
ભારતના નાણાકીય ક્ષેત્રમાં એક પછી એક ગંભીર ઘટનાઓ બની રહી હોવા છતાં અસરકારક પગલાં ભરવામાં આવી રહ્યાં નથી. ગયા વખતના લેખમાં આપણે એમસીએક્સના સ્ટૉકમાં થયેલા સંભવિત ઇનસાઇડર ટ્રેડિંગની વાત કરી. નિયમનકાર તરીકે સેબીએ સતત સતર્ક રહીને આવશ્યક પગલાં ભરવાં જોઈએ, તેને બદલે એ જ્યારે એ ઢીલ રાખવા લાગે ત્યારે આશ્ચર્ય સર્જાય છે. એક સમયે તેણે એનએસઈ (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ)ના કૉ-લૉકેશન કૌભાંડના કેસમાં ઢીલ કરી અને હવે એમસીએક્સના ડેટા ચોરીના કેસમાં પણ એવા જ હાલ થઈ રહ્યા હોય એવું જણાય છે. આ ઢીલનું ગંભીર પરિણામ એ આવ્યું છે કે રિટેલ રોકાણકારોનો બજાર પરનો રહ્યોસહ્યો વિશ્વાસ પણ હવે ડગમગવા લાગ્યો છે.
સંશોધનના નામે પહેલાં એમસીએક્સમાંથી ડેટા લેવામાં આવ્યો એ બાબતે સેબીએ જાતે જ ઊંડાણપૂર્વકની તપાસ કરીને કઠોર કાર્યવાહી કરવાની જરૂર હતી. તેને બદલે તેણે એમસીએક્સને જ કહ્યું છે કે એ જાતે આંતરિક તપાસ કરાવી લે. આથી હવે એવી છાપ ઊભી થઈ છે કે સેબી આ કેસમાં ભીનું સંકેલી લેવા માગે છે.
આપણે જોઈ ચૂક્યા છીએ કે એનએસઈના કૉ-લૉકેશન કૌભાંડને એક કૌભાંડ ગણવાને બદલે કામકાજની ચૂક ગણી લેવામાં આવ્યું. પરિણામે, સેબીએ કરેલી નાની-અમથી કાર્યવાહી પણ કી કામે આવી નહીં અને સિક્યૉરિટી ઍપલેટ ટ્રિબ્યુનલે લગભગ તમામ આરોપીઓને ‘બાઈજ્જત બરી’ કરી દીધા.
એમસીએક્સના કેસમાં ઊંડી ઊતરેલી વેબસાઇટ પીગુરુસને જાણવા મળ્યું છે કે એમસીએક્સ પણ ડેટા ચોરીના ગુનાને આંતરિક અને કામકાજની ચૂક ગણાવીને ભીનું સંકેલી લેવાય એ મતલબનો અહેવાલ તૈયાર કરી રહ્યું છે. એક્સચેન્જના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર-ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર મૃગાંક પરાંજપેના કાળમાં જ કથિત ડેટા ચોરી થઈ. હવે તેમને તથા અમુક અધિકારીઓને મીઠો ઠપકો આપીને જવા દેવાય અને કેસની ફાઇલ બંધ કરી દેવાય એવી પૂરેપૂરી શક્યતા છે.
આપણે અગાઉ જોઈ ગયા છીએ કે કૉ-લૉકેશન કૌભાંડ અને એમસીએક્સના ડેટા ચોરી પ્રકરણ એ બન્નેમાં અમુક સમાન વ્યક્તિઓ સંડોવાયેલી હતી. તેમાં ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યુટ ઑફ ડેવલપમેન્ટલ રિસર્ચના સુસાન થોમસ અને તેમના સહયોગી ચિરાગ આનંદનો સમાવેશ થાય છે. આ લોકોએ બન્ને એક્સચેન્જો સાથેના વ્યવહારમાં કઈ સાંઠગાંઠનો ઉપયોગ કર્યો તેની તપાસ કરવાનું તો બાજુએ રહ્યું, એ બન્ને કેસમાં સમાન પ્રકારનો વ્યવહાર કરીને સેબીએ નિયમનકાર તરીકે કાચા પડ્યાની છાપ ઊભી કરી છે. શું સેબીની કોઈ જવાબદેહી નથી? જનતાએ ચૂંટી કાઢેલા જનપ્રતિનિધિઓએ પણ દર પાંચ વર્ષે જનતાની સામે જવું પડે છે અને જનતા પૂછે તો જવાબ આપવો પડે છે, પણ શું નિયમનકાર તરીકે સેબી કોઈને જવાબ આપવા બંધાયેલી નથી?
પીગુરુસને એવું પણ જાણવા મળ્યું છે કે ઉક્ત બન્ને ગેરરીતિઓ બાબતે કડક પગલાં ભરવામાં આવશે તો બજારમાં અફરાતફરી મચી જશે અને કાનૂની ખટલાઓ મંડાશે એવી દલીલ સેબીએ સરકાર સમક્ષ રજૂ કરી છે. જો સરકાર પોતે દેશમાં પ્રામાણિકતા લાવવા માટે અને સિસ્ટમમાં ફેલાયેલો સડો દૂર કરવા માટે આકરાં પગલાં લઈ રહી હોય તો સેબીએ આવી નબળી દલીલ કરવાનો અર્થ શું? આમ કરવાથી ગુનેગારોને ભાવતું મળી જાય છે અને નિયમનકાર ફક્ત કાગળ પરનો વાઘ બનીને રહી જાય છે.
નોંધનીય છે કે 90ના દાયકામાં સેબીની રચના જ બજારોનાં કૌભાંડો અટકાવવા માટે થઈ હતી. હવે જો એના હોવા છતાં કૌભાંડો સર્જાતાં હોય ત્યારે શું કહેવું?
——————————————-