(ઓરિસાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર શ્રી રામચંદ્ર પાંડાના ઇન્ટરવ્યૂ પર આધારિત લેખનો ભાગ -1)


ભારતમાં પાંચ દાયકા પૂર્વે પૂરતો અને સમયસરનો વરસાદ પડતો અને ખેડૂતો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર સમયસર વાવણી કરતા, પરંતુ આજની તારીખે ચોમાસું વરસાદનો ચોક્કસ સમયગાળો રહ્યો નથી. આવા સમયે વૈશ્વિક બેન્કના અહેવાલ મુજબ ભારતમાં માત્ર 35 ટકા ખેતીની જમીન પર સિંચાઈ થાય છે. ખેડૂતોને પાણી ઉપરાંત વીજળી, ખાતર, મજૂરોને લગતી સમસ્યાઓ સતાવે છે. જો સરકાર દરેક ખેતરને પૂરતું પાણી મળી રહે એવી વ્યવસ્થા કરી શકે તો દેશમાં 500 લાખ હેક્ટર જમીનને રવી વાવેતર હેઠળ લાવી શકાય છે.
પાંડાએ એક મુલાકાતમાં જણાવ્યા મુજબ હાલમાં કોરોનાને કારણે શહેરોમાંથી હિજરત કરીને આવેલા શ્રમિકોને સંબંધિત રાજ્ય ખેતીમાં રોજગાર અપાવી શકે છે. જો દરેક ખેતરને પૂરતું પાણી મળવા લાગે તો આશરે પાંચ કરોડ શ્રમિકોને કૃષિ ક્ષેત્રે રોજગાર મળી શકે છે. ફળ અને શાકભાજી માટે વિદેશમાં ઘણી માગ છે. ભારતીય રાજ્યો હોર્ટિકલ્ચરને તથા આદિવાસી વિસ્તારોની બીજી વન્ય પેદાશોને પ્રાથમિકતાના ધોરણે પ્રોત્સાહન આપે તો દેશ-વિદેશમાં તેની ઘણી માગ ઊભી થઈ શકે છે. આ વાતનું એક ઉદાહરણ આપતાં તેમણે કહ્યું હતું કે ભારતમાં કાજુ અને કેરીના બાગ ઘણા મોટા પ્રમાણમાં છે, પરંતુ તેનું કોમર્શિયલ ધોરણે ઉત્પાદન અને માર્કેટિંગ થતું નથી. ફળ અને શાકભાજીને તાજાં રાખવા માટેનાં કૂલિંગ ચેમ્બરની વ્યવસ્થા ભારતમાં નહીં હોવાને લીધે આપણે વિદેશમાં સારી માગ ધરાવતી આ વસ્તુઓની નિકાસ વધારી શકતા નથી. જો સરકાર હોર્ટિકલ્ચર (બાગાયતી ખેતી)ને પ્રોત્સાહન આપશે અને તેના માટે યોગ્ય યોજનાઓ ઘડશે તો ઘણી મોટી સંખ્યામાં લોકોને તેમાં રોજગાર મળી શકે છે. ગ્રેડિંગ, પેકેજિંગ જેવી ફૂડ પ્રોસેસિંગની પ્રવૃત્તિઓ દ્વારા રોજગારનું સર્જન થઈ શકે છે. આ પ્રોસેસિંગ, પેકેજિંગ, વગેરે કામો ગામોમાં સ્વયં સહાય જૂથો (સેલ્ફ હેલ્પ ગ્રુપ) મારફતે અથવા ખાનગી-સરકારી ક્ષેત્રના સહયોગ (પ્રાઇવેટ-પબ્લિક પાર્ટનરશિપ)થી થઈ શકે છે. તેને પગલે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની તકોનું સર્જન થશે.
ઉપરોક્ત મત ઓરિસા વિધાનસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર રામચંદ્ર પાંડાએ વ્યક્ત કર્યો છે.
એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું છે કે ભારતમાં આજની તારીખે પણ કૃષિ ક્ષેત્ર આશરે 60 ટકા લોકોને રોજગાર પૂરા પાડે છે. હાલમાં કોરોના રોગચાળાને કારણે શહેરોમાંથી પાછા વતન ભણી ગયેલા લોકોને પણ આ ક્ષેત્ર રોજગાર આપીને રોજગારની ટકાવારી 60થી વધારીને 70ની કરી શકાય છે. જો કે, તેના માટે કેટલાંક પગલાં ભરવાની આવશ્યકતા છે.
રામચંદ્ર પાંડા કહે છે કે દેશની આઝાદીનાં 73 વર્ષ બાદ પણ 65 ટકા ખેડાણલાયક જમીન પર માત્ર બે પાક લેવામાં આવે છે. આપણે વધુ પાક લેવા બાબતે વિચારવું જોઈએ.
આ ભૂતપૂર્વ વિધાનસભ્ય ખેડૂતોના પ્રશ્નો માટે સતત જાગરૂક રહે છે. તેઓ કહે છે કે ખેતીમાં વીજળી, ખાતર, મજૂરીનો ખર્ચ ઘણો વધી રહ્યો હોવાથી ખેડૂતોને તકલીફ પડી રહી છે. ખેડૂતો ડાંગર અને ઘઉંનો પાક તો લઈ જ રહ્યા છે, હવે ડેરી ઉદ્યોગ, મત્સ્યોદ્યોગ, વન આધારિત ઉદ્યોગ વિકસાવવાની જરૂર છે.
આશ્ચર્યની વાત એ છે કે ભારત ડેરી ક્ષેત્રે વિશ્વભરમાં અવ્વલ છે, પરંતુ દૂધ ઉત્પાદનની વૈશ્વિક સરેરાશ (275 ગ્રામ) કરતાં અડધા સ્તરે પણ પહોંચી શક્યું નથી. જો અડધી ક્ષમતા સાથે પણ દેશ પ્રથમ ક્રમાંકે હોય તો પૂરેપૂરી ક્ષમતા સાથે તેની શક્તિ કેટલી મોટી કહેવાય!
રામચંદ્ર પાંડાએ જણાવ્યા મુજબ સરકારે કોન્ટ્રેક્ટ ફાર્મિંગને પ્રોત્સાહન આપવું જોઈએ, કારણ કે તેનાથી વધારાની 10 ટકા ખેડાણલાયક જમીન પર ખેતી થવા લાગી શકે છે. અત્યાર સુધી ખેડૂતો કોન્ટ્રેક્ટ ફાર્મિંગ કરવા માટે અચકાતા હતા, પરંતુ હવે સરકારે જમીનના અધિકારોનું રક્ષણ કરવાની ખાતરી આપી દીધી હોવાથી ખેડૂતો અને જમીનધારકો કોન્ટ્રેક્ટ ફાર્મિંગ માટે આગળ આવી શકે છે. તેને પગલે દેશમાં રોજગાર સર્જન થવાની સાથે સાથે ઉત્પાદન વધશે અને ખેતીનો વધુ સારી રીતે વિકાસ થઈ શકશે.
————————————-