સરકારી હોદ્દાનો દુરુપયોગ કર્યો રમેશ અભિષેકે અને તેમના કાનૂની ખટલાનો ખર્ચ ભોગવવાનો આવશે સામાન્ય જનતાએ!!!

રમેશ અભિષેક

સરકારી હોદ્દાનો દુરુપયોગ કરવાનો આક્ષેપ ધરાવનાર માણસ નિવૃત્ત થયા પછી પણ પોતાના કાનૂની બચાવ માટે સરકારી મદદ મેળવતો રહે ત્યારે આ દેશની વ્યવસ્થા વિશે દુઃખદ આશ્ચર્ય સર્જાય છે. આપણે અગાઉ આ બ્લોગમાં રમેશ અભિષેક વિશે લખેલી વાત આજે સાચી થતી જણાય છે. ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના હોદ્દે રહીને રમેશ અભિષેકે કિન્નાખોરીથી લીધેલા પગલાં બદલ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ કંપની (અગાઉની ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ)એ તેમની સામે નુકસાનીનો દાવો માંડ્યો છે. આ માણસ હવે નિવૃત્ત થઈ ગયો છે, છતાં સરકારે તેને કાનૂની ખટલામાં પોતાનો બચાવ કરવા માટે જનતાના પૈસા વાપરવા દેવાનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત માહિતી મુજબ નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના ખાતાએ કાયદા મંત્રાલયની સાથે સલાહ-મસલત કર્યા બાદ નક્કી કર્યું છે કે અભિષેકનો કાનૂની ખર્ચ સરકાર ભોગવશે.

બ્લોગના વાંચકો જાણે જ છે કે 63 મૂન્સ ટેક્નૉલૉજીસને એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ના કેસમાં દ્વેષપૂર્વક કાર્યવાહી કરવા બદલ રમેશ અભિષેક, ભૂતપૂર્વ આઇએએસ ઑફિસર કે. પી. કૃષ્ણન તથા ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ વિરુદ્ધ 10,000 કરોડ રૂપિયાની નુકસાનીનો ખટલો માંડ્યો છે. રમેશ અભિષેક નિવૃત્ત થઈ ચૂક્યા છે. કૃષ્ણન હજી કૌશલ્ય વિકાસ મંત્રાલયમાં સચિવ છે અને ચિદમ્બરમ સત્તાના દુરુપયોગના કેસમાં હજી ચોથી ડિસેમ્બરે જ જેલમાંથી જામીન પર બહાર આવ્યા છે.

અખબારી અહેવાલ (https://www.thehindubusinessline.com/markets/stock-markets/dea-approves-funding-for-former-ias-officer-ramesh-abhisheks-legal-battle-against-63moons-technologies/article30159410.ece#) જણાવે છે કે કૃષ્ણને પણ નાણાં મંત્રાલય પાસે અરજી કરીને કાનૂની ખટલાનો ખર્ચ સરકાર ભોગવે એવી વિનંતી કરી છે. તેઓ અગાઉ આ જ મંત્રાલયમાં સચિવ હતા.

આર્થિક બાબતોના વિભાગે રમેશ અભિષેકનો કાનૂની ખર્ચ પોતે અથવા સેબી ભોગવશે એવું નક્કી કર્યું છે. તેનું કહેવું છે કે રમેશ અભિષેક અગાઉ ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના અધ્યક્ષ હતા અને હવે એ કમિશનનું વિલિનીકરણ સેબીમાં થઈ ગયું છે આથી તેમનો ખર્ચ ભોગવવામાં આવશે.

રમેશ અભિષેક અને કૃષ્ણને પોતાના અગાઉના હોદ્દાઓનો દુરુપયોગ કરીને 63 મૂન્સ ટેક્નૉલૉજીસ વિરુદ્ધ દ્વેષપૂર્ણ પગલાં ભર્યાં હતાં. કંપનીના સ્થાપક જિજ્ઞેશ શાહે પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કે એનએસઈ (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ)નાં સ્થાપિત હિતોનું રક્ષણ કરવાના ઈરાદે આ બન્ને સનદી અધિકારીઓએ 63 મૂન્સ વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેને પગલે કંપનીના શેરધારકોને 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું.

રમેશ અભિષેકને 63 મૂન્સે કરેલા ખટલામાં લડવા માટે સોલિસિટર જનરલ/અતિરિક્ત સોલિસિટર જનરલ કે તેમને સમકક્ષ વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને સેબીની પૅનલમાંની કાનૂની પેઢીની મદદ લેવાની છૂટ આપવામાં આવી છે. આ મુજબનો અહેવાલ પ્રગટ કરનાર અખબારને રમેશ અભિષેક કે કૃષ્ણને કોઈ જવાબ આપ્યો નથી. સેબી, આર્થિક બાબતોનો વિભાગ અને નાણાં મંત્રાલયને પણ પૃચ્છા કરવામાં આવી હતી, પરંતુ તેમની પાસેથી પણ કોઈ ખુલાસો આવ્યો નથી.

આ અધિકારીઓએ કોઈ સરકારી નીતિના ભાગરૂપે કાર્યવાહી કરી હોત તો તેમને જનતાના પૈસે કાનૂની લડત ચલાવવાની છૂટ હોઈ શકે, પરંતુ કોઈ ખાનગી કંપનીના હિતને સાચવવા માટે અને રાજકારણી-સનદી અમલદાર-કૉર્પોરેટ ક્ષેત્રની સાંઠગાંઠના કાવતરાના ભાગરૂપે કરાયેલી કાર્યવાહી માટે મદદ મળે એ વાત જનતા માટે આઘાતજનક પુરવાર થઈ છે.

કોઈએ પોતાના અંગત સ્વાર્થ કે સ્થાપિત હિત માટે કાર્યવાહી કરી હોય તો જનતાએ તેના કાનૂની ખર્ચનો બોજ કેમ સહન કરવો એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે.

એનએસઈએલના સમગ્ર પ્રકરણ પર અને 63 મૂન્સ ટેક્નૉલૉજીસ વિરુદ્ધના ષડ્યંત્ર હેઠળ લેવાયેલાં પગલાં વિશેની જાણકારી આપતો બ્લોગ અગાઉ પ્રગટ થઈ ચૂક્યો છે (https://vicharkranti2019.com/2019/10/14/એનએસઈએલ-પ્રકરણમાં-સ્થાપિ/).  

આપણે પહેલાં એ પણ લખી ગયા છીએ કે પી. ચિદમ્બરમના મળતિયા અધિકારીઓ હજી પણ કાર્યરત હોવાનું મનાય છે. જે રીતે રમેશ અભિષેકનો ખર્ચ જનતાના માથે મારવાનો બેજવાબદારીભર્યો નિર્ણય લેવાયો છે એ જોઈને આપણી વાત ફરી એક વાર પુરવાર થતી જણાય છે. સરકારી તંત્રનો આવો છડેચોક દુરુપયોગ થતો જોઈને સામાન્ય જનતાની આંખો પહોળી થઈ જાય છે. કથિત કાવતરાખોરો હજી પણ પોતાની ચાલમાં સફળ થતા જોવા મળી રહ્યા છે એને આપણા દેશનું દુર્ભાગ્ય ન કહીએ તો બીજું શું કહીએ?

————————–

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s