકની પસંદગી કરવી પડશે. જો નિમાયેલા સેક્રેટરી પોતાની જવાબદારી બરોબર નિભાવે નહીં તો કોઈ પણ નોટિસ આપ્યા વગર એમની છુટ્ટી કરી દેવાય છે.

ભારતમાં સમ ખાવા પૂરતી સારી બાબત એ છે કે અહીંના વડા પ્રધાન આઇએએસ સિવાયની વ્યક્તિની પણ નિમણૂક કરી શકે છે. કેટલાક લોકોએ વડા પ્રધાનના બંધારણીય અધિકારની સામે સવાલ ઉઠાવ્યા છે, પરંતુ સંજીવ સભલોકના મતે બંધારણ મર્યાદિત પ્રમાણમાં આવી સત્તા આપે છે. તેઓ એમ પણ કહે છે કે રાજ્યોમાં સરકાર આઇએએસ સિવાયના કોઈ અધિકારીની નિમણૂક કરી શકતી નથી. રાજ્યોના તમામ મહત્ત્વના હોદ્દાઓ પર આઇએએસ કેડર રુલ્સ મારફતે આઇએએસની નિમણૂક કરવી પડે છે. આમ, રાજ્યોના મુખ્ય પ્રધાનોને વડા પ્રધાન જેટલી સત્તા મળતી નથી. તેનું પરિણામ એ આવે છે કે આઇએએસ અધિકારીઓ એસ્ટાબ્લિશમેન્ટ ઑફિસર પાસે જઈને બીજા કોઈ રાજ્યમાં કે કેન્દ્ર સરકારમાં કે વિદેશમાં પોતાની નિમણૂક કરાવી શકે છે. આ કામ એસ્ટાબ્લિશમેન્ટ ઑફિસર અને કેબિનેટ સેક્રેટરી સાથેના તેના સંબંધ પર આધાર રાખે છે. આથી જ આઇએએસ ‘ક્લબ’ (ક્લબ તો સોફિસ્ટિકેટેડ શબ્દ છે, સામાન્ય ભાષામાં લોકો આવી ક્લબ માટે ચંડાળચોકડી શબ્દ વાપરતા હોય છે) બધા કરતાં વિશિષ્ટ અને એકમેકને સહકાર આપનારી બની ગઈ છે.

સંજીવ સભલોક કહે છે કે આવી બિનલોકતાંત્રિક સિસ્ટમનો અંત લાવવાનો સમય પાકી ગયો છે. બે વર્ષની અંદર ભાજપની સરકારને બંધારણમાં ફેરફાર કરવાની તક મળશે. તેમણે સૌથી પહેલાં આઇએએસની સિસ્ટમ કાઢી નાખવી જરૂરી છે.

અત્યાર સુધી આપણે ઉદાહરણ સહિત જોઈ ગયા છીએ કે આઇએએસ અધિકારીઓ રીતસરની પોતાની મનમાની કરતા હોય છે. તેનું એક કારણ એ છે કે આ દેશમાં બધાને પોતપોતાનાં સ્થાપિત હિતોનું રક્ષણ કરવા-કરાવવાની ટેવ પડી ગઈ છે. આ સ્થાપિત હિતોએ કેવી રીતે દેશની ઘોર ખોદી છે તેના વિશે વધુ વાતો આવતા વખતે કરશું.

———————————-

One thought on “ભારતમાંથી સ્થાપિત હિતોની બનેલી આઇએએસ સિસ્ટમને નાબૂદ કરવાનો સમય પાકી ગયો છે?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s