ખુદ એક આઇએએસ અધિકારી કહે છે કે ભારતમાં ચૂંટાયેલા રાજકારણીઓ તો અમલદારશાહીની કઠપૂતળીઓ માત્ર છે

સંજીવ સભલોક

ભારતમાં રાજકારણીઓ કરતાં આઇએએસ ઑફિસરોનું વધારે ચાલે છે એવું તમે અત્યાર સુધી અનેક વાર સામાન્ય માણસોના મોંઢે સાંભળ્યું હશે, પણ આજે આપણે જોઈશું કે આ પદ પર રહી ચૂકેલી વ્યક્તિ પોતે એ વાત કરી રહી છે.

સંજીવ સભલોક નામના 1982ના બૅચના આઇએએસ ઑફિસરે ગયા વર્ષની પહેલી જૂને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના બ્લોગ (https://timesofindia.indiatimes.com/blogs/seeing-the-invisible/our-pm-and-cms-are-puppets-of-the-ias/)માં લખ્યું હતું કે ભારતમાં ચૂંટાયેલા રાજકારણીઓ તો અમલદારશાહીની કઠપૂતળીઓ માત્ર છે. તેમણે એટલે સુધી કહ્યું છે કે આ અમલદારો માત્ર ચૂંટાયેલા મુખ્ય પ્રધાનો જ નહીં, વડા પ્રધાન કરતાં પણ વધુ સમર્થ છે. વિશાળ જનમત સાથે સતત બીજી વખત ચૂંટાઈ આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમની પ્રતિષ્ઠા અને નામને અનુરૂપ કામ હજી સુધી કેવી રીતે કરી શક્યા નથી એવો સવાલ જો અડધી રાતેય કોઈના મનમાં આવ્યો હોત તો તેમણે હવે પછીનું લખાણ ધ્યાનપૂર્વક વાંચી જવું.

સંજીવ સભલોકે કહેલી વાતો આપણને વિચારતાં કરી મૂકનારી હોવાથી જ આપણે ‘વિચારક્રાંતિ’માં તેમના બ્લોગના અંશ સાભાર પ્રસ્તુત કરી રહ્યા છીએ.

સભલોક કહે છે, અમલદારશાહીની આટલી બધી વગ અને શક્તિ લોકશાહીના ઉદારમતવાદી રાજકારણના સિદ્ધાંતથી વિપરીત જાય છે. લોકશાહીમાં વહીવટીતંત્ર પર ન્યાયતંત્ર અને સંસદનો કડપ અને પકડ રહેવાં જોઈએ (તેનો અર્થ એવો કે વહીવટીતંત્ર છકી જાય અને અમર્યાદ સત્તા ભોગવે એવી પરિસ્થિતિ ઊભી થવી જોઈએ નહીં). જેમણે રાજકીય શાસ્ત્ર (પોલિટિકલ સાયન્સ)ના સિદ્ધાંતો રચ્ચા છે એમણે કયારેય એવું ધાર્યું નહીં હોય કે ચૂંટાયા વગરનું સરકારીતંત્ર (અર્થાત્ અમલદારશાહી) સ્વતંત્ર સત્તા ભોગવીને સંપૂર્ણ વહીવટીતંત્ર (જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની સરકાર પણ આવી જાય)ને નિયંત્રણમાં રાખશે.

ભારતમાં બ્રિટિશકાળમાં અમલદારશાહીએ જેટલી સત્તા ભોગવી હશે તેના કરતાં વધુ સત્તા સ્વતંત્ર ભારતમાં અમલદારશાહીને મળી છે. તેની પાછળનું કારણ ભાગલા વખતની અને બંધારણ ઘડતી વખતની ઉતાવળ છે. સરદાર પટેલે બંધારણીય સભામાં ભારપૂર્વક કહ્યું હતું કે બ્રિટિશ કાળ જેવી જ અમલદારશાહી ભારતમાં રહેવા દેવી. એ વખતે વૈકલ્પિક વ્યવસ્થા બાબતે વિચાર કરવાનો સમય જ મળ્યો ન હતો.

ભારત સિવાયની બધી જ લોકશાહીમાં કાર્યપાલિકા (એક્ઝિક્યુટિવ)ને સરકારી નોકરોને કામે રાખવાની અને કાઢી નાખવાની લગભગ અમર્યાદ સત્તા આપવામાં આવી છે. ફક્ત ભારતમાં એવું નથી. આપણા દેશના બંધારણના અનુચ્છેદ 311 હેઠળ કાર્યપાલિકાના અધિકારોને ઘટાડી દેવાયા છે. તેઓ એટલે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સરકારી નોકરોને કાઢવાની લગભગ નહીંવત્ સત્તા ધરાવે છે. પરિણામે, છેલ્લાં 70 વર્ષોમાં દેશના વડા પ્રધાન પણ ભ્રષ્ટ આઇએએસ અધિકારીઓને કાઢી શક્યા નથી. કોઈ વડા પ્રધાન એવું કરવા ધારે તોપણ એમની આખી મુદત એ જ એકમાત્ર કેસમાં પૂરી થઈ જાય એવી પરિસ્થિતિ છે. મોદી સરકારે કેટલાક આઇએએસ ઑફિસરોને પરાણે નિવૃત્ત કરાવ્યા છે, છતાં અપ્રામાણિક અધિકારીઓથી હજી સુધી મુક્તિ મળી શકી નથી. આમ, આપણી અમલદારશાહી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની પણ ઉપરવટ જઈને બેઠેલી છે. તેને લીધે આ સાર્વભૌમ દેશમાં જનતા નહીં, પણ આઇએએસ અધિકારીઓ સાર્વભૌમત્વ ભોગવે છે.

ભારતના રાજકારણીઓ કરતાં નાગરિકોને આઇએએસ અધિકારીઓ પર વધુ વિશ્વાસ હોવાની નિરર્થક દલીલ કરીને આ અમલદારોએ સત્તા ભોગવ્યે રાખી છે. આ અમલદારશાહીમાં જે પ્રામાણિક આઇએએસ અધિકારીઓ છે તેઓ પણ ઈચ્છે છે કે અત્યારની વ્યવસ્થા યથાવત્ રહે. જો કે, તેની પાછળનું તેમનું કારણ જુદું છે. તેઓ આમ કહે છે કારણ કે તેઓ ભ્રષ્ટ રાજકારણીઓ કાબૂમાં રહે એવું ઈચ્છે છે. વાસ્તવમાં ભ્રષ્ટ રાજકારણીઓને કાબૂમાં રાખવા માટે આ ઉપયોગ નથી. તેના માટે બીજો ઉપાય કરવો પડે.

***

વાંચકોને થશે કે એક વર્ષ પહેલાંના બ્લોગનો અત્યારે શું સંદર્ભ છે. હવે પછીનું લખાણ જ્યારે એ સંદર્ભને સમજાવશે ત્યારે તમને થશે કે ”લાવો, આમાં વધુ શું છે એ પણ જણાવો!”

ગયા વખતે આપણે વાંચ્યું કે ”આખરે સરકારે પણ કહેવું પડ્યું કે સેબીના ચૅરમૅન પદ માટે રમેશ અભિષેકના નામની વિચારણા નહીં કરાય.” રમેશ અભિષેક નિવૃત્ત આઇએએસ ઑફિસર હોવા છતાં તેમને સેબીના ચૅરમૅન બનાવવામાં આવે એવું શક્ય હતું. ટી. પલપંડી નામની વ્યક્તિએ રિટ અરજી કરવી પડે, અદાલતે એ બાબતે સુનાવણી કરવી પડી અને સરકારે અદાલતમાં આવીને ખાતરી આપવી પડી ત્યારે રમેશ અભિષેક સેબીના ચૅરમૅન બને નહીં એવી શક્યતા ઊભી થઈ.

એફએમસીના ચૅરમૅન તરીકે તેમણે ડાટ વાળ્યો હતો એવો આક્ષેપ છે, ડીપીઆઇઆઇટી (ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડ)ના સેક્રેટરી તરીકે પણ તેમની કામગીરી વિવાદાસ્પદ રહી હતી અને ઓપિનિયન પોસ્ટ નામના સામયિકે ભ્રષ્ટાચારના ત્રિદેવમાંની એક વ્યક્તિ તરીકે તેમનો ઉલ્લેખ કર્યો હતો. આપણે એ બધી બાબતો આપણા બ્લોગમાં રજૂ કરી ચૂક્યા છીએ (1 – અહો આશ્ચર્યમ્! રમેશ અભિષેકના કાનૂની બચાવ માટે જનતાના પૈસાની બરબાદી કરવાના નિર્ણય વિશે વડા પ્રધાનનું કાર્યાલય અંધારામાં?; 2 – સરકારી હોદ્દાનો દુરુપયોગ કર્યો રમેશ અભિષેકે અને તેમના કાનૂની ખટલાનો ખર્ચ ભોગવવાનો આવશે સામાન્ય જનતાએ!!!; 3 – કેવડું મોટું આઘાતજનક આશ્ચર્ય! ઓરિજિનલ સ્ટાર્ટ અપ અને મેક ઇન ઇન્ડિયા સ્ટોરીને ખતમ કરનાર માણસ છે સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપનારી સરકારી યોજનાનો આજનો ઇનચાર્જ). પી. ચિદમ્બરમે એનએસઈના લાભ માટે 63 મૂન્સ ટેક્નૉલૉજીસની સામે ષડ્યંત્ર રચ્યું એવા આક્ષેપ બાબતે પણ આપણે વાત કરી ચૂક્યા છીએ. તેમની સાથે સાથે રમેશ અભિષેક અને કે. પી. કૃષ્ણન સામે 63 મૂન્સે 10,000 કરોડ રૂપિયાની નુકસાનીનો દાવો માંડ્યો હોવાનું આપણે જાણીએ છીએ. અમલદારશાહી ચૂંટાયેલા જનપ્રતિનિધિને કામ કરવા નહીં દે, પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિને તેનાં ષડ્યંત્રોમાં મદદરૂપ થઈ શકે એવું આના પરથી ફલિત થાય છે.

રમેશ અભિષેકને પોતાની સામેનો કેસ લડવા માટે સરકારી નાણાં મળે અને એ બાબતે વડા પ્રધાનનું કાર્યાલય અંધારામાં હોય એવું જ્યારે જાણ્યું ત્યારે જ વિચાર આવ્યો હતો કે વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી કાર્યરત હોવા છતાં આવું કેમ શક્ય છે. સંજીવ સભલોકના બ્લોગના લખાણે આપણા એ સવાલનો જવાબ આપી દીધો. આ બ્લોગ વિશે વધુ વાતો આગામી કડીમાં કરશું.

—————————

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s