કોરોનાએ આપેલી નવી દૃષ્ટિનો ઉપયોગ કરીને હવે રાસાયણિક ખાતરોથી ધરતીને બચાવી શરીરને રોગમુક્ત કરો

ગાય આધારિત ખેતી અને જૈવિક ખેતીને અપનાવીને ધરતી અને માનવજીવનને બચાવવાની મહામૂલી જવાબદારી હવે કોરોના સંકટ પછી ખેડૂતોએ નિભાવવી પડશે

લેખકઃ મયૂર મહેતા (કોમોડિટી ક્ષેત્રના નિષ્ણાત અને કોમોડિટી વર્લ્ડ અખબારના તંત્રી)

દુનિયામાં આધુનિકીકરણ થયું તે જ રીતે ખેતીનું પણ ઝડપી આધુનિકીકરણ થવા લાગતાં ખેડૂત આપણાં શાસ્ત્રોમાં દર્શાવેલા રસ્તાઓથી દૂર જઇને વધુ ઉત્પાદન મેળવવા આંધળુકિયું કરવા લાગ્યો. આવા આંધળુકિયાને કારણે આજની ખેતી ઝેર બની ગઇ છે. રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓને કારણે ખેડૂત રાત-દિવસ મહેનત કરીને જે પાક ઉગાડે છે તેનાથી આપણા બધાનું શરીર હવે દિવસે ને દિવસે અનેક રોગોનું ઘર બની ગયું છે. કૅન્સર, હૃદયરોગ, લિવરના રોગ, કિડનીના રોગનું પ્રમાણ રાત-દિવસ વધી રહ્યું છે. તેના માટે ખેતીમાં વપરાતાં બેફામ રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓ જવાબદાર છે.

અત્યારે જંતુનાશક દવાઓ બનાવતી કંપનીઓ એકબીજાથી હરિફાઇમાં આગળ આવવા નીતનવાં ઝેરી કેમિકલો વાપરીને ખેડૂતોને લલચાવીને પધરાવે છે, પણ આ જંતુનાશક દવાઓના ડોઝ એટલી હદે ઝેરી હોય છે કે તેનો ઉપયોગ કરવાથી આપણી જમીનનું હીર ચુસાઇ જાય છે અને આ દવાઓના છંટકાવ બાદ જે ખેતપેદાશો ઉત્પન્ન થાય છે તેનો ઉપયોગ કરવાથી હું અને તમે ન ધારેલા રોગના શિકાર બની રહ્યા છીએ.

ખેડૂતો જગતના તાત છે ત્યારે મારા જગતાત, બે હાથ જોડીને વિનંતી છે કે આવાં ખતરનાક અને જિંદગી ઝેર કરી નાખે તેવાં રાસાયણિક ખાતરો અને કાતિલ ઝેર ફૂંકતી જંતુનાશક દવાઓથી આપણી ધરતી માને બચાવવાનો સમય આવી ચૂક્યો છે. આપણી ધરતીની ફળદ્રુપતા ઝેરી દવાઓના વધુપડતા ઉપયોગથી ખતમ થઇ રહી છે. ધરતી અને આપણું શરીર હવે કુદરતે આપેલી શક્તિને ગુમાવી રહ્યાં છે.  

જંતુનાશક દવાઓના વધુપડતા ઉપયોગથી શું નુકશાન થાય તે ઉદાહરણ સાથે સમજીએઃ તમને માથું દુખે છે ડૉક્ટરે એક ગોળી લેવાનું કહેવા છતાં તમે બે ગોળી લઈ લો અને આવું અનેક વખત થાય ત્યારે થોડા સમય પછી તમે બે ગોળી લેશો તો પણ તમારું માથું નહીં ઉતરે. એવા વખતે તમારે ત્રણ ગોળી લેવી પડશે. માથાના દુ:ખાવાની વધારેપડતી ગોળી લેવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને એક તબક્કે ગમે તેટલી ગોળી લો પણ તમને માથાનો દુ:ખાવો મટતો નથી. આવું જ ધરતી માતાનું છે. વૈજ્ઞાનિકો જ્યારે તમને કોઇપણ દવા માત્ર એક જ થેલી કે એક જ ગ્લાસ છોડ પર છાંટવાનું કહે પણ દવા વેચનારી કંપનીને તો ધંધો કરવો હોય એટલે તે ખેડૂતને એક ને બદલે બે થેલી કે બે ગ્લાસ છાંટવાનું કહે અને વગર વિચાર્યે આપણે દવાની કંપનીના માણસ કહે તેમ કરીએ ત્યારે આપણે ‘ધરતી માતા’ને ઘણું મોટું નુકશાન પહોંચાડીએ છીએ. આ બાબતે હવે ખેડૂતોએ ગંભીરતાથી વિચારવું પડશે.

આપણે પૂર્વજો કહી ગયા છીએ એ છાણિયું ખાતર, અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટનો ઉપયોગ કરીશું તો ધરતીનું સત્ત્વ ટકી રહેશે. ઉભા પાકને વિવિધ રોગ અને જિવાતથી બચાવવા ઝેરી જંતુનાશક દવાઓને બદલે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ, વગેરેનો ઉપયોગ કરીએ કે જેથી આપણે જે પકવીએ છીએ તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ એમ ને એમ રહે.

કૃષિ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે રાસાયણિક ખાતરથી જે ઉગાડ્યું હોય તેની સરખામણીમાં સજીવ કે જૈવિક ખેતીથી જે ઉગાડ્યું હોય તેમાં 63 ટકા વધુ કેલ્શિયમ, 73 ટકા વધુ લોહતત્ત્વ, 91 ટકા વધુ ફોસ્ફરસ, 125 ટકા વધુ પોટેશિયમ અને 60 ટકા વધુ જસત મળે છે. આ તમામ ખનિજતત્વો મારા-તમારા શરીરને અનેક રોગો સામે લડવાની આંતરિક શક્તિ આપે છે.

કોરોનાના કાળમાં આપણે સાંભળીએ છીએ કે કોઇને કોરોના દવા વગર માત્ર શરીરની અંદર રહેલી રોગપ્રતિકારક શક્તિથી દૂર થઇ જાય છે. કુદરતે મને-તમને બધાને કુદરતી રોગપ્રતિકારક શક્તિ આપી છે. આપણા જ શરીરમાં રહેલી આ રોગપ્રતિકારક શક્તિ ગમે તેવા રોગ સામે લડવા સક્ષમ છે પણ આજકાલનાં રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓમાં પકવેલી ખેતપેદાશો આપણા શરીરમાં જઇને મારી-તમારી રોગપ્રતિકારક શક્તિને બુઠ્ઠી બનાવી દે છે, જેને કારણે આપણે જીવલેણ રોગો સામે રક્ષણ મેળવી શકતા નથી.

રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓનો વધુપડતો ઉપયોગ કરવાથી થયેલા ફેરફારો આપણને સામે જ દેખાઇ રહ્યા છે. કપાસમાં ગુલાબી ઇયળ, રાક્ષસી ઇયળોનો ત્રાસ પહેલાં આટલો નહોતો, જેટલો આજે જોવા મળી રહ્યો છે. દર વર્ષે ખેતપેદાશોમાં રોગ અને જિવાતનું પ્રમાણ છાશવારે વધતું જોવા મળે છે આ દૂષણ માત્ર ને માત્ર વધુ રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓના વધુપડતા ઉપયોગને કારણે માથું ઉંચકી રહ્યું છે.

ભારતમાં ઝેરી જંતુનાશક દવાઓનો વધુપડતો ઉપયોગ થવાને પગલે જીરાની વૈશ્વિક માર્કેટમાં ટચુકડાં તુર્કી-સીરિયા ભારતને હંફાવી રહ્યાં છે
ભારતમાં જીરાનું સૌથી વધુ ઉત્પાદન વિશ્વમાં વર્ષોથી સૌથી વધુ પ્રમાણમાં થઇ રહ્યું છે. જીરાની વૈશ્વિક માર્કેટમાં ભારતની મોનોપોલી છે. ભારત દર વર્ષે સાડા ત્રણથી ચાર લાખ ટન જીરાનું ઉત્પાદન કરે છે, જ્યારે તુર્કી માત્ર 12-15 હજાર ટન અને સિરિયા 25-30 હજાર ટન જીરાનું ઉત્પાદન કરે છે.
ભારતના જીરું ઉગાડતા ખેડૂતો વધુપડતાં રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતાં હોઇ યુરોપિયન દેશો, જપાન અને કેટલાક પ્રગતિશીલ ખેડૂતો ભારતીય જીરાનું નામ સાંભળીને જ મોઢું મચકોડે છે. તેની સામે તુર્કી અને સીરિયાના ખેડૂતો રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ ન કરતાં હોઇ તેમનું જીરું ભારતના જીરા કરતાં દોઢા ભાવે પણ વેચાય છે.
અહીં સરખામણી કરો, ભારતનું જીરાનું ઉત્પાદન કેટલું અને તેની સામે તુર્કી-સીરિયાના જીરાનું ઉત્પાદન કેટલું? આ બંને દેશો જીરાની વૈશ્વિક માર્કેટમાં ભારતને વર્ષોથી હંફાવી રહ્યાં છે. આવું જ સફેદ અને કાળા તલની માર્કેટમાં છે. યુરોપિયન દેશો અને જપાને ભારતના તલને ખરીદવાનું વર્ષોથી બંધ કરી દીધું છે. આમ, આપણે વધુપડતાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી આપણી ખેતપેદાશોની બજારને પણ નુકશાન પહોંચાડી રહ્યા છીએ અને તેને કારણે ખેડૂતોને નિકાસબજારમાં ખેતપેદાશોના સારા ભાવ મળતા નથી.

 ———————–

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s