
પત્રકારત્વ ભણાવતી વખતે આ લખનારે એક વખત વિદ્યાર્થીઓને કહ્યું હતું કે શાસક પક્ષ વિશે કોઈ પણ માહિતી કઢાવવી હોય તો વિપક્ષની પાસે જવું. વિપક્ષો હંમેશાં પત્રકાર માટે સૂત્રો એટલે કે માહિતી પૂરી પાડનારા બની રહે છે. હાલની ડૉ. સુબ્રમણ્યન સ્વામીની એક ટ્વીટ પરથી 20 વર્ષ જૂની આ વાત યાદ આવી ગઈ.
ડૉ. સ્વામી આખાબોલા માણસ છે અને શાસક પક્ષમાં હોય તોપણ વિપક્ષ જેવા જ રહે છે. તેઓ કોઈની સાડાબારી રાખતા નથી. એમની બીજી ખાસિયત એ પણ છે કે કોઈ પૂછે કે ન પૂછે, તેઓ સાચી વાત જાહેર માધ્યમો દ્વારા કહી દેતા હોય છે. ડૉ. સ્વામી ભાજપની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય પણ છે, પરંતુ હાલની જ વાત જુઓ ને! તેમણે 8મી જુલાઈએ ટ્વીટ કરીને લખ્યું કે પી. ચિદમ્બરમના જે ખાંધિયાઓએ નાણાકીય વ્યવસ્થાને બગાડી નાખી તેમને મોદી સરકારમાં પણ ઉંચા હોદ્દાઓ મળી રહ્યા છે.

ભાજપના નેતા હોવા છતાં તેઓ મોદી સરકારની સચ્ચાઈને બહાર લાવ્યા વગર રહી શક્યા નથી. તેમણે જે કંઈ લખ્યું છે તે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે. તેમણે કહ્યા મુજબ પી. ચિદમ્બરમને સ્ટૉક એક્સચેન્જના કામકાજમાં મદદ કરનારા (રમેશ) અભિષેકને સેબીના ચૅરમૅન બનાવવામાં આવે એવી શક્યતા છે. નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ) સાથેની ચિદમ્બરમની સાંઠગાંઠ સંબંધે ડૉ. સ્વામી બોલી રહ્યા હોય એ સ્વાભાવિક છે.
નોંધનીય છે કે આ જ એનએસઈના માથે કૉ-લૉકેશન કૌભાંડનું કલંક લાગેલું છે અને સેબીએ તેની સામે કોઈ આકરી કાર્યવાહી કરી નથી. જો ચિદમ્બરમની ગૅંગનો જ માણસ સેબીનો ચૅરમૅન બની જાય તો ‘મોસાળમાં જમણ અને મા પીરસનારી’ જેવો ઘાટ ઘડાયો એમ કહેવાય.
બીજી નોંધપાત્ર બાબત છે કે રમેશ અભિષેક એક સમયે ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના અધ્યક્ષ હતા, પરંતુ તેમણે એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)માં સર્જાયેલી પૅમેન્ટ ક્રાઇસિસને હલ કરવા માટેનાં પગલાં ભરવાને બદલે પી. ચિદમ્બરમના કહેવાથી અને કે. પી. કૃષ્ણનની સાથે મળીને એનએસઈએલની ક્રાઇસિસને વધુ બગાડવાનું કામ કર્યાનો આરોપ છે. અદાલતના આદેશમાં પણ આ બાબતનો ઉલ્લેખ છે. રમેશ અભિષેક આ કટોકટીને આસાનીથી હલ કરી શક્યા હોત છતાં તેમણે એ કર્યું નહીં, કારણ કે તેઓ એનએસઈએલની પૅરન્ટ કંપની એફટીઆઇએલ (ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ)ની સામે કિન્નાખોરી રાખીને કામ કરી રહ્યા હતા. આ બાબતનો ઉલ્લેખ પીઢ પત્રકાર શાંતનુ ગુહા રેના પુસ્તક – ‘ધ ટાર્ગેટ’માં થયેલો છે. આવી દ્વેષપૂર્ણ વ્યવહાર કરનાર વ્યક્તિને ફરી એક વખત સેબી જેવી સંસ્થાના વડા કેવી રીતે બનાવી શકાય એ મોટો પ્રશ્ન છે.
ચિદમ્બરમના એનએસઈ સાથેના સંબંધને એક વિદેશી સામયિકે પણ ખૂલ્લો પાડ્યો હોવાનું આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ.
જે કૉંગ્રેસી માણસ આર્થિક કૌભાંડો સંબંધે જેલમાં રહી આવ્યો છે અને હજી જેના નામે ઘણા કેસ બોલી રહ્યા છે એ માણસના ખાંધિયાઓ જો ભાજપની સરકાર હોવા છતાં ઉંચા હોદ્દાઓ સહેલાઈથી મેળવી શકતા હોય તો ડૉ. સ્વામીની વાત બાબતે આંખ આડા કાન કરી શકાય નહીં.
અહીં એક વિગત ટાંકવી આવશ્યક છે. એફટીઆઇએલે (હાલની 63 મૂન્સ ટેક્નૉલૉજીસ) પી. ચિદમ્બરમ, રમેશ અભિષેક અને કે. પી. કૃષ્ણન વિરુદ્ધ 10,000 કરોડ રૂપિયાની નુકસાનીનો દાવો માંડ્યો છે. આ બ્લોગના વાંચકો તો સારી રીતે જાણે જ છે કે આ ખટલા સંબંધે રમેશ અભિષેકના બચાવનો કેસ લડવા માટે ભાજપની સરકાર પૈસા આપવા તૈયાર થઈ હતી. દેખીતી વાત છે કે સરકાર આ ખર્ચ કરવા તૈયાર થઈ હોય તો વડા પ્રધાનના કાર્યાલયને તેની જાણ હોય. વડા પ્રધાનના કાર્યાલયની વાત ડૉ. સ્વામીની ટ્વીટમાં પણ આવે છે. તેમણે લખ્યું છે કે વડા પ્રધાનના કાર્યાલયના એક અધિકારી રમેશ અભિષેકની સંભવિત નિમણૂકમાં સહાયક તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે. આ અધિકારી કેબિનેટની નિમણૂક સમિતિ ઘડે છે અને એના નિર્ણયો વડા પ્રધાન પાસે મંજૂર કરાવે છે.
આપણે એનએસઈ સામે ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડે ઊભી કરેલી સ્પર્ધા, એ સ્પર્ધાને કચડી નાખવા માટે પી. ચિદમ્બરમ, રમેશ અભિષેક અને કે. પી. કૃષ્ણને રચેલું કારસ્તાન, એનએસઈનો સતત થઈ રહેલો બચાવ, અભિષેકની અનેક બેનામી સંપત્તિઓનું છૂપું ષડ્યંત્ર, દેશવિરોધી પ્રવૃત્તિઓ સુધી પ્રસરેલી પી. ચિદમ્બરમની જાળ, વગેરે અનેક બાબતો અત્યાર સુધીના બ્લોગ્સમાં વર્ણવી ચૂક્યા છીએ. હવે એ કડીમાં ડૉ. સ્વામીની ટ્વીટ નવું પાસું ઉમેરે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હજી પી. ચિદમ્બરમે ફેલાવેલી જાળમાં છીડું પાડી શક્યા નથી એ પણ ઉક્ત ટ્વીટ પરથી પુરવાર થાય છે. આ ટ્વીટ સંબંધે આવેલા જવાબમાં એક વ્યક્તિએ ચોખ્ખું લખ્યું છે કે પી. ચિદમ્બરમથી લઈને અરુણ જેટલી અને અરુણ જેટલીથી લઈને નિર્મલા સીતારામન, ફક્ત નામ બદલાયાં છે; તેમની પાછળ રહેલા સનદી અધિકારીઓ એના એ જ રહે છે. વડા પ્રધાનો પણ બદલાય છે, પણ આ અધિકારીઓ, જેઓ સિસ્ટમ પર વર્ચસ્ ધરાવે છે, એમનું જ હંમેશાં ચાલતું આવ્યું છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે છ વર્ષ થયા બાદ પણ મોદી સરકાર અમલદારશાહી, ન્યાયતંત્ર અને ભાજપમાંના કૉંગ્રેસતરફી માણસોને શોધી શકી નથી.
આવા સંજોગોમાં એક ગુજરાતી વ્યક્તિએ લખેલી ટ્વીટ તરફ ચોક્કસ ધ્યાન જાય છે. તેઓ કહે છે, મોદી સરકાર તમામ સ્તરેથી ચોખ્ખી થઈ જાય તો સારું, અન્યથા વડા પ્રધાનની આકરી મહેનત તથા તેમની પ્રામાણિક છાપને નુકસાન થવાની શક્યતા છે.
(રમેશ અભિષેકની કેટલીક સચ્ચાઈઓ દર્શાવતો આ વિડિયો પણ ઘણો જાણીતો છેઃ https://youtu.be/7PMz2vbdxB0)
———————————–
એક વાત સ્પષ્ટ છે કે આજે પણ સરકારમાં ભ્રષ્ટ અને દેશદ્રોહી અધિકારીઓનું જ વર્ચસ્વ છે. નરેન્દ્ર મોદીજી જેવા એક પ્રામાણિક અને સાહસિક વ્યક્તિની પણ કેવી રાજકીય મજબૂરી છે કે તેઓ આટલા લાંબા સમય પછી પણ નોકરશાહીને આવા ભ્રષ્ટ અધિકારીઓથી મુક્ત નથી કરાવી શક્યા.આવા સંજોગોમાં આપણા દેશમાં પ્રામાણિક અને સાહસિક લોકોએ તો કાયમ માટે સહનજ કરવાનું રહેશે . સૌથી મોટી કમનસીબી તો એ છે કે કહેવાતા આગેવાન ઉદ્યોગપતિઓ પણ સાવ ચૂપ છે. આમાં આપણા દેશનું ભલું ક્યાંથી થાય.
LikeLike