વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત ઈલેક્ટ્રોનિક નૅશનલ એગ્રિકલ્ચર માર્કેટના મોડેલમાં આવશ્યક સુધારા-વધારા સાથેનું ડિજિટલ માળખું રચવાની સંભાવના
હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવાની હાકલ કરીને 20 લાખ કરોડ રૂપિયાનું પૅકેજ જાહેર કર્યું છે. કોરોના વાઇરસના રોગચાળાને કારણે એક બાજુ આરોગ્યનો પ્રશ્ન ઊભો થયો છે અને બીજી બાજુ વૈશ્વિક સ્તરે આર્થિક મંદી દિવસે ને દિવસે ઘેરી બની રહી છે. ભારત પણ તેની પ્રતિકૂળ અસરથી મુક્ત રહી શકે એમ નથી, પરંતુ દેશને આત્મનિર્ભર બનાવવાથી એ અસરને ઘણી ઓછી કરી શકાય છે.
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને સતત પાંચ દિવસ સુધી કરેલી જાહેરાતો મુજબ દેશના તમામ સામાજિક વર્ગો માટે તથા ઉદ્યોગ-ધંધાનાં તમામ ક્ષેત્રો માટે વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. અત્યારે દેશમાં બેરોજગારીનો પણ ભય સર્જાયો છે. આવા સમયે ભારત કઈ રીતે કૃષિ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ દ્વારા નવસર્જન કરી શકે છે અને 10 કરોડ નવા રોજગારોનું સર્જન શક્ય છે તેના વિશે દેશના ખ્યાતનામ આન્ત્રપ્રેન્યોર જિજ્ઞેશ શાહે કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો 24મી મેના સન્ડે ગાર્ડિયનમાં કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પરિકલ્પના મુજબની ઈલેક્ટ્રોનિક નૅશનલ એગ્રિકલ્ચર માર્કેટમાં સુધારા દ્વારા એ શક્ય હોવાનું તેમણે કહ્યું છે. ચાલો, જોઈએ તેઓ શું કહેવા માગે છે.

લેખકઃ જિજ્ઞેશ શાહ, ઇનોવેટર અને ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા ગ્રુપ (હાલ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ)ના સ્થાપક
ઈતિહાસમાંથી છેલ્લાં 400 વર્ષોને બાદ કરીએ તો જોઈ શકાય છે કે એક સમયે ભારત અને ચીન વૈશ્વિક વેપારમાં 50 ટકા અને વિશ્વની કુલ જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)માં 33 ટકા હિસ્સો ધરાવતા હતા. આજે દુનિયા ચીનથી વિમુખ જવા માગે છે એવા સમયે આપણે અમેરિકાના સહયોગ વડે વૈશ્વિક વેપારમાં વધુ મોટો હિસ્સો પ્રાપ્ત કરી શકીએ છીએ. અમેરિકાને આજે ચીનનો વિકલ્પ બની શકે એવા સહયોગીઓની આવશ્યકતા છે.
આ કામ ભારતમાં કૃષિ ક્ષેત્રે નવા મોડેલનો ઉપયોગ કરીને થઈ શકે છે. આ મોડેલ દ્વારા 10 કરોડ વધુ રોજગારનું સર્જન કરી શકે છે. આ મોડેલ એટલે ‘1 ભારત-1 એપીએમસી’ ગ્રિડ, જે કૃષિ ક્ષેત્રે અને કોમોડિટીઝના વેપાર-વાણિજ્યમાં ભારતનું એમેઝોન, અલીબાબા અને ગૂગલ બની શકે છે.
નોંધનીય છે કે ભારતમાં 1991માં સર્વિસ ઉદ્યોગ વિકસવા લાગ્યો તેની પહેલાં આપણું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિલક્ષી હતું. આજે પણ કૃષિ પરની નિર્ભરતા ઘણા મોટા પ્રમાણમાં છે. દેશની જીડીપીમાં તેનો હિસ્સો આશરે 20 ટકા છે અને દેશની વસતિનો લગભગ 60 ટકા હિસ્સો તેની સાથે સંકળાયેલો છે. જો આ ક્ષેત્રે સમૃદ્ધિ વધે તો ઘણું મોટું સકારાત્મક પરિવર્તન આવી શકે છે.
મને લાગે છે કે માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આ જ ધ્યેય છે. અહીં જણાવવું રહ્યું કે સોફ્ટવેરનો વિકાસ ગણ્યાંગાંઠ્યાં શહેરો સુધી સીમિત છે, જ્યારે કૃષિમાં એવું નથી. ખેતરોમાં ઉગતા પાકને વેપાર, સંગ્રહ, વગેરે જેવી સુવિધાઓ મળે ત્યારે તેની મૂલ્યશ્રૃંખલા સર્જાય છે, જેનાથી નવા રોજગારોનું સર્જન થાય છે. આ સંભાવના બીજી કોઈ પણ પદ્ધતિ કરતાં વધુ સક્ષમ છે.
વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ભારતના કૃષિ ક્ષેત્રે ઓછામાં ઓછા 10 કરોડ અતિરિક્ત રોજગારનું સર્જન શક્ય છે. આજે આશરે પાંચ કરોડ લોકો એપીએમસી માર્કેટની ઈકોસિસ્ટમમાં રોજગારી ધરાવે છે. આના પરથી દેશના કૃષિ બજારની પ્રચંડ શક્તિનો પરિચય મળે છે.
સમગ્ર દેશને આવરી લેનારું કૃષિ ઉત્પાદન માર્કેટિંગનું માળખું અમલમાં મૂકવામાં આવે તો ‘1 ભારત-1 માર્કેટ’નું સ્વપ્ન ઘણું જ જલદી સાકાર થઈ શકે છે. આ માળખું ડિજિટલ ટેક્નૉલૉજી પર આધારિત બનાવી શકાય છે. તેને પગલે આવનારું પરિવર્તન એમ.એસ. સ્વામિનાથનની ‘હરિતક્રાંતિ’ અને અમૂલના સ્થાપક વી. કુરિયનની ‘શ્વેતક્રાંતિ’ કરતાં પણ મોટી ‘ડિજિટલ કૃષિ ક્રાંતિ’નું સર્જન શક્ય છે.
વડા પ્રધાને e-Nam (ઈલેક્ટ્રોનિક નૅશનલ એગ્રિકલ્ચર માર્કેટ) પ્રૉજેક્ટની પરિકલ્પના ઘડી છે. એ જ ધ્યેયને જ આગળ વધારીને સમગ્ર ભારતને લાભ કરાવનારું માળખું તૈયાર કરી શકાય છે. તેનો અમલ આ બે મુખ્ય ઉદ્દેશ્યો સાથે કરી શકાય છેઃ
1) યોગ્ય કૃષિ નીતિનો અમલ કરવો અને એમપીએમસી ઍક્ટમાં ફેરફાર કરીને કૃષિ ક્ષેત્રે સુધારા લાવવા.
2) 10 કરોડ અતિરિક્ત રોજગારનું સર્જન કરવું.
સરકારની તિજોરી પર કોઈ પણ બોજ નાખ્યા વગર અને એક પણ પૈસાની રોકડ સબસિડી વગર આ કાર્ય થઈ શકે છે.
ભારત માટે આ પ્રકારનું કાર્ય નવું નહીં હોય, કારણ કે ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજી ગ્રુપ (એફટી ગ્રુપ) મારફતે કોમોડિટી અને ઈલેક્ટ્રિક ક્ષેત્રે આવું આમૂલ પરિવર્તન આવેલું જોવા મળ્યું છે.
e-Nam મોડેલમાં નવાં પ્રાણ પૂરીને તેમાં ‘હબ ઍન્ડ સ્પોક’ (એક કેન્દ્ર સાથે સંકળાયેલા વિવિધ પ્રાદેશિક મથકો) માળખું રચવું એવું સૂચન છે. હાલની એપીએમસીની જે પ્રાદેશિક સંરચના છે તેને દૂર કર્યા વગર ટેક્નૉલૉજીની મદદથી રાષ્ટ્રીય કૃષિ ગ્રિડનું નિર્માણ શક્ય છે.
આ ગ્રિડ ભારતનું અનોખું સર્જન હશે. તેની મદદથી ભારતને હોંગકોંગ, સિંગાપોર અને દુબઈને ભેગાં કરીએ તેનાથી પણ મોટું પૂર્વનું વેપારી કેન્દ્ર બનાવી શકાશે.
ભારત માટે આવી સંરચના નવી નહીં હોય, કારણ કે ગત 20 વર્ષોમાં એવી પાંચ યુનિકોર્ન (એક અબજ ડૉલર કરતાં વધુ મૂલ્ય ધરાવતું સ્ટાર્ટ અપ) કંપનીઓમાં તેનો સફળતાપૂર્વક અમલ થઈ ચૂક્યો છે અને તેનાથી સામાજિક ધોરણે ઘણી મોટી સકારાત્મક અસર જોવા મળી ચૂકી છે.
ઇન્ડિયન એનર્જી એક્સચેન્જે (આઇઈએક્સ) વીજળી ક્ષેત્રે નૅશનલ ઈલેક્ટ્રિસિટી ગ્રિડની રચના કરી હતી. આ એક્સચેન્જે સમગ્ર દેશ માટે વીજળીનું એક સર્વસામાન્ય બજાર ઊભું કર્યું હતું. વીજળીના તમામ સોદાઓ માટે ટ્રેડર્સ, ક્લીયરિંગ એન્ટિટીઝ અને બૅન્કોનું તંત્ર ખડું થયું હતું. એ માર્કેટમાં વીજ ઉત્પાદક કંપનીઓ, વીજ વિતરણ કંપનીઓ, લૉડ ડિસ્પેચ સેન્ટર્સ, પાવર ટ્રેડિંગ કંપીઓ તથા પાવર ગ્રિડ એ બધાનું એક પરિતંત્ર રચવામાં આવ્યું હતું. આજે એ માર્કેટ દસ વર્ષ કરતાં વધુ સમયથી સફળતાપૂર્વક ચાલી રહી છે.
ઇન્ડિયન એનર્જી એક્સચેન્જની સ્થાપના થતાં પહેલાં બધાં રાજ્યોની એકબીજાથી અલિપ્ત વ્યવસ્થા હતી. વધારાની વીજળી ધરાવતા વેચાણકર્તા રાજ્ય અને વીજળીની ઘટ ધરાવતા ખરીદદાર રાજ્ય વચ્ચે દ્વિપક્ષી કરારો થતા. આખા દેશને આવરી લેનારી કોઈ વ્યવસ્થા ન હતી. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જે રાજ્યોની પોતપોતાની માર્કેટની સાથે સહ-અસ્તિત્વ ધરાવનારી રાષ્ટ્રીય સ્તરની કેન્દ્રીય માર્કેટની રચના કરી.
ભારતની બીજી ઔદ્યોગિક ક્રાંતિ તરીકે જેની નોંધ લેવાઈ એ ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ આજે દેશનું પ્રથમ ક્રમાંકિત પાવર એક્સચેન્જ છે. ખરી રીતે તો આ એક્સચેન્જને સમગ્ર વિશ્વ માટે વીજળીનું ટ્રેડિંગ કરવા માટેનું માધ્યમ બનાવવાનું મૂળ ધ્યેય હતું, પરંતુ તત્કાલીન કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમે વાંધાજનક રીતરસમ અપનાવીને એફટી ગ્રુપને ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાંથી બહાર કઢાવી દીધું. તેને પરિણામે આ એક્સચેન્જને વૈશ્વિક સ્તરનું બનાવી શકાયું નહીં.
એફટી ગ્રુપને કાઢી નખાયા બાદ આ એક્સચેન્જ આજે સાર્કના દેશો સુધી પણ પહોંચી શક્યું નથી તથા તેમાં એકપણ વધારાની નવી સફળ પ્રૉડક્ટ ઉમેરવામાં આવી નથી. ભારતને પહેલાં વિશ્વની વીજળી ગ્રિડ અને ત્યાર બાદ વિશ્વની ઊર્જા ગ્રિડ બનાવવાની અમૂલ્ય તક વેડફાઈ ગઈ. ભારત ઊર્જાની એસેટનું ટ્રેડિંગ રૂપિયામાં થાય એવી ગોઠવણ કરી શક્યું હોત અને તેના દ્વારા આપણા ચલણને અગ્રણી આંતરરાષ્ટ્રીય ટ્રેડિંગ કરન્સી બનાવી શકાયું હોત.
જો અમે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાં રહ્યા હોત તો દેશની સર્વપ્રથમ ઈલેક્ટ્રોનિક વીજ માર્કેટને દક્ષિણ એશિયા અને સાર્કના દેશો સુધી વિસ્તારી શકાઈ હોત, પરંતુ વિચિત્રતા એ છે કે પી. ચિદમ્બરમ તથા તેમને સાથ આપનારા કે. પી. કૃષ્ણન અને રમેશ અભિષેકે એમ થવા દીધું નહીં.
અમારી પાસે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાંથી હિસ્સો પરાણે વેચાવી દેવાયો. તેનું પરિણામ એ આવ્યું કે આ ઇનોવેટિવ વીજ ગ્રિડમાં પછીથી કોઈ નવી પ્રૉડક્ટ આવી નથી. મૂળ ધ્યેય સુધી પહોંચી શકાયું ન હોવા છતાં આજે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ વીજ ક્ષેત્રે ‘1 ભારત-1 માર્કેટ’ ધરાવે છે.
આ જ રીતે એમસીએક્સમાં ટ્રેડરો, વેરહાઉસ, એસેયર્સ, લૉજિસ્ટિક સર્વિસ પ્રોવાઇડર્સ, સ્પોટ માર્કેટ લિંકેજ, વગેરે સાથેનું રાષ્ટ્રીય સ્તરનું પરિતંત્ર રચવામાં આવ્યું હતું.
દેશના કોમોડિટી ક્ષેત્રે એફટી ગ્રુપે કરેલા નવસર્જન – એમસીએક્સ અને પ્રસ્તાવિત નૅશનલ એગ્રિકલ્ચર ગ્રિડ વિશેની વધુ વાતો આપણે ગ્રુપના સ્થાપકના શબ્દોમાં આવતી કડીમાં જાણીશું.
———————————————-