
આજે આપણે જે સમાચારની વાત કરવાના છીએ તેને વાંચીને ‘અબ ઊંટ આયા પહાડ કે નીચે’ કહેવત યાદ આવી જાય છે. સરકારમાં મહત્ત્વના હોદ્દાઓ લેવાના, પણ કોઈ જવાબદારી નહીં. ઉલટાનું, શંકાસ્પદ વ્યવહારોમાં સંડોવણી હોય એવા અનેક દાખલા જોવા મળે. વાત છે સનદી અમલદાર રમેશ અભિષેકની, જેના વિશે આપણે હાલ ઘણા મુદ્દા છેડ્યા છે.
આપણા મુદ્દાઓને સમર્થન આપનારી મહત્ત્વપૂર્ણ ઘટનામાં, લોકપાલે ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)ના વર્તમાન સચિવ રમેશ અભિષેક વિરુદ્ધ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી – કેન્દ્રીય દક્ષતા પંચ) દ્વારા ચાલી રહેલી તપાસનો સ્ટેટસ રિપોર્ટ માગ્યો છે. સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ પિનાકીચંદ્ર ઘોષના વડપણ હેઠળની લોકપાલની આઠ સભ્યોની બેન્ચે પંદર દિવસની અંદર રિપોર્ટ આપવાનું સીવીસીને કહ્યું છે.
આ મહિનાના પ્રારંભિક દિવસોમાં અપાયેલા આ આદેશમાં કહેવાયું છે, ”એક સરકારી અમલદાર વિરુદ્ધ આક્ષેપો થયા છે અને સીવીસીના કાર્યાલયના સચિવને પણ તેની જાણ કરાઈ છે. આથી સચિવ આ ફરિયાદ સંબંધે પખવાડિયાની અંદર અહેવાલ સુપરત કરે.” આ આદેશની નોંધ અગ્રણી બિઝનેસ અખબાર બિઝનેસલાઇને લીધી છે.
અહીં જણાવવું રહ્યું કે સરકારી અમલદારો વિરુદ્ધની ભ્રષ્ટાચારની ફરિયાદો બાબતે તપાસ કરવા માટે લોકપાલ ઍન્ડ લોકાયુક્ત ઍક્ટ, 2013 હેઠળ લોકપાલ સંસ્થાની રચના કરવામાં આવી છે.
રમેશ અભિષેક વિરુદ્ધ મુંબઈસ્થિત 63 મૂન્સ ટેક્નૉલૉજીસ લિમિટેડે સીવીસીને ફરિયાદ કરી છે. કંપનીએ આરોપ મૂક્યો છે કે અભિષેક ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના અધ્યક્ષ હતા એ સમયે કંપનીના એક સમયના એક્સચેન્જ એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)માં સર્જાયેલી પૅમેન્ટ કટોકટી સંબંધે 4 ઑગસ્ટ, 2013ના રોજ બેઠક મળી હતી. એ બેઠકમાં દેણદાર બોરોઅર ડિફોલ્ટર્સ હાજર હતા અને અભિષેકની ઉપસ્થિતિમાં તેમણે પોતાની નાણાં ચૂકવવાની જવાબદારીનો સ્વીકાર કર્યો હતો. એ બેઠકની મિનટ્સ ઑફ મીટિંગ ગુમ થઈ ગઈ હોવાનું કમિશને સીરિયસ ફોર્ડ ઇન્વેસ્ટિગેશન ઑફિસ (એસએફઆઇઓ)ને જણાવ્યું છે.
કંપનીએ એવો પણ આરોપ મૂક્યો છે કે અભિષેકે કંપનીની સાથે તેના બંધ પડેલા એક્સચેન્જ એનએસઈએલનું મર્જર કરવા માટે સરકારને ગેરમાર્ગે દોરી હતી.
આપણે અગાઉ કહી ગયા છીએ કે અભિષેકે એનએસઈએલ કેસમાં બ્રોકરો વિરુદ્ધ મુંબઈ પોલીસે આપેલા અગત્યના અહેવાલને દબાવી રાખ્યો હતો. એ વખતે તેઓ એફએમસીના અધ્યક્ષ હતા. 2014માં પોલીસે આપેલો એ અહેવાલ 2018માં સેબીની જાણમાં આવ્યો અને તેના આધારે બ્રોકરો વિરુદ્ધ કાર્યવાહી થઈ. સેબીને જેના વિશે તપાસ કરવા જેવું લાગ્યું એ અગત્યનો અહેવાલ રમેશ અભિષેકે કેમ દબાવી દીધો એવો સવાલ જનસામાન્યને થાય એ સ્વાભાવિક છે.
અત્યારે રમેશ અભિષેક વિશે આટલા ગંભીર આક્ષેપો થયા હોવા છતાં તેમના તરફથી કોઈ જવાબ મળી રહ્યો નથી. બિઝનેસલાઇને લોકપાલના પગલા વિશે પૃચ્છા કરી તેનો પણ કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. પોલીસનો અહેવાલ છુપાડીને રાખનાર સરકારી અમલદાર હવે મોં છુપાવી રહ્યા છે કે કેમ એવો લોકોને પ્રશ્ન થાય તોપણ નવાઈ નહીં.
———————–