આખરે સરકારે પણ કહેવું પડ્યું કે સેબીના ચૅરમૅન પદ માટે રમેશ અભિષેકના નામની વિચારણા નહીં કરાય

રમેશ અભિષેક

ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના ભૂતપૂર્વ વડા રમેશ અભિષેકનું નામ સેબીના ચેરમેન પદ માટે ગણતરીમાં લેવામાં નહીં આવે એવી બાંયધરી સરકારે વડી અદાલતમાં આપવી પડે એ ઘણી મોટી વાત છે. રમેશ અભિષેકની સામે સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો છે અને છતાં નિયમનકાર જેવી ગૌરવપૂર્ણ અને નખશિખ પ્રામાણિકતા માગી લે એવી ભૂમિકા માટે તેમનું નામ ગમે ત્યારે આવી જાત અને ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમની લાગવગથી એ પદ એમને મળી પણ ગયું હોત, પરંતુ સચ્ચાઈનો આખરે વિજય થાય છે.

સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહેવું પડ્યું કે સેબીના ચેરમેન પદ માટે રમેશ અભિષેકના નામની વિચારણા નહીં થાય.

1982ના બૅચના બિહાર કેડરના આઇએએસ અધિકારી રમેશ અભિષેકના નામની વિચારણા થવા સામે વિરોધ કરતી રિટ અરજી સંબંધે સરકારે મદ્રાસ વડી અદાલતમાં બાંયધરી આપવી પડી.

ટી. પલપંડી નામની વ્યક્તિએ બંધારણની કલમ 226નો હવાલો આપીને અરજીમાં કહ્યું હતું કે સેબીના ચૅરમૅન તરીકે પ્રામાણિક, ગરિમાપૂર્ણ અને રોકાણકારોનાં હિતોનું રક્ષણ કરનારી નિષ્ઠાવાન વ્યક્તિની નિમણૂક થાય એવી તકેદારી લેવાનો આદેશ સરકારને આપવામાં આવે. અરજદારે રમેશ અભિષેકના નામની વિચારણા ન થાય એવી માગણી પણ કરી હતી.

આપણે હાલમાં જ કહ્યું હતું કે રમેશ અભિષેક સામેના ગંભીર આરોપો વિશે ખુદ સેન્ટ્રલ વિજિલન્સ કમિશને ઔપચારિક રીતે પત્ર લખીને નાણાં મંત્રાલયને જણાવ્યું હતું. આવું હોવા છતાં સિક્યોરિટીઝ માર્કેટના નિયમનકાર જેવી મોટી અને જવાબદારીભરી તથા પ્રામાણિકતાની ડગલે ને પગલે જરૂર પડે એવી સંસ્થાના ચૅરમૅન તરીકે રમેશ અભિષેકના નામની વિચારણા થઈ હોત તો હાલની સરકારની આબરૂના પણ ધજાગરા ઊડી ગયા હોત.

આપણો અગાઉનો બ્લોગ વાંચીને કેટલાક લોકોએ કહ્યું હતું કે રમેશ અભિષેકે તો સેબીના ચેરમેન બનવા માટે અરજી જ કરી નથી. જો કે, હકીકત એવી છે કે જે લોકો એફટીઆઇએલ જેવી એક કંપનીની સામે ષડ્યંત્ર રચીને તેની વર્ષોની મહેનત પણ પાણી ફેરવવાનું કાવતરું ઘડ્યાનો આરોપ ધરાવતા હોય એ લોકો બીજું ઘણું કરી શકે છે. મોદી સરકારને છઠ્ઠું વર્ષ બેસી ગયું છતાં હજી સુધી પી. ચિદમ્બરમના મળતિયાઓનો વાળ વાંકો કરવાની કોઈની હિમ્મત નથી થઈ ત્યારે ઓચિંતા જ રમેશ અભિષેકને સેબીના ચેરમેનના હોદ્દા પર બેસાડી દેવામાં આવે એવું શક્ય હતું. આવું કહેવા પાછળ કારણ પણ છે. ચૅરમૅનના પદ માટે અરજી કરવા સંબંધે જે જાહેરખબર બહાર પાડવામાં આવી હતી તેમાં એક કલમ એવી હતી કે સેબીના અધ્યક્ષની નિમણૂક ફાઇનાન્શિયલ સેક્ટર રેગ્યુલેટરી એપોઇન્ટમેન્ટ્સ સર્ચ કમિટીની ભલામણના આધારે કરવામાં આવશે. આ કમિટીને અધિકાર રહેશે કે જેણે અરજી કરી નહીં હોય એવી વ્યક્તિની પણ લાયકાતના આધારે નિમણૂકની ભલામણ કરી શકશે.

અગાઉ, જે સમયે સેબીમાં સી. બી. ભાવેને ચૅરમૅન બનાવવામાં આવ્યા ત્યારે તેમણે પણ અરજી કરી ન હતી. એ વખતે તેમનું નામ છેલ્લી ઘડી સુધી ક્યાંય ન હતું. આ બાબતે જાણકારોનું કહેવું છે કે ભાવેની સામે એનએસડીએલ આઇપીઓ કૌભાંડ સંબંધે તપાસ ચાલી રહી હતી તેથી જો તેમણે અરજી કરી હોત તો કોઈએ એ અરજી સામે અદાલતમાં પડકાર ફેંક્યો હોત અને નિમણૂક થતાં રહી ગઈ હોત. આથી તેમણે અરજી કરી નહીં.

એનએસડીએલમાં કૌભાંડ થયું એ વખતે ભાવે તેના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર હતા. એનએસડીએલ કૌભાંડમાં તપાસ ચાલી રહી હોય એવા સમયે નિયમનકાર તરીકે એ જ વ્યક્તિને સેબીનું સર્વોચ્ચ પદ આપવામાં આવ્યું એ આશ્ચર્યની વાત હતી.

જાણકારો કહે છે કે પી. ચિદમ્બરમ ગૅંગની આ જ મોડસ ઓપરેન્ડી છે. ભાવેનું નામ છેલ્લી ઘડી સુધી ક્યાંય ન હતું અને છેલ્લે કમિટીએ પોતાને મળેલા અધિકારનો ઉપયોગ કરીને તેમને સેબીના અધ્યક્ષ બનાવી દીધા. એ વખતે કૉંગ્રેસની સરકાર હતી તેથી પી. ચિદમ્બરમને રોકનાર કોઈ ન હતું.

આ વખતે નિમણૂકનો સમય આવ્યો છે ત્યારે ચિદમ્બરમની સામે પણ તપાસ ચાલી રહી છે અને રમેશ અભિષેકની વિરુદ્ધ સેન્ટ્રલ વિજિલન્સ કમિશને તપાસ કરવાનું કહ્યું છે. મોદી સરકારમાં આ વખતે અદાલતો, લોકપાલ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અને સીબીઆઇ એ બધી સંસ્થાઓ સતર્ક હોવાથી સેબીના ચૅરમૅન જેવા મહત્ત્વના પદ માટે એક આરોપીની પસંદગી થતાં રહી ગઈ છે. જો કે, માહિતગાર સૂત્રો કહે છે કે રમેશ અભિષેક નહીં તો એમનો ભાઈ બીજો, એ ન્યાયે પી. ચિદમ્બરમની ગૅંગના કોઈ માણસની નિમણૂક ન થાય તો જ સારું, કારણ કે એનએસઈના કૉ-લૉકેશન કેસમાં ફક્ત દેખાડા માટે નાનું અમથું પગલું ભરવામાં આવ્યું અને કેસ રફેદફે થઈ ગયો. જો ભ્રષ્ટાચાર, ગેરરીતિ, ષડ્યંત્રો, વગેરે જેવા આરોપો ધરાવતી વ્યક્તિને આ પદ ન મળે તો જ તેની ગરિમા ટકી રહી એમ છે.

————————-

One thought on “આખરે સરકારે પણ કહેવું પડ્યું કે સેબીના ચૅરમૅન પદ માટે રમેશ અભિષેકના નામની વિચારણા નહીં કરાય

  1. હજી પણ આજની તારીખમાં પણ ચિદમ્બરમની ગેંગના અધિકારીઓનું વર્ચસ્વ નોકરશાહીમાં એટલુંજ છે, એટલે એવી કોઈ બાંહેધરી નથી કે સરકારી સંસ્થાઓના હોદ્દા ઉપર તેના ખાંધિયાઓની નિમણૂંક નહિ થાય. આપણી કમનસીબી તો એ છે કે આજની તારીખમાં પણ ચિદમ્બરમનો કોઈ વાળ પણ વાંકો કરી શકતું નથી.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s