
ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના ભૂતપૂર્વ ચૅરમૅન રમેશ અભિષેકનાં કનેક્શન્સ વિશે આપણે ગયા વખતે વાત કરી હતી. તેમના વિશે બીજી પણ અનેક ચોંકાવનારી માહિતીઓ બહાર આવી છે.
વર્ષ 2014માં ઇન્ડિયન પોલીસ સર્વિસ (આઇપીએસ)ના અધિકારી અતુલ વર્માએ રમેશ અભિષેક વિશે સીબીઆઇમાં ફરિયાદ કરી હતી. વર્મા ફોરવર્ડ માર્કેટ્સ કમિશનમાં મુંબઈ ખાતે રમેશ અભિષેકની સાથે કામ કરતા હતા. તેમણે ચીફ વિજિલન્સ કમિશનરને પણ એ ફરિયાદ મોકલી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે અભિષેક લાંચની રકમ લેવા માટે દીકરી વનીસાનો હાથા તરીકે ઉપયોગ કરતા હતા. વ્હીસલબ્લોઅરે પણ કહ્યું છે કે કોમોડિટી બ્રોકરોના કહેવાથી જ અભિષેકે એનએસઈએલ પ્રકરણ બાદ ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડની વિરુદ્ધ જ કાર્યવાહીનો ઝોક રાખ્યો. બ્રોકરો કાનૂની ફી પેટે વનીસાને નાણાં ચૂકવતા. વનીસાએ આઇસીઆઇસીઆઇ બૅન્ક અને આઇડીબીઆઇ બૅન્કમાંનાં ખાતાં અચાનક જ બંધ કરાવી દીધાં હતાં. અભિષેકે પોતે પણ કેમેન આઇલૅન્ડ્સ ખાતેનું એક અકાઉન્ટ બંધ કરાવી દીધું હતું.
રમેશ અભિષેકનાં પત્ની સ્વપ્ના અભિષેકને મુંબઈના એક કોમોડિટી બ્રોકરે કરોડો રૂપિયા મૂલ્યના હીરા ભેટમાં આપ્યા હતા. એ હીરા તેમની દીકરીના આઇડીબીઆઇ બૅન્કમાંના લૉકરમાં રખાયા હતા. વ્હીસલબ્લોઅરે આ બાબતે ઊંડી તપાસ કરવાની પણ માગણી કરી છે.
વ્હીસલબ્લોઅરે કહ્યા મુજબ એનએસઈએલ કેસમાં બ્રોકરોએ વનીસાને રોકડ અને ચેકથી નાણાં આપ્યાં હતાં. એટલું જ નહીં, જિજ્ઞેશ શાહ અને તેમના ગ્રુપની પાછળ પડી જવા માટે અનેક બ્રોકરો અને મિલમાલિકોએ નાણાં આપ્યાં હતાં. રમેશ અભિષેકને તેમના સાઢુ એલ. કે. અગરવાલ પણ અનેક ઇન્ડિયન રિવેન્યુ સર્વિસ (આઇઆરએસ) અધિકારીઓનો ઉપયોગ કરીને મદદરૂપ થતા હતા. બન્નેનાં પત્ની ફાઇવ સ્ટાર હોટેલોમાં રહેવા પાછળ તથા વિદેશપ્રવાસ પાછળ લખલૂટ ખર્ચ કરવા માટે જાણીતાં છે.
એલ. કે. અગરવાલ કરવેરા ખાતાના અધિકારી હોવાથી તેઓ રોકડ સગેવગે કરવામાં પાવરધા છે. તેમની બેનામી મિલકતોમાં એન. ડી. ડેવલપર્સની મિલકતનો સમાવેશ થાય છે તેથી તેના વિશે પણ તપાસ થવી જોઈએ એમ વ્હીસલબ્લોઅરે કહ્યું છે.
મુંબઈસ્થિત ઑરમ વેન્ચર્સના આશિષ દેવરા રમેશ અભિષેકના હોદ્દા અને લાગવગનો ભરપૂર ઉપયોગ કરતા હોવાનું જણાવતાં વ્હીસલબ્લોઅરે કહ્યું છે કે દેવરાની સામે પણ સીબીઆઇની તપાસ ચાલી રહી છે. તેમણે સૅટ (સિક્યૉરિટીઝ ઍપેલેટ ટ્રિબ્યુનલ)ના અધિકારીઓને લાંચ આપ્યાના આરોપ સહિત અનેક ગુનાઓ સબબ સીબીઆઇ આ તપાસ કરી રહી છે.
આ જ આશિષ દેવરા દર મહિને સ્વપ્ના અભિષેકને રોકડ મોકલાવે છે અને કાનૂની ફીના નામે વનીસા અગરવાલના ખાતામાં નાણાં જમા કરાવે છે. રમેશ અભિષેકના વિદેશપ્રવાસોના પૈસા પણ આશિષ દેવરાએ ચૂકવ્યા છે તથા બન્ને પરિવારો સાથે વિદેશ જઈ આવ્યા છે. આ બાબતની તપાસ તેમના પાસપોર્ટ પરથી સહેલાઈથી થઈ શકે છે, એવું વ્હીસલબ્લોઅરે કહ્યું છે.
શ્રી ઐયર નામના લેખકે ‘સી-કંપનીઃ હાઉ જિજ્ઞેશ શાહ બીકેમ નં. 1 ટાર્ગેટ’ શીર્ષક હેઠળ પ્રગટ કરેલા પુસ્તકમાં રમેશ અભિષેકને પી. ચિદમ્બરમ અને તેમના માણસો – કે. પી. કૃષ્ણન તથા અજય શાહ સાથેના સંબંધો પર પ્રકાશ પાડ્યો છે. રમેશ અભિષેકે ફોરવર્ડ માર્કેટ્સ કમિશનનું કામકાજ કેવી રીતે ચલાવવું જોઈએ તેના વિશે પી. ચિદમ્બરમ અને અજય શાહ તેમને ડિક્ટેટ કરતા હતા. એટલું જ નહીં, એક જ ટોળકીના સભ્ય હોવાને લીધે અભિષેકે તેમનું કહ્યું માનવું પડતું. કે. પી.ની મદદથી જ અભિષેક ગ્રાહકસંબંધી બાબતોના મંત્રાલય સુધી અને ત્યાંથી નાણાં મંત્રાલય સુધી પહોંચી શક્યા. એ નિમણૂકો દેખીતી રીતે જ પી. ચિદમ્બરમની ભલામણથી કરાવાઈ હતી. આ ભૂતપૂર્વ નાણાપ્રધાનના મનસૂબા પાર પાડવા માટે રમેશ અભિષેકને સતત પાંચ વખત એફએમસીના ચૅરમૅનપદે રખાયા, જે દેશના અમલદારશાહીના ઇતિહાસમાં અસાધારણ બાબત હતી. એક સમયે તેઓ સેબીના ચૅરમૅન બનવા માટે પણ પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ ડૉ. સુબ્રમણ્યન સ્વામીએ તેમની ઈચ્છાઓ પર પાણી ફેરવી દીધું. સ્વામીએ આક્ષેપ કર્યો હતો કે પી. ચિદમ્બરમ પોતાનાં નાણાકીય કૌભાંડોનો ઢાંકપિછોડો થઈ શકે એ માટે સેબીના ચૅરમૅન તરીકે પોતાના કોઈ માણસને ગોઠવવા પ્રયત્નશીલ હતા.
(સંદર્ભઃ https://www.pgurus.com/ace-advisor-of-lalu-and-part-of-pcs-fantastic-four-p2/; https://www.pgurus.com/tag/c-company/)
——————-