કોરોનાથી નહીં ડરવાનાં આ રહ્યાં કારણો!

લેખકઃ જયેશ ચિતલિયા (કોરોનામાંથી સાજા થયેલા જાણીતા આર્થિક પત્રકાર)

કોરોનાના વિષયમાં થયેલા અનુભવોના આધારે જાહેર હિતમાં કેટલીક સીધી અને સ્પષ્ટ વાતો. 

કોરોનાથી ડરો નહીં એવી વાતો કે પ્રચાર બહુ થયા, પરંતુ આ હકીકતને બરાબર સમજવી જરૂરી છે. માત્ર વાતોથી કંઈ થતું નથી. આ હકીકત એ જ વ્યક્તિ સમજાવી શકે કે કહી શકે, જે આ અનુભવમાંથી પસાર થઈ હોય. કોરોના રોગ જેટલો ગંભીર નથી તેનાથી વધુ તેનો ડર, તેના વિશેની ભ્રમણા કે માન્યતા ગંભીર છે, જેણે લોકોમાં ભયંકર હદે હાઉ ઊભો કર્યો છે. આનું કારણ ઇન્ફેક્શન (ચેપ)નો ભય છે તેમ જ આ જેને થાય છે ત્યારે તેની સારવાર દરમ્યાન કેટલીક જરાય ન ગમે તેવી બાબતોમાંથી પસાર થવું પડે છે. દર્દીની નજીક જવાય નહીં, પરિવારજનો, સ્વજનો-પ્રિયજનો પણ તેની પાસે જઈ શકે નહીં. કોરોનાની આ જ સૌથી કડવી અને કરુણ બાબત છે. બાકી, કોરોના સરળ અને સાદી માંદગી છે, જે માત્ર ચોક્કસ દિવસોમાં વિદાય પણ લઈ લે છે. જો કે, આ વાઈરસ પ્રત્યે બેફિકર કે બેદરકાર થઈ જવું જોઈએ નહીં. દરેકે પોતાનું અને બીજાનું પણ પ્રોટેક્શન થાય એનું ધ્યાન રાખવું જોઈએ.

સારવાર દરમ્યાનની એકલતા

દર્દીને સારવાર દરમ્યાન સંપૂર્ણપણે એકલો પાડી દેવામાં આવે છે, તેની પાસે ડૉક્ટર કે નર્સ પણ જાય તો ચોક્કસ ડ્રેસ કિટ જેવાં પ્રોટેકશન પહેરીને જ જઈ શકે. જે દર્દીને ખૂબ જ તીવ્ર અસર થઈ હોય એ કેસમાં જ તેને હૉસ્પિટલમાં દાખલ કરવો જરૂરી બને છે, અન્યથા તેને આઇસોલેશન સેન્ટરમાં રાખીને પણ સારવાર થઈ શકે છે. આ બંને જગ્યાએ દર્દીને સારવારની આવશ્યકતા પડે છે, પરંતુ હૉસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીની સ્થિતિ વધુ કથળી હોય તો તેને ઓક્સિજન આપવો પડે છે, વેન્ટીલેટર પર મૂકવો પડે છે, અન્ય સારવાર કરવી પડે છે. જેવી જેની એક્યુટનેસ અથવા સેચ્યુરેશન. આમાં ફેફસાં પર અસર થતી હોવાથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. બાકી, આ રોગ એક તાવ, ફ્લુ કે શરદી-ખાંસી જેવો સરળ છે, રોગ અત્યંત વિકટ સંજોગોમાં જ જીવલેણ બને છે.

નોંધનીય છે કે 80થી 90 વરસની વયના લોકો પણ સાજા થઈને પાછાં ફર્યા છે.

બીએમસી અને મિત્રો-સ્વજનોની મહત્ત્વની ભૂમિકા

અહીં એ નોંધવું જરૂરી છે કે બીએમસી (પાલિકા)ના તબીબી સેવા સાથે સંકળાયેલા ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ કેટલાય અભાવ અને ગેરવ્યવસ્થા વચ્ચે મહત્ત્વની કામગીરી બજાવી રહ્યા છે. એટલું જ નહીં, સફાઈ કામદારો પણ સારી કામગીરી કરી સમાજને ખરા સમયે ખરી સેવા આપી રહ્યા છે.

તમે જ્યાં રહેતા હો એ સોસાયટીના સભ્યોનો સહયોગ પણ તમારી રિકવરીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અલબત્ત, પરિવારજનોના સ્નેહ અને સાથનું પણ અદકેરું મૂલ્ય રહે છે. અને હા, મિત્રોની બાબતમાં હું ધનવાન પહેલેથી રહ્યો છું. આ વખતે વધુ સંપત્તિવાન બની ગયો, કારણ કે સોશ્યલ ડિસ્ટન્સિંગ વચ્ચે ઈમોશનલ નીઅરનેસ (ભાવનાત્મક નિકટતા) સાથે સતત મજબૂત બની ઊભા રહ્યા. એટલું જ નહીં, તેમની લાગણીનું મૂલ્ય કઈ રીતે આંકી શકું?

મારી સોસાયટીના સભ્યોની લાગણી-સ્નેહ પણ સતત ટેકો બની રહ્યા. આ બધાં પરિબળો પણ કોરોનાના ઉપચારના ભાગરૂપ ચોક્કસ ગણી શકાય. આ બધાંને વંદન કરવાનું બને છે.

ભય અને તેનો પ્રચાર વધુ ગંભીર

અહીં મને એ કહેવું જરૂરી લાગે છે કે આ રોગ કરતાં તેનો ભય વધુ ગંભીર બનીને ફેલાયો છે. તેના વધુપડતા પ્રચારે વાતનું વતેસર કર્યુ છે. સોશ્યલ મીડિયાએ સારી-નરસી બંને ભૂમિકા ભજવી છે, જેમાં કઠણાઈ એ છે કે લોકો નકારાત્મક બાબત વધુ પકડે છે, ફેલાવે છે. બીજી બાજુ, સાચી બાબત સામે સવાલ અને શંકા ઊઠાવાય છે.

તો, એટલું કહેવાનું કે ડરો નહીં અને બીજાને ડરાવો પણ નહીં. સાંભળેલી વાતોના આધારે કંઈ ન કહો, માત્ર તમારા અનુભવના આધારે જ કહો. તેમાં પણ જજમેન્ટ સ્વરૂપે અથવા આમ જ થાય એવા દાવાથી વાત ન કરો. કેમ કે દરેક કેસમાં અનુભવમાં ફરક હોઈ શકે છે.

કોરોના પોઝિટિવ થયા તો પેનિકમાં ન આવો

અંગત અનુભવને આધારે કહેવું છે કે તમે કોરોના પોઝિટિવ થઈ જાવ તો  એકદમથી ટેન્શનમાં આવવું નહીં. પેનિક થવું નહી, પોઝિટિવ આવ્યા છો તો તેના પ્રત્યે વધુ પોઝિટિવ રહો. પહેલી વાત તો એ કે માત્ર દર્દીની ગંભીરતાના આધારે તેને ડૉક્ટરની સલાહ સાથે હૉસ્પિટલાઈઝ કરવો પડે છે, અન્યથા તેનો ઉપચાર હોમ ક્વોરન્ટાઇન સ્વરૂપે ઘેર બેઠાં કરાવી શકાય છે, જેમાં તમે 14 દિવસ ઘરમાં જ રહી ઉપચાર કરાવી શકો છો. જેની પાસે રહેવાની સગવડ પર્યાપ્ત ન હોય, ઘર નાનું હોય અને તેમાં વધુ સભ્યો હોય તો હૉસ્પિટલમાં કે આઇસોલેશન સેન્ટરમાં જવું પડે તો વાત જુદી છે. ડૉક્ટરો બહુ સરળતાથી તમને ઘરમાં જ સારવાર આપી શકે છે. તમારી સાથે રોજ ફોન પર વાતચીત કરીને માર્ગદર્શન આપી શકે છે. મારાં પત્ની સ્વાતિની આ રીતની સારવાર બોરીવલી મેડિકલ બ્રધરહૂડના તબીબોએ દરરોજ સારી રીતે વાજબી દરે માર્ગદર્શન આપીને કરી હતી. તમે પ્રત્યક્ષ ડૉક્ટર સામે હો એ રીતે વિડિયો કોલ દ્વારા તપાસ અને સલાહ આપવામાં આવે છે. આ કોર્સ માત્ર પાંચ દિવસનો હોય છે. આમાં દવા પણ મર્યાદિત હોય છે. આ રીતે સારવાર આપનારા ડૉક્ટરો પણ દરદીનું મનોબળ વધારવાનું કામ કરતા હોય છે.

ઘરગથ્થુ ઉપચાર પણ મહત્ત્વનો

અનુભવના આધારે કહેવાનું કે તમારા પોતાના ઘરગથ્થુ ઉપચાર તરીકે દિવસમાં બેથી ત્રણ વાર સ્ટીમ લેવી જોઈએ, જેને આપણે નાસ લેવાનું કહી શકીએ. લીંબુ-પાણી પીવું જોઈએ, હળદરવાળું ગરમ પાણી પીવું જોઈએ, સૂંઠની ગોળી ચુસતાં રહેવું જોઈએ, દિવસમાં બે વાર મીઠું નાખેલા ગરમ પાણીના કોગળા કરવા જોઈએ, રાતે સૂતાં પહેલાં હળદરવાળું દૂધ પીવું જોઈએ.

આ સાથે ડૉક્ટરની સલાહ મુજબ વિટામિનની ગોળી કે અન્ય દવા લેતાં રહેવું જોઈએ. પ્રાણાયામ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવી, તમારું ઓક્સિજન લેવલ  દિવસમાં ચારથી પાંચ વાર ચેક કરતાં રહેવું. આના માટે એક આંગળી જેટલું મશીન પલ્સઓક્સિમીટર આવે છે, જે વસાવી લેવું પડે. તમારું ઓક્સિજન લેવલ 95થી 100ની વચ્ચે રહેતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, જો 94થી વધુ નીચે ચાલ્યું જાય તો તેને ચેતવણી સમજવી, પણ પેનિક થવાનું નહીં. તમે તરત ડૉક્ટરનો સંપર્ક કરીને ઓક્સિજનની સુવિધા અને જરૂરી સારવાર મેળવી શકો છો. સંભવતઃ એ માટે હૉસ્પિટલમાં જવું પણ પડે, હવે તો ઘરે પણ આ સુવિધા મળે છે.

કોરોના દર્દીની સૌથી મોટી કરુણતા

અહીં 14 દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં કે આઇસોલેશનમાં કે હૉસ્પિટલમાં દર્દીને રાખવાનું કારણ એ છે કે આટલા દિવસ જ કોરોનાના વાઈરસ દર્દીના શરીરમાં રહે છે. એ પછી પણ કોઈ કેસમાં રહે તો ય અમુક દિવસ બાદ એ ચેપી નથી બનતા, અર્થાત્ નોન-ઈન્ફેકશનવાળા થઈ જાય છે.  ત્યાર બાદ દર્દીએ પોતે કે તેના ચેપ લાગવાનો ભય ધરાવતા લોકોએ પણ ગભરાવાની જરૂર રહેતી નથી. મારાં બા અને મારી પત્નીનાં બાને બંનેને પોઝિટિવ રિપોર્ટ આવતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાનું થયું હતું, પરંતુ એનું કારણ કોરોના કરતાં તેમની ઉંમરને લીધે ઊભી થતી શારીરિક સમસ્યા વધુ હતું. એ બંને જણાએ (ઉંમર અનુક્રમે 89 અને 76 વર્ષ) હૉસ્પિટલમાં એકલા રહેવું પડ્યું તેની પીડા પૂર્ણ પરિવારને હતી, કેમ કે પરિવારના કે અન્ય કોઈને તેમને મળવા અપાતું નહીં. તેઓ સાવ જ એકલાં એક રૂમમાં રહેતાં હતાં. આ ઉંમરે આવી એકલતા વધુ પીડા આપે છે. હું અને મારી પત્ની સ્વાતિ બંને પોઝિટિવ હોમ ક્વોરન્ટાઈન હતાં. જો કે આ બંને સીનિયર સિટિઝન પાછાં ઘરે પણ આવી ગયાં છે.

લોકોની બદલાતી દૃષ્ટિનું દર્દ

કોરોના દર્દીનું બીજું સૌથી મોટું દુઃખ કે રંજ તેના પ્રત્યેની સમાજની, આસપાસના લોકોની બદલાઈ જતી દૃષ્ટિ અને અભિગમ છે. જાણે કોરોના થયો તો એ માણસે મોટો અપરાધ કે પાપ કર્યા હોય! તેના પ્રત્યે કરુણાભાવ રાખવાને બદલે તેને જુદી નજરથી જોવાનું શરૂ કરાય છે. લોકો ત્યારે એ ભૂલી જાય છે કે આ રોગ કોઈને પણ, ક્યારે પણ થઈ શકે છે. આ વાઈરસ એક્ઝેક્ટલી ક્યાંથી અને કઈ રીતે આવે છે એની સ્પષ્ટ સમજ હજી કોઈને થઈ હોય એવું જણાતું નથી, માત્ર લોકો ધારણા બાંધે છે, જેમાં ગેરસમજ પણ ફેલાય છે. ઘણાને તો આ વાઈરસ આવ્યા હશે, તેણે ટેસ્ટ પણ નહીં કરાવી હોય અને કોઈપણ અસર વિના વાઈરસ ચાલ્યા પણ ગયા હશે. જેની જેવી ઇમ્યુનિટી સિસ્ટમ. અત્યારે પણ અનેક લોકો આ વાઇરસ લઈને ફરતા હશે. બની શકે કે તેમને એનાથી કંઈ ન થાય, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય. તેમની અસર તેમની નજીકના લોકોને થઈ શકે; થાય જ એ જરૂરી નથી.

સબક અને સ્વસ્થતા આપી

કોરોનાનો સામનો માણસ પોતાની સકારાત્મકતાથી પણ સહેલાઈથી કરી શકે છે. જો તેના પ્રત્યે નેગેટિવ થયા કે પેનિકમાં આવી ગયા તો મૂંઝવણ અને ભય વધશે.

બાય ધ વે, કોરોનાએ આપણને સ્વસ્થતાની બાબતમાં ઘણી શીખ આપી છે, જેને કોરોનાની વિદાય બાદ પણ સાચવી રાખવાની જરૂર રહેશે. શરીરની તંદુરસ્તી માટે આ બાબત આવશ્યક છે અને રહેશે. એક પોઝિટિવ અભિગમ એવો પણ રાખી શકાય કે કોરોના સજા કરવા આવ્યો નથી, કોરોના આપણને સબક સાથે શુદ્ધ અને સ્વસ્થ બનાવવા આવ્યો છે. કોરોનાનો અનુભવ લીધા બાદ આ કહ્યું છે.

મારી બધી જ વાત બરાબર છે એવો કોઈ દાવો કરતો નથી, માત્ર મારો અનુભવ તમારી સાથે વહેંચ્યો છે. તમને જેટલું ઠીક લાગે તે અપનાવો, બાકીનું છોડી દો યા ભૂલી જાવ….

————————— 

One thought on “કોરોનાથી નહીં ડરવાનાં આ રહ્યાં કારણો!

  1. ખરેખર જયેશભાઈનો આ અનુભવ વધારે અને વધારે લોકો સુધી પહોંચે તો કોરોના વિષે જે ઘણી બધી ગેરસમજો છે તે ઓછી થાય અને લોકો ખોટી રીતે હેરાન થતા બચી જાય અને ખોટા ખર્ચના ખાડામાંથી બચી જાય. કોરોના કરતા એના ડરને કારણે અને તેના વિષેની ગેરસમજોને કારણે લોકો ખુબ હેરાન થાય છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s