
અદ્દલ હિન્દી ફિલ્મની સ્ટોરી ચાલી રહી હોય એમ, વરરાજાને લગ્નના મંડપમાં લાવવાની તૈયારીઓ વચ્ચે એવા સમાચાર આવે છે કે એ પાત્ર સામે ગંભીર પ્રકારના આરોપો છે. અહીં વાત થાય છે રમેશ અભિષેકની, જેમને સેબીના ચૅરમૅન બનાવવાની વાતો ચાલી રહી છે.
15મી જુલાઈએ સેબીના ચૅરમૅનના હોદ્દા માટે ઇન્ટરવ્યૂ થવાના છે. તેના ઉમેદવારોમાં રમેશ અભિષેકનું નામ છે.
એક અહેવાલ મુજબ કેન્દ્રીય દક્ષતા પંચે એટલે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશને (સીવીસી) તેમની સામે થયેલા ભ્રષ્ટાચારના આરોપોને ગંભીર ગણાવ્યા છે.
નોંધનીય છે કે હાલમાં પ્રકાશિત થયેલા કેટલાક અહેવાલો મુજબ 15મી જુલાઈએ સેબીના ચૅરમૅન પદ માટે પસંદગી થવાની છે. એ હોદ્દા માટેનાં સંભવિત દાવેદારોમાં રમેશ અભિષેકનું પણ નામ છે.
રમેશ અભિષેક 1982ના બેચના આઇએએસ ઓફિસર છે. તેઓ વર્ષ 2012થી 2015 સુધી ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના અધ્યક્ષ હતા. સીવીસીને તેમની વિરુદ્ધ અનેક ફરિયાદો મળી હતી.
પીગુરુસ ડોટ કોમ નામની જાણીતી વેબસાઇટ પર પ્રકાશિત શ્રી ઐયરના અહેવાલ મુજબ સીવીસીએ નાણાં મંત્રાલયને ગત વર્ષની નવમી જુલાઈએ લખેલા પત્રમાં કહ્યું હતું કે રમેશ અભિષેકની સામેના આક્ષેપો ગંભીર, ચોક્કસ સ્વરૂપના અને ચકાસી શકાય એવા છે. આથી સીવીસીએ રમેશ અભિષેક વિરુદ્ધ સીવીસી એક્ટ 2003ની કલમો – 8(1)(ડી) તથા 8(1)(એચ) હેઠળ તપાસ કરવાનો નાણાં મંત્રાલના આર્થિક બાબતોના ખાતાને આદેશ આપ્યો હતો.
રમેશ અભિષેકની વિરુદ્ધના આરોપો બાબતે મદ્રાસ વડી અદાલત સમક્ષ પણ એક કેસ ચાલી રહ્યો છે.

રમેશ અભિષેકે એફએમસીના ચૅરમૅન પદે રહીને પોતાના કામમાં પ્રામાણિકતા રાખી ન હતી એવા આક્ષેપો થયા છે ત્યારે તેમનું નામ સેબીના ચૅરમૅનના હોદ્દા માટે ચર્ચાય એ ગંભીર બાબત હોવાનું શ્રી ઐયરે કહ્યું છે.
દરમિયાન, અન્ય એક અહેવાલ જણાવે છે કે અગ્રણી ટેક્નોલોજી કંપની 63 મૂન્સ ટેક્નોલોજીસે ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમ તથા બે નિવૃત્ત અમલદારો – રમેશ અભિષેક તથા કે. પી. કૃષ્ણન વિરુદ્ધની સીબીઆઇ તપાસને ઝડપી બનાવવા માટે મુંબઈ વડી અદાલતમાં અરજી કરી છે.
આ ત્રણે વ્યક્તિઓએ પોતપોતાની સરકારી સત્તાનો દુરુપયોગ કરીને કંપનીની વિરુદ્ધ ષડ્યંત્ર રચ્યું હતું તથા તેને નુકસાન પહોંચાડ્યું હતું એવો તેમના પર આરોપ મૂકવામાં આવ્યો છે.
કંપનીએ આ મામલે યોગ્ય નિર્દેશો આપવા માટે મુંબઈ વડી અદાલતમાં ગત ચોથી જુલાઈએ ફોજદારી રિટ અરજી કરી હતી.
અદાલતે મામલાને તાકીદે હાથ ધરવાની આવશ્યકતાને અનુલક્ષીને 10મી જુલાઈએ કહ્યું હતું કે 63 મૂન્સ ટેક્નોલોજીસ પ્રતિવાદીઓને ફોજદારી રિટ અરજીની નકલ મોકલાવી શકે છે. અદાલતે હવે પછીની સુનાવણી શુક્રવાર 17મી જુલાઈએ રાખી છે.
નોંધનીય છે કે 63 મૂન્સે પી. ચિદમ્બરમ, ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ રમેશ અભિષેક અને નાણાં મંત્રાલયમાંના ભૂતપૂર્વ સેક્રેટરી કે. પી. કૃષ્ણન વિરુદ્ધ સીબીઆઇમાં ગયા વર્ષની 15મી ફેબ્રુઆરીએ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે આ ત્રણે વ્યક્તિઓએ જાણીજોઈને બદઈરાદાપૂર્વક કંપની વિરુદ્ધ દ્વેષપૂર્ણ પગલાં ભર્યાં, જેને કારણે કંપનીને પારાવાર નુકસાન થયું હતું. કંપનીએ ત્રણે જણ સામે ભ્રષ્ટાચાર અટકાયત ધારો, 1988 અને ભારતીય દંડ સંહિતા હેઠળ કામ ચલાવવાની અરજી કરી છે.
રમેશ અભિષેક એફએમસીના ચૅરમૅન હતા ત્યારે તેમણે એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ના કેસમાં બ્રોકરોની તરફેણ કરી હોવાનો આક્ષેપ છે. બ્રોકરોએ એ કેસમાં અનેક ગેરરીતિઓ આચરી હોવા છતાં તેમણે બ્રોકરો વિરુદ્ધ કોઈ પગલું ભર્યું ન હતું, એવું કહેવાયું છે.
મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાના તત્કાલીન વડા રાજવર્ધન સિંહાએ રમેશ અભિષેકને મોકલેલા અહેવાલમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે બ્રોકરોએ ક્લાયન્ટ કોડ મોડિફિકેશન, કેવાયસી લેન્ડિંગ, વગેરે પ્રકારે અનેક ગેરરીતિઓ કરી હતી. બ્રોકરો વિરુદ્ધ કડક પગલાં લેવાની ભલામણ પણ સિંહાએ કરી હતી, પરંતુ રમેશ અભિષેકે એ અહેવાલ દબાવીને રાખ્યો હોવાનો આક્ષેપ છે.
કેન્દ્ર સરકારે રચેલી સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસ પણ પોતાના અહેવાલમાં કહી ચૂકી છે કે બ્રોકરોએ અનેક ગેરરીતિઓ કરી હતી, જેના વિશે સિંહાએ રમેશ અભિષેકને જાણ કરી હતી.
(પીગુરુસનો લેખ વાંચવા અહીં ક્લિક કરોઃ https://www.pgurus.com/cvc-says-corruption-charges-against-ramesh-abhishek-are-serious-and-verifiable/)
——————–
આ એક સૌથી મોટું આશ્ચર્ય છે કે આટલી બધી માહિતી આ ચંડાળ ચોકડી ના કરતૂતોની બહાર આવી ગઈ છે છતાં સરકાર તરફથી કોઈજ પગલાં લેવામાં આવેલ નથી. આનો અર્થ તો એમજ થાય કે હાજી આજની તારીખમાં પણ આ આખી ગેન્ગનું વર્ચસ્વ નોકરશાહીમાં એટલુંજ મજબૂત છે કે શ્રી નરેન્દ્ર મોદી પણ એમનો વાળ વાંકો નથી કરી શકતા.આવી ભ્રષ્ટ વ્યક્તિ જો સેબીના ચેરમેન પડે આવશે તો પછી એ શું શું કારસ્તાન કરશે એની કલ્પના પણ નથી થઇ શકતી.
LikeLike