દાન કરવાની બાબતે કહેવાય છે કે જમણા હાથે કરેલા દાનની ખબર ડાબા હાથને પણ ન થવી જોઈએ. જો કે, જનતાના પૈસાની બરબાદી કરવાના નિર્ણય વિશે આવી સ્થિતિ સર્જાતાં આઘાત લાગ્યો છે. હાલમાં નાણાં મંત્રાલયે રમેશ અભિષેકના કાનૂની બચાવ માટે સરકાર તરફથી ખર્ચ કરવાનો નિર્ણય લીધો, પરંતુ તેના વિશે વડા પ્રધાનના કાર્યાલયને અંધારામાં રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આપણે અગાઉ કહી ગયા છીએ કે સરકારી અમલદારો અને રાજકારણીઓની સાંઠગાંઠ ઘણી જ સજ્જડ છે. તેને કારણે તેઓ પોતાનું ધાર્યું કરાવી લેતા હોય છે. ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ રમેશ અભિષેકે કિન્નાખોરી રાખીને 63 મૂન્સ ટેક્નૉલૉજીસ (જૂનું નામ ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ)ને તથા તેના શેરધારકોને નુકસાન પહોંચાડ્યું હોવાનો આરોપ છે. તેમની સામે 63 મૂન્સે 10,000 કરોડ રૂપિયાની નુકસાનીનો દાવો કર્યો અને નાણાં મંત્રાલયે અભિષેક નિવૃત્ત થયા હોવા છતાં તેમના કાનૂની બચાવનો ખર્ચ સરકારી ધોરણે કરવાનો નિર્ણય લીધો છે એવું ગયા વખતના બ્લોગમાં આપણે કહ્યું.
રમેશ અભિષેક વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતે આકરી ટિપ્પણીઓ કરી હોવા છતાં જનતાના પૈસે તેમનો કાનૂની બચાવ થાય એ આશ્ચર્યની વાત છે. 63 મૂન્સ ટેક્નૉલૉજીસની પેટા કંપની એનએસઈએલનું પૅરન્ટ કંપની સાથે મર્જર કરી દેવાના સરકારી આદેશને રદ કરી દેતા સર્વોચ્ચ અદાલતના હુકમને જોતાં રમેશ અભિષેકનો બદઇરાદો સ્પષ્ટ થાય છે. તેમણે એનએસઈએલના કેસમાં પોલીસના એક અહેવાલને દબાવીને રાખીને બ્રોકરોની તરફેણ કરી હોવાની શંકા છે. તેમની વિરુદ્ધ લોકપાલ દ્વારા તપાસ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. ઉપરાંત, અગાઉના બ્લોગમાં લખ્યા પ્રમાણે પીગુરુસ વેબસાઇટે રમેશ અભિષેકની શંકાસ્પદ ઍસેટ્સ વિશેની વિગતો પણ પ્રકાશિત કરી છે. એ ઍસેટ્સમાં દક્ષિણ દિલ્હીમાં 2.67 કરોડ રૂપિયાના ઘરનો સમાવેશ થાય છે. પીગુરુસે જણાવ્યા મુજબ દક્ષિણ દિલ્હીમાં જગ્યા ખરીદવા માટે 40 ટકા કાળું નાણું આપવું પડે છે.
નાણાં મંત્રાલયનો આર્થિક બાબતોનો વિભાગ અને સેબી રમેશ અભિષેકનો કાનૂની બચાવનો ખર્ચ ભોગવશે એ નિર્ણય પરથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકારના કેટલાક આઇએએસ અધિકારીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને, ગૃહપ્રધાન અમિત શાહને અને નાણાપ્રધાન નિર્મલા સીતારામનને જરાપણ ગણકારતા નથી.
રમેશ અભિષેક ઉપરાંત નાણાં ખાતાના ભૂતપૂર્વ અધિકારી કે. પી. કૃષ્ણન અને ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમની વિરુદ્ધ પણ આ ખટલો છે. તેમની સામે વ્યક્તિગત રીતે આરોપ કરીને નુકસાની માગવામાં આવી છે, કારણ કે તેમણે કોઈ સરકારી નીતિના ભાગરૂપે નહીં, પણ પોતાની કુટિલ ચાલના કારણે 63 મૂન્સને નુકસાન થાય એવાં પગલાં ભર્યાં હોવાનું કહેવાય છે. જો તેઓ આ ખાનગી ખટલામાં હારી જશે તો શું ભાજપની સરકાર તેમના વતી 10,000 કરોડ રૂપિયા ચૂકવશે?
વળી, તેમનો કેસ લડવા માટે પણ ટોચના વકીલોને રોકવામાં આવશે અને તેનો પણ કરોડો રૂપિયાનો ખર્ચ થશે. સર્વોચ્ચ અદાલતે રમેશ અભિષેકની વિરુદ્ધ કરેલી ટિપ્પણીઓને ધ્યાનમાં લેવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે નાણાં ખાતાએ આ ખર્ચ ભોગવવાનું નક્કી કરીને ઘણી મોટી ભૂલ કરી છે.
સર્વોપરી અદાલતે કહ્યું છે કે અમુક ટ્રેડરોનાં ખાનગી હિતોની રક્ષા કરવા માટે રમેશ અભિષેકની ભલામણના આધારે એનએસઈએલ અને એફટીઆઇએલનું મર્જર કરવાનો આદેશ જારી કરાયો હતો. આ જ માણસ જો અદાલતમાં નુકસાનીના ખટલામાં હારી જશે તો મોદી સરકાર માટે ક્ષોભજનક સ્થિતિ સર્જાશે એ વાતમાં બેમત નથી.
———————–